
10 હજારથી વધુ શ્રદ્ધાળુઓની હાજરીમાં ભવ્ય આયોજન સફળ, 108 દેશોમાં 10 કરોડ લોકો જોડાવાના વૈશ્વિક લક્ષ્ય સાથે કરાયું આયોજન
સુરત : વિશ્વ શાંતિ, અહિંસા અને આધ્યાત્મિક એકતાનો સંદેશ આપતા વિશ્વ નવકાર મહામંત્ર દિવસ નિમિત્તે સુરતમાં ગુરુવારે ભવ્ય સામૂહિક મહાજાપ સફળતાપૂર્વક યોજાયો હતો. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (JITO) સુરત દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે 7:29 થી 9:36 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ હાજરી આપી, જેના કારણે સમગ્ર પરિસર નવકાર મંત્રના ગુંજનથી ભક્તિમય બની ગયું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા અને તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે નવકાર મંત્ર કોઈ વ્યક્તિનું સ્મરણ નહીં પરંતુ પદ અને ગુણોની આરાધના છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જે વ્યક્તિ ગુણોની પૂજા કરે છે, તે ગુણો આપોઆપ તેના જીવનમાં પ્રવેશ કરે છે. નવકાર મંત્ર માનવ જીવનને શ્રેષ્ઠતા તરફ દોરી જતો માર્ગ છે અને આજના અશાંતિભર્યા વિશ્વમાં “સવ્વ પાવપ્પણાસણો” અને “મંગલાણં ચ સવ્વેસિં” જેવા સંદેશો સમગ્ર માનવજાત માટે કલ્યાણકારી છે. તેમણે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં આ પવિત્ર મંત્રની શક્તિ જન-જન સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાયેલા આ મહાજાપમાં શહેરના અનેક આગેવાનો અને ગણમાન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોએ એકસ્વરે મહાજાપ કરી વિશ્વ શાંતિ, સૌહાર્દ અને અહિંસાની ભાવનાને પ્રગટ કરી હતી.

આ કાર્યક્રમમાં ગચ્છાધિપતિ, આચાર્ય ભગવંતો, સાધ્વીજી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘની પવિત્ર નિશ્રામાં કાર્યક્રમ ભક્તિભાવ સાથે પૂર્ણ થયો હતો. સુરતના તમામ જૈન સંઘો, સમાજના આગેવાનો, JITOના પદાધિકારીઓ અને સભ્યો સાથે સમગ્ર જૈન સમાજની ઉપસ્થિતિએ આ અવસરને યાદગાર બનાવી દીધો હતો.
કાર્યક્રમ દરમિયાન મનન સંઘવી, ધ્વનિલ કેસુડિયા તથા બાળ કલાકાર વિવાન બાફનાની રજૂઆતોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સાથે જ શાસન ભક્તિના વિશેષ આયોજનથી સમગ્ર વાતાવરણ વધુ પ્રેરણાદાયક બન્યું હતું.
JITO સુરતના જણાવ્યા મુજબ આ વર્ષે વિશ્વ નવકાર મહામંત્ર દિવસ 108થી વધુ દેશોમાં ઉજવાયો, જેમાં આશરે 10 કરોડ લોકો જોડાવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું
આ સમગ્ર આયોજન મિલન પારીખ (ચેરમેન), મિતેશ ગાંધી (ચીફ સેક્રેટરી), લલિત શાહ, નિરવ શાહ અને પ્રકાશ ડુંગાણીની આગેવાની હેઠળ સફળતાપૂર્વક પાર પડ્યું હતું. આયોજકોએ તમામ સહભાગીઓને આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સૌના સહકાર અને ઉત્સાહથી આ કાર્યક્રમને નવી ઊંચાઈ મળી છે.
આ મહાજાપ દ્વારા “એક ભાવના, એક ઉદ્દેશ્ય, એક વિશ્વ, એક સ્પંદન, એક મંત્ર”નો સંદેશ જનજન સુધી પહોંચ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.