આજરોજ વધુ 551 દીકરીઓને સહાય સાથે અત્યાર સુધી કુલ 1102 લાભાર્થી, કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના પગલે 7500 ગણોત ખેડૂતોને પણ 7,500 રૂપિયા આર્થિક સહાયની પિયુષ દેસાઈની જાહેરાત
સુરત. દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન હવે લોકઅભિયાનનું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી 551 વ્યક્તિઓને શિક્ષણ સહાય આપવામાં આવી હતી, જ્યારે આજરોજ વધુ 551 દીકરીઓને સહાય અર્પણ કરતાં કુલ લાભાર્થીઓની સંખ્યા 1102 સુધી પહોંચી ગઈ છે. આ સાથે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઇએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા 7500 ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત 7500 રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે.
ચેમ્બર ઓફ કોમર્સ ખાતે આયોજિત કાર્યક્રમમાં ધનતેરસના શુભ દિવસે દરેક દીકરીને રૂ. 7,500ની શૈક્ષણિક સહાય આપવામાં આવી હતી. આ રીતે અત્યાર સુધીમાં કુલ રૂ. 41,32,500ની સહાય વિતરણ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન દીકરીઓ અને તેમના માતાપિતાના ચહેરા પર આનંદ અને ગૌરવની ઝલક જોવા મળી હતી.

પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, “દીકરીને શિક્ષણ આપવું એ રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હિરાબાના આશીર્વાદથી આ યજ્ઞ સતત આગળ વધારવાનો મારો સંકલ્પ છે.” તેમણે જણાવ્યું કે આ અભિયાન દ્વારા કુલ 21,000 દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો અને તેના માટે કુલ રૂ. 1575 કરોડની સહાય વિતરણ કરવાનો લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.
કાર્યક્રમમાં ઉપસ્થિત ઉદ્યોગપતિઓ, સમાજસેવી અને શિક્ષણપ્રેમી વ્યક્તિઓએ પિયુષભાઈની આ અનોખી પહેલને બિરદાવી હતી અને તેને સમાજના અન્ય ઉદ્યોગપતિઓ માટે પ્રેરણારૂપ ગણાવી હતી.
ઉલ્લેખનીય છે કે, મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ, બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે સફળ વ્યવસાય કરે છે. તેમ છતાં, સમાજસેવાની ભાવનાથી શરૂ કરાયેલ “હિરાબા નો ખમકાર” અભિયાન તેમની જીવનયાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણ કાર્ય બની રહ્યું છે.