શિક્ષણ અને ટેકનોલજી
AM/NS India અને SVNIT દ્વારા રોજગારલક્ષી કૌશલ્ય વિકાસ કાર્યક્રમનો પ્રારંભ, સુરતમાં ઉદ્યોગ માટે પ્રતિભા ઘડવા ઉદ્યોગ-શૈક્ષણિક ભાગીદારીને પ્રોત્સાહન
એક વર્ષીય ઉદ્યોગ-શૈક્ષણિક પહેલ દ્વારા રોજગારલક્ષી એન્જિનિયરિંગ પ્રતિભા તૈયાર કરવામાં આવશે
પ્રથમ બેચમાં 80 એન્જિનિયરિંગ સ્નાતકો અને ડિપ્લોમા ધારકોનો સમાવેશ
સુરત – હજીરા, જુલાઈ 16, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) એ સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (SVNIT), સુરતના સહયોગથી આજે એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ (EEP)નું આજે ઉદ્ઘાટન કર્યું છે. એક વર્ષીય આ સર્ટિફિકેશન કોર્સનો મુખ્ય હેતુ યુવા એન્જિનિયરિંગ પ્રતિભાને શૈક્ષણિક અભ્યાસ અને ઉદ્યોગની વાસ્તવિક જરૂરિયાતો વચ્ચેનું અંતર દૂર કરીને રોજગાર માટે વધુ સક્ષમ બનાવવાનો છે. આ કાર્યક્રમ ખાસ કરીને સુરત અને આસપાસના વિસ્તારોના યુવા એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ અને ડિપ્લોમા ધારકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી તેજસ પરમાર, IAS, માનનીય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરત ઉપરાંત પ્રોફ. (ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNIT, શ્રી આશુતોષ તેલંગ, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – એચઆર અને એડમિનિસ્ટ્રેશન, AM/NS India, SVNITના વરિષ્ઠ અધ્યાપકો, AM/NS Indiaના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક ગામોના સરપંચો અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમના પ્રથમ બેચમાં કુલ 80 તાલીમાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 40 એન્જિનિયરિંગ સ્નાતકો અને 40 ડિપ્લોમા ધારકોનો સમાવેશ થાય છે. સુરત અને આસપાસના વિસ્તારોમાંથી પસંદ કરાયેલા આ તમામ ઉમેદવારો SVNIT સુરત અને AM/NS ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે સંચાલિત એક વર્ષીય સર્ટિફિકેશન કોર્સમાં તાલીમ મેળવશે. કાર્યક્રમને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં ભાગ લેનારાઓને ઉદ્યોગસંબંધિત વ્યવહારુ જ્ઞાન, ટેક્નિકલ કુશળતા, ઔદ્યોગિક સલામતી અંગેની સમજ, ગુણવત્તા વ્યવસ્થાપન (Quality Management) સંબંધિત પદ્ધતિઓ તેમજ આધુનિક મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે જરૂરી વ્યવસાયિક કૌશલ્યો પ્રાપ્ત થાય છે.
વર્ષ 2030 સુધીમાં ભારતને આશરે 115 મિલિયન નવી રોજગારીની તકોનું સર્જન કરવું પડશે અને ઉદ્યોગોની બદલાતી જરૂરિયાતો તથા નવી ટેક્નોલોજીની માંગને પહોંચી વળવા માટે દેશના અંદાજે 63 ટકા કાર્યબળને કૌશલ્ય ઉન્નતિ (Skill Upgradation)ની જરૂર પડશે. આ અંતરને દૂર કરવા માટે આધુનિક તાલીમ પ્રણાલીઓ તથા સરકાર, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે મજબૂત સહયોગ અનિવાર્ય છે. એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ આ પડકારનો વ્યવહારુ ઉકેલ પૂરું પાડવાના હેતુથી રચવામાં આવ્યો છે, જે ગુજરાત અને ભારત માટે ભવિષ્યલક્ષી, કુશળ અને ઉદ્યોગ માટે તૈયાર માનવબળનું નિર્માણ કરવામાં સહાયરૂપ બનશે.
આ પ્રસંગે શ્રી તેજસ પરમાર, IAS, માનનીય કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, સુરતે જણાવ્યું હતું કે, “સુરતની વિકાસ ગાથા કુશળ સ્થાનિક પ્રતિભાના બળ પર આગળ વધવી જોઈએ. AM/NS India અને SVNITની આ પહેલ આપણા યુવાનો માટે અર્થપૂર્ણ તકોનું સર્જન કરે છે અને કુશળ તથા વિકસિત ભારતના વ્યાપક વિઝનને પણ આગળ ધપાવે છે.”
શ્રી આશુતોષ તેલાંગ, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ – એચઆર એન્ડ એડમિનિસ્ટ્રેશન, AM/NS Indiaએ જણાવ્યું હતું કે, “AM/NS Indiaમાં અમે માનીએ છીએ કે ઔદ્યોગિક વિકાસ અને સમુદાયનો વિકાસ સાથે-સાથે આગળ વધવો જોઈએ. આ કાર્યક્રમ દ્વારા અમે સ્થાનિક યુવાનોની રોજગારક્ષમતા વધારવા, તેમના માટે નવી તકોનું સર્જન કરવા અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે વધુ મજબૂત પ્રતિભા આધાર (Talent Pipeline) તૈયાર કરવાનો હેતુ ધરાવીએ છીએ.”

પ્રોફ. (ડૉ.) અનુપમ શુક્લા, ડિરેક્ટર, SVNITએ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ ઉદ્યોગ અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના મજબૂત સહયોગનું ઉત્તમ પ્રતિબિંબ છે. શૈક્ષણિક શ્રેષ્ઠતા અને વાસ્તવિક ઔદ્યોગિક અનુભવના સમન્વય દ્વારા અમે તાલીમાર્થીઓને ઉદ્યોગની સતત બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા અને દેશના વિકાસમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે તૈયાર કરી રહ્યા છીએ.”
એમ્પ્લોયેબિલિટી એનહાન્સમેન્ટ પ્રોગ્રામ AM/NS Indiaની સમુદાય વિકાસ, કૌશલ્ય વિકાસ અને સુરત સહિતના વિસ્તારોના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાની પ્રતિબદ્ધતાનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ગત અઠવાડિયે AM/NS Indiaની ભારત સરકારની ફ્લેગશિપ પહેલ પ્રધાનમંત્રી સ્કિલિંગ એન્ડ એમ્પ્લોયેબિલિટી ટ્રાન્સફોર્મેશન થ્રુ અપગ્રેડેડ ITIs (PM-SETU) અંતર્ગત સુરત ITI ક્લસ્ટર માટે એન્કર ઇન્ડસ્ટ્રી પાર્ટનર તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ક્લસ્ટરમાં ITI સુરતને હબ સંસ્થા તરીકે તેમજ ITI હજીરા, બારડોલી, સચિન અને સુરત (મહિલા)ને સ્પોક સંસ્થાઓ તરીકે સામેલ કરવામાં આવી છે, જેથી ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ વ્યાવસાયિક તાલીમ અને રોજગારક્ષમતાને વધુ મજબૂત બનાવી શકાય.
આ બંને પહેલ AM/NS Indiaના એ વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે કે ઉદ્યોગ, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચેનો સહયોગ જ ભારતના મેન્યુફેક્ચરિંગ વિકાસને વેગ આપવા સક્ષમ કુશળ માનવબળનું નિર્માણ કરી શકે છે અને વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
સુરતની IIFD સંસ્થા દ્વારા ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એક્ઝિબિશન ‘આરાસા’નું શાનદાર આયોજન: 10 અનોખી થીમ પર 50થી વધુ વિદ્યાર્થીઓએ બતાવી પોતાની કળા
સુરત. સુરતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા IIFD (ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આરાસા’ નામથી યોજાયેલા આ પ્રદર્શનમાં સંસ્થાના વિદ્યાર્થીઓએ પોતાની અદભુત સર્જનાત્મકતા અને કળાનું પ્રદર્શન કર્યું હતું.
IIFD સુરતના ફાઉન્ડર ડાયરેક્ટર શ્રી મુકેશ માહેશ્વરીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, “અમે છેલ્લા 12 વર્ષથી સતત આ એક્ઝિબિશનનું સફળતાપૂર્વક આયોજન કરી રહ્યા છીએ. આ વર્ષે ‘આરાસા’ પ્રદર્શનમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગના 50થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ અલગ-અલગ સ્પેસ ડિઝાઇન કરવાની સાથે સાથે વિશિષ્ટ થીમ આધારિત અનોખું ફર્નિચર પણ તૈયાર કર્યું હતું.”
આ પ્રદર્શનની મુખ્ય વિશેષતા એ હતી કે તેમાં કુલ 10 અલગ-અલગ અને રસપ્રદ થીમ રાખવામાં આવી હતી. જેમાં એન્ઝાયટી, હેપીનેસ જેવી માનસિક સ્થિતિઓને દર્શાવતી થીમ ઉપરાંત પ્રાણીપ્રેમીઓ માટે ખાસ ‘ડોગ ફ્રેન્ડલી ફર્નિચર’ બનાવવામાં આવ્યું હતું, જ્યાં પાલતુ શ્વાનની સાથે તેના માલિક પણ આરામથી બેસી શકે છે. આ સિવાય પ્રકૃતિથી પ્રેરિત ફ્લેમિંગો થીમ, સંગીતના સાધનોથી પ્રેરિત મ્યુઝિકલ થીમ, જ્યોમેટ્રિકલ શેપ્સ થીમ તેમજ અત્યાધુનિક 3D ડિઝાઇન પર આધારિત ફર્નિચર આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, IIFD સંસ્થા સુરતમાં છેલ્લા 13 વર્ષથી કાર્યરત છે અને 2014થી ફેશન, ઇન્ટિરિયર, ઇવેન્ટ મેનેજમેન્ટ તેમજ સ્કિલ ઇન્ડિયા અભિયાન અંતર્ગત રોજગારલક્ષી સ્કિલ ડેવલપમેન્ટના વિવિધ કોર્સ કરાવી રહી છે. સંસ્થાનું માનવું છે કે આજના સમયમાં પરંપરાગત શિક્ષણ કરતાં કૌશલ્ય આધારિત (સ્કિલ્ડ) શિક્ષણનું મહત્વ ઘણું વધારે છે. સામાન્ય રીતે ધોરણ 12 પછી વિદ્યાર્થીઓ આ ક્ષેત્રમાં 3 વર્ષના કોર્સ દ્વારા કોલેજની સાથે અથવા સ્વતંત્ર રીતે પોતાનું ઉજ્જવળ કરિયર બનાવી શકે છે અને ભવિષ્યમાં સફળ ઇન્ટિરિયર કે ફેશન ડિઝાઇનર તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે.
ગૂગલ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફ્લિપકાર્ટ સહિતની વૈશ્વિક કંપનીઓના મેન્ટર્સ રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને આપ્યું કરિયર માર્ગદર્શન
સુરત ખાતે 10 અને 11 જુલાઈના રોજ યોજાયેલ ‘ફ્યુચર ફોરવર્ડ 2.0–2026’માં સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
સુરત : સુરત રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશન દ્વારા તા. 10 અને 11 જુલાઈ, 2026 દરમિયાન સુરતના જમનાબા વિદ્યાર્થી ભવન ખાતે બે દિવસીય વિશિષ્ટ કરિયર માર્ગદર્શન, ટેક્નોલોજી અને સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમ “ફ્યુચર ફોરવર્ડ 2.0 – 2026″નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 1200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આગામી રોજગાર, કરિયર અને આધુનિક ઇન્ડસ્ટ્રીની જરૂરિયાતો માટે તૈયાર કરવાનો હતો. બે દિવસ દરમિયાન દેશ-વિદેશની અગ્રણી કંપનીઓમાં કાર્યરત અનુભવી ઇન્ડસ્ટ્રી મેન્ટર્સ વિદ્યાર્થીઓને નવીન ટેક્નોલોજી, કરિયર પ્લાનિંગ, પ્રોફેશનલ સ્કિલ્સ, ઇન્ડસ્ટ્રી ટ્રેન્ડ્સ અને કોર્પોરેટ વિશ્વની વાસ્તવિક જરૂરિયાતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં ગૂગલ, ફ્લિપકાર્ટ, ઓરેકલ, ઇન્ફોસિસ, ફિલિપ્સ, સુઝુકી, મેકિન્સી એન્ડ કંપની સહિતની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કાર્યરત નિષ્ણાતો પોતાના અનુભવ વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા. જેમાં શ્રી અંકિત દુબે (સિનિયર યુએક્સ ડિઝાઇનર), શ્રી અભિજીત બેન્ડીગીરી (ડિરેક્ટર – પ્રોડક્ટ મેનેજમેન્ટ), શ્રી અભિજિથ ગિરિન (આર એન્ડ ડી એન્જિનિયર), શ્રી ઋષભ અગ્રવાલ (સિનિયર લીડ ડેટા એન્જિનિયર) તથા ફિલ્મ ડિરેક્ટર શ્રી જય પરીખ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પેનલ ડિસ્કશન પણ યોજાયું હતું. જેમાં પેનલિસ્ટ તરીકે મોહિત સાવલિયા, પીયુષ નાકરાણી અને ચક્ષુ અદાણી ઉપસ્થિત રહ્યા હતા.
વિદ્યાર્થીઓના માર્ગદર્શન ઉપરાંત આ કાર્યક્રમમાં રેડ એન્ડ વ્હાઇટ સ્કિલ એજ્યુકેશનના ફેકલ્ટી સભ્યો માટે પણ વિશેષ ટ્રેનિંગ સત્રો પણ આયોજિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓના મેન્ટર્સે ફેકલ્ટીને નવીન ઇન્ડસ્ટ્રી પ્રેક્ટિસ, ટેક્નોલોજી અને શિક્ષણ પદ્ધતિઓ અંગે તાલીમ આપી હતી, જેથી તેઓ વધુ અસરકારક રીતે વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી-રેડી બનાવી શકે.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેઝોન સોલારના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ચિરાગ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા.
આયોજકોના જણાવ્યા મુજબ “ફ્યુચર ફોરવર્ડ 2.0 – 2026” માત્ર એક કરિયર ગાઇડન્સ કાર્યક્રમ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક દુનિયા માટે આત્મવિશ્વાસ, યોગ્ય માર્ગદર્શન અને જરૂરી કુશળતાઓ સાથે સજ્જ બનાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો.
મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી ખાતે ઐતિહાસિક પરિવર્તનની નિમિત્તે આભારવિધિ, ટાઈમ કેપ્સ્યુલ સમર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
સુરત, 4 જુલાઈ 2026: મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (MS-IDPT), સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ઑફ આર્કિટેક્ચરના એસસીઈટી કેમ્પસમાંથી નવા એમએસ-આઈડીપીટી કેમ્પસમાં થયેલા ઐતિહાસિક સ્થળાંતરના અવસરે આભારવિધિ, ટાઈમ કેપ્સ્યુલ સમર્પણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વર્ષ 1995માં સ્થાપિત AAERT અને SSB ફેકલ્ટી ઑફ આર્કિટેક્ચર છેલ્લા ત્રણ દાયકાથી આર્કિટેક્ટ્સ, પ્લાનર્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કલાકારો અને સર્જનાત્મક વ્યાવસાયિકોની અનેક પેઢીઓનું ઘડતર કરતી આવી છે. શૈક્ષણિક વર્ષ 2026–27થી આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્લાનિંગ, ફાઇન આર્ટ્સ તથા વિઝ્યુઅલ આર્ટ્સના તમામ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો નવા મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (MS-IDPT) કેમ્પસમાં શરૂ થઈ રહ્યા છે. આ પ્રસંગે સંસ્થાએ પોતાના જૂના કેમ્પસ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેની ગૌરવશાળી પરંપરાને વંદન કર્યું. કાર્યક્રમની શરૂઆત સત્યનારાયણ પૂજા સાથે કરવામાં આવી, જેમાં સંસ્થાના નવા અધ્યાય માટે શુભાશિષ અને પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ ‘ટાઈમલેસ સ્ટ્રક્ચર અને ટાઈમ કેપ્સ્યુલ’નું સમર્પણ કરવામાં આવ્યું. આ કેપ્સ્યુલમાં વર્ષો દરમિયાન પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ, સ્મૃતિઓ, ફોટોગ્રાફ્સ, પ્રકાશનો, અહેવાલો, સંદેશાઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોના અમૂલ્ય યોગદાનને સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ ટાઈમ કેપ્સ્યુલ જુલાઈ 2045માં ફેકલ્ટીની સુવર્ણ જયંતિ નિમિત્તે ખુલ્લી મુકવામાં આવશે.





સાર્વજનિક યુનિવર્સિટીએ પાંચ વર્ષની ગૌરવપૂર્ણ સફરની અનોખી ઉજવણી કરી
સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સાર્વજનિક યુનિવર્સિટીએ તેની સ્થાપનાના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જૂન માસ દરમિયાન શૈક્ષણિક, સામાજિક અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોની શ્રેણી યોજી અનોખી રીતે ઉજવણી કરી હતી. શિક્ષણ, સંશોધન, નવાચાર અને સામાજિક ઉત્તરદાયિત્વને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટીએ સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.
યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક ચિંતન શિબિર, ઓપન ટેબલ ચર્ચાઓ, સ્કોલરશિપ વિતરણ, વૃક્ષારોપણ, રક્તદાન શિબિર તેમજ નવી સાર્વજનિક કોલેજ ઓફ લિબરલ આર્ટ્સના પ્રારંભ સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ શૈક્ષણિક વ્યાખ્યાનો, સંવાદો અને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓએ ઉજવણીને વિશેષ અર્થપૂર્ણ બનાવી હતી.
માસભરની ઉજવણીનું સમાપન સંસ્થાના દાતાઓ અને પૂર્વ અધ્યક્ષોના સન્માન તથા ઋણસ્વીકાર સમારોહ સાથે કરવામાં આવ્યું. પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં ડૉ. ફારુખભાઈ, શ્રી સેવંતીભાઈ, શ્રી ગિરીશભાઈ, શ્રી પંકજભાઈ, શ્રી કીર્તિભાઈ, કીકાણી પરિવાર, શ્રી કેતનભાઈ સહિત અનેક દાતાઓ અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ યુનિવર્સિટીની પ્રગતિ, સમાજસેવા અને શિક્ષણક્ષેત્રે આપવામાં આવેલા યોગદાનને બિરદાવ્યું હતું.
પોતાના સંબોધનમાં ડૉ. ફારુખભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસોની સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જેવી સંસ્થાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે KP Group ભવિષ્યમાં પણ આવા શિક્ષણલક્ષી કાર્યોમાં સહયોગ આપતું રહેશે.
શ્રી સેવંતીભાઈએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સંસ્થા તથા દાતાઓના યોગદાનને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. શ્રી ગિરીશભાઈએ સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા નેતૃત્વને વધુ જવાબદારી સોંપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી પંકજભાઈએ સંસ્થા સાથેના પોતાના વર્ષો જૂના આત્મીય સંબંધોને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
SCET કોલેજના પ્રથમ દાતા ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી કીર્તિભાઈ ખાસ મુંબઈથી ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ અધ્યક્ષો તરફથી શ્રી આર. જી. શાહે જણાવ્યું હતું કે દાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ પરંપરા સંસ્થાના મૂલ્યો અને જવાબદારીનું ઉત્તમ પ્રતિબિંબ છે.
કાર્યક્રમમાં સંસ્થાના દ્વિતીય પ્રમુખ શ્રી દિનકરરાય, વાઇસ ચેરમેન ડૉ. કિશોરભાઈ, શ્રી અજીતભાઈ, મેનેજિંગ કમિટીના સભ્યો, વિવિધ સંસ્થાઓના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફાધર્સ ડે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અનોખી ઉજવણી
પિતા-બાળકો સાથે મળીને કર્યો યોગાભ્યાસ, રમતો, ડાન્સ અને પિકલબોલ જેવી પ્રવૃત્તિઓમાં ઉમંગભેર જોડાયા સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફાધર્સ ડે અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પિતાઓ અને તેમના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. યોગ, રમતો, ડાન્સ અને વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા પિતા અને બાળકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત યોગ સત્રથી કરવામાં આવી હતી, જેમાં પિતા અને બાળકોએ સાથે મળીને યોગાભ્યાસ કર્યો હતો. આ દરમિયાન શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને સ્વસ્થ જીવનશૈલીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ યોજાયેલી વિવિધ રમતો, ડાન્સ સત્રો અને પિકલબોલ પ્રવૃત્તિઓમાં પિતાઓએ બાળકો સાથે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર સ્કૂલ કેમ્પસમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

સુરતથી બેલ્જિયમ સુધી : ઉત્કર્ષ ડાન્સ એકેડમી ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવશે
સુરતની જાણીતી ઉત્કર્ષ ડાન્સ એકેડમી એલ.એલ.પી. છેલ્લા 32 વર્ષથી ભરતનાટ્યમ તેમજ પરંપરાગત લોકનૃત્યોના સરકાર માન્ય વર્ગો સફળતાપૂર્વક ચલાવી રહી છે. સંસ્થાના સ્થાપક અને ડિરેક્ટર શ્રીમતી બેહનાઝ એસ. તોડીવાલાના માર્ગદર્શન હેઠળ ઉત્કર્ષની 15 વર્ષથી વધુ વય ધરાવતી 23 પ્રતિભાશાળી નૃત્યાંગનાઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે બેલ્જિયમ ખાતે યોજાનારા વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવ “ASBL Festifolk Festival Mondial de Folklore de la Ville de Saint-Ghislain”માં ભાગ લેવા જઈ રહી છે. આ મહોત્સવ 16થી 26 જૂન, 2026 દરમિયાન યોજાશે.
આ આંતરરાષ્ટ્રીય લોકનૃત્ય મહોત્સવમાં વિશ્વના 13 દેશો ભાગ લઈ રહ્યા છે. ગૌરવની વાત એ છે કે સમગ્ર ભારતમાંથી સુરતની ઉત્કર્ષ ડાન્સ એકેડમીની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આર્જેન્ટિના, બોલિવિયા, લિથુઆનિયા, કોલંબિયા, દક્ષિણ કોરિયા, મેક્સિકો, પોલેન્ડ અને સર્બિયા સહિતના દેશોના કલાકારો પણ પોતાની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે.
ઉત્કર્ષની નૃત્યાંગનાઓ પશ્ચિમ બંગાળનું ડાળખાઈ, કેરળનું કરગમ, ભગવાન ગણપતિની આરતી પર આધારિત લેઝીમ, રાજસ્થાનનાં તેરાતાલી અને કલબેલિયા, પંજાબનું ભાંગડા તેમજ ગુજરાતના ડાંગ વિસ્તારનું લોકપ્રિય ડાંગી નૃત્ય સહિત વિવિધ રાજ્યોના લોકનૃત્યો રજૂ કરશે. આ તમામ પ્રસ્તુતિઓ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાનો પરિચય વિશ્વ સમક્ષ કરાવશે.
સમગ્ર કાર્યક્રમ જીવંત સંગીત (લાઇવ મ્યુઝિક) સાથે રજૂ કરવામાં આવશે. જેમાં ઢોલ પર ચેતુલાલ ભટ્ટ, વાંસળી પર કુમાર કૃષ્ણન અને ગાયક તરીકે હિતેશ સંદાને સંગીતની જવાબદારી સંભાળશે.

બાળકો અને યુવા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે તા. 9 ફેબ્રુઆરી, 2026ના રોજ “નૃત્ય બિયૉન્ડ બોર્ડર્સ – 2” કાર્યક્રમનું આયોજન પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર ઓડિટોરિયમ, પાલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 300થી વધુ લોકોએ હાજરી આપી કલાકારોને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે શુભેચ્છાઓ અને પ્રોત્સાહન આપ્યું હતું.
માત્ર 35 દિવસના ટૂંકા ગાળામાં 7થી 8 વિવિધ રાજ્યોના લોકનૃત્યોની સફળ તૈયારી કરનાર તમામ નૃત્યાંગનાઓ અભિનંદનને પાત્ર છે. આ સમગ્ર તૈયારી દરમિયાન પ્રેક્ટિસ માટે સંસ્કાર ભારતી વિદ્યાલયનું ઓડિટોરિયમ ઉપલબ્ધ કરાવવા તેમજ સતત સહયોગ, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા બદલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જગદીશભાઈ ઇટાલિયાનો ઉત્કર્ષ ડાન્સ એકેડમી પરિવાર હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.
આ ડાન્સ ફેસ્ટિવલ માટે રજૂ થનારા તમામ નૃત્યોની કોરિયોગ્રાફી અને તાલીમનો મુખ્ય શ્રેય બેહનાઝબેન તોડીવાલાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ઉત્કર્ષ ટીમની તમન્ના પટેલ અને નિક્ષિતા જૈનને જાય છે. સાથે જ ખ્યાતી દેસાઈ અને પૂજા ભગતના અમૂલ્ય યોગદાન બદલ પણ સંસ્થા તેમની પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
બેલ્જિયમમાં યોજાનારા આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં ઉત્કર્ષ ડાન્સ એકેડમીની ભાગીદારી માત્ર સંસ્થા માટે જ નહીં પરંતુ સમગ્ર સુરત અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે ઉત્કર્ષની નૃત્યાંગનાઓ વિશ્વ મંચ પર ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને લોકકલાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરશે.
આપના વિશ્વાસુ,
શ્રીમતી બેહનાઝ એસ. તોડીવાલા ડિરેક્ટર ઉત્કર્ષ ડાન્સ એકેડમી એલ.એલ.પી., સુરત
ગુણવત્તાયુક્ત શિક્ષણની પહોંચને મજબૂત બનાવવા માટે ઉમરપાડામાં લીલાબેન મોહનલાલ શાહ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન
ઉમરપાડા, સુરત, ગુજરાત: ઉમરપાડામાં લીલાબેન મોહનલાલ શાહ વિદ્યા મંદિરનું ઔપચારિક ઉદ્ઘાટન ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવાની માનનીય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું, જેઓ આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં જાણીતા શિક્ષણવિદ, લેખક, વક્તા અને સામાજિક યોગદાન આપનાર ડૉ. જય વાશી, શાહ પરિવારના સભ્યો, સમુદાયના નેતાઓ, માતાપિતા, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહેવાસીઓ પણ હાજર રહ્યા હતા.
શિક્ષણ, આરોગ્યસંભાળ, ગૌરવ અને સમુદાય કલ્યાણ દ્વારા અર્થપૂર્ણ સામાજિક પ્રભાવ બનાવવાની તેની સતત પ્રતિબદ્ધતાના ભાગ રૂપે, કલામંદિર જ્વેલર્સ લિમિટેડના કલ્યાણ અને સીએસઆર પહેલ, કલામંદિર વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા શાળાની સ્થાપના કરવામાં આવી છે.
શ્રીમતી લીલાબેન મોહનલાલ શાહ અને શ્રી મોહનલાલ શાહ (ચેરમેન, કલામંદિર જ્વેલર્સ લિમિટેડ) ના નામ પરથી આ સંસ્થા સાદગી, કરુણા, સેવા અને સમાજ પ્રત્યેની ઊંડી પ્રતિબદ્ધતાના તેમના મૂલ્યોને આગળ ધપાવે છે. ઉદ્ઘાટન પ્રસંગે તેમની હાજરીએ આ પ્રસંગને ખાસ અર્થપૂર્ણ બનાવ્યો, કારણ કે શાળા તેમની માન્યતાને જીવંત શ્રદ્ધાંજલિ તરીકે ઉભી છે કે સાચી સફળતા ફક્ત વ્યક્તિ પોતાના માટે શું બનાવે છે તેના દ્વારા જ નહીં, પરંતુ ભવિષ્યની પેઢીઓ માટે શું બનાવે છે તેના દ્વારા માપવામાં આવે છે.
દક્ષિણ ગુજરાતના ગ્રામીણ અને આદિવાસી પ્રદેશ ઉમરપાડામાં સ્થિત, શાળા એવા બાળકો અને પરિવારોની સેવા કરવાનો હેતુ ધરાવે છે જેમને ગુણવત્તાયુક્ત શિક્ષણની તકોની મજબૂત પહોંચની જરૂર હોય છે. આ પ્રદેશના ઘણા બાળકો માટે, શાળા શિક્ષણ કરતાં વધુ રજૂ કરે છે; તે આશા, આત્મવિશ્વાસ, ગૌરવ અને સારા ભવિષ્ય માટેનો માર્ગ રજૂ કરે છે.

હાલમાં કિન્ડરગાર્ટનથી ધોરણ 8 સુધી શિક્ષણ પ્રદાન કરતી, લીલાબેન મોહનલાલ શાહ વિદ્યા મંદિર ઉમરપાડા અને તેની આસપાસના બાળકોને સુલભ, મૂલ્ય-આધારિત અને સર્વાંગી શિક્ષણ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. શાળાનું મુખ્ય ધ્યાન શૈક્ષણિક શિક્ષણને મૂલ્યો, શિસ્ત, રમતગમત, આત્મવિશ્વાસ નિર્માણ અને એકંદર વ્યક્તિત્વ વિકાસ સાથે જોડવાનું છે, જેથી બાળકો માત્ર સારા વિદ્યાર્થીઓ તરીકે જ નહીં, પરંતુ જવાબદાર વ્યક્તિ તરીકે પણ વિકાસ પામે.
ઉદ્ઘાટન સમારોહના ભાગ રૂપે, વિદ્યાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું, જે તેમની શૈક્ષણિક યાત્રા માટે આશીર્વાદ અને શુભેચ્છાઓનું પ્રતીક છે. વિદ્યાર્થીઓને પુસ્તકોની કીટ અને શાળા ગણવેશનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જે તેમના નવા શૈક્ષણિક માર્ગની શરૂઆતને પ્રોત્સાહન અને ગૌરવ સાથે ચિહ્નિત કરે છે.
ડૉ. જય વાશીએ તેમના સંબોધનમાં ભાર મૂક્યો હતો કે શિક્ષણ ફક્ત સાક્ષરતા વિશે જ નથી, પરંતુ ચારિત્ર્ય, આત્મવિશ્વાસ, મૂલ્યો અને મર્યાદાઓથી આગળ સ્વપ્ન જોવાની હિંમત વિશે છે.
કલામંદિર વેલ્ફેર ફાઉન્ડેશન વતી બોલતા, પ્રતિનિધિઓએ પુનઃપુષ્ટિ કરી કે ફાઉન્ડેશનનું કાર્ય એક સરળ માન્યતા દ્વારા સંચાલિત છે: સમાજને પાછું આપવું એ કોઈ પ્રવૃત્તિ નથી, પરંતુ એક જવાબદારી છે. કલામંદિર પરિવારની પરોપકારી પ્રતિબદ્ધતાએ લાંબા ગાળાના અને અર્થપૂર્ણ પ્રભાવ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને શિક્ષણ, આરોગ્યસંભાળ, ભૂખમરા રાહત, ગૌરવ અને સામાજિક કલ્યાણમાં પહેલને સતત સમર્થન આપ્યું છે.
લીલાબેન મોહનલાલ શાહ વિદ્યા મંદિરનું ઉદ્ઘાટન ફક્ત શાળાના મકાનનું ઉદ્ઘાટન જ નહીં, પરંતુ વધુ સારી તકો, મજબૂત સમર્થન અને ઉજ્જવળ ભવિષ્યને પાત્ર બાળકો સુધી શિક્ષણનો પ્રકાશ પહોંચાડવાના સામૂહિક પ્રયાસની શરૂઆત છે.
“શિક્ષણ એ સમાજમાં આપણે કરી શકીએ તેવું સૌથી અર્થપૂર્ણ રોકાણ છે. લીલાબેન મોહનલાલ શાહ વિદ્યા મંદિર દ્વારા, અમે આત્મવિશ્વાસુ, દયાળુ અને સક્ષમ બાળકોનો ઉછેર કરવાની આશા રાખીએ છીએ જે તેમના પરિવારો, સમુદાયો અને સમાજમાં સકારાત્મક યોગદાન આપશે.”
જારી કરનાર:
કલામંદિર વેલફેર ફાઉન્ડેશન
કલામંદિર જ્વેલર્સ લિમિટેડની CSR પહેલ
વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની માન્યા ડ્રોલિયાએ કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ 2026માં રચ્યો ઇતિહાસ
સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે ગૌરવ અને આનંદની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની માન્યા ડ્રોલિયાએ શ્રીલંકામાં યોજાયેલી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ભારત અને પોતાની સ્કૂલનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું.
અસાધારણ પ્રતિભા, વ્યૂહાત્મક કુશળતા અને અડગ સમર્પણનું ઉત્તમ પ્રદર્શન કરતાં માન્યાએ સ્પર્ધાના ત્રણેય ફોર્મેટમાં મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે ક્લાસિકલ ફોર્મેટમાં સુવર્ણ ચંદ્રક, બ્લિટ્ઝ ફોર્મેટમાં રજત ચંદ્રક અને રેપિડ ફોર્મેટમાં કાંસ્ય ચંદ્રક મેળવી ભારતનું ગૌરવ વધાર્યું છે.
કોમનવેલ્થ દેશોના શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ વચ્ચેની કઠિન સ્પર્ધામાં માન્યાએ ધૈર્ય, આત્મવિશ્વાસ અને ઉત્તમ રમત કુશળતાનું પ્રદર્શન કર્યું. તેમની આ સિદ્ધિ વર્ષોની મહેનત, શિસ્ત, લગન અને ચેસ પ્રત્યેના અવિરત સમર્પણનું પરિણામ છે.

માન્યાની આ ઐતિહાસિક સફળતા બદલ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હર્ષ વ્યક્ત કરીને તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. સ્કૂલ પરિવારે આ સિદ્ધિને માત્ર સંસ્થાનો નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે.
માન્યાની આ ઉપલબ્ધિ યુવા પેઢી માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. તે સાબિત કરે છે કે દૃઢ નિશ્ચય, સતત અભ્યાસ અને આત્મવિશ્વાસના બળ પર કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

સ્કૂલ પરિવારને વિશ્વાસ છે કે માન્યા ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી સફળતાઓ હાંસલ કરીને ભારતનું નામ વધુ ગૌરવપૂર્ણ બનાવશે. માન્યા ડ્રોલિયાને આ ઐતિહાસિક ત્રિ-મેડલ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. તેમની સફળતાએ સમગ્ર દેશને ગૌરવની લાગણી અનુભવાવી છે.
શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ દ્વારા સુરતમાં બે નવી પ્રી-સ્કૂલ શાખાઓનો પ્રારંભ
સુરત: શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ દ્વારા પ્રારંભિક બાળશિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં સુરત શહેરમાં બે નવી પ્રી-સ્કૂલ શાખાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુરુ નેક્સ્ટજેન પ્રી-સ્કૂલનું ઉદ્ઘાટન તા. 5 જૂન, 2026ના રોજ આનંદ મહેલ રોડ, અડાજણ ખાતે કરવામાં આવ્યું. આ સંસ્થા શ્રી મુકેશ પટેલ (ચેરમેન), શ્રીમતી ઈવા શાહ (મેનેજિંગ ડિરેક્ટર) તથા શ્રી રાજેન્દ્ર પારેખ (કો-ફાઉન્ડર) ના નેતૃત્વ હેઠળ કાર્યરત છે. અહીં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કે.જી., સિનિયર કે.જી. તેમજ ડે-કેરની સુવિધા ઉપલબ્ધ છે.
તદુપરાંત, ગુરુ કિડ્સ ઝોન પ્રી-સ્કૂલનું ઉદ્ઘાટન તા. 6 જૂન, 2026ના રોજ ગોડાદરા, સુરત ખાતે કરવામાં આવ્યું. આ સંસ્થા શ્રી મુકેશ પટેલ (ચેરમેન) અને મિસ મિતા જાવિયા (મેનેજિંગ ડિરેક્ટર) ના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. અહીં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કે.જી. અને સિનિયર કે.જી. ના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.

બંને પ્રી-સ્કૂલમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સુરક્ષિત, પ્રેમાળ અને પ્રવૃત્તિ આધારિત શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંચાલક મંડળે જણાવ્યું હતું કે આ નવી શાખાઓ શરૂ કરવાનો મુખ્ય હેતુ સુરતના વધુને વધુ પરિવારો સુધી ગુણવત્તાસભર પ્રી-સ્કૂલ શિક્ષણ પહોંચાડવાનો છે, જેથી દરેક બાળકને વ્યક્તિગત ધ્યાન, યોગ્ય સંભાળ અને સર્વાંગી વિકાસની તકો મળી રહે.
મેનેજમેન્ટ તરફથી શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના ચેરમેન શ્રી મુકેશ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમની દ્રષ્ટિ, નેતૃત્વ અને શિક્ષણ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા સંસ્થાને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા અને ભાવિ પેઢીને ઘડવામાં સતત પ્રેરણા આપી રહી છે.
શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
આ નવી શાખાઓના પ્રારંભ સાથે SGVS સુરતના વધુ પરિવારો સુધી ગુણવત્તાયુક્ત પ્રી-સ્કૂલ શિક્ષણ પહોંચાડવાની અને નાનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની પોતાની યાત્રાને આગળ વધારી રહ્યું છે.