ગુજરાત ખબર

રાંદેરના ગૌરાંગભાઈ ભગત છેલ્લા 20 વર્ષથી નિઃશુલ્ક સ્વિમિંગ તાલીમ આપી રહ્યા છે તેમના શિષ્યો નેશનલથી ઈન્ટરનેશનલ સુધી જીતે છે મેડલ

 

સુરત: આજના સમયમાં જ્યાં સ્વિમિંગ ક્લાસ માટે લોકો મોટી ફી ચૂકવતા હોય છે, ત્યાં સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ગૌરાંગભાઈ છેલ્લા 20 વર્ષથી સંપૂર્ણ નિઃશુલ્ક સ્વિમિંગ તાલીમ આપી સમાજસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તેમની નિઃસ્વાર્થ સેવાભાવના કારણે અત્યાર સુધીમાં સેંકડો યુવાનો અને બાળકો સ્વિમિંગ શીખી ચૂક્યા છે, જેમાંથી દર વર્ષે અંદાજે 60 થી 70 જેટલા તરવૈયાઓ તેમના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવે છે તથા વેકેશન બેચ દરમિયાન અલગથી વિદ્યાર્થીઓ પણ તાલીમ લેવા આવતા હોય છે અનેક તરવૈયાઓ નેશનલ તેમજ ઈન્ટરનેશનલ સ્તરની સ્પર્ધાઓમાં ભાગ લેવા પણ સ્વિમિંગ ક્લાસ જવા પહેલા તેમના પાસે તાલીમ મેળવી અનેક મેડલ જીતી સુરત અને દેશનું નામ રોશન કરી રહ્યા છે.

ગૌરાંગભાઈ માટે સ્વિમિંગ માત્ર રમત નથી, પરંતુ જીવન બચાવતી આવશ્યક કળા છે. તેમનો એક જ સંદેશ છે કે “દરેક વ્યક્તિને સ્વિમિંગ આવડવું જ જોઈએ.” તેઓ માને છે કે પૂરની સ્થિતિ, નદી-તળાવ કે અન્ય કોઈ પણ જળસંકટ જેવી ઈમર્જન્સીમાં સ્વિમિંગનું જ્ઞાન વ્યક્તિનો જીવ બચાવી શકે છે. આ જ ઉદ્દેશ્ય સાથે તેઓ વર્ષોથી કોઈપણ પ્રકારની ફી લીધા વગર લોકોને તાલીમ આપી રહ્યા છે.

તેમની પાસે તાલીમ લેવા માટે બાળકો, યુવાઓ ઉપરાંત અનેક વયસ્કો પણ પહોંચે છે. તાલીમ દરમિયાન તેઓ માત્ર તરવાની ટેક્નિક જ નહીં, પરંતુ પાણીમાં સુરક્ષા, આત્મવિશ્વાસ, શિસ્ત અને ફિટનેસ પર પણ વિશેષ ભાર મૂકે છે.

સમાજમાં નિઃસ્વાર્થ સેવા અને રમતગમતને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરતા ગૌરાંગભાઈ આજે અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. કોઈપણ પ્રકારની પ્રસિદ્ધિ કે લાભની અપેક્ષા વગર છેલ્લા દસ વર્ષથી તેઓ સતત પોતાની સેવા ચાલુ રાખી છે. તેમના પ્રયાસોથી અનેક પરિવારોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને અનેક યુવાનોને રમતગમતમાં નવી ઓળખ મળી છે.

ગૌરાંગભાઈની આ નિઃશુલ્ક સેવા એ સાબિત કરે છે કે સમાજમાં પરિવર્તન લાવવા માટે માત્ર ઈચ્છાશક્તિ અને સેવાભાવ જ પૂરતા હોય છે. છેલ્લા ૨૦ વર્ષથી તેઓ જે કાર્ય કરી રહ્યા છે તે ખરેખર સમાજ માટે એક પ્રેરણાદાયી પહેલ છે અને તેમની આ સેવા પ્રશંસાને પાત્ર છે.

ડૉક્ટરપ્રેન્યોર કોન્ફરન્સને અભૂતપૂર્વ સફળતા – 300થી વધુ ડેલિગેટ્સ અને દેશના અગ્રણી ફેકલ્ટીની ઉપસ્થિતિ

 

સુરતમાં યોજાયેલી “ડૉક્ટરપ્રેન્યોર 2026” કોન્ફરન્સને અભૂતપૂર્વ સફળતા મળી હતી. આ અનોખા કાર્યક્રમમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક સહિત વિવિધ રાજ્યોમાંથી આશરે 300 જેટલા ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઓડિટોરિયમ ખચાખચ ભરાયેલું રહ્યું અને તમામ ડેલિગેટ્સે શરૂઆતથી અંત સુધી સતત છ કલાક સુધી ચાલેલા વિચારમંથનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ફેકલ્ટી સભ્યો – ડૉ. પરવીન ભાટિયા, ડૉ. આદર્શ ચૌધરી, ડૉ. રોય પટણકર, ડૉ. શૈલેષ પુન્ટામ્બેકર, ડૉ. રાજ નાગરકર, ડૉ. ભીખુભાઈ પટેલ, શ્રી રાજેશ યાદવ તથા ઓનલાઈન ફેકલ્ટી તરીકે ડૉ. પ્રવીણ રાજ – એ ડૉક્ટરો કેવી રીતે સફળ ઉદ્યોગસાહસિક (Entrepreneur) બની શકે, તે માટે જરૂરી દૃષ્ટિકોણ, તકો, પડકારો, જોખમો અને તેના ઉકેલો અંગે અત્યંત રસપ્રદ અને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

કોન્ફરન્સના ચેરમેન ડૉ. એમ. એમ. કુરેશીએ જણાવ્યું હતું કે, “ઓડિટોરિયમમાં ડેલિગેટ્સની સો ટકા હાજરી અને સતત છ કલાક સુધી એકાગ્રતાપૂર્વક થયેલો વિચારવિનિમય એ સ્પષ્ટ દર્શાવે છે કે ડૉક્ટરો માટે ઉદ્યોગસાહસિકતા વિષયની જરૂરિયાત આજે એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે જેટલી આધુનિક મેડિકલ ટેક્નોલોજીની છે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, આજના સમયમાં કોર્પોરેટ આરોગ્ય ક્ષેત્રમાં નફાકીય આંકડાઓને વધુ મહત્વ આપવામાં આવે છે અને ઘણી વખત ડૉક્ટરોને માત્ર એક સાધન તરીકે જોવામાં આવે છે. જ્યારે ડૉક્ટર પોતે સફળ ઉદ્યોગસાહસિક બને છે ત્યારે તેનું કેન્દ્રબિંદુ દર્દીઓના આરોગ્યમાં ગુણવત્તાસભર સુધારો લાવવાનું હોય છે, માત્ર નફો કમાવવાનું નહીં. આ જ સંદેશ સમગ્ર કોન્ફરન્સનો મુખ્ય આધાર રહ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા માટે ડૉ. કેયુર ભટ્ટ, ડૉ. વિક્રમ લોટવાલા, ડૉ. ધવલ માંગુકિયા, ડૉ. તેજસ પટેલ, શ્રી ધર્મેન્દ્ર ધનાણી, ડૉ. રામ રક્ષપાલ, ડૉ. મનીષ મહેતા, ડૉ. જીતેન્દ્ર નવડિયા સહિત સમગ્ર આયોજન ટીમે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન ડૉ. કેયુર ભટ્ટએ કર્યું હતું, જ્યારે આભારવિધિ ડૉ. વિક્રમ લોટવાલાએ વ્યક્ત કરી હતી.

અંતમાં ડૉ. કુરેશીએ આશા વ્યક્ત કરી હતી કે ડૉક્ટરપ્રેન્યોર જેવી પ્રેરણાદાયી કોન્ફરન્સો દેશના તમામ રાજ્યોમાં યોજાય, જેથી વધુને વધુ ડૉક્ટરો સફળ ઉદ્યોગસાહસિક બની આરોગ્યસેવાને વધુ સશક્ત અને દર્દીકેન્દ્રિત બનાવી શકે.

સેલરી એકાઉન્ટનો મોટો લાભ: SRKના કર્મચારીના પરિવારને મળ્યો રૂ. 71 લાખનો નિઃશુલ્ક વીમા ક્લેમ

 

કર્મચારી કલ્યાણનું ઉત્તમ ઉદાહરણ: બેંક ઑફ ઇન્ડિયાએ SRK ના કર્મચારી ને રૂ. 71 લાખનો વીમા ક્લેમ અર્પણ કર્યો
બેંક ઑફ ઇન્ડિયાએ SRK એક્સપોર્ટ્સના કર્મચારીના પરિવારને રૂ. 71 લાખનો અકસ્માત વીમા ક્લેમ અર્પણ

બેંક ઑફ ઇન્ડિયા, સુરત પોતાની સેલરી એકાઉન્ટ યોજના હેઠળ આપવામાં આવતી નિઃશુલ્ક ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ યોજનાના અંતર્ગત SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના એક સ્વર્ગસ્થ કર્મચારીના પરિવારને રૂ. 71 લાખનો વીમા ક્લેમ અર્પણ કર્યો. મુશ્કેલ સમયમાં આ સહાય પરિવાર માટે મહત્વપૂર્ણ આર્થિક આધારરૂપ બની છે. આ વીમા સુરક્ષા બેંકની કોર્પોરેટ કર્મચારીઓ માટેની સેલરી એકાઉન્ટ યોજનાનો એક નિઃશુલ્ક લાભ છે.

બેંક ઑફ ઇન્ડિયા કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓને તેમની સેલરી એકાઉન્ટ યોજના હેઠળ રૂ. 2 કરોડ સુધીનું નિઃશુલ્ક ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ કવર પ્રદાન કરે છે. તે જ રીતે ખાનગી કંપનીઓ સાથેના કરાર અંતર્ગત બેંકમાં સેલરી એકાઉન્ટ ધરાવતા પાત્ર કર્મચારીઓને રૂ. 1 કરોડ સુધીનું નિઃશુલ્ક અકસ્માત વીમા કવર પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

વીમા ક્લેમનો ચેક શનિવાર, તા. 01-08-2026 ના રોજ SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે સ્વર્ગસ્થ કર્મચારીના પરિવારને અર્પણ કરવામાં આવ્યો. આ પ્રસંગે બેંક ઑફ ઇન્ડિયાના FGMO અમદાવાદના જનરલ મેનેજર શ્રી અજય ત્રિપાઠી તથા સુરત ઝોનના ઝોનલ મેનેજર શ્રી રાજેશ કુમાર ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શ્રી અજય ત્રિપાઠીએ શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “પ્રિયજનની ખોટ કોઈ પણ રીતે પૂરી થઈ શકતી નથી, પરંતુ બેંકની આ આર્થિક સહાય પરિવારને મુશ્કેલ સમયમાં સંબળ અને સુરક્ષાની લાગણી આપશે તેવી અમારી આશા છે.”
શ્રી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, છેલ્લા નાણાકીય વર્ષ દરમિયાન બેંક ઑફ ઇન્ડિયાએ SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના કર્મચારીઓ માટે કુલ રૂ. 1.42 કરોડના ગ્રુપ પર્સનલ એક્સિડેન્ટલ ઇન્શ્યોરન્સ ક્લેમનું સફળતાપૂર્વક નિરાકરણ કર્યું છે. તેમણે ઉમેર્યું કે, બેંક ઑફ ઇન્ડિયાની સેલરી એકાઉન્ટ યોજના બેંકિંગ ક્ષેત્રની સૌથી વ્યાપક અને લાભદાયી યોજનાઓમાંની એક છે, જેને બેંક સાથે સેલરી એકાઉન્ટ ધરાવતી અગ્રણી કોર્પોરેટ કંપનીઓ તરફથી વ્યાપક પ્રશંસા મળી રહી છે.

SRK એક્સપોર્ટ્સ પ્રા. લિ.ના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ બેંકની ઝડપી, પારદર્શક અને કાર્યક્ષમ સેવા બદલ પ્રશંસા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “અમારા કર્મચારીઓ અમારા પરિવારનો અભિન્ન ભાગ છે. આવી મુશ્કેલ ઘડીએ બેંક ઑફ ઇન્ડિયાએ ખૂબ જ ઝડપથી વીમા ક્લેમનું નિરાકરણ કરીને પરિવારને સમયસર આર્થિક સહારો આપ્યો છે. કર્મચારી કલ્યાણ પ્રત્યે બેંકનો આ અભિગમ ખરેખર પ્રશંસનીય છે.”

લોકોમાં સમ્રાટ ભાઉના હુલામણા નામે ઓળખાતા યુવા નેતા સમ્રાટ પાટીલ પૂર પીડિતોની વ્હારે, 15 હજાર રાહત કીટનું કરશે વિતરણ

 

  • રવિવારે ડિંડોલીની ચાર સોસાયટીઓથી રાહત કીટનું શરૂ કર્યું વિતરણ
સુરત. સાત જુલાઈના રોજ સુરતમાં પડેલા ધોધમાર વરસાદ અને ખાડી પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હજારો પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ, કપડાં સહિતની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું. આવી વિકટ પરિસ્થિતિમાં પૂરપીડિત પરિવારોને સહાયરૂપ બનવા માટે લોકોમાં સમ્રાટ ભાઉના હુલામણા નામે ઓળખાતા અને હંમેશા સમાજસેવા માટે તત્પર રહેતા યુવા નેતા અને યુવા ઉદ્યોગપતિ સમ્રાટ પાટીલ આગળ આવ્યા છે. સમ્રાટ પાટીલના હસ્તે આજે સાંજે પાંચ વાગ્યાથી ડિંડોલીની ચાર સોસાયટીઓથી રાહત કીટ વિતરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાન હેઠળ આગામી 13થી 15 દિવસ દરમિયાન કુલ 15,000 રાહત કીટનું વિતરણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં નવાગામ, ડીંડોલી અને લિંબાયત વિસ્તારમાં પૂરથી પ્રભાવિત પરિવારોને કીટ આપવામાં આવશે. દરરોજ અલગ-અલગ સોસાયટીઓમાં જઈને જરૂરિયાતમંદ પરિવારો સુધી રાહત પહોંચાડવામાં આવશે. દરેક રાહત કીટમાં 5 કિલો ચોખા અને 500 ગ્રામ દાળ સહિતની જરૂરી સામગ્રી આપવામાં આવશે, જેથી પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક ખાદ્ય સહાય મળી શકે.
સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે, પૂર બાદ તેઓ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયા હતા. ત્યાં અનેક પરિવારોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી અનાજ, કપડાં અને ઘરવપરાશની વસ્તુઓ સંપૂર્ણપણે બગડી ગઈ હોવાનું જોવા મળ્યું હતું. અનેક પરિવારોનું મહિનાઓનું રાશન નષ્ટ થઈ ગયું હતું. આ દૃશ્યો જોઈ તેમને લાગ્યું કે સમાજ પ્રત્યે પોતાની ફરજ નિભાવવી જોઈએ અને શક્ય હોય તેટલી સેવા કરવી જોઈએ. આ જ ભાવનાથી રાહત કીટ વિતરણનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો એક નાનો કાર્યકર્તા છું પણ જે રીતે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય જળાશક્તિ મંત્રી સી.આર.પાટીલે હંમેશા જનસેવા અને જનહિત માટેના કાર્યો ને પ્રાધાન્ય આપ્યું છે તે મારા માટે પ્રેરણા છે અને એજ પ્રેરણા મને હમેશા જરૂરિયાતમંદોને મદદ કરવા પ્રેરણા પૂરી પાડે છે. તેમણે કહ્યું કે, “પૂરથી અસરગ્રસ્ત પરિવારોને અમારી તરફથી નાનકડી મદદરૂપ થવાનો પ્રયાસ છે. ફૂલ નહીં તો ફૂલની પાખડી સમાન સેવા કરીને જરૂરિયાતમંદ લોકો સુધી સહાય પહોંચાડવાનો અમારો પ્રયાસ રહેશે.” ઉલ્લેખનિય છે કે સમ્રાટ પાટીલ (સમ્રાટ ભાઉ) હંમેશા લોક સેવા માટે પ્રતિબદ્ધ છે.આ પહેલા સુરત ખાતે પૂજ્ય કથાકાર શ્રી પ્રદીપ મિશ્રાના સાનિધ્યમાં ભવ્ય શ્રીરામ કથાનું આયોજન કર્યું હતું. સાથે જ તાજેતરમાં જ બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરનાર વિધાર્થીઓને ચેક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત દર વર્ષે તેઓ જરૂરિયાતમંદ વિધાર્થીઓને નોટબુક્સનું પણ વિતરણ કરે છે.
નશા નહીં, શોખ અને જુસ્સાનો નશો કરો: યુથ નેશને વર્લ્ડ ડ્રગ્સ ડે પર આપ્યો અનોખો સંદેશ

 

  • સુરતના રાકેશ સૈનીએ માત્ર દાંતના બળે ૧૦૦ મીટર સુધી ૮ કાર ખેંચી સર્જ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

સુરત: 26 મી જૂન વર્લ્ડ ડ્રગ્સ ડે નિમિત્તે યુથ નેશન દ્વારા શુક્રવારે ઉધના-મગદલ્લા રોડ પર વીઆર મોલ સામે આવેલા વાય જંક્શન ખાતે નશામુક્તિ અંગે જનજાગૃતિ માટે અનોખા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યુવાનોને નશાથી દૂર રહી પોતાના શોખ, જુસ્સા, કામ અને સારી આદતોને જીવનનો સાચો નશો બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

યુથ નેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર વિકાસ દોશીએ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સમાજને નશાના દુષ્પરિણામોથી બચાવી સકારાત્મક જીવનશૈલી તરફ દોરી જવાનો છે. તેમણે ઉપસ્થિત લોકોને નશામુક્તિનો સંકલ્પ લેવડાવી

યુથ નેશનના અભિયાન સાથે જોડાવાનું આહ્વાન કર્યું હતું

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુરતના રાકેશ સૈની રહ્યા હતા. તેમણે શરીરના અન્ય કોઈ અંગનો ઉપયોગ કર્યા વગર માત્ર દાંતના બળે એકસાથે આઠ કારને અંદાજે ૧૦૦ મીટર સુધી ખેંચીને હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું. યુથ નેશનના જણાવ્યા મુજબ અગાઉ દાંતથી પાંચ કાર ખેંચવાનો વિશ્વવિક્રમ નોંધાયેલો છે, જ્યારે રાકેશ સૈનીના આ પ્રદર્શન બાદ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નવા વિશ્વવિક્રમ માટે દાવો કરવામાં આવશે. આ સાથે જ સ્થળ પર મ્યુઝિકલ બેન્ડ અને ગજાનન ગ્રુપ દ્વારા ઝુંબાની પણ પ્રસ્તુતિ આપવામાં આવી હતી.

વર્લ્ડ ડ્રગ્સ ડે પૂર્વે યુથ નેશન દ્વારા તેના એડવાઇઝરી બોર્ડના સભ્યો કૈલાશ હકીમ, મિલન પારેખ, ડૉ. ફારુક પટેલ અને સંજય સુરાણાની ઓફિસોમાં કોર્પોરેટ ટીમ સાથે મળીને નશામુક્તિ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન લોકોને નશાથી દૂર રહી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે જોડાવાની અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્ય પ્રદીપ સિંઘવીએ પોતાના જન્મદિવસની ઉજવણી પણ સામાજિક સંદેશ સાથે કરી હતી. જન્મદિવસને સેવા અને જનજાગૃતિ સાથે જોડીને તેમણે યુવાનોને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્યો ઉપરાંત શહેરના અનેક મહાનુભાવો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નશામુક્તિના સંદેશ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.

GBS ફેશન વીકમાં સીમ્સ અને સોનાની જ્વેલર્સે રજૂ કર્યું ભવ્ય વેડિંગ કલેક્શન

 

  • સીમા કલાવડિયા દ્વારા ડિઝાઇન કરાયેલા બ્રાઇડલ આઉટફિટ્સ અને સોનાની જ્વેલર્સની લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ભવ્ય અનાવરણ, ૧૫ લુક્સે દર્શકોને કર્યા મંત્રમુગ્ધ
સુરત: ગ્લોબલ બિઝનેસ સોશિયલ (GBS)ની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આયોજિત બે દિવસીય મેગા બિઝનેસ સમિટ અને GBS ફેશન વીકમાં ફેશનપ્રેમીઓ માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યો સીમા કલાવડિયા (સિમ્સ) અને સોનાની જ્વેલર્સનો વિશેષ કોમ્બાઇન બ્રાઇડલ શો. આ શોમાં આગામી લગ્ન સીઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા વિશિષ્ટ વેડિંગ કલેક્શનનું ભવ્ય અનાવરણ કરવામાં આવ્યું હતું. સીમા કલાવડિયા દ્વારા ડિઝાઇન કરાયેલા આધુનિકતા અને પરંપરાનું સુંદર સંયોજન ધરાવતા બ્રાઇડલ આઉટફિટ્સ સાથે સુરત સ્થિત સોનાની જ્વેલર્સની લેબગ્રોન ડાયમંડ જ્વેલરીએ રેમ્પ પર અનોખી છાપ છોડી હતી. નોંધનીય છે કે સોનાની જ્વેલર્સ સુરતમાં દેશના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શોરૂમ તરીકે ઓળખાય છે અને આ પ્રસંગે તેણે પોતાની નવી વેડિંગ જ્વેલરી કલેક્શન પણ રજૂ કરી હતી. શો દરમિયાન કુલ ૧૨ મહિલા મોડલ, એક શો-સ્ટોપર અને બે પુરુષ મોડલ સહિત કુલ ૧૫ લુક્સ રજૂ કરવામાં આવ્યા હતા. અને એનું જે શો – સ્ટોપર આઉટફિટ હતું તે અત્યાર ના મિસ ઈન્ડિયા 2026 એ પેહરેલું. દરેક પ્રેઝન્ટેશનમાં વેડિંગ આઉટફિટ્સ અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું સુમેળભર્યું સંયોજન જોવા મળ્યું, જેને ઉપસ્થિત મહેમાનો અને ફેશનપ્રેમીઓએ ખૂબ સરાહ્યું.
આ કોમ્બાઇન પ્રેઝન્ટેશન સીમ્સ અને સોનાની જ્વેલર્સના સંયુક્ત સહયોગથી રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં બંને બ્રાન્ડે આગામી લગ્ન સીઝન માટેના પોતાના વિશિષ્ટ કલેક્શનને એક જ મંચ પરથી રજૂ કરીને નવી ફેશન ટ્રેન્ડ્સને ઉજાગર કર્યા. ઉલ્લેખનીય છે કે GBSની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ઉદ્યોગસાહસિકો, બિઝનેસ કોચ, ડિઝાઇનર્સ અને દેશભરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ડૉ. મલય પારેખ, રાજસિંહ, અંકિત પાનવાલા તથા GBSની સમગ્ર ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. GBS ફેશન વીકમાં દેશના અગ્રણી ડિઝાઇનર્સ દ્વારા વિવિધ થીમ આધારિત કલેક્શન રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં સીમ્સ અને સોનાની જ્વેલર્સનું બ્રાઇડલ કલેક્શન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
IIFD સુરતે ભવ્ય “Fashionate 2026” ઇવેન્ટનું આયોજન કર્યું : 200થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનર્સ અને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર શાંતનુ અને નિખિલે સુરતના ફેશન મંચને નવી ઊંચાઈ આપી

 

સુરત: ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન (IIFD), સુરત દ્વારા આજ રોજ ( 9 જૂન, 2026)ના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં તેના વાર્ષિક ફેશન શોકેસ “ફેશોનેટ 2026″નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સર્જનાત્મકતા, કલા-કૌશલ્ય, નવીનતા અને ફેશન ક્ષેત્રની શ્રેષ્ઠતાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

IIFD સુરતની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. શરૂઆતથી જ આ સંસ્થા ગુજરાતની અગ્રણી ક્રિએટિવ એજ્યુકેશન સંસ્થાઓમાં સ્થાન પામી છે, જે ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ઉભરતા પ્રોફેશનલ્સને સતત પ્રોત્સાહન આપી રહી છે. વર્ષો દરમિયાન સંસ્થાએ નવીનતા, કલા-કૌશલ્ય અને ઉદ્યોગલક્ષી શિક્ષણની મજબૂત પરંપરા ઊભી કરી છે, જેના કારણે સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળ્યું છે અને યુવા પ્રતિભાઓને પોતાની કાબેલિયત દર્શાવવા માટે ઉત્તમ મંચ મળ્યો છે.

સંસ્થાએ પોતાના ક્રિએટિવ વિઝનને વધુ વિસ્તૃત કરતા ZICA સુરતની પણ શરૂઆત કરી છે, જે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગ્રાફિક ડિઝાઇન, ગેમિંગ અને ડિજિટલ આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવા માટે કાર્યરત છે. આ વિસ્તરણ સાથે સંસ્થા ઉભરતા કલાકારો, ડિઝાઇનર્સ અને સ્ટોરીટેલર્સ માટે નવી તકો સર્જી રહી છે તેમજ સુરતના વિકસતા ક્રિએટિવ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે.

આ વર્ષે “ફેશોનેટ 2026″એ ફરી એકવાર 200થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનર્સ અને 200થી વધુ ઓરિજિનલ આઉટફિટ્સને એક જ મંચ પર લાવીને નવો માપદંડ સ્થાપિત કર્યો હતો. આ ઇવેન્ટ સુરતમાં વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સૌથી મહત્ત્વાકાંક્ષી ફેશન શોમાંથી એક તરીકે ઉભરી આવી છે.

સુરતના ફેશન જગત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન આ ઇવેન્ટમાં પ્રથમ વખત ભારતના જાણીતા કૌચર પાયોનિયર્સ શાંતનુ મહેરા અને નિખિલ મહેરાએ ઇવનિંગ ચીફ જ્યુરી તરીકે હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમમાં નવી ઊર્જા ભરી હતી અને યુવા ડિઝાઇનર્સને દેશના અગ્રણી ફેશન નિષ્ણાતો સમક્ષ પોતાની સર્જનાત્મકતા રજૂ કરવાની અનોખી તક આપી હતી.

આ સાંજ કલાત્મક અભિવ્યક્તિના ભવ્ય ઉત્સવ તરીકે સાબિત થઈ હતી, જેમાં સર્જનાત્મકતા, આકર્ષક ડિઝાઇન અને અવાંટ-ગાર્ડ પ્રયોગોનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. રેમ્પ પર રજૂ થયેલી દરેક કૃતિએ પોતાની આગવી સાંસ્કૃતિક વાર્તા રજૂ કરી હતી, જેમાં નવીન ટેક્સટાઇલ્સ અને આધુનિક શૈલી દ્વારા સાહસિક કલાત્મક દ્રષ્ટિકોણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.

ઇવેન્ટના સૌથી નોંધપાત્ર શોકેસમાં ‘ગલી કી દીવારેં’ કલેક્શનનો સમાવેશ થતો હતો, જે ભૂલાઈ ગયેલી ગલીઓ, ઝાંખા પોસ્ટર્સ અને જૂના શહેરી વિસ્તારોમાં છુપાયેલી નિઃશબ્દ વાર્તાઓથી પ્રેરિત હતો. ઉપરાંત ‘વૃક્ષા – આર્ટ ઓફ સસ્ટેનેબિલિટી’એ પ્રકૃતિ અને ફેશન વચ્ચેના સુમેળને જવાબદાર અને ટકાઉ ડિઝાઇન દ્વારા રજૂ કર્યો હતો. ‘ક્લાર્ટે – રોટન બટ રીગલ’એ ખામીઓ અને ક્ષતિઓને વૈભવી સૌંદર્યમાં પરિવર્તિત કરી હતી. ‘ધ ડિસટ્રાઇબ’એ ડિસ્ટોપિયન દ્રષ્ટિકોણથી અસ્તિત્વ અને સહનશક્તિની અભિવ્યક્તિ કરી હતી. ‘ક્ષતસૌંદર્ય’એ તૂટેલી રચનાઓ અને શિલ્પોમાં રહેલા સૌંદર્યની ઉજવણી કરી હતી. ‘આર્મોરીયર’એ ભવિષ્યના વિકાસ અને શક્તિની નાટ્યાત્મક અવાંટ-ગાર્ડ વ્યાખ્યા રજૂ કરી હતી, જ્યારે ‘ઇન્ટ્રાવોઇડ’એ હાડકાંના ટિશ્યૂની સૂક્ષ્મ પરંતુ શક્તિશાળી રચનામાંથી પ્રેરણા મેળવી નબળાઈ અને મજબૂતાઈ વચ્ચેનું સંતુલન દર્શાવ્યું હતું.

છેલ્લા કેટલાક વર્ષોમાં IIFD સુરતે ઉદ્યોગો સાથેના સહયોગ, બેકસ્ટેજ અનુભવ, પ્રોફેશનલ ફેશન પ્લેટફોર્મ્સ અને શૈક્ષણિક ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક તકો ઉપલબ્ધ કરાવી છે. આ પ્રયાસો દ્વારા ક્લાસરૂમ લર્નિંગને વાસ્તવિક ઉદ્યોગ અનુભવ સાથે જોડવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો, ફેશન પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓના વાલીઓ તથા ડિઝાઇન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને આગામી પેઢીના ડિઝાઇનર્સની કલ્પનાશક્તિ, સમર્પણ અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરી હતી.

ઉલ્લેખનીય છે કે IIFD સુરત સંસ્થા શ્રી મુકેશ મહેશ્વરી (સ્થાપક અને ડિરેક્ટર) તથા શ્રીમતી પલ્લવી મહેશ્વરી (સહ-નિર્દેશક)ના માર્ગદર્શન અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે, જ્યાં શિક્ષણ, નવીનતા, ઉદ્યોગ સાથેનું જોડાણ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ એકસાથે વિકસે છે.

સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અનોખી સિદ્ધિ, હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર

 

સાડા ત્રણથી ચાર મહિનાની મહેનત બાદ હાઇ-ટેક ટેકનોલોજીથી સર્જાયો વિશિષ્ટ ડાયમંડ, હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ

સુરત. વિશ્વભરમાં ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રુપ અને આઈ એસ જી જે (ISGJ) જ્વેલરી કોલેજે મળીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાનું હૂબહૂ પ્રતિબિંબ દર્શાવતો 10.07 કેરેટનો વિશિષ્ટ બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.

આઈ એસ જી જે (ISGJ) જ્વેલરી કોલેજના ડિરેક્ટર અને સિનિયર જેમોલોજિસ્ટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, સુરત ડાયમંડ બુર્સ અને સમગ્ર હીરા વેપાર સમુદાયના વિકાસ માટે હર્ષ સંઘવીએ આપેલા યોગદાનને સન્માન આપવા માટે આ વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે તે હેતુથી તેમના ચહેરાનું ફેશિયલ રીક્રિએશન ડાયમંડમાં ઉતારવાનો વિચાર કરવામાં આવ્યો હતો.


તેમણે જણાવ્યું કે આ પ્રકારનો ડાયમંડ તૈયાર કરવો અત્યંત જટિલ પ્રક્રિયા છે, જેમાં અદ્યતન ટેકનોલોજી, ચોકસાઈપૂર્ણ ડિઝાઇનિંગ અને લાંબા સમયની મહેનત જરૂરી બને છે. લગભગ સાડા ત્રણથી ચાર મહિનાના સતત પ્રયાસો બાદ 10.07 કેરેટનો આ અનોખો ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી હતી.

લેક્સસ ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમની કંપની છેલ્લા લગભગ 35 વર્ષથી ડાયમંડ અને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત છે અને વિશ્વની અનેક અગ્રણી ડાયમંડ કંપનીઓ તેમની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું કે અગાઉ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા આધારિત ડાયમંડ પર કામ કરતી વખતે આ વિશેષ પ્રોજેક્ટનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ કલ્પેશ દેસાઈ સાથે મળીને હર્ષ સંઘવીના ચહેરાનું પ્રતિબિંબ ધરાવતો ડાયમંડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો.


ડાયમંડનું કટિંગ-પોલિશિંગ અને ટેકનિકલ પ્રક્રિયા લેક્સસ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે સમગ્ર ડિઝાઇન અને આયોજન આઈએસડીજે જ્વેલરી કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. તૈયાર થયેલો આ વિશિષ્ટ ડાયમંડ હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે. ડાયમંડ પર હર્ષ સંઘવીની સહી પણ લેવામાં આવી છે.

પી.પી. સવાણી પરિવાર આયોજિત “ત્રિવિધ સન્માન સમારોહ” ભવ્ય રીતે યોજાયો

 

સુરત, તા. 13 જૂન 2026 (શનિવાર) :પી.પી. સવાણી પરિવાર દ્વારા સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો, ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો તેમજ પી.પી. સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન, પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા ખાતે “ત્રિવિધ સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સમારોહના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા(આરોગ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), શ્રીમતી અંજુબેન વેકરીયા (પ્રદેશ અધ્યક્ષ, મહિલા મોરચો, ગુજરાત), શ્રીમતી માયાબેન માવાણી (મેયરશ્રી,સુરત), શ્રી પ્રવીણભાઈ ઘોઘારી (ધારાસભ્યશ્રી કરંજ), પૂર્વ મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી કરશનભાઈ ગોંડલિયા (મહામંત્રી ભાજપ,સુરત), બીપીનભાઈ તળાવીયા (અધ્યક્ષશ્રી યુવા મોરચો ભાજપ, સુરત),   તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો.

મહેશભાઈ સવાણી : સર્વત્ર સમાજના વિકાસ માટે નવનિયુક્ત કોર્પોરેટરો,  ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ત્રિવિધ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે સફળતાપૂર્વક પૂર્ણ કરેલા 4400 દિવસની ઉજવણીના ભાગરૂપે પી. પી. સવાણી ગ્રુપનો નરેન્દ્ર મોદીજીના દિર્ઘ આયુષ્ય માટે ૪૪૦૦ વૃક્ષો રોપવાનો સંકલ્પ અને ૪૪૦૦ લોકો દ્વારા ૪૪૦૦ વાર ‘ૐ નમઃ શિવાય’ જાપ કરવામાં આવ્યો. વધુમાં પી.પી. સવાણી ગ્રુપના મીડિયા પ્રભારી વિપુલ તળાવિયાએ કહ્યું કે આ પ્રસંગે રસરાજજી મહારાજે હનુમાન ચાલીસાના સુંદર કાંડ પાઠ દ્વારા ઉપસ્થિત હર કોઈઓમાં એક અનોખો આત્મવિશ્વાસ જગાવ્યો હતો”,  વિશેષ કરીને “ૐ નમઃ શિવાય” મહામંત્રનો જાપ કરીને રાષ્ટ્રકલ્યાણ, વિશ્વશાંતિ અને વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય માટે સામૂહિક પ્રાર્થના કરી હતી. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જા અને ભક્તિમય ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.

મેયરશ્રી, માયાબેન માવાણીનું સંબોધન:
મેયરશ્રી માયાબેનનું સન્માન તેમના વજન જેટલા પુસ્તકો અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતા, વિશેષ જણાવ્યું હતું કે, “સુરત શહેરને સોનાની મૂર્તિ સમાન સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનું છે. આ કાર્ય માત્ર મારું નહીં પરંતુ આપણે સૌનું છે.”
તેમણે સુરત શહેરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સતત પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્વચ્છતાના એવોર્ડને જાળવી રાખવા માટે સૌ નાગરિકોના સહયોગની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સફાઈ અભિયાનને સફળ બનાવવા માટે કચરો ગમે ત્યાં ન નાખવો અને શહેરની સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની જવાબદારી છે. સુરત શહેરને વિશ્વના ફલક ઉપર વધુ ઊંચું સ્થાન અપાવવાનું છે. તેમજ સુરત શહેરને મળેલા વિવિધ એવોર્ડ અને સન્માનો પાછળ સુરતના નાગરિકોનો મહત્વપૂર્ણ ફાળો છે અને આ ગૌરવ જાળવવા માટે સૌનો સહયોગ જરૂરી છે.

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન
પી.પી. સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન વિદ્યાર્થીઓને શાલ, મોમેન્ટો અને પુસ્તક અર્પણ કરી તેમની સિદ્ધિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રફુલભાઈ પાનસેરિયાનું (આરોગ્ય મંત્રીશ્રી, ગુજરાત) સંબોધન:
– “સત્તા મળે ત્યારે પણ નમ્રતા જાળવવી અને ચૂંટણી જીત્યા પછી પણ પગ જમીન પર રાખવા” જેવી શીખ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. સુરત શહેરને ખૂબ સારા નગર સેવકો મળ્યા છે. નગરસેવકો શહેરના વિકાસ માટે સતત કાર્યરત રહે છે અને ઘણી વખત તેઓ પોતાના પરિવારને પણ પૂરતો સમય આપી શકતા નથી.  કડવા ધૂટડા ગાળવાની તૈયારી રાખવી
– પહેલાના સમયમાં બેંકમાં ખાતું ખોલાવવું અઘરું હતું, ઘણીબધી પ્રોસેસ પછી પણ મુશ્કેલીઓ વેઠીને બેંક ખાતા ખોલાવવા પડતા હતા, જ્યારે  વરાછા બેંકમાં આ કામ સરળતાથી થાય છે.
– તેજસ્વી તારલાઓને  એવા આશીર્વાદ આપીએ કે તેઓ શ્રેષ્ઠ બનીને ફરી આ મુકામ ઉપર ફરી કોઈ પદવી હાંસલ કરીને ફરી થી સન્માનિત થાય.

તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 1 લાખ 21 હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળી રહી છે.
આરોગ્ય ક્ષેત્ર અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, કામરેજ વિસ્તારમાં 1500 બેડની આધુનિક હોસ્પિટલ 150 વિઘા જમીનમાં બનાવવામાં આવશે. તેમજ પ્લેન ક્રેશ થયેલી જગ્યાએ સ્પાઈન અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા અને ઈચ્છા મુજબ વિકાસના કાર્યો આગળ વધી રહ્યા છે. ડ્રેનેજ અને પાણી વ્યવસ્થામાં પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુડાના વિસ્તારમાં કામરેજ નજીક અંદાજે 3000 જેટલા આદિવાસી પરિવારો માટે મકાનો બનાવવામાં આવ્યા છે, જે વિકાસ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
યુવાનો અને સમાજ સેવા અંગે માર્ગદર્શન
તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓમાં ભગવદ્ ગીતાના વિચારો અને મૂલ્યોનો સમાવેશ કરવો જરૂરી છે. આધ્યાત્મિક શક્તિથી જીવનમાં શાંતિ મળે છે. તેમણે સૌને શ્રેષ્ઠતાની નહીં પરંતુ સેવા અને સમાજહિતની રાજનીતિ કરવાનો સંદેશ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાની યથાશક્તિ સમાજ માટે કાર્ય કરવું જોઈએ અને જીવનમાં ચારે દિશાઓમાંથી સારા વિચારો સ્વીકારવા જોઈએ.

સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન વલ્લભભાઈ ચોથાણી, જીતુભાઈ મકવાણા, ગૌરવસર, જયેશ સર અને પવન સર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, કોર્પોરેટરો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે વલ્લભભાઈ ચોથાણી એ આભારવિધિ કરી હતી.

સીટી પ્લસ હવે ‘બૂજી વર્લ્ડ’ તરીકે નવા અવતારમાં, સુરતને મળશે મેગા એન્ટરટેઇનમેન્ટ હબ

 

  • ગુજરાતની સૌથી મોટી બોલિંગ એલી સહિત ગેમ ઝોન, સ્પોર્ટ્સ અરીના, સિનેમા અને ફૂડ હબ એક જ સ્થળે ઉપલબ્ધ થશે

સુરતઃ ડુમસ રોડ સ્થિત સીટી પ્લસ મલ્ટિપ્લેક્સ હવે નવા અવતારમાં ‘બૂજી વર્લ્ડ’ તરીકે શહેરવાસીઓ સામે આવી રહ્યું છે. છેલ્લા ૨૩ વર્ષથી સુરતવાસીઓને મનોરંજન પૂરું પાડતું સીટી પ્લસ હવે આધુનિક ટેક્નોલોજી અને નવી પેઢીની એન્ટરટેઇનમેન્ટ સુવિધાઓ સાથે સંપૂર્ણ રી-લૉન્ચ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સીટી પ્લસના સંચાલક આશિષ જૈન,આકાશ ગર્ગ અને મૌલિન ડેલીવાળાએ જણાવ્યું હતું કે, સીટી પ્લસ વર્ષ 2003-04 થી સુરતમાં કાર્યરત છે અને હવે તેને સંપૂર્ણ નવા રૂપમાં “બૂજી વર્લ્ડ” તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં ગુજરાતની સૌથી મોટી ગણાતી 12 લેનની બોલિંગ એલી તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં 2 પ્રાઇવેટ વીઆઈપી બોલિંગ એલીનો પણ સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે, હવે લોકોને ફિલ્મ, ગેમિંગ અને અન્ય મનોરંજન માટે અલગ અલગ સ્થળે જવાની જરૂર નહીં રહે. એક જ સ્થળે સિનેમા, ગેમ ઝોન, બોલિંગ, લેઝર ટેગ અને અન્ય આઉટડોર સ્પોર્ટ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

સીટી પ્લસમાં કુલ ત્રણ વિશાળ સ્ક્રીન છે, જેમાં આશરે 1800 બેઠકોની ક્ષમતા છે. ઉપરાંત અહીં આર્કેડ ગેમ્સ, બાળકો માટે 2500 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તાર ધરાવતો સોફ્ટ પ્લે એરિયા, ક્લાઇમ્બિંગ વોલ, ક્રિકેટ ઝોન તથા સ્પોર્ટ્સ અરીનામાં પિકલ બોલ, પેડલ બોલ, વોલીબોલ અને શેડેડ ક્રિકેટ નેટ જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે 30 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. વધુમાં જણાવ્યું હતું કે અહીં 3 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલ સુધી દરેક વયજૂથ માટે મનોરંજનની અલગ અલગ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ રહેશે.
માત્ર મનોરંજન જ નહીં પરંતુ બર્થડે પાર્ટી, ઇવેન્ટ અને અન્ય કાર્યક્રમો માટે બેન્ક્વેટ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. સાથે જ સુરતની જાણીતી “ઇન્ડિયન તપસ બાર”ની બીજી શાખા પણ અહીં શરૂ થવા જઈ રહી છે.

  • બૂજી વર્લ્ડના નિમિત્તે કાર્નિવલનું આયોજન

‘બૂજી વર્લ્ડ’ના લોન્ચ નિમિત્તે 23 મેથી 31 મે સુધી કાર્નિવલ સેલિબ્રેશન યોજાશે. 23 મેના રોજ લોન્ચ ડે સાથે ડીજે નાઇટ વિથ પર્ક્યુશનિસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 24 મેના રોજ ભજન જેમિંગ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કાર્નિવલ દરમિયાન મેસ્કોટ્સ, ટેટૂ આર્ટિસ્ટ અને વિવિધ મફત મનોરંજન પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટને “ઓલ એન્ટરટેઇનમેન્ટ એટ વન એડ્રેસ” થીમ સાથે રજૂ કરવામાં આવી રહ્યો છે.