અમૃતકાલના પ્રકલ્પ સાથે ગ્રીનમેન વિરલ દેસાઈ ઉજવી રહ્યા છે ‘ટ્રી ગણેશા’

 

સુરત: જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી ‘ટ્રી ગણેશા’ નામે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, જે મહોત્સવના કેન્દ્રમાં ગણેશજીની ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવના પણ મુખ્યત્વે હોય છે. એ અંતર્ગત આ વર્ષે વિરલ દેસાઈએ ‘અમૃતકાલ’ના પ્રકલ્પ સાથે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ પર ‘ટ્રી ગણેશા’નું આયોજન કર્યું છે.

‘ટ્રી ગણેશા’ના આ આયોજનમાં ગુજરાતનું વન વિભાગ અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, સુરત પણ સત્તાવાર રીતે સંકળાયેલા છે. તેમના આ પ્રકલ્પ વિશે તેમણે જણાવ્યું હતું કે, ‘અમૃતકાલ એટલે કે મિશન 2047નો પ્રકલ્પ લેવાનું મુખ્ય કારણ એ છે કે જેમ આઝાદીના 75મા વર્ષે આપણી આગલી પેઢીના અથાક પ્રયત્નોથી આપણને એક સુંદર અને સશક્ત ભારતની ભેટ મળી છે એમ 2047મા દેશ સો વર્ષનો‌ થશે ત્યારે આપણા અથાક પ્રયત્નોથી આપણે આપણી આવનારી પેઢીને સ્વચ્છ અને સશક્ત પર્યાવરણની ભેટ આપવાની છે. એ માટે આપણે સૌએ સજ્જ અને સજાગ થવું પડશે અને એ સજાગતા માટે જાગૃતિ આવે એ માટે જ અમે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ રાખી છે.’

ઉલ્લેખનીય છે કે સુરતભરની અનેક સ્કૂલો અને કૉલેજો ‘ટ્રી ગણેશા’ની મુલાકાત લઈ રહી છે અને વિદ્યાર્થીઓ ‘પર્યાવરણ સેનાની’ બનીને ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણ‌ માટે સજ્જ થઈ રહ્યાં છે. આ‌ ગણેશ મહોત્સવમાં હજારોની સંખ્યામાં વૃક્ષોના રોપાનું વિતરણ થઈ રહ્યું છે તેમજ આખા વર્ષ દરમિયાન વિવિધ શાળાઓ અને કૉલેજોમાં  ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ’ અંતર્ગત જાગૃતિ અભિયાનો ચલાવાશે. તેમજ અનેક અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરવામાં આવશે.

રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસંશા પામેલી ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ને ભારતના સિનેમાઘરોમાં પ્રસ્તુત કરશે.

 

સિદ્ધાર્થ રોય કપૂરની રોય કપૂર ફિલ્મ્સ પાન નલિનની ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો), ભારતમાં પ્રેક્ષકો માટે સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવા માટે તૈયાર છે. આ ગુજરાતી ભાષાની ફિલ્મએ વિશ્વભરના વિવેચકો અને પ્રેક્ષકોના દિલો પર કબ્જો જમાવ્યો છે અને હવે 14મી ઑક્ટોબર 2022ના રોજ ગુજરાતના થિયેટરોમાં અને દેશભરના સિલેકટેડ સ્ક્રીન પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્માણ રોય કપૂર ફિલ્મ્સ , જુગાડ મોશન પિક્ચર્સ, મોનસૂન ફિલ્મ્સ, છેલ્લો શો એલએલપી અને માર્ક ડ્યુઅલ દ્વારા કરવામાં આવ્યું છે.

દિગ્દર્શક પાન નલિનની ગ્રામીણ ગુજરાતમાં બાળપણમાં ફિલ્મોના પ્રેમમાં પડવાની પોતાની યાદોથી પ્રેરિત, ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ડિજિટલ ક્રાંતિની વાત કરે છે ઉપરાંત પ્રકાશ અને પડછાયાનું વિજ્ઞાન જે સેલ્યુલોઇડ ફિલ્મ પ્રોજેક્શન પાછળ રહેતી એવી ફિલ્મોના જાદુમાં ફસાયેલા નવ વર્ષના છોકરાને અનુસરે છે. સામાજિક દબાણો અને આર્થિક અનિશ્ચિતતા બંનેથી લડીને, તે "ફિલ્મ શો" માટેના તેના જુસ્સાને એક-દિમાગી નિષ્ઠા સાથે આગળ ધપાવે છે, જે તકનીકી ઉથલપાથલથી તેના સપનાને નુકસાન પહોંચાડતી વાતથી બેધ્યાન છે. આ એક અધિકૃત, ઓર્ગેનિક અને ભાવનાત્મક રીતે જોડાયેલ ડ્રામા ફિલ્મ છે જે ફિલ્મો, જમવાનું અને મિત્રોની આસપાસ ફરે છે.

રોબર્ટ ડીનીરોના ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલમાં ઓપનિંગ ફિલ્મ તરીકે લાસ્ટ ફિલ્મ શો (ચેલો શો)નું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને વિવિધ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં બહુ બધા પુરસ્કારો જીત્યા હતા. સ્પેનના 66મા વૅલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન સ્પાઇક પુરસ્કાર સાથે આ ફિલ્મએ તેના થિએટર રન દરમિયાન વ્યવસાયિક સફળતા પણ મેળવી હતી. દિગ્દર્શક પાન નલિનની સફળતાની જર્નીમાં એવૉર્ડ વિનીંગ ફિલ્મો સમસારા,વેલી ઓફ ફ્લાવર્સ અને એંગ્રી ઈન્ડિયન ગોડેસીસનો સમાવેશ થાય છે, જેને ફિલ્મ ફેસ્ટિવલ્સ અને પ્રેક્ષકો બંને થકી પ્રસંશા મેળવી છે. તેઓને તાજેતરમાં એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા તેની પ્રતિષ્ઠિત ડિરેક્ટર્સ બ્રાન્ચમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર કહે છે, “અમે પાન નલિન અને ધીર મોમાયા સાથે આ આકર્ષક જોડાણ શરૂ કરવા માટે અતિ ઉત્સાહિત છીએ, ભારતીય પ્રેક્ષકોને એક અદ્દભુત ફિલ્મ ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) પ્રસ્તુત કરતા અમને આનંદ થાય છે આ ફિલ્મ ચોક્કસથી સિનેમાના જાદુ અને અજાયબીને સેલિબ્રેટ કરે છે. આ ફિલ્મને રિલીઝ કરવા માટે આનાથી વધુ યોગ્ય સમય હોઈ શકે નહીં જ્યારે વિશ્વભરમાં સિનેમા-જગત મહામારીના કારણે વિક્ષેપિત થઈ ગયું છે અને પ્રેક્ષકોને એ યાદ અપાવવાની જરૂર છે કે તેઓ કેવી રીતે અંધકારમય સિનેમા હોલમાં પ્રથમ વખત એક ફિલ્મ જોવાના અનુભવના પ્રેમમાં પડ્યા હતા. આ ગર્વની વાત છે કે કલાનું આટલું શક્તિશાળી કાર્ય ભારતમાંથી બહાર આવ્યું છે અને અમને ખાતરી છે કે સમગ્ર વિશ્વની જેમ ભારતના પ્રેક્ષકો પણ આ ફિલ્મના પ્રેમમાં પડશે.”

દિગ્દર્શક પાન નલિને વધુમાં જણાવ્યું, “અમે આ ફિલ્મમાં એવા નિર્માતા સાથે કામ કરવા માટે રોમાંચિત છીએ કે જેની હું ખરેખર પ્રશંસા કરું છું, સિદ્ધાર્થ રોય કપૂર. તેઓએ મનોરંજક સિનેમા બનાવવા માટે તેમનો જુસ્સો અને ઝંખના સાબિત કરી છે, અને તેમની સહાયથી, અમે ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) દ્વારા ભારતીય દર્શકોનું મનોરંજન કરવા આતુર છીએ. અમારી ફિલ્મને વિશ્વભરના દર્શકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે, અને રોય કપૂર ફિલ્મ્સના સમર્થન સાથે, અમે તેને મારા હોમ સ્ટેટ ગુજરાત અને બાકીના ભારતમાં સારી રીતે રિલીઝ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. હું એ વાતથી પણ ઉત્સાહિત છું કે ભારતની રિલીઝ યુએસએ, ઇટલી અને જાપાનમાં તેની થિયેટર રિલીઝ સાથે એકરુપ થશે.”

જુગાડ મોશન પિક્ચર્સના નિર્માતા ધીર મોમાયા કહે છે, “છેલ્લા કેટલાક મહિનાઓમાં, મને ફિલ્મ જોતી વખતે સિનેમા હોલમાં હસતા, રડતા, સીટી વગાડતા અને તાળી પાડતા ભારતીય અને આંતરરાષ્ટ્રીય દર્શકોને જોવાનો લહાવો મળ્યો છે. જબરજસ્ત પ્રતિસાદથી મારો આત્મવિશ્વાસ વધ્યો છે કે અમારી સ્થાનિક ફિલ્મ સંસ્કૃતિઓ, ભાષાઓ અને આઠથી એંસી સુધીના વય જૂથોને આવરી લે છે. સ્ક્રિનિંગ્સ પછી કાઠિયાવાડી મોંમાં પાણી આવી જાય તેવી વાનગીઓની સર્વસંમત માંગ હંમેશા રમુજી રહી છે, એટલા સુધી કે અમારા ઇટાલિયન અને જાપાનીઝ વિતરકોએ રેસીપી બુકની વિનંતી કરી છે જેથી તેઓ તેમના પ્રેક્ષકો માટે એ વાનગીઓ ઉપલબ્ધ કરાવી શકે.”

સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સ અને ઓરેન્જ સ્ટુડિયો અનુક્રમે યુ.એસ. અને યુરોપિયન બજારો માટે આંતરરાષ્ટ્રીય વિતરકો તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત, સુપ્રસિદ્ધ શોચીકુ સ્ટુડિયો જાપાની વિતરક તરીકે સેવા આપે છે, જ્યારે પ્રતિષ્ઠિત મેડુસા ઇટાલિયન સિનેમાઘરોમાં ધ લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) લાવશે.

યુ.એસ.-સ્થિત સેમ્યુઅલ ગોલ્ડવિન ફિલ્મ્સે અગાઉ ડેનિશ કોમેડી-ડ્રામા અધર રાઉન્ડનું વિતરણ કર્યું હતું, જેણે 2021માં 93મા એકેડેમી એવોર્ડ્સમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર માટેનો ઓસ્કાર જીત્યો હતો. તેમના ભૂટાનીઝ નાટક લુનાના: અ યાક ઇન ધ ક્લાસરૂમ માટે ગયા વર્ષે બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર એવોર્ડનું ઓસ્કાર નોમિનેશન પણ મેળવ્યું હતું. ફ્રાન્સમાં મુખ્ય મથક ધરાવતા ઓરેન્જ સ્ટુડિયોએ ધ આર્ટિસ્ટનું નિર્માણ કર્યું હતું, જેણે 2012માં 84મા એકેડેમી એવોર્ડ્સમાં પાંચ ઓસ્કાર જીત્યા હતા. 2020માં, તેણે એન્થોની હોપકિન્સ-સ્ટારર ધ ફાધર માટે પણ બે ઓસ્કાર જીત્યા હતા.

રોય કપૂર ફિલ્મ્સ વિશે:

રોય કપૂર ફિલ્મ્સ એ સિદ્ધાર્થ રોય કપૂર દ્વારા સ્થાપિત પ્રોડક્શન હાઉસ છે, જેની ફિલ્મોગ્રાફીમાં ભારતની કેટલીક સૌથી વ્યાવસાયિક રીતે સફળ અને વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોનો સમાવેશ થાય છે. તેની શરૂઆતથી, આરકેએફએ વિવિધ પ્રકારની ફિલ્મો અને શ્રેણીઓનું નિર્માણ કર્યું છે, જેમાં ધ સ્કાય ઇઝ પિંક, યે બેલેટ, પીહુ, અરણ્યક અને રોકેટ બોય્સનો સમાવેશ થાય છે. તેણે તાજેતરમાં આઠ પાવરહાઉસ નિર્માતાઓ સાથે વિવિધ શ્રેણીઓના નિર્માણ તેમજ વિલિયમ ડેલરીમ્પલની આંતરરાષ્ટ્રીય શ્રેણીમેગ્નમ ઓપસ ધ અનાર્કી ના એડપ્શનની જાહેરાત કરી છે. આરકેએફની આગામી ફીચર ફિલ્મોમાં એપિક 1971ની વોર ફિલ્મ પિપ્પા, કોમિક ડ્રામા વો લડકી હૈ કહાં અને બસ કરો આંટી! નો સમાવેશ થાય છે આ ઉપરાંત બીજી ઘણી ફિલ્મો ડેવલપમેન્ટમાં છે.

મોનસૂન ફિલ્મ્સ વિશે:

મોનસૂન ફિલ્મ્સની સ્થાપના પાન નલિન દ્વારા ઉત્કૃષ્ટ મનોરંજનના નિર્માણ માટે કરવામાં આવી હતી. આ કંપનીએ ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન અને યુ.એસ. સાથે મળીને ટોચના ફિક્શન અને નોન-ફિક્શન કન્ટેન્ટનું સફળતાપૂર્વક નિર્માણ કરવામાં પહેલ કરી છે. હાલમાં ફિલ્મો અને શોની યાદીમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ બજારોને ધ્યાનમાં રાખીને ઘણા પ્રોજેક્ટસ ડેવલપમેન્ટમાં છે.

જુગાડ મોશન પિક્ચર્સ વિશે:

જુગાડ મોશન પિક્ચર્સની એવોર્ડ-વિજેતા ફિલ્મો ટ્રિબેકા, બુસાન, BFI અને પામ સ્પ્રિંગ્સમાં પ્રદર્શિત કરવામાં આવી છે અને 25 થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રદેશોમાં થીએટ્રિક્લી વિતરિત કરવામાં આવી છે. 300 મિલિયનથી વધુ વ્યૂઝ ધરાવતા તેમના ક્લટર- બ્રેકિંગ મ્યુઝિક વીડિયો માટે જાણીતા, જુગાડે નેટફ્લિક્સ ઇન્ડિયા માટે બે મલ્ટિ-સિઝન ડ્રામા સિરીઝ અને હાઇ-એન્ડ સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટ-સિરીઝ સાથે લાંબા-ફોર્મેટના નિર્માણ કાર્ય ચાલુ કર્યા છે.

ઈન્ડિયન ક્રિકેટટીમનો પૂર્વ ફાસ્ટ બોલર મુનાફ પટેલ બનાવી રહ્યોછે અનેક ‘મુનાફ’

 

‘‘ મુન્ના, મુન્ના, મુન્ના ’’ આ નામની ચિચિયારીઓ ભરૂચ અને વડોદરા ડિસ્ટ્રીક્ટના દરેક ક્રિકેટના મેદાનોમાં ખૂબ ગુંજતી હતી અને આ નામ બાદમાં ઈન્ટરનેશન લેવલે ગુંજવા માંડ્યું. ત્યાં સુધી કે વર્ષ 2011ના વર્લ્ડકપની વિજેતા ટીમનો પણ તેને ‘અજ્ઞાત યોદ્ધા’ લેખાવાયો હતો. હવે આ યોદ્ધા તેની જેવા જ યોદ્ધાઓની ફૌજ તૈયાર કરવા જી-જાનથી મંડી પડ્યો છે. આ ‘મુન્નો’ છે ઈખર એક્સપ્રેસ તરીકે ઓળખાતા  ફાસ્ટ બોલર મુનાફ પટેલ.

હાઈએસ્ટ 140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકી ભલભલા બેસ્ટમેનને કંપાવનાર મુનાફ પટેલ નિવૃત્તિ બાદ બેસી રહેવાને બદલે તેમના જેવી જ ‘પ્રતિભા’ શોધીને તેને વિકસાવવાનું કામ બરોડા  ક્રિકેટ એસોસિયેશનના મેદાન પર ભારે ખંત સાથે કરી રહ્યાં છે. જેમની આ મહેનત આવનારા સમયમાં ભારતીય ક્રિકેટને મુનાફ જેવા બીજા અન્ય ફાસ્ટ બોલર આપી શકે છે.

-મુનાફ પાસે ટ્રેનિંગ લેતા ગામડાંના યુવાઓ ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં દસ્તક દઈ શકે

બીસીએ આદિત્ય બિરલાની સ્પોન્સરશીપ હેઠળ મુનાફ પટેલના મારફત સ્ટ્રીટ લાઈટ ટુ ફ્લડ લાઈટ ટેલેન્ટ સર્ચ ચલાવી રહ્યું છે અને તે બીસીએના સીઈઓ શિશિર હટગંડી અને કોર ટીમની નિગરાનીમાં થઈ રહ્યું છે. હાલ મુનાફ પટેલ ભરૂચ અને વડોદરા જિલ્લામાં તેમજ પુરાના ગાયકવાડી સ્ટેટમાં આવતા જિલ્લાઓ અને ગામડાંઓમાં કેમ્પ કરીને ટેલેન્ટ બહાર લાવી રહ્યો છે અને તે પૈકી સિલેક્ટ થતા સંખ્યાબંધ યુવાઓને ફાસ્ટ બોલિંગના પાઠ ભણાવી રહ્યો છે. મુનાફનું કહેવું છે કે, મારું ફોક્સ ગામડાંઓમાંથી પ્રતિભા શોધી તેને તૈયાર કરી ભારતીય ટીમ સુધી પહોંચાડવાનું છે. અમે 16થી 21 વર્ષના યુવાઓને શોધી તેને બરોડા કેમ્પમાં લઈ જઈ તૈયાર કરી રહ્યાં છે. જેમાં સૌથી પ્રતિભાવાન છોકરાઓ પર બીસીએ દ્વારા નક્કી કરાયા મુજબ મહેનત કરવામાં આવી રહી છે. હજી અનેક જગ્યાએ કેમ્પ કરવામાં આવશે. જો, હું પોતે, ઝાહિરખાન, રાકેશ પટેલ, લુકમાન જેવા ખેલાડી ગામડાંઓમાંથી ઉપર આવી શકતા હોય તો બીજા કેમ નહીં? તે વાત ધ્યાને રાખી અમે આગળ વધી રહ્યાં છે. આવનારા દિવસોમાં તેનું પરિણામ જરૂર મળશે. સ્વભાવના સરળ મુનાફનો એક જ ગોલ હવે છે કે ભારતીય ક્રિકેટ ટીમને સૌથી ફાસ્ટ બોલર્સ આપવા.

-ખેતીકામ કરનારનો પુત્ર સંઘર્ષ થકી સ્થાન પામ્યો ઈન્ડિયન ક્રિકેટ ટીમમાં:

ભરૂચ જિલ્લાના ઈખર ગામના ખેતીકામ કરતા મુસાભાઈના પુત્ર મુનાફ પટેલનું આમ તો ક્રિકેટમાં કરિયર બનાવવાનું કોઈ સ્વપ્ન ન હતું. એ તો શોખ માત્ર માટે ક્રિકેટ રમતા હતા. ધોરણ-7માં હતો તે સમયે ઘરઆંગણેની શાળામાં તેમજ નાની-મોટી ટુર્નામેન્ટમાં એ રમતા હતા. થોડા સમયમાં જ તો તે આસપાસના ગામોમાં સૌથી ફાસ્ટ બોલર અને વિકેટ ટેકર તરીકે પ્રખ્યાત થવા લાગ્યા. બે ટંક ખાવા માટે જજૂમતા ખેતીકામ કરતા પિતા ઈચ્છતા ન હતા કે પુત્ર મુનાફ પોતાના શોખ માટે પણ ક્રિકેટ રમવા જાય. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાથી મુનાફે આટલી નાની વયમાં જ પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો અને તે ગામની નજીકમાં આવેલી એક ટાઈલ્સ બનાવતી કંપનીમાં રૂ. 35 રોજના પગારે નોકરીએ લાગ્યા. જોકે, સ્કૂલના શિક્ષકોએ તેને ક્રિકેટ રમતા રહેવા પ્રેરિત કર્યા . ભરૂચ અને વડોદરા જિલ્લામાં મુનાફ એટલે કે મુન્નો નામ ગુંજવા લાગ્યું હતું. ગરીબી એટલી હતી કે મુનાફ સિઝન ક્રિકેટ પણ સ્લીપર ચપ્પલ પર જ રમતા હતા.

– મુનાફને પહેલા કિરણ મોરે અને બાદમાં સચિન તેંડુલકરે મદદ કરી:

મુનાફની પ્રતિભા અને શોખને જોતા મૂળ ઈખર ગામના અને વિદેશમાં સેટ થયેલા યુસુફભાઈ પટેલ નામના વ્યક્તિએ તેઓને બુટ અપાવ્યા અને વડોદરા ક્રિકેટ એસોસિયેશનમાં પ્રોફેશનલ ટ્રેનિંગ માટે પોતાના ખર્ચે મોકલવાનું શરૂ કર્યું. પિતા ઈચ્છતા હતા કે મુનાફ થોડું ભણી લે અને ઝાંબિયા રહેતા કાકા પાસે જઈને કંઈ કામ કરે પરંતુ મુનાફનું નસીબ કંઈક ઔર જ કહેતું હતું અને અહીં પૂર્વ વિકેટ કિપર કિરણ મોરેની નજરમાં તે આવ્યા અને ગુજરાતમાં ફર્સ્ટક્લાસ ક્રિકેટ રમવા લાગ્યા. બાદમાં મોરેએ તેને કોલકત્તા ખાતે એમઆરએફ પેશ ફાઉન્ડેશનમાં મોકલ્યા. ત્યાં બોલિંગ કોચ ડેનિસ લીલીએ તેને વધુ સારી રીતે તૈયાર કર્યા. અહીં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર મુનાફથી પ્રભાવિત થયા અને તેને મુંબઈ તરફથી રણજી મેચ રમવા સૂચન કર્યું અને તે માટે બનતી મદદ કરી. તેમનું પ્રદર્શન જોઈને સૌ પ્રથમ 2006માં ઈંગ્લેન્ડની ફર્સ્ટ ક્લાસ ક્રિક્રેટ ટીમમાં તેમની એન્ટ્રી થઈ અને ટેસ્ટમાં 10 વિકેટ ઝડપી સિલેક્ટરોનું વધુ ધ્યાન ખેંચ્યું. મુનાફમાં સિલેક્ટરોને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર્સ ગ્લેન મેકગ્રાની ઝલક નજર આવી અને તેને 2007ની વર્લ્ડકપ ટીમમાં સ્થાન મળ્યું. જોકે, તેમાં ખૂબ ખરાબ પ્રદર્શનને લઈને ટીમ હારી અને ભારે ટીકા થઈ પણ મુનાફે ટેસ્ટ, વનડે, ટી-20 અને બાદમાં આઈપીએલમાં સ્થાન મળતું રહ્યું. વર્ષ 2011ના વર્લ્ડકપ સમયે ફાસ્ટ બોલર પ્રવિણકુમાર ઈજાગ્રસ્ત થતા મુનાફને તક મળી અને તે તકને તેઓએ પરિણામમાં બદલી. તેની બોલિંગ એટલી પ્રભાવશાળી રહી કે તેઓને  વર્લ્ડકપની ટીમના અજ્ઞાત યોદ્ધાનું બિરુંદ ભારતના કોચ એરિક સાયમન્સે આપ્યું. ફાઈનલમાં તેણે ખૂબ જ મહત્વની બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાનો જીતનો પાયો નાંખ્યો.

-જોકે, બાદમાં પગની ઈજા બાદ મુનાફ ટીમમાં પરત ન ફરી શક્યા

2011ના વર્લ્ડકપની વિજેતા ટીમનો મહત્વપૂર્ણ સભ્ય ત્યારબાદ પગની એંકલની ઈજાને કારણે છ મહિના ટીમમાંથી બહાર રહ્યાં  પરંતુ ત્યારબાદ તેમને ફરી ભારતીય ટીમમાં સ્થાન ન મળ્યું. જોકે, આઈપીએલમાં રાજસ્થાન રોયલ સાથે 6 સિઝન મુનાફ રહ્યાં. પરંતુ નવી પ્રતિભાઓ વચ્ચે વર્ષ 2014માં કોઈ પણ આઈપીએલની ટીમે તેઓની બોલી ન લગાવી. જોકે , ફરી 2017માં ગુજરાત લાયન્સે રૂ. 30 લાખમાં તેઓને ટીમમાં સામેલ કર્યાં. બાદમાં ઈજાથી પરેશાન મુનાફ પટેલે વર્ષ 2018માં તમામ ક્રિકેટના ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. મુનાફના ખાતામાં ટેસ્ટ, વનડે, ટી-20 અને આઈપીએલ મળી 199 વિકેટ છે. મુનાફ બંને તરફ બોલને સ્વીંગ કરાવી શકતા અને તેઓની સૌથી ફાસ્ટ બોલ પ્રતિ કલાકે 140ની કિલોમીટરની રહેતી. સામાન્ય બોલ પણ તેઓ 126 કિલોમીટરની ઝડપે નાંખતા. મુનાફ આટલી ઊંચાઈ પહોંચવા માટે ઈશ્વરનો આભાર માને છે. માત્ર અફસોસ એક વાતનો છે કે, ઈજાને કારણે તેઓએ  ક્રિકેટને અલવિદા કહેવું પડ્યું. જોકે, મુનાફ હવે તે અફસોસથી આગળ નીકળી તેમના  કરતા સારા બોલર્સ ઊભા કરવામાં ખૂબ જ એક્ટિવ ભૂમિકા નિભાવી રહ્યાં છે અને તેનો ટાર્ગેટ દેશને સૌથી ફાસ્ટ બોલર્સ આપવાનો છે.

હર ઘર તિરંગા અભિયાનમાં જોડાશે શ્રી બજરંગ સેના

 

૧૩થી ૧૫મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ જોડાઈ પોતાના ઘરો પર તિરંગા લહેરાવશે

સુરત: દેશને આઝાદી મળ્યા ને 75 વર્ષ પૂર્ણ થતાં દેશમાં સમગ્ર વર્ષ ને આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર હર ઘર તિરંગા અભિયાનની ઘોષણા કરવામાં આવી છે. શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ પણ અભિયાનની  પ્રશંસા કરવા સાથે જ અભિયાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના સદસ્યો પણ પોતાના ઘરો પર તિરંગો લહેરાવી અભિયાનને સફળ બનાવશે.

શ્રી બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ હિતેશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે દેશને મળેલી આઝાદીનો જશ્ન દરેક ભારતીય માનવે છે. તિરંગા આ દેશની આન બાન અને શાન છે. કેન્દ્ર સરકાર દ્વારા આ વખતે સ્વતંત્રતા દિવસ પર લોકોમાં દેશભક્તિની ભાવના પ્રબળ કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનને દેશભરની સંસ્થાઓ અને સંગઠનો દ્વારા પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે શ્રી બજરંગ સેનાએ પણ આ અભિયાનમાં જોડાવાનો નક્કી કર્યું છે. 13 થી 15 મી ઓગષ્ટ સુધી ચાલનારા આ અભિયાનમાં શ્રી બજરંગ સેનાના એક એક સદસ્ય જોડાશે અને પોતાના ઘરો પર તિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસ ની ધૂમધામથી ઉજવણી કરશે.

પ્રોફાઈલ હિતેશ વિશ્વકર્મા: https://www.hiteshvishwakarma.com/

ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશનનો રેકોર્ડ એનાયત થયો

 

સુરત: ઉધના જંક્શન રેલવે સ્ટેશનને ગ્રીન ઉધના રેલવે સ્ટેશન તરીકે ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જ્યાં પ્રતિષ્ઠિત ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ઉધના રેલવે સ્ટેશનને ‘ગ્રીન રેલવે સ્ટેશન ફોર ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન’નો રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ સાથે જ ઉધના સ્ટેશન દેશ, એશિયા અને દુનિયાનું સૌથી પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બન્યું છે, જે ક્લાયમેટ ચેન્જની દિશામાં કાર્યરત હોય. 

ગ્રીન ઉધના રેલવે સ્ટેશનને સુરતના ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈએ તેમની એનજીઓ ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ દ્વારા એડોપ્ટ કરવામાં આવ્યું હતું. જ્યાં વર્ષ ૨૦૧૯થી જૂદા જૂદા તબક્કે પર્યાવરણ સંરક્ષણના વિવિધ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ દ્વારા ગ્રીન ઉધના રેલવે સ્ટેશનની નોંધ લેવાય એ ગર્વની બાબત છે. ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પાછલા અનેક વર્ષોથી આંતરાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન અને બાયોડાયવર્સિટીના ક્ષેત્રમાં નક્કર પરિણામો લાવવા આંતરાષ્ટ્રીય મંચો પરથી વિશ્વ આખાને આહ્વાન આપી રહ્યા છે. ત્યારે આપણે ત્યાંનું જ એક રેલવે સ્ટેશન ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન અને ક્લાયમેટ એક્શન માટે રેકોર્ડ સ્થાપે એ આપણા સૌ માટે ગર્વની વાત છે.

તો સુરત રેલવે સ્ટેશનના સ્ટેશન ડિરેક્ટર દિનેશ વર્માએ જણાવ્યું હતું, ‘એક સમયે કોઈના ધ્યાનમાં પણ નહોતું આવતું એવું ઉધના સ્ટેશન હવે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક બ્રેન્ડ બની ગયું છે. જેનો તમામ શ્રેય હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને વિરલ દેસાઈને જાય છે.’

ઉલ્લેખનીય છે કે ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પર દેશનું પહેલું પુલવામા સ્મારક આવેલું છે. તો સ્ટેશન પરિસરમાં જ ચારસો ચકલીઓ સાથેનું સ્પેરોઝોન આવેલું છે. એ સીવાય સ્ટેશન પર પચાસ જેટલા યુનિક પેઈન્ટિંગ્સ અને કેટલાક આંકડા સાથે ગ્રીન ગેલેરી તૈયાર કરવામાં આવી છે, જેના માધ્યમથી રોજ સોળ હજાર જેટલા લોકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ મળે છે. એ ઉપરાંત ઉધના રેલવે સ્ટેશનના કેમ્પસમાં જ ઈન્ડિયન રેલવેઝનું પ્રથમ અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. મિયાવાકી પદ્ધતિથી તૈયાર થયેલું આ અર્બન ફોરેસ્ટ દેશના શહીદોને સમર્પિત કરીને તેને ‘શહીદ સ્મૃતિ વન’ નામ અપાયું છે.

આઈઆઈએફડીના ઇન્ટીરિયર એક્સીબીશન અરાસા ઔર ફેશન એક્સીબિશન ગાબાનો આરંભ

 

સુરત: જાણીતી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઇનિંગ દ્વારા શહેરના આંગણે ઇન્ટીરિયર અને ફેશન એક્સિબીશન નું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજથી  વેસુ જી. ડી.ગોયેંકા રોડ સ્થિત રીગા સ્ટ્રીટ ખાતે આરંભ થયો છે. ઉદ્ઘાટન પ્રસંગે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખના પટેલ અને કોર્પોરેટર રશ્મિ સાબુ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી અને પલ્લવી માહેશ્વરી પણ  ઉપસ્થિત હતા.

આઈઆઈએફડીના ફાઉન્ડર ડાયરેક્ટર મુકેશ માહેશ્વરી એ જણાવ્યું હતું કે આઈઆઈએફડીની સ્થાપના વર્ષ  2014માં થઈ હતી. જે ફેશન, ઇન્ટીરિયર, ગ્રાફિક ડિઝાઇન અને ઇવેન્ટ મેનેજમેન્ટ વગેરે કોર્સ ચલાવે છે. ઇન્સ્ટિટ્યૂટ ના વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે એઝકીબીશન નું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટીરિયર ડીઝાઇન ના વિદ્યાર્થીઓએ દસ અલગ અલગ થીમ પર પ્રોડેક્ટ્સ તૈયાર કરી છે જેમને અરાસા પ્રદર્શનીમાં અને ફેશન ડિઝાઇન ના વિદ્યાર્થીઓ 15 અલગ અલગ થીમ પર ગારમેન્ટ્સ ડીઝાઇન કર્યા છે જેમને ગાબા પ્રદર્શની માં મુકવામાં આવ્યા છે. પ્રદર્શની આવતી કાલે પણ સવારે દસ થી રાત્રે દસ વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લી રહેશે.

સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીનમેન વિરલ દેસાઈ વચ્ચે MOU હસ્તાક્ષર થયા

 

સુરત: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત કચેરી તેમજ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવાદી વિરલ દેસાઈની સંસ્થા ‘હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન’ વચ્ચે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ મુવમેન્ટ અંતર્ગત એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા, જે અંતર્ગત આગામી સમયમાં વિશાળ પાયે પર્યાવરણ જાગૃતિ અભિયાનો હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ્સ તૈયાર કરાશે. 

‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન અને ક્લાયમેટ ચેન્જ’ મુવમેન્ટના આ એમઓયુ અંતર્ગત આગામી સમયમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને જીપીસીબી સુરત જિલ્લામાં વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ હજારો યુવાનો સુધી પહોંચશે અને તેમને ક્લાયમેટ ચેન્જની વાસ્તવિક્તા વિશે જાગૃત કરશે અને તેમની અંદર પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની નિસ્બત ઊભી કરશે. તો સાથોસાથ આ બંને સંસ્થા દ્વારા વિશાળપાયે વૃક્ષારોપણની મુહિમ ઉપાડીને વિવિધ જગ્યાઓએ દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવશે.

આ વિશે જીપીસીબી સુરતના રિજનલ ઑફિસર શ્રીમતિ ડૉ. જિજ્ઞાસા ઓઝા દ્વારા જણાવાયું હતું કે, ‘એવું પહેલી વાર બની રહ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણને વરેલું અમારું બોર્ડ આવી ઝૂંબેશ સાથે સંકળાયું છે. પ્રદૂષણ નિયંત્રણ એ અમારી પ્રાથમિકતા છે અને એવા સમયે જાગૃતિ અભિયાન અને વૃક્ષારોપણની દિશામાં વધુ પ્રબળતાની કામ કરવું અમારે માટે આનંદ અને ગર્વની બાબત છે.’

તો ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું કે, ‘જીપીસીબી જેવી મહત્ત્વની સંસ્થા સાથે જોડાઈને પર્યાવરણ સંરક્ષણની દિશામાં કામ કરવું અમારે માટે ગર્વની બાબત છે. મને વિશ્વાસ છે કે આગામી સમયમાં સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન મુવમેન્ટ એન્ડ ક્લાયમેટ ચેન્જ માત્ર સુરત જિલ્લામાં જ નહીં, પરંતુ ગુજરાતભરના યુવાનો સુધી પહોંચશે અને એ ચળવળને આધારે આપણે સૌ ક્લાયમેટ એક્શનની દિશામાં હકારાત્મક રીતે આગળ વધીશું.’

ઉલ્લેખનીય છે કે આ એમઓયુ અંતર્ગત જીપીસીબી સુરતની નવનિર્મિત ઑફિસને પણ ગ્રીન ઑફિસ તરીકે તૈયાર કરવામાં આવી છે. ઈકોસિસ્ટમ રિસ્ટોરેશન તેમજ ક્લાયમેટ એક્શનની થીમ પર તૈયાર થયેલી આ પહેલી મોડલ ઑફિસ રોજ સેંકડો લોકોને પર્યાવરણ સુરક્ષાની દિશામાં પ્રભાવિત કરશે. તો આ બંને સંસ્થા દ્વારા પાંડેસરા ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે મળીને પાંડેસરામાં ઈન્ડસ્ટ્રીયલ એરિયાનું પહેલું ‘અમૃત વન’ નામનું મિયાવાકી અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરાયું છે.

સીબીએસઈ બોર્ડ પરીક્ષામાં એલ. પી. સવાણી સ્કૂલનું શ્રેષ્ઠ પરિણામ

 

ધો.૧૨ના ૨૯ અને ધો.૧૦ ના ૫૦ વિદ્યાર્થીઓએ મેળવ્યો એ -૧ ગ્રેડ

ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા

સુરત: સીબીએસઈ દ્વારા શુક્રવારે ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડ પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ એલ.પી.સવાણી સ્કૂલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી શાળા અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. શાળાના ધોરણ ૧૨ના ૨૯ અને ધોરણ ૧૦ના ૫૦ વિદ્યાર્થીઓએ એ-૧ ગ્રેડ  મેળવ્યો છે. જ્યારે ધોરણ ૧૨ના ૯ વિદ્યાર્થીઓએ એવા છે કે જેમને અલગ-અલગ વિષયોમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત ધોરણ ૧૨ના ૬૩ વિદ્યાર્થીઓએ એ-૨ અને ૬૭ વિદ્યાર્થીઓએ  બી-૧ ગ્રેડ મેળવ્યો છે. દક્ષ ભંડારીએ બીએસટી, એકાઉન્ટ્સ અને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ, કરણદીપ ગિર, અરહમ જૈન અને મુકુંદ કનોડિયાએ બીએસટીમાં ૧૦૦માંથી ૧૦૦, મોહિત તિલવાનીએ અકાઉટ્સમાં ૧૦૦માંથી ૧૦૦, સ્નેહા રાઠી, પ્રિસા ગુપ્તા, મોહિત દિલવાલી અને આયુષી કોટેદેએ ગણિત અને ઇમ્પી વિષયમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક્સ મેળવ્યા છે. આ ઉપરાંત ધોરણ ૧૦ના ૯૭ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ, ૧૦૮ વિદ્યાર્થીઓએ બી-૧ ગ્રેડ અને ૭૩ વિદ્યાર્થીઓએ બી-૨ ગ્રેડ મેળવ્યો છે. શાળાનું ગૌરવ વધારનારા તમામ વિદ્યાર્થીઓએને શાળાના અધ્યક્ષ માવજીભાઈ સવાણી અને ઉપાધ્યક્ષ ધમેન્દ્રભાઈ સવાણીએ હાર્દિક અભિનંદન પાઠવવા સાથે જ ઉજ્જ્વળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માહિતીસભર ‘લક્ષ્ય’ સેશનનું સફળ આયોજન કરાયું

 

વડોદરા, જુલાઇ, 2022: વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં અગ્રેસર આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી વિકસાવવા માટે સજ્જ તેના તમામ અન્ડરગ્રેજ્યુએટ્સ માટે એક લાઇફ ચેન્જિંગ સેશન – લક્ષ્યનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 500થી વધુ સહભાગીઓની ઉપસ્થિત રહ્યાં હતાં.

આ સેશન અંતર્ગત મોટિવેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર આકાશ ગૌતમે તેમની વિશિષ્ટ શૈલીથી વિદ્યાર્થીઓને વિવિધ મહત્વપૂર્ણ વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિવિધ સરળ પ્રવૃત્તિઓ દ્વારા મનોરંજક રીતે ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં નોંધપાત્ર ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીઓની સાથે-સાથે તેમના માતા-પિતાને પ્રેરણાસભર જાણકારી પ્રદાન કરી હતી. જેથી કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વ્યક્તિના માનસ ઉપર સકારાત્મક અસર પેદા કરી શકાય. આકાશ ગૌતમ ભારતના ટોચના મોટિવેશનલ અને એજ્યુકેશન સ્પીકર છે તેમજ નિફ્ટી 50ની 30 કંપનીઓ તેમના જ્ઞાન અને કૌશલ્યો ઉપર વિશ્વાસ કરે છે.

મહત્વપૂર્ણ છે કે આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી તેની કામગીરીની શરૂઆતથી જ કાર્યક્ષમ, આત્મવિશ્વાસથી ભરપૂર અને ઉચ્ચ જ્ઞાન ધરાવતા લીડર્સ તૈયાર કરવા ઉપર કેન્દ્રિત રહી છે. તે 25થી વધુ વૈશ્વિક જોડાણો સાથે વિદ્યાર્થીઓને વિશ્વસ્તરીય શિક્ષણ પ્રદાન કરવામાં હંમેશા અગ્રેસર રહી છે. યુનિવર્સિટી 950થી વધુ કોર્પોરેટ રિક્રુટર્સ, 10,000થી વધુ એલ્યુમનાઇટ નેટવર્ક તેમજ 18થી વધુ ઇન્ડસ્ટ્રી-ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ધરાવે છે.

વધુમાં આઇટીએમ વોકેશનલ યુનિવર્સિટી સમાજને પરત કરવામાં પણ વિશ્વાસ કરે છે. આ અંતર્ગત તેણે આહારદાન નામની એક વિશિષ્ટ પહેલ કરી છે, જેની સમાજ અને તેના વિદ્યાર્થીઓ ઉપર ખૂબજ સકારાત્મક અસરો પેદા કરવામાં મદદ મળી છે. યુનિવર્સિટી આગામી સમયમાં પણ વિદ્યાર્થીઓ માટે માહિતીસભર કાર્યક્રમોનું આયોજન કરવાની યોજના ધરાવે છે.

https://www.itm.ac.in/
સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે સુરત

 

સુરતમાં યોજાયેલી સમિટમાં 300 થી વધુ રોકાણકારોએ ભાગ લીધો

સુરત: ઇન્વેસ્ટમેન્ટ ક્લાસ તરીકે સ્ટાર્ટ-અપ્સ પ્રત્યે રોકાણકારોની રૂચિમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યમાં સુરત ઝડપથી સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ તરીકે પોતાની ઉપસ્થિતિને સતત મજબૂત કરી રહ્યું છે.

દેશની ઝડપી પ્રગતિ સાધતી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત કરવા તથા તેમાં રોકાણ દ્વારા ઉભરતાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા તથા આર્થિક વૃદ્ધિમાં તેમના યોગદાનની સ્વિકૃતિ કરવાના ઉદ્દેશ્ય સાથે થોડાં સમય પહેલાં યુનિસિન્ક એન્જલ્સ દ્વારા સ્ટાર્ટ-અપ ઇન્વેસ્ટમેન્ટ સમીટ – સુરત 2022નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. એન્જલ ઇન્વેસ્ટિંગ સિમ્પલિફાઇડ થીમ આધારિત આ સમીટમાં 300થી વધુ એન્જલ ઇન્વેસ્ટર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇકોસિસ્ટમ પાર્ટનર્સે ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધન કરતાં આવિષ્કાર ગ્રૂપના સ્થાપક અને ચેરમેન વિનિત રાયે છેલ્લાં 20 વર્ષમાં સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવાના તેમના અનુભવો વર્ણવ્યાં હતાં. આવિષ્કાર 1 અબજ યુએસ ડોલરથી વધુની એસેટને મેનેજ કરે છે અને તે રોકાણ ઉપર સકારાત્મક અસરો પેદા કરવા ઉપર કેન્દ્રિત છે.

આ પ્રસંગે યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક કશ્યપ પંડ્યાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સ્ટાર્ટ-અપમાં રોકાણ કરવું માત્ર સંપત્તિ સર્જનનો જ ઉદ્દેશ્ય નહીં, પરંતુ ઇનોવેટિવ બિઝનેસ આઇડિયાને સપોર્ટ કરવાથી સમાજ ઉપર પણ એકંદરે સકારાત્મક અસરો પેદા કરી શકાય છે.  

યુનિસિન્ક એન્જલ્સના સહ-સ્થાપક સીએ મયંક દેસાઇએ પરંપરાગત એસેટ ક્લાસ જેમકે રિયલ એસ્ટેટથી ન્યુ-એજ એસેટ ક્લાસ તરફ રોકાણકારોના બદલાતા અભિગમ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં તથા રોકાણના ઉત્તમ વિકલ્પ અને ઇકોસિસ્ટમની રચનામાં સ્ટાર્ટ-અપ્સની ભૂમિકા વર્ણવી હતી.

ઉલ્લેખનીય છે કે યુનિસિન્ક એન્જલ્સ એક વૈશ્વિક એન્જલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે, જેની સાથે 25 જેટલાં સીએ અને મેન્ટર્સ જોડાયા છે, જે સ્ટાર્ટ-અપ્સને વૃદ્ધિ માટે જરૂરી કેપિટલ અને કનેક્ટ પણ આપશે. યુનિસિન્ક એન્જલ્સ દેશના 40 જેટલા ટિયર 2 અને 3 શહેરો માં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ની રચના કરશે અને યુનિસિન્ક એન્જલ્સની 1000 કરોડનું ફંડ એકત્ર કરવાની ભવિષ્યની યોજના છે.

વધુ વિગત માટે વેબસાઈટ પર માહિતી મેળવો: https://unisyncangels.com/