સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ‘કૃષ્ણોત્સવ’: ભક્તિ, પ્રેમ અને ઉજવણીનો અનોખો સંગમ

Spread the love
• જન્માષ્ટમી નિમિત્તે ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટે ભવ્ય ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન • ૧૫૦ ફૂટના વિશાળ સ્ટેજ પર આધુનિક ટેકનોલોજી સાથે નવી પેઢી માટે કૃષ્ણભક્તિનો નવો અનુભવ • સુરતમાં જ સર્જાશે વૃંદાવન-મથુરા જેવો માહોલ; ત્રણ દિવસમાં આશરે ૫,૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા સુરત: જન્માષ્ટમીના પાવન પર્વને અનોખી આધુનિકતા અને આધ્યાત્મિક અનુભૂતિ સાથે ઉજવવા માટે સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ભવ્ય ‘કૃષ્ણોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રો ક્રિએટ ઇવેન્ટ્સ દ્વારા ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન સુરત એરપોર્ટ નજીક સુરત-ડુમસ રોડ પર આવેલા અદ્વૈતા બોલરૂમ એન્ડ લોન્સ ખાતે આ વિશિષ્ટ ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટ યોજાશે. આ અંગે માહિતી આપતાં આયોજક પર્વ પરમારે જણાવ્યું હતું કે, “આ માત્ર પરંપરાગત ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ કૃષ્ણના જીવન, તેમના પ્રેમ અને જીવનદર્શનને આધુનિક મ્યુઝિક, લાઇવ પરફોર્મન્સ અને ઇમર્સિવ ટેકનોલોજીના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ છે.” આયોજકોના જણાવ્યા મુજબ, ત્રણ દિવસીય અને ત્રણ અલગ થીમ આધારિત કૃષ્ણ મ્યુઝિક કોન્સર્ટનો આ પ્રકારનો પ્રયોગ ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસ, ત્રણ થીમ અને કૃષ્ણના જીવનના ત્રણ રંગ કૃષ્ણોત્સવમાં ત્રણ દિવસને ત્રણ અલગ થીમ સાથે રજૂ કરવામાં આવશે—ડિવોશન, એન્ચેન્ટમેન્ટ અને સેલિબ્રેશન. પ્રથમ દિવસ ‘ડિવોશન’ કૃષ્ણ પ્રત્યેની ભક્તિને સમર્પિત રહેશે. દેશ-વિદેશમાં કૃષ્ણભક્તિના વિવિધ સ્વરૂપો તેમજ લોકપ્રિય ભજનો અને કીર્તનોને ભવ્ય મ્યુઝિકલ ફોર્મમાં રજૂ કરવામાં આવશે. આ દિવસે કચ્છના જાણીતા કલાકાર નંદલાલ છાંગા પોતાની વિશેષ રજૂઆત આપશે. બીજા દિવસની થીમ ‘એન્ચેન્ટમેન્ટ’ રહેશે, જે કૃષ્ણ સાથે જોડાયેલા નિઃસ્વાર્થ પ્રેમને સમર્પિત છે. રાધા-કૃષ્ણનો પ્રેમ, મીરાંની ભક્તિ, યશોદા માતાનો સ્નેહ અને ભક્તોનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ—આ તમામ ભાવનાઓને સંગીત અને પરફોર્મન્સ દ્વારા રજૂ કરવામાં આવશે. સુરતના જાણીતા ફોક આર્ટિસ્ટ ઋષભ શુક્લા અને ઉત્તર ભારતના લોકપ્રિય તેમજ બોલિવૂડમાં પ્લેબેક કરી ચૂકેલા ગાયક ગુરાશિષ સિંહ આ દિવસે ખાસ રજૂઆત કરશે. ત્રીજા દિવસની થીમ ‘સેલિબ્રેશન’ રહેશે. કૃષ્ણના જીવનમાંથી મળતા સંદેશ—સુખ હોય કે દુઃખ, દરેક ક્ષણને સ્વીકારીને અને માણીને જીવનને પૂર્ણતાથી જીવવું—ને આ દિવસના કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવશે. આ દિવસે મથુરાનું ‘સનાતન સંકીર્તન’ બેન્ડ ખાસ રજૂઆત કરશે. સાથે જ પ્રથમ વખત આ પ્રકારના લાઇવ કાર્યક્રમમાં ‘ફૂલો કી હોળી’નો વિશેષ અનુભવ પણ કરાવવામાં આવશે. ૧૫૦ ફૂટના સ્ટેજ પર નવી પેઢીની કૃષ્ણભક્તિ કૃષ્ણોત્સવની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે અહીં પરંપરાગત ભક્તિને નવી પેઢીની ભાષામાં રજૂ કરવામાં આવશે. ખાસ કરીને જનરેશન ઝેડને ધ્યાનમાં રાખીને ઇમર્સિવ ટેકનોલોજી, આધુનિક સાઉન્ડ, લાઇટિંગ અને લાઇવ પરફોર્મન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે ૧૫૦ ફૂટનો વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આશરે ૨૫ ડાન્સ પરફોર્મર્સ લાઇવ ક્યુરેટેડ પરફોર્મન્સ રજૂ કરશે. સમગ્ર ત્રણ દિવસના કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી હોસ્ટ, પોડકાસ્ટર અને સ્ટોરીટેલર જય થાડેશ્વર કરશે. તેઓ લાઇવ નેરેશન દ્વારા કાર્યક્રમને આગળ વધારશે. આયોજકોનું માનવું છે કે કૃષ્ણના જીવનની પરંપરાગત કથાઓને માત્ર રજૂ કરવાને બદલે, તેમના જીવનમાંથી મળતા પ્રેમ, સૌહાર્દ, આનંદ અને જીવનને માણવાના સંદેશને મ્યુઝિક અને ટેકનોલોજી સાથે જોડવાથી નવી પેઢી કૃષ્ણ સાથે વધુ સરળતાથી જોડાઈ શકશે. જન્માષ્ટમીમાં સુરત બનશે વૃંદાવન ધામ ૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન દરરોજ રાત્રે સાડા આઠથી રાત્રે ૧૧ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ, દરરોજ આશરે ૧,૫૦૦ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે, જ્યારે ત્રણેય દિવસ દરમિયાન કુલ આશરે ૫,૦૦૦ લોકો કાર્યક્રમમાં જોડાશે. આ અંગે આયોજક પર્વ પરમારે જણાવ્યું હતું કે, “કૃષ્ણના જીવન અને તેમના સંદેશને આજની પેઢી સુધી પહોંચાડવા માટે આ આખી પરિકલ્પના તૈયાર કરવામાં આવી છે. સુરતમાં જ લોકોને વૃંદાવન અને મથુરા જેવી આધ્યાત્મિક અનુભૂતિ કરાવવાનો અમારો પ્રયાસ છે. ભક્તિ માત્ર પરંપરાથી નહીં, પરંતુ નવી પેઢી સાથે જોડાય તેવી આધુનિક રજૂઆત દ્વારા પણ અનુભવી શકાય—એ જ કૃષ્ણોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે.” જન્માષ્ટમીના આ ત્રણ દિવસ દરમિયાન સુરત કૃષ્ણમય અને ગોકુળમય બની જાય તથા લોકોને સુરત છોડ્યા વિના વૃંદાવન-મથુરા જેવી ભક્તિ અને ઉત્સવની અનુભૂતિ મળે, તેવો આ અનોખો પ્રયાસ હોવાનું આયોજકોએ જણાવ્યું છે.