ચૂંટણી:ટિકિટમાં પાસને અન્યાય થતા પાટીદાર પાવર આપને ફળ્યો

Spread the love

અમિત પાટીલ
સુરત.
2015ની ચુંટણીમાં પાટીદાર અનામત આંદોલનની અસર હતી. જેના કારણે ભાજપથી નારાજ પાટીદારોએ કોંગ્રેસનો પંજો પકડતાં કોંગ્રેસના ફાળે વરાછા વિસ્તારની 23 બેઠકો આવી હતી અને કુલ 36 બેઠક કબ્જો કરી હતી.જો કે આ વખતે પાટીદાર આંદોલન ફેક્ટર ન હતું. પરંતુ કોંગ્રેસે ટિકિટ વહેંચણીમાં પાસ સાથે અન્યાય કરીને બગડાયું હતું. જેથી વોર્ડ નં 3માં પાસના નેતા ધાર્મિક માલવિયાને ટિકીટ મળી છતાં કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું ન હતું તો જ્યોતિ સોજીત્રા સહિત બે ઉમેદવારોએ ફોર્મ ખેંચી લઇ કોંગ્રેસ સામે બળવો કર્યો હતો. આમ પાસના સમર્થકો તથા પાટીદારોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી વિકલ્પ તરીકે આપનો હાથ પકડ્યો હતો.કોંગ્રેસે 23 બેઠક પાસ સાથે બગાડવામાં તો 13 બેઠક નવા વોર્ડસીમાંકનમાં ગુમાવી!

શહેરમાં તાજેતરમાં 27 ગામ અને 2 પાલિકાનો સમાવેશ થતાં 29 વોર્ડના 30 વોર્ડ થયા હતા. જેથી બેઠક 116થી વધી 120 થઇ હતી. નવા ગામો આવતા જ આયોજનબધ્ધ રીતે તૈયાર કરાયેલા વોર્ડ સીમાંકનમાં 13 બેઠક કોંગ્રેસે ગુમાવી છે. જેમાં વોર્ડ નં 29માંથી સતીષ પટેલ, ધનસુખ રાજપુત તો હારી ગયા અને સાથે આખી પેનલ પણ હારી હતી. જ્યારે વોર્ડ નં 19 આંજણામાં અસલમ સાયકલવાલાની આખી પેનલ હારી ગઇ છે.