ગુજરાત ખબર
નશા નહીં, શોખ અને જુસ્સાનો નશો કરો: યુથ નેશને વર્લ્ડ ડ્રગ્સ ડે પર આપ્યો અનોખો સંદેશ
- સુરતના રાકેશ સૈનીએ માત્ર દાંતના બળે ૧૦૦ મીટર સુધી ૮ કાર ખેંચી સર્જ્યો નવો વર્લ્ડ રેકોર્ડ
સુરત: 26 મી જૂન વર્લ્ડ ડ્રગ્સ ડે નિમિત્તે યુથ નેશન દ્વારા શુક્રવારે ઉધના-મગદલ્લા રોડ પર વીઆર મોલ સામે આવેલા વાય જંક્શન ખાતે નશામુક્તિ અંગે જનજાગૃતિ માટે અનોખા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યુવાનોને નશાથી દૂર રહી પોતાના શોખ, જુસ્સા, કામ અને સારી આદતોને જીવનનો સાચો નશો બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
યુથ નેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર વિકાસ દોશીએ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સમાજને નશાના દુષ્પરિણામોથી બચાવી સકારાત્મક જીવનશૈલી તરફ દોરી જવાનો છે. તેમણે ઉપસ્થિત લોકોને નશામુક્તિનો સંકલ્પ લેવડાવી
યુથ નેશનના અભિયાન સાથે જોડાવાનું આહ્વાન કર્યું હતું

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુરતના રાકેશ સૈની રહ્યા હતા. તેમણે શરીરના અન્ય કોઈ અંગનો ઉપયોગ કર્યા વગર માત્ર દાંતના બળે એકસાથે આઠ કારને અંદાજે ૧૦૦ મીટર સુધી ખેંચીને હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું. યુથ નેશનના જણાવ્યા મુજબ અગાઉ દાંતથી પાંચ કાર ખેંચવાનો વિશ્વવિક્રમ નોંધાયેલો છે, જ્યારે રાકેશ સૈનીના આ પ્રદર્શન બાદ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નવા વિશ્વવિક્રમ માટે દાવો કરવામાં આવશે. આ સાથે જ સ્થળ પર મ્યુઝિકલ બેન્ડ અને ગજાનન ગ્રુપ દ્વારા ઝુંબાની પણ પ્રસ્તુતિ આપવામાં આવી હતી.
વર્લ્ડ ડ્રગ્સ ડે પૂર્વે યુથ નેશન દ્વારા તેના એડવાઇઝરી બોર્ડના સભ્યો કૈલાશ હકીમ, મિલન પારેખ, ડૉ. ફારુક પટેલ અને સંજય સુરાણાની ઓફિસોમાં કોર્પોરેટ ટીમ સાથે મળીને નશામુક્તિ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન લોકોને નશાથી દૂર રહી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે જોડાવાની અપીલ કરવામાં આવી હતી. 
કાર્યક્રમ દરમિયાન યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્ય પ્રદીપ સિંઘવીએ પોતાના જન્મદિવસની ઉજવણી પણ સામાજિક સંદેશ સાથે કરી હતી. જન્મદિવસને સેવા અને જનજાગૃતિ સાથે જોડીને તેમણે યુવાનોને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્યો ઉપરાંત શહેરના અનેક મહાનુભાવો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નશામુક્તિના સંદેશ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.
GBS ફેશન વીકમાં સીમ્સ અને સોનાની જ્વેલર્સે રજૂ કર્યું ભવ્ય વેડિંગ કલેક્શન
- સીમા કલાવડિયા દ્વારા ડિઝાઇન કરાયેલા બ્રાઇડલ આઉટફિટ્સ અને સોનાની જ્વેલર્સની લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ભવ્ય અનાવરણ, ૧૫ લુક્સે દર્શકોને કર્યા મંત્રમુગ્ધ

IIFD સુરતે ભવ્ય “Fashionate 2026” ઇવેન્ટનું આયોજન કર્યું : 200થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનર્સ અને પ્રખ્યાત ફેશન ડિઝાઇનર શાંતનુ અને નિખિલે સુરતના ફેશન મંચને નવી ઊંચાઈ આપી
સુરત: ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન (IIFD), સુરત દ્વારા આજ રોજ ( 9 જૂન, 2026)ના રોજ સરસાણા કન્વેન્શન સેન્ટરમાં તેના વાર્ષિક ફેશન શોકેસ “ફેશોનેટ 2026″નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સર્જનાત્મકતા, કલા-કૌશલ્ય, નવીનતા અને ફેશન ક્ષેત્રની શ્રેષ્ઠતાનું ભવ્ય પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
IIFD સુરતની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. શરૂઆતથી જ આ સંસ્થા ગુજરાતની અગ્રણી ક્રિએટિવ એજ્યુકેશન સંસ્થાઓમાં સ્થાન પામી છે, જે ફેશન ડિઝાઇન, ઇન્ટિરિયર ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે ઉભરતા પ્રોફેશનલ્સને સતત પ્રોત્સાહન આપી રહી છે. વર્ષો દરમિયાન સંસ્થાએ નવીનતા, કલા-કૌશલ્ય અને ઉદ્યોગલક્ષી શિક્ષણની મજબૂત પરંપરા ઊભી કરી છે, જેના કારણે સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળ્યું છે અને યુવા પ્રતિભાઓને પોતાની કાબેલિયત દર્શાવવા માટે ઉત્તમ મંચ મળ્યો છે.
સંસ્થાએ પોતાના ક્રિએટિવ વિઝનને વધુ વિસ્તૃત કરતા ZICA સુરતની પણ શરૂઆત કરી છે, જે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગ્રાફિક ડિઝાઇન, ગેમિંગ અને ડિજિટલ આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવા માટે કાર્યરત છે. આ વિસ્તરણ સાથે સંસ્થા ઉભરતા કલાકારો, ડિઝાઇનર્સ અને સ્ટોરીટેલર્સ માટે નવી તકો સર્જી રહી છે તેમજ સુરતના વિકસતા ક્રિએટિવ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવી રહી છે.
આ વર્ષે “ફેશોનેટ 2026″એ ફરી એકવાર 200થી વધુ વિદ્યાર્થી ડિઝાઇનર્સ અને 200થી વધુ ઓરિજિનલ આઉટફિટ્સને એક જ મંચ પર લાવીને નવો માપદંડ સ્થાપિત કર્યો હતો. આ ઇવેન્ટ સુરતમાં વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત સૌથી મહત્ત્વાકાંક્ષી ફેશન શોમાંથી એક તરીકે ઉભરી આવી છે.
સુરતના ફેશન જગત માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન આ ઇવેન્ટમાં પ્રથમ વખત ભારતના જાણીતા કૌચર પાયોનિયર્સ શાંતનુ મહેરા અને નિખિલ મહેરાએ ઇવનિંગ ચીફ જ્યુરી તરીકે હાજરી આપી હતી. તેમની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમમાં નવી ઊર્જા ભરી હતી અને યુવા ડિઝાઇનર્સને દેશના અગ્રણી ફેશન નિષ્ણાતો સમક્ષ પોતાની સર્જનાત્મકતા રજૂ કરવાની અનોખી તક આપી હતી.
આ સાંજ કલાત્મક અભિવ્યક્તિના ભવ્ય ઉત્સવ તરીકે સાબિત થઈ હતી, જેમાં સર્જનાત્મકતા, આકર્ષક ડિઝાઇન અને અવાંટ-ગાર્ડ પ્રયોગોનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. રેમ્પ પર રજૂ થયેલી દરેક કૃતિએ પોતાની આગવી સાંસ્કૃતિક વાર્તા રજૂ કરી હતી, જેમાં નવીન ટેક્સટાઇલ્સ અને આધુનિક શૈલી દ્વારા સાહસિક કલાત્મક દ્રષ્ટિકોણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ઇવેન્ટના સૌથી નોંધપાત્ર શોકેસમાં ‘ગલી કી દીવારેં’ કલેક્શનનો સમાવેશ થતો હતો, જે ભૂલાઈ ગયેલી ગલીઓ, ઝાંખા પોસ્ટર્સ અને જૂના શહેરી વિસ્તારોમાં છુપાયેલી નિઃશબ્દ વાર્તાઓથી પ્રેરિત હતો. ઉપરાંત ‘વૃક્ષા – આર્ટ ઓફ સસ્ટેનેબિલિટી’એ પ્રકૃતિ અને ફેશન વચ્ચેના સુમેળને જવાબદાર અને ટકાઉ ડિઝાઇન દ્વારા રજૂ કર્યો હતો. ‘ક્લાર્ટે – રોટન બટ રીગલ’એ ખામીઓ અને ક્ષતિઓને વૈભવી સૌંદર્યમાં પરિવર્તિત કરી હતી. ‘ધ ડિસટ્રાઇબ’એ ડિસ્ટોપિયન દ્રષ્ટિકોણથી અસ્તિત્વ અને સહનશક્તિની અભિવ્યક્તિ કરી હતી. ‘ક્ષતસૌંદર્ય’એ તૂટેલી રચનાઓ અને શિલ્પોમાં રહેલા સૌંદર્યની ઉજવણી કરી હતી. ‘આર્મોરીયર’એ ભવિષ્યના વિકાસ અને શક્તિની નાટ્યાત્મક અવાંટ-ગાર્ડ વ્યાખ્યા રજૂ કરી હતી, જ્યારે ‘ઇન્ટ્રાવોઇડ’એ હાડકાંના ટિશ્યૂની સૂક્ષ્મ પરંતુ શક્તિશાળી રચનામાંથી પ્રેરણા મેળવી નબળાઈ અને મજબૂતાઈ વચ્ચેનું સંતુલન દર્શાવ્યું હતું.
છેલ્લા કેટલાક વર્ષોમાં IIFD સુરતે ઉદ્યોગો સાથેના સહયોગ, બેકસ્ટેજ અનુભવ, પ્રોફેશનલ ફેશન પ્લેટફોર્મ્સ અને શૈક્ષણિક ભાગીદારી દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક તકો ઉપલબ્ધ કરાવી છે. આ પ્રયાસો દ્વારા ક્લાસરૂમ લર્નિંગને વાસ્તવિક ઉદ્યોગ અનુભવ સાથે જોડવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સુરતના અગ્રણી ઉદ્યોગપતિઓ, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા આગેવાનો, ફેશન પ્રોફેશનલ્સ, વિદ્યાર્થીઓના વાલીઓ તથા ડિઝાઇન પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મળીને આગામી પેઢીના ડિઝાઇનર્સની કલ્પનાશક્તિ, સમર્પણ અને કલાત્મક પ્રતિભાની ઉજવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે IIFD સુરત સંસ્થા શ્રી મુકેશ મહેશ્વરી (સ્થાપક અને ડિરેક્ટર) તથા શ્રીમતી પલ્લવી મહેશ્વરી (સહ-નિર્દેશક)ના માર્ગદર્શન અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ એક મજબૂત ઇકોસિસ્ટમનું નિર્માણ કરી રહી છે, જ્યાં શિક્ષણ, નવીનતા, ઉદ્યોગ સાથેનું જોડાણ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ એકસાથે વિકસે છે.
સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અનોખી સિદ્ધિ, હર્ષ સંઘવીના ચહેરાવાળો 10.07 કેરેટનો હીરો તૈયાર
સાડા ત્રણથી ચાર મહિનાની મહેનત બાદ હાઇ-ટેક ટેકનોલોજીથી સર્જાયો વિશિષ્ટ ડાયમંડ, હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ
સુરત. વિશ્વભરમાં ડાયમંડ ટેકનોલોજી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ધરાવતા લેક્સસ ગ્રુપ અને આઈ એસ જી જે (ISGJ) જ્વેલરી કોલેજે મળીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. બંને સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ચહેરાનું હૂબહૂ પ્રતિબિંબ દર્શાવતો 10.07 કેરેટનો વિશિષ્ટ બ્રાઉન ડાયમંડ તૈયાર કરવામાં આવ્યો છે.
આઈ એસ જી જે (ISGJ) જ્વેલરી કોલેજના ડિરેક્ટર અને સિનિયર જેમોલોજિસ્ટ કલ્પેશ દેસાઈએ જણાવ્યું હતું કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, સુરત ડાયમંડ બુર્સ અને સમગ્ર હીરા વેપાર સમુદાયના વિકાસ માટે હર્ષ સંઘવીએ આપેલા યોગદાનને સન્માન આપવા માટે આ વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે તે હેતુથી તેમના ચહેરાનું ફેશિયલ રીક્રિએશન ડાયમંડમાં ઉતારવાનો વિચાર કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે આ પ્રકારનો ડાયમંડ તૈયાર કરવો અત્યંત જટિલ પ્રક્રિયા છે, જેમાં અદ્યતન ટેકનોલોજી, ચોકસાઈપૂર્ણ ડિઝાઇનિંગ અને લાંબા સમયની મહેનત જરૂરી બને છે. લગભગ સાડા ત્રણથી ચાર મહિનાના સતત પ્રયાસો બાદ 10.07 કેરેટનો આ અનોખો ડાયમંડ તૈયાર કરવામાં સફળતા મળી હતી.
લેક્સસ ગ્રુપના ડિરેક્ટર ઉત્પલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમની કંપની છેલ્લા લગભગ 35 વર્ષથી ડાયમંડ અને ટેકનોલોજી ક્ષેત્રે કાર્યરત છે અને વિશ્વની અનેક અગ્રણી ડાયમંડ કંપનીઓ તેમની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેમણે જણાવ્યું કે અગાઉ ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિમા આધારિત ડાયમંડ પર કામ કરતી વખતે આ વિશેષ પ્રોજેક્ટનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ કલ્પેશ દેસાઈ સાથે મળીને હર્ષ સંઘવીના ચહેરાનું પ્રતિબિંબ ધરાવતો ડાયમંડ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો.

ડાયમંડનું કટિંગ-પોલિશિંગ અને ટેકનિકલ પ્રક્રિયા લેક્સસ ગ્રુપ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે સમગ્ર ડિઝાઇન અને આયોજન આઈએસડીજે જ્વેલરી કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. તૈયાર થયેલો આ વિશિષ્ટ ડાયમંડ હર્ષ સંઘવીને ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો છે. ડાયમંડ પર હર્ષ સંઘવીની સહી પણ લેવામાં આવી છે.
પી.પી. સવાણી પરિવાર આયોજિત “ત્રિવિધ સન્માન સમારોહ” ભવ્ય રીતે યોજાયો
સુરત, તા. 13 જૂન 2026 (શનિવાર) :પી.પી. સવાણી પરિવાર દ્વારા સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો, ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો તેમજ પી.પી. સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન, પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા ખાતે “ત્રિવિધ સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સમારોહના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા(આરોગ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), શ્રીમતી અંજુબેન વેકરીયા (પ્રદેશ અધ્યક્ષ, મહિલા મોરચો, ગુજરાત), શ્રીમતી માયાબેન માવાણી (મેયરશ્રી,સુરત), શ્રી પ્રવીણભાઈ ઘોઘારી (ધારાસભ્યશ્રી કરંજ), પૂર્વ મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી કરશનભાઈ ગોંડલિયા (મહામંત્રી ભાજપ,સુરત), બીપીનભાઈ તળાવીયા (અધ્યક્ષશ્રી યુવા મોરચો ભાજપ, સુરત), તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો.
મહેશભાઈ સવાણી : સર્વત્ર સમાજના વિકાસ માટે નવનિયુક્ત કોર્પોરેટરો, ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ત્રિવિધ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે સફળતાપૂર્વક પૂર્ણ કરેલા 4400 દિવસની ઉજવણીના ભાગરૂપે પી. પી. સવાણી ગ્રુપનો નરેન્દ્ર મોદીજીના દિર્ઘ આયુષ્ય માટે ૪૪૦૦ વૃક્ષો રોપવાનો સંકલ્પ અને ૪૪૦૦ લોકો દ્વારા ૪૪૦૦ વાર ‘ૐ નમઃ શિવાય’ જાપ કરવામાં આવ્યો. વધુમાં પી.પી. સવાણી ગ્રુપના મીડિયા પ્રભારી વિપુલ તળાવિયાએ કહ્યું કે આ પ્રસંગે રસરાજજી મહારાજે હનુમાન ચાલીસાના સુંદર કાંડ પાઠ દ્વારા ઉપસ્થિત હર કોઈઓમાં એક અનોખો આત્મવિશ્વાસ જગાવ્યો હતો”, વિશેષ કરીને “ૐ નમઃ શિવાય” મહામંત્રનો જાપ કરીને રાષ્ટ્રકલ્યાણ, વિશ્વશાંતિ અને વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય માટે સામૂહિક પ્રાર્થના કરી હતી. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જા અને ભક્તિમય ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
મેયરશ્રી, માયાબેન માવાણીનું સંબોધન:
મેયરશ્રી માયાબેનનું સન્માન તેમના વજન જેટલા પુસ્તકો અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતા, વિશેષ જણાવ્યું હતું કે, “સુરત શહેરને સોનાની મૂર્તિ સમાન સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનું છે. આ કાર્ય માત્ર મારું નહીં પરંતુ આપણે સૌનું છે.”
તેમણે સુરત શહેરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સતત પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્વચ્છતાના એવોર્ડને જાળવી રાખવા માટે સૌ નાગરિકોના સહયોગની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સફાઈ અભિયાનને સફળ બનાવવા માટે કચરો ગમે ત્યાં ન નાખવો અને શહેરની સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની જવાબદારી છે. સુરત શહેરને વિશ્વના ફલક ઉપર વધુ ઊંચું સ્થાન અપાવવાનું છે. તેમજ સુરત શહેરને મળેલા વિવિધ એવોર્ડ અને સન્માનો પાછળ સુરતના નાગરિકોનો મહત્વપૂર્ણ ફાળો છે અને આ ગૌરવ જાળવવા માટે સૌનો સહયોગ જરૂરી છે.
પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન
પી.પી. સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન વિદ્યાર્થીઓને શાલ, મોમેન્ટો અને પુસ્તક અર્પણ કરી તેમની સિદ્ધિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
પ્રફુલભાઈ પાનસેરિયાનું (આરોગ્ય મંત્રીશ્રી, ગુજરાત) સંબોધન:
– “સત્તા મળે ત્યારે પણ નમ્રતા જાળવવી અને ચૂંટણી જીત્યા પછી પણ પગ જમીન પર રાખવા” જેવી શીખ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. સુરત શહેરને ખૂબ સારા નગર સેવકો મળ્યા છે. નગરસેવકો શહેરના વિકાસ માટે સતત કાર્યરત રહે છે અને ઘણી વખત તેઓ પોતાના પરિવારને પણ પૂરતો સમય આપી શકતા નથી. કડવા ધૂટડા ગાળવાની તૈયારી રાખવી
– પહેલાના સમયમાં બેંકમાં ખાતું ખોલાવવું અઘરું હતું, ઘણીબધી પ્રોસેસ પછી પણ મુશ્કેલીઓ વેઠીને બેંક ખાતા ખોલાવવા પડતા હતા, જ્યારે વરાછા બેંકમાં આ કામ સરળતાથી થાય છે.
– તેજસ્વી તારલાઓને એવા આશીર્વાદ આપીએ કે તેઓ શ્રેષ્ઠ બનીને ફરી આ મુકામ ઉપર ફરી કોઈ પદવી હાંસલ કરીને ફરી થી સન્માનિત થાય.
તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 1 લાખ 21 હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળી રહી છે.
આરોગ્ય ક્ષેત્ર અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, કામરેજ વિસ્તારમાં 1500 બેડની આધુનિક હોસ્પિટલ 150 વિઘા જમીનમાં બનાવવામાં આવશે. તેમજ પ્લેન ક્રેશ થયેલી જગ્યાએ સ્પાઈન અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા અને ઈચ્છા મુજબ વિકાસના કાર્યો આગળ વધી રહ્યા છે. ડ્રેનેજ અને પાણી વ્યવસ્થામાં પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુડાના વિસ્તારમાં કામરેજ નજીક અંદાજે 3000 જેટલા આદિવાસી પરિવારો માટે મકાનો બનાવવામાં આવ્યા છે, જે વિકાસ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
યુવાનો અને સમાજ સેવા અંગે માર્ગદર્શન
તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓમાં ભગવદ્ ગીતાના વિચારો અને મૂલ્યોનો સમાવેશ કરવો જરૂરી છે. આધ્યાત્મિક શક્તિથી જીવનમાં શાંતિ મળે છે. તેમણે સૌને શ્રેષ્ઠતાની નહીં પરંતુ સેવા અને સમાજહિતની રાજનીતિ કરવાનો સંદેશ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાની યથાશક્તિ સમાજ માટે કાર્ય કરવું જોઈએ અને જીવનમાં ચારે દિશાઓમાંથી સારા વિચારો સ્વીકારવા જોઈએ.
સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન વલ્લભભાઈ ચોથાણી, જીતુભાઈ મકવાણા, ગૌરવસર, જયેશ સર અને પવન સર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, કોર્પોરેટરો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે વલ્લભભાઈ ચોથાણી એ આભારવિધિ કરી હતી.
સીટી પ્લસ હવે ‘બૂજી વર્લ્ડ’ તરીકે નવા અવતારમાં, સુરતને મળશે મેગા એન્ટરટેઇનમેન્ટ હબ
- ગુજરાતની સૌથી મોટી બોલિંગ એલી સહિત ગેમ ઝોન, સ્પોર્ટ્સ અરીના, સિનેમા અને ફૂડ હબ એક જ સ્થળે ઉપલબ્ધ થશે
સુરતઃ ડુમસ રોડ સ્થિત સીટી પ્લસ મલ્ટિપ્લેક્સ હવે નવા અવતારમાં ‘બૂજી વર્લ્ડ’ તરીકે શહેરવાસીઓ સામે આવી રહ્યું છે. છેલ્લા ૨૩ વર્ષથી સુરતવાસીઓને મનોરંજન પૂરું પાડતું સીટી પ્લસ હવે આધુનિક ટેક્નોલોજી અને નવી પેઢીની એન્ટરટેઇનમેન્ટ સુવિધાઓ સાથે સંપૂર્ણ રી-લૉન્ચ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સીટી પ્લસના સંચાલક આશિષ જૈન,આકાશ ગર્ગ અને મૌલિન ડેલીવાળાએ જણાવ્યું હતું કે, સીટી પ્લસ વર્ષ 2003-04 થી સુરતમાં કાર્યરત છે અને હવે તેને સંપૂર્ણ નવા રૂપમાં “બૂજી વર્લ્ડ” તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં ગુજરાતની સૌથી મોટી ગણાતી 12 લેનની બોલિંગ એલી તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં 2 પ્રાઇવેટ વીઆઈપી બોલિંગ એલીનો પણ સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે, હવે લોકોને ફિલ્મ, ગેમિંગ અને અન્ય મનોરંજન માટે અલગ અલગ સ્થળે જવાની જરૂર નહીં રહે. એક જ સ્થળે સિનેમા, ગેમ ઝોન, બોલિંગ, લેઝર ટેગ અને અન્ય આઉટડોર સ્પોર્ટ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.
સીટી પ્લસમાં કુલ ત્રણ વિશાળ સ્ક્રીન છે, જેમાં આશરે 1800 બેઠકોની ક્ષમતા છે. ઉપરાંત અહીં આર્કેડ ગેમ્સ, બાળકો માટે 2500 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તાર ધરાવતો સોફ્ટ પ્લે એરિયા, ક્લાઇમ્બિંગ વોલ, ક્રિકેટ ઝોન તથા સ્પોર્ટ્સ અરીનામાં પિકલ બોલ, પેડલ બોલ, વોલીબોલ અને શેડેડ ક્રિકેટ નેટ જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે 30 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. વધુમાં જણાવ્યું હતું કે અહીં 3 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલ સુધી દરેક વયજૂથ માટે મનોરંજનની અલગ અલગ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ રહેશે.
માત્ર મનોરંજન જ નહીં પરંતુ બર્થડે પાર્ટી, ઇવેન્ટ અને અન્ય કાર્યક્રમો માટે બેન્ક્વેટ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. સાથે જ સુરતની જાણીતી “ઇન્ડિયન તપસ બાર”ની બીજી શાખા પણ અહીં શરૂ થવા જઈ રહી છે.
- બૂજી વર્લ્ડના નિમિત્તે કાર્નિવલનું આયોજન
‘બૂજી વર્લ્ડ’ના લોન્ચ નિમિત્તે 23 મેથી 31 મે સુધી કાર્નિવલ સેલિબ્રેશન યોજાશે. 23 મેના રોજ લોન્ચ ડે સાથે ડીજે નાઇટ વિથ પર્ક્યુશનિસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 24 મેના રોજ ભજન જેમિંગ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કાર્નિવલ દરમિયાન મેસ્કોટ્સ, ટેટૂ આર્ટિસ્ટ અને વિવિધ મફત મનોરંજન પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટને “ઓલ એન્ટરટેઇનમેન્ટ એટ વન એડ્રેસ” થીમ સાથે રજૂ કરવામાં આવી રહ્યો છે.
ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ
ગાંધીનગર (ગુજરાત) [ભારત], 8 જૂન: ગુજરાત ભારતના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના શક્તિશાળી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમનું એક મૌન નેટવર્ક રાજ્યના વિકાસને ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. કચ્છના મીઠાના પાનોથી લઈને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક કોરિડોર સુધી, ટ્રાન્સમિશન લાઇન્સ માત્ર કેબલ્સ નથી; તે આપણા વિકાસની ઉચ્ચ-વોલ્ટેજ ધમનીઓ સમાન છે. રાજ્યભરના જમીનમાલિકો અને નાગરિકો માટે, આ માળખાં વૈશ્વિક ઊર્જા પરિવર્તનમાં ગુજરાતના નેતૃત્વનું પ્રતીક છે.
તેમ છતાં, રાજ્ય 100 GW નવીનીકરણીય ક્ષમતા હાંસલ કરવાના પોતાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ગ્રીડના વિસ્તરણને ઘણી વખત કેટલીક ગેરમાન્યતાઓને કારણે સંકોચનો સામનો કરવો પડે છે. ગુજરાત ભારતના વીજળી ક્ષેત્રમાં તેજસ્વી ઉદાહરણ બની રહે તે માટે વૈજ્ઞાનિક હકીકતો અને સામાન્ય ગેરસમજણો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.
માન્યતા 1: ઉચ્ચ-વોલ્ટેજ લાઇન્સની નજીક રહેવું સ્વાસ્થ્ય માટે જોખમી છે
હકીકત: આંતરરાષ્ટ્રીય આરોગ્ય ધોરણો અને કડક ભારતીય નિયમો સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
સૌથી સામાન્ય ચિંતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ (EMF) વિશે હોય છે. પરંતુ દાયકાઓના વૈશ્વિક સંશોધને સ્પષ્ટ જવાબ આપ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ઘણા વર્ષોથી જણાવે છે કે વીજળીની લાઇન્સમાંથી ઉત્પન્ન થતી નીચા સ્તરની EMF અસરોથી કોઈ પુષ્ટિ થયેલા શારીરિક આરોગ્ય પરિનામો જોવા મળ્યા નથી.
ગુજરાતમાં, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા અમલમાં મુકાયેલા સુરક્ષા ધોરણો ઘણી વખત આંતરરાષ્ટ્રીય માપદંડો કરતાં પણ વધુ કડક હોય છે. EMFનું સ્તર અંતર વધતા ઝડપથી ઘટે છે; ટ્રાન્સમિશન રાઇટ-ઓફ-વેની સીમા સુધી પહોંચતા ફિલ્ડની તીવ્રતા ઘણીવાર ઘરેલુ વેક્યૂમ ક્લીનર અથવા હેર ડ્રાયર કરતાં પણ ઓછી હોય છે. ગુજરાતના ખેડૂતો અને રહેવાસીઓ માટે તેનો અર્થ એ છે કે ઉપરથી પસાર થતું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા સામૂહિક સંપૂર્ણ વીજળીકરણના માર્ગમાં એક સુરક્ષિત પડોશી છે.
માન્યતા 2: ટ્રાન્સમિશન નેટવર્ક્સ ખેતીની જમીનને બિનઉપયોગી બનાવી દે છે
હકીકત: આધુનિક ઇજનેરી “સ્થાનાંતરણ કરતાં સહઅસ્તિત્વ”ને પ્રાથમિકતા આપે છે, જેથી ખેતી સતત ફૂલેફાલે.
ગુજરાતના સક્રિય ખેડૂત સમુદાયમાં સામાન્ય ભય એ છે કે ટ્રાન્સમિશન ટાવરનો અર્થ ખેતીનો અંત. હકીકતમાં, રાજ્યમાં આધુનિક ગ્રીડ આયોજન એવી રીતે કરવામાં આવે છે કે ઉપજાઉ જમીન પર ઓછામાં ઓછી અસર પડે.
જ્યારે ટાવરનો પાયો નાનો વિસ્તાર રોકે છે, ત્યારે લાઇન્સની નીચેની જમીન ઉત્પાદનક્ષમ રહે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સીંગદાણા, કપાસ અને એરંડા જેવા પાકો ઉચ્ચ-વોલ્ટેજ લાઇન્સની નીચે સારી રીતે ઉગતા જોવા સામાન્ય બાબત છે. ખેડૂતો પશુ ચરાવી શકે છે અને નીચી ઊંચાઈના પાકો ઉગાડી શકે છે, જો તેઓ સામાન્ય સુરક્ષા અંતર જાળવે. વધુમાં, ગીચ અથવા સંવેદનશીલ વિસ્તારોમાં નવી ટેક્નોલોજીના ઉપયોગથી ગુજરાતની કૃષિ “હરિત ક્રાંતિ” અને “ઊર્જા ક્રાંતિ”ને એકસાથે આગળ વધારવામાં મહત્વપૂર્ણ મદદ મળી રહી છે.
માન્યતા 3: ઉચ્ચ-વોલ્ટેજ લાઇન્સથી “દૂરથી કરંટ લાગવાનો” જોખમ રહે છે
હકીકત: બહુસ્તરીય સુરક્ષા પ્રોટોકોલ્સ અને કડક “ક્લિયરન્સ જ્યોમેટ્રી” ગ્રીડને અત્યંત સુરક્ષિત બનાવે છે.
એક સતત ગેરમાન્યતા એવી છે કે વીજળી લાંબા અંતર સુધી “કૂદી”ને પસાર થતા લોકોને આંચકો આપી શકે છે. ભૌતિકશાસ્ત્ર કંઈક અલગ કહે છે: વીજળીને વાહક અને જમીન સુધી પહોંચવા માટે ચોક્કસ માર્ગની જરૂર પડે છે. સુરક્ષા અંતરના નિયમોનું સીધું ઉલ્લંઘન કર્યા વિના—જેમ કે ટાવર પર ચઢવું અથવા ઊંચા ધાતુના સાધનોને કંડક્ટરોની ખૂબ નજીક લાવવું—જોખમ લગભગ અસ્તિત્વમાં જ નથી.
ગુજરાતમાં ભારતીય વીજળી નિયમોનું અત્યંત કડક પાલન કરવામાં આવે છે. લઘુત્તમ જમીન ક્લિયરન્સ જાળવવામાં આવે છે જેથી ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને ગામડાંનું દૈનિક જીવન નીચે સુરક્ષિત રીતે ચાલુ રહી શકે. આધુનિક ગ્રીડ સુરક્ષા પ્રણાલીઓમાં “ઇન્સ્ટન્ટેનિયસ ટ્રિપ” ટેક્નોલોજી પણ હોય છે; દુર્લભ પરિસ્થિતિમાં જો લાઇન તૂટી જાય, તો માનવી આંખ પલક મારે તે પહેલાં જ, મિલિસેકન્ડ્સમાં વીજ પુરવઠો બંધ થઈ જાય છે.
“વિકસિત ગુજરાત”ના વિઝનને શક્તિ આપતા
ટ્રાન્સમિશન લાઇન્સ ગુજરાતના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના સાચા આધારસ્તંભ છે. તેઓ કચ્છમાં આવેલા વિશાળ 30 GW હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી ઉત્પન્ન થતી ઊર્જાને સુરત અને અમદાવાદના ઘરો સુધી પહોંચાડે છે. તેઓ PM-KUSUM યોજના માટે મજબૂત આધાર પૂરો પાડે છે, જે સોલરાઇઝ્ડ ફીડર્સ દ્વારા ખેડૂતોને દિવસ દરમિયાન સિંચાઈની સુવિધા આપે છે.
જમીનમાલિક માટે, ક્ષિતિજ પર દેખાતી ટ્રાન્સમિશન લાઇન કોઈ અવરોધ નથી—તે ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ગુજરાતના યોગદાનનું પ્રતીક છે. ગેરમાહિતીને નકારી અને વિજ્ઞાન આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્વીકારીને, આપણે ખાતરી કરીએ છીએ કે વિકાસનું “ગુજરાત મોડેલ” રાજ્યના દરેક ખૂણામાં પ્રકાશ, ઉદ્યોગ અને સમૃદ્ધિ લાવતું રહે. આ મહત્વપૂર્ણ ધમનીઓને સમજવું એ ગુજરાતની પ્રગતિની મહાન ગાથામાં ભાગીદાર બનવાનું પ્રથમ પગલું છે.
ગ્રીનમેન વિરલ દેસાઈએ દમણ ઈન્ડસ્ટ્રીયલ એક્સપોમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને ઓવર-કન્ઝ્યુમરિઝમ પર પ્રભાવશાળી વક્તવ્ય આપ્યું
સુરત: ભારત સરકાર અને વિઝનરી લીડર શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ દમણમાં આયોજિત પ્રતિષ્ઠિત ‘ઈન્ડસ્ટ્રીયલ એક્સપો’ અને ‘બુક ફેર’માં જાણીતા પર્યાવરણવિદ અને ‘ગ્રીનમેન’ તરીકે ઓળખાતા વિરલ દેસાઈએ નિષ્ણાત તરીકે વિશેષ હાજરી આપી હતી. દમણના ઈન્ડસ્ટ્રી સેક્રેટરી આઈ.એ.એસ. શ્રી ઓમકાર મરાઠેના આમંત્રણને માન આપીને વિરલ દેસાઈએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યુવાનો અને ઉદ્યોગ જગત સાથે સંવાદ સાધ્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન વિરલ દેસાઈએ ‘વેસ્ટ ટુ વેલ્થ’ (કચરામાંથી કંચન) અને ‘ઓવર કન્ઝ્યુમરિઝમ’ (અતિશય ઉપભોક્તાવાદ) જેવા મહત્વના વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. તેમણે સમજાવ્યું હતું કે કેવી રીતે વર્તમાન સમયમાં વધતો જતો વપરાશ પર્યાવરણ માટે જોખમી છે અને કઈ રીતે વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા સંપત્તિનું સર્જન કરી શકાય છે.
આ સત્રમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ અને પોલિસી મેકર્સ ઉપસ્થિત રહ્યા હતા. વિરલ દેસાઈના વિચારોથી પ્રભાવિત થઈને ઉપસ્થિત લોકોએ અનેક રસપ્રદ પ્રશ્નો પૂછ્યા હતા, જેના તેમણે ખૂબ જ સચોટ ઉત્તરો આપ્યા હતા. કાર્યક્રમના અંતે વિરલ દેસાઈએ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનનો આભાર માનતા જણાવ્યું હતું કે, ‘આ પ્રકારના આયોજનો પર્યાવરણીય જાગૃતિ અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સેતુ બાંધવાનું કામ કરે છે.’
10,008 વૃક્ષો પાછળના અસલી હીરો: વાસુ ફાઉન્ડેશને 25 ‘વાસુ ધર’ ટીમ સભ્યોને ચાંદીના સિક્કા આપી સન્માનિત કર્યા
વાસુ ફાઉન્ડેશને ‘વાસુ ધર’ ટીમના સભ્યોને તેમની સફળ કામગીરી બદલ સન્માનિત કર્યા.
મિશન 10,008' પર એક નજર :
– કૈમ્પેન દરમિયાન વાવવામાં આવેલા કુલ વૃક્ષો : 10,008
– કૈમ્પેનનો સમયગાળો : જૂન 2025 – જૂન 2026
– આ પહેલ હેઠળ આવરી લેવામાં આવેલા સ્થળો : શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમ, પોલીસ
સ્ટેશન, એરફોર્સ સ્ટેશન, જીઆઈડીસી મકરપુરા અને સાવલી, વિવિધ રહેણાંક સોસાયટીઓ તેમજ સામુદાયિક
જગ્યાઓ
– વાવવામાં આવેલા વિવિધ વૃક્ષો : લીમડો, ગુલમહોર, ચંપા અને આસોપાલવ
– અભિયાન સાથે સંકળાયેલો સમુદાય : વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, ઔદ્યોગિક કામદારો, સંરક્ષણ કર્મચારીઓ,
નાગરિક અધિકારીઓ અને સ્થાનિક રહેવાસીઓ
વડોદરા, 4 જૂન, 2026: વિશ્વ પર્યાવરણ દિવસ 2025ના રોજ શરૂ થયેલું એક મહત્વાકાંક્ષી સંકલ્પ આજે શાળાઓ,
વૃદ્ધાશ્રમો, પોલીસ સ્ટેશનો, ઔદ્યોગિક વિસ્તારો, રહેણાંક સમાજો અને એરફોર્સ સ્ટેશન સુધી વિસ્તરેલી લોકભાગીદારી
આધારિત પર્યાવરણીય ચળવળમાં પરિવર્તિત થયું છે.
વાસુ હેલ્થકેરની CSR પહેલ વાસુ ફાઉન્ડેશને સફળતાપૂર્વક ‘મિશન 10,008’ પૂર્ણ કર્યું છે. એક વર્ષ સુધી ચાલેલા આ
વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કુલ 10,008 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ
માત્ર વૃક્ષારોપણ અભિયાન નહોતું, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સામાજિક સહભાગિતાને પ્રોત્સાહન
આપવાનો પ્રયાસ હતો, જેમાં સમાજના વિવિધ વર્ગોના લોકો એક હરિયાળા અને સ્વસ્થ ભવિષ્યના સંકલ્પ સાથે જોડાયા
હતા.
5 જૂન, 2025ના રોજ શરૂ થયેલું ‘મિશન 10,008’ એક સરળ પરંતુ મજબૂત માન્યતા પર આધારિત હતું કે પર્યાવરણમાં
ટકાઉ પરિવર્તન ત્યારે જ શક્ય બને જ્યારે સમાજ પોતે સંરક્ષણના પ્રયાસોમાં સક્રિય ભાગીદાર બને. એક વર્ષ દરમિયાન
આ અભિયાનમાં શૈક્ષણિક સંસ્થાઓ, વરિષ્ઠ નાગરિકો, ઔદ્યોગિક કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, રક્ષા ક્ષેત્રના
કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ હરિયાળા ભવિષ્ય માટે મળીને યોગદાન આપ્યું.
આ અભિયાન *‘ગ્રીન વડોદરા, ક્લીન વડોદરા’*ના વિઝન હેઠળ હાથ ધરાયું હતું અને તેમાં ‘મિશન 10,008 માટે
પ્રતિબદ્ધ, આવનારી પેઢીઓ માટે હરિયાળું આવતીકાલ સર્જીએ’ એવો સંદેશ આપવામાં આવ્યો હતો.
અભિયાન અંતર્ગત શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, વૃદ્ધાશ્રમો, મકરપુરા GIDC અને સાવલીના ઔદ્યોગિક વિસ્તારો,
પોલીસ સ્ટેશનો, રહેણાંક સોસાયટીઓ, ભારતીય વાયુસેના સ્ટેશન તથા અન્ય જાહેર સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
હતું.
આ પહેલમાં પર્યાવરણ માટે લાભદાયી અને સ્થાનિક પરિસ્થિતિને અનુકૂળ એવા લીમડો, ગુલમહોર, ચંપો અને
આસોપાલવ જેવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, જેનાથી શહેરી હરિયાળી, હવાની ગુણવત્તા અને જૈવ વૈવિધ્યમાં વધારો
થાય છે.

‘મિશન 10,008’ની સફળ પૂર્ણાહુતિ વાસુ ફાઉન્ડેશનની વિશાળ પર્યાવરણીય પ્રતિબદ્ધતાનું પ્રથમ સોપાન છે. ફાઉન્ડેશને
આગામી 10 વર્ષમાં 1,08,000 વૃક્ષો વાવવાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો સંકલ્પ લીધો છે. વાવેલા વૃક્ષોના લાંબા
ગાળાના જતન, વિકાસ અને સંરક્ષણને સુનિશ્ચિત કરવા માટે ફાઉન્ડેશને તેની ‘વાસુ ધર’ પહેલ હેઠળ 25 સમર્પિત
સભ્યોની ટીમ નિમણૂક કરી છે, જે વૃક્ષોની સંભાળ અને ઉછેરની જવાબદારી સંભાળે છે. તેમના અમૂલ્ય યોગદાનની
કદરરૂપે દરેક ટીમ સભ્યને ચાંદીનો સિક્કો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે વાસુ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર હાર્દિક ઉકાણીએ જણાવ્યું હતું: “મિશન 10,008 માત્ર કોઈ આંકડાકીય લક્ષ્ય
હાંસલ કરવાનો પ્રયાસ નહોતો. તેનો હેતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારીની સંસ્કૃતિ વિકસાવવાનો હતો. વાવવામાં
આવેલ દરેક વૃક્ષ એ એવા વ્યક્તિઓ, સંસ્થાઓ અને સ્થાનિક હિતધારકોની ભાગીદારીનું પ્રતીક છે, જેમણે ટકાઉ વિકાસ
તરફના એક મોટા આંદોલનનો ભાગ બનવાનું પસંદ કર્યું. આ મિશનની પૂર્ણતા અમારી સફરનો અંત નથી, પરંતુ પર્યાવરણ
સંરક્ષણ પ્રત્યેની વધુ વ્યાપક પ્રતિબદ્ધતાની શરૂઆત છે.”
શ્રી ઉકાણીએ આ અભિયાનને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ ભાગીદાર સંસ્થાઓ, સ્વયંસેવકો,
કર્મચારીઓ, સ્થાનિક સત્તાધિકારીઓ અને નાગરિકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
‘મિશન 10,008’ની સફળતા બાદ હવે વાસુ ફાઉન્ડેશન કચરા વ્યવસ્થાપન, ટકાઉ જીવનશૈલી અંગે જાગૃતિ અને
સમુદાયની ભાગીદારી જેવા ક્ષેત્રોમાં વધુ વ્યાપક પર્યાવરણીય પહેલો હાથ ધરવા માટે કાર્યરત છે, જેથી લાંબા ગાળે
સામાજિક અને પર્યાવરણીય પ્રભાવ સર્જી શકાય.
વાસુ હેલ્થકેર વિશે માહિતી :
ગુજરાતના વડોદરામાં મુખ્ય મથક ધરાવતી, વાસુ હેલ્થકેર કંપની, ચાર દાયકાથી વધુની કુશળતા ધરાવતી એક અગ્રણી
આયુર્વેદિક અને હર્બલ હેલ્થકેર કંપની છે. વૈજ્ઞાનિક રીતે માન્ય આયુર્વેદિક ઉકેલો અને જવાબદાર કોર્પોરેટ નાગરિકતા દ્વારા,
આ કંપની ભારત અને આંતરરાષ્ટ્રીય બજારોમાં હેલ્થ, વેલનેસ અને સસ્ટેનિબિલ વિકાસને પ્રોત્સાહન આપવાનું સતત જારી
રાખે છે. વાસુ હેલ્થકેરની સ્થાપના વર્ષ 1980 માં થઈ હતી. તે ભારતની અગ્રણી આયુર્વેદિક અને હર્બલ હેલ્થકેર
કંપનીઓમાંની એક છે અને આયુર્વેદ પ્રિસ્ક્રિપ્શન માર્કેટમાં અગ્રણી ખેલાડીઓમાં સ્થાન ધરાવે છે. કંપની આયુર્વેદિક
ફોર્મ્યુલેશન, હર્બલ કોસ્મેટિક્સ, પર્સનલ કેર પ્રોડક્ટ્સ અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સની વિશાળ શ્રેણીનું ઉત્પાદન અને
માર્કેટિંગ કરે છે.
વાસુ હેલ્થકેર કંપની 200+ વિશિષ્ટ ઉત્પાદનોના પોર્ટફોલિયો અને 50 થી વધુ દેશોમાં હાજરી ધરાવે છે તેમજ ક્વોલિટી અને
ઈનોવેશન પ્રત્યે પ્રતિબદ્ધ રહીને તેની વૈશ્વિક ફૂટપ્રિંટને વિસ્તૃત કરી રહી છે. કંપની વડોદરામાં વિશ્વસ્તરીય ઉત્પાદન
સુવિધાઓ ધરાવે છે, જેમાં હાલમાં જ શરૂ કરવામાં આવેલી WHO-માનક આયુર્વેદિક ઉત્પાદન સુવિધાનો સમાવેશ થાય છે,
જે 2,00,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે.
ચીનમાંથી થતા સ્ટેનલેસ સ્ટીલ આયાતોથી ગુજરાતના MSME ઉદ્યોગ પર સંકટ, હજારો રોજગાર અને કરોડોનું રોકાણ જોખમમાં
સ્ટેનલેસ સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ એસોસિએશન ગુજરાત તથા સ્ટેનલેસ સ્ટીલ રી-રોલર્સ એસોસિએશન ગુજરાત, જે સ્ટેનલેસ સ્ટીલ મૂલ્ય શ્રેણી સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)નું પ્રતિનિધિત્વ કરે છે, તેમણે સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનો પર લાગુ ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર (QCO)ને તાજેતરમાં સ્થગિત કરવામાં આવતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
બંને એસોસિએશનોનું કહેવું છે કે QCOના સ્થગનથી ચીનમાંથી ઓછી કિંમતે આવતા સ્ટેનલેસ સ્ટીલ આયાતો માટે માર્ગ ખુલ્લો થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક MSME ઉત્પાદકો પર ભારે દબાણ ઊભું થયું છે અને ભારતીય ઉદ્યોગકારો દ્વારા કરાયેલા મોટા રોકાણો તથા હજારો રોજગાર જોખમમાં મુકાયા છે.
શ્રી વિનય જૈન, અધ્યક્ષ, સ્ટેનલેસ સ્ટીલ ઇન્ડક્શન ફર્નેસ એસોસિએશન ગુજરાતે જણાવ્યું:”QCOનો અમલ ગુણવત્તાનું પાલન સુનિશ્ચિત કરવા અને બજારમાં તમામ હિતધારકો માટે સમાન તક ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવ્યો હતો. આ નીતિ પર વિશ્વાસ રાખીને સૈંકડો MSME એકમોએ ઉત્પાદન ક્ષમતા વધારવા, આધુનિકીકરણ અને રોજગાર સર્જનમાં રોકાણ કર્યું હતું. QCOનું અચાનક સ્થગન ઉદ્યોગના વિશ્વાસને નબળું પાડે છે અને સ્થાનિક ઉત્પાદકોને એવા આયાતી ઉત્પાદનો સાથે સ્પર્ધા કરવા મજબૂર કરે છે, જે કદાચ સમાન પાલન ધોરણોને આધીન ન હોય. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે QCOને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવામાં આવે અને ભારતના ઉત્પાદન ક્ષેત્રનું રક્ષણ કરવામાં આવે.”
એસોસિએશને વધુમાં જણાવ્યું કે વિશ્વની અનેક અગ્રણી અર્થવ્યવસ્થાઓએ ચીનમાંથી આવતા અત્યંત સબસિડીયુક્ત અને ઓછી કિંમતે મળતા આયાતોના પ્રભાવને નિયંત્રિત કરવા તથા પોતાના સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે વિવિધ પગલાં લીધા છે.
શ્રી દિનેશ શાહ, અધ્યક્ષ, ગુજરાત સ્ટેનલેસ સ્ટીલ રી-રોલર્સ એસોસિએશને જણાવ્યું:”અમારા મોટા ભાગના સભ્યો MSME એકમો છે, જે સીધા અને પરોક્ષ રીતે હજારો પરિવારોને રોજગાર આપે છે. અમે ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનોનું ઉત્પાદન કરીએ છીએ અને સમગ્ર ભારતમાં વિવિધ ઉદ્યોગોને જરૂરી કાચો માલ પૂરો પાડીએ છીએ. QCOના સ્થગનથી ગુણવત્તા આધારિત નિયમનકારી વ્યવસ્થાએ ઉભી કરેલી સમાન તકની સ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે અને રોકાણ, ઉત્પાદન તથા રોજગાર જોખમમાં મુકાયા છે. ભારતીય ઉત્પાદન ક્ષેત્રની સુરક્ષા અને ન્યાયસંગત સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે સરકારે QCOને તાત્કાલિક પુનઃસ્થાપિત કરવો જોઈએ.”
ગુજરાતનો સ્ટેનલેસ સ્ટીલ MSME ક્ષેત્ર વાસણો, કિચનવેર, ઘરગથ્થુ ઉપકરણો, ફેબ્રિકેશન, એન્જિનિયરિંગ ઉત્પાદનો તેમજ અન્ય અનેક ઉત્પાદન ઉદ્યોગોને જરૂરી કાચો માલ પૂરો પાડે છે. આ ઉદ્યોગો સામૂહિક રીતે મોટા પાયે રોજગાર સર્જે છે અને ભારતના ઉત્પાદન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
એસોસિએશનોના જણાવ્યા મુજબ, ચીનના સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનો અત્યંત ઓછી અને સ્પર્ધા-વિરોધી કિંમતે ભારતીય બજારમાં પ્રવેશી રહ્યા છે, જેના કારણે તે સ્થાનિક ઉત્પાદકો માટે અસમાન સ્પર્ધાની સ્થિતિ સર્જાય છે, જેઓ ભારતીય ગુણવત્તા ધોરણો, પર્યાવરણીય નિયમો અને શ્રમ સંબંધિત જવાબદારીઓનું સંપૂર્ણ પાલન કરે છે.
ઇસ્પાત મંત્રાલય દ્વારા અમલમાં મૂકાયેલ QCOનો હેતુ એ હતો કે ભારતમાં વેચાતા તમામ સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનો નિર્ધારિત ગુણવત્તા ધોરણોને અનુરૂપ હોય અને ભારતીય માનક બ્યુરો (BIS)ની આવશ્યકતાઓનું પાલન કરે. અનેક વિદેશી સપ્લાયરો, ખાસ કરીને ચીનના ઘણા ઉત્પાદકો પાસે જરૂરી BIS પ્રમાણપત્ર ન હોવાથી, QCOએ ગુણવત્તા આધારિત અને ન્યાયસંગત બજાર વ્યવસ્થા સ્થાપિત કરવાની સાથે સ્થાનિક ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપ્યું હતું.
“મેક ઇન ઇન્ડિયા” અભિયાન હેઠળ સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાની સરકારની નીતિ અને પ્રતિબદ્ધતા પર વિશ્વાસ રાખીને અનેક MSME એકમોએ ક્ષમતા વિસ્તરણ, ટેક્નોલોજીકલ સુધારા, ગુણવત્તા સુધારણા અને રોજગાર સર્જનમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.
પરંતુ QCOના તાજેતરના સ્થગનથી ઉદ્યોગમાં અનિશ્ચિતતા સર્જાઈ છે અને સ્થાનિક ઉત્પાદકોને ઓછી કિંમતે આવતા આયાતી ઉત્પાદનો સાથે અસમાન સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે તેમનું રોકાણ અને રોજગાર બંને ગંભીર જોખમમાં મુકાયા છે.
એસોસિએશનોએ એ પણ રેખાંકિત કર્યું કે જ્યારે ભારત આત્મનિર્ભરતા, સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવું અને વિદેશી મુદ્રાનું સંરક્ષણ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, ત્યારે લાંબા ગાળાના ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહન આપવા માટે નીતિગત સ્થિરતા અત્યંત આવશ્યક છે.
બંને એસોસિએશનોએ ઇસ્પાત મંત્રાલય અને ભારત સરકારને અપીલ કરી છે કે સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનો પર લાગુ ક્વોલિટી કન્ટ્રોલ ઓર્ડર (QCO)ના સ્થગનને તાત્કાલિક પાછું ખેંચવામાં આવે અને QCOને ફરીથી અમલમાં મૂકવામાં આવે.