સુરતની નેનોટેક કન્સલ્ટન્સી એ સેમિકન્ડક્ટર ના ઉત્પાદન માટે ઇન્ટેલ સાથે સહયોગ કર્યો

 

– આ કરાર/સહયોગ “મેક ઇન ઇન્ડિયા” અભિયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટેકનોલોજી ક્રાંતિના વિઝનને અનુરૂપ છે

— વાઈબ્રન્ટ ગુજરાત પહેલ પછી આ દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ છે

— વરેલી-કામરેજ ફેસીલીટી પર ટૂંક સમયમાં જ સિવિલ વર્ક શરૂ કરવામાં આવશે

સુરત: સુરતમાં ઇન્ફોટેક સેક્ટરમાં અગ્રણી, નેનોટેક કન્સલ્ટન્સીએ વિશ્વમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ્સ અને સેમિકન્ડક્ટર્સની સૌથી મોટી ઉત્પાદક ઇન્ટેલ સાથે ભાગીદારીમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ(ઉત્પાદન) માટે સહયોગ કર્યો છે. આ અભૂતપૂર્વ સહયોગ વાસ્તવમાં “મેક ઇન ઇન્ડિયા” પહેલની ભાવના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી ટેક લક્ષ્યો સાથે સંરેખિત છે. 

આ સીમાચિહ્નરૂપ પહેલના ભાગરૂપે, નેનોટેક કન્સલ્ટન્સી તેની કામરેજ સુવિધામાં સિવિલ વર્ક શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે, જે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટની સ્થાપના તરફના નિર્ણાયક પગલાને દર્શાવે છે. આ વિકાસ વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાનની વ્યાપક પહેલને પગલે થયો છે, જ્યાં મોટાભાગની ઇન્ફોટેક કંપનીઓએ સાણંદ અથવા ગિફ્ટ સિટીમાં સ્થાનો પસંદ કર્યા છે. કામરેજમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ સ્થાપવાનો નેનોટેક કન્સલ્ટન્સીનો આ નિર્ણય સ્થાનીય વિસ્તારમાં એક નવો પરિમાણ ઉમેરે છે. આ ઉપરાંત આ નિર્ણય, વાઇબ્રન્ટ ગુજરાત દરમિયાન નિર્ધારિત ઉદ્દેશ્યોને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. 

નેનોટેક કન્સલ્ટન્સીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “ઇન્ટેલ સાથેની અમારી વ્યૂહાત્મક ભાગીદારી સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં નવીનતા અને શ્રેષ્ઠતા પ્રત્યેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારી આધુનિક ટેકનોલોજીને ઇન્ટેલની ઉત્પાદન ક્ષમતાઓ સાથે જોડીને અમે અમારા ગ્રાહકોને અદ્વિતીય સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષમતાઓ પહોંચાડવા માટે તૈયાર છીએ.” 

નેનોટેક કન્સલ્ટન્સીના નેનોટેકનોલોજી, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં વ્યાપક ઉકેલો, ક્લાયન્ટ-સેન્ટ્રીક અભિગમ સાથે તેને જટિલ પડકારોનો બેસ્ટ ઉકેલ લાવવામાં અગ્રણી સ્થાન આપે છે. કંપની કાર્યક્ષમતા વધારવા અને નિર્ધારીત પરિણામો પ્રાપ્ત કરવા માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને અત્યાધુનિક સ્ટેટ ઓફ ધી આર્ટ સમસ્યા-નિવારણ સાધનો સાથે વ્યવસાયોને વધુ સશક્ત બનાવે છે.

આ સિદ્ધિમાં નેનોટેક કન્સલ્ટન્સીની મહત્વની ભૂમિકા અંગે એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, “પ્લાન્ટની ક્ષમતા અને આ સુરત સ્થિત પ્રીમિયમ કન્સલ્ટન્સી દ્વારા ઇન્ટેલ સાથેનું સહયોગી વિઝન, ઇન્ફોટેક સેગમેન્ટમાં 360-ડિગ્રી સોલ્યુશન્સ પ્રદાન કરે છે, તે ખરેખર પ્રશંસનીય છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ, તે સુરત માટે અને ખાસ કરીને ગુજરાત માટે ખૂબજ ગર્વની ક્ષણ છે.” 

નેનોટેક કન્સલ્ટન્સીની સફળતા તેના ગ્રાહકોની સફળતા સાથે આંતરિક રીતે જોડાયેલી છે. નવીનતા, વ્યૂહાત્મક સહયોગ અને ક્લાયન્ટ-સેન્ટ્રીક અભિગમ પ્રત્યે પ્રતિબદ્ધતા સાથે કંપની ટેક્નોલોજી ઉદ્યોગમાં અગ્રણી છે. કામરેજમાં સ્થિત નેનોટેક કન્સલ્ટન્સી, અત્યાધુનિક ટેક્નોલોજીમાં મોખરે છે, જે નેનો ટેક્નોલોજી, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રોને આવશ્યકતા મુજબના ઉકેલો પ્રદાન કરવામાં વિશેષતા ધરાવે છે. કંપનીનો 11 વર્ષનો સફળ ટ્રેક રેકોર્ડ છે અને તે વિવિધ ક્ષેત્રો અને ભૌગોલિક વિસ્તારોમાં ગ્રાહકોને શ્રેષ્ઠ અને અજોડ ટેકનોલોજી સોલ્યુશન્સ ઓફર કરે છે. 

Joint replacement surgery costing Rs 2 to 3 lakh in a private hospital was done free of cost in a civil hospital
ખાનગી હોસ્પિટલમાં રૂ.બેથી ત્રણ લાખના થતા થાપાના સાંધા બદલવાની સર્જરી સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે થઈ

 

સુરતઃ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોના પણ હજારો દર્દીઓ આવીને સારવાર મેળવી રહ્યા છે. ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે.
મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના જામનેરના મોહાડી ગામના વતની એવા ૬૧ વર્ષીય નાના આન્ધારી પાટીલ થાપાના અસહ્ય દર્દથી પીડિત હતા અને ચાલવામાં પણ અસમર્થ હતા. જેમને છેલ્લા સાતેક વર્ષથી થાપાના ભાગે અસહ્ય દુ:ખાવાથી પીડિત હતા. જેમને નવી સિવિલે સચોટ સારવારથી ચાલતા કર્યા છે.
નાના પાટીલના ગામના વતની અને સામાજિક આગેવાન રામ પાટીલ અને ભાવિની પાટીલને નાના પાટીલની પરિસ્થિતિની જાણ થઈ જેથી તેઓએ નાનાને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કમરની સારવાર વિનામુલ્યે થતી હોવાનું જણાવી શક્ય તમામ મદદ કરવાની તત્પરતા દાખવી હતી, જેથી તેમણે તત્કાલ નર્સિગ એસોસિએશનના ઈકબાલ કડીવાલાનો સંપર્ક કરીને દર્દીને તા.૧લી માર્ચના રોજ સિવિલમાં આ દર્દીને દાખલ કરાવ્યા હતા. જયાં હાડકા વિભાગના વડા ડો.હરિ મેનનના માર્ગદર્શન હેઠળ તમામ પ્રકારના જરૂરી રિપોર્ટ કર્યા બાદ તા.૧૮મી માર્ચના રોજ ડો.સ્વપ્નીલ નાગલે, ડો.નિતિન ચૌધરીની ટીમ દ્વારા થાપાનો ગોળો બદલવાની સફળ સર્જરી કરવામાં આવી હતી. આમ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કામદારો, હેડ નર્સ, એનેસ્થેસિયા તથા મેડિસીન વિભાગના સહિયારા પ્રયાસોથી સફળ સર્જરી થઈ હતી.
સર્જરી બાદ નાના પાટીલ વોકર લઈને ચાલતા થયા છે. તેઓ કહે છે કે, સિવિલના તબીબોએ મને અસહ્ય દુ:ખાવામાંથી મુકિત આપી છે. હું ખેતીકામ કરીને ઘરનું ગુજરાન ચલાવું છું. છેલ્લા સાત વર્ષથી થાપાની પીડાના કારણે ચાલવામાં પણ અસમર્થ હતો. પીડાના કારણે કોઈ કામ કરવાની ક્ષમતા રહી ન હતી. ખાનગી હોસ્પિટલમાં થાપાની સર્જરીનો રૂ.બેથી અઢી લાખ જેવો ખર્ચ થતો હતો. પણ મારી નબળી આર્થિક સ્થિતિના કારણે પીડા સહન કરતો હતો. ફરી ચાલતો કરવા બદલ સિવિલના તબીબો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.
નોંધનીય છે કે, નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકરના નેજા હેઠળ હાડકા વિભાગમાં દર મહિને થાપાના સાંધા બદલવાની ૨૦ થી ૨૫ સર્જરીઓ થાય છે. જેનો પ્રતિ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં રૂા.બેથી ત્રણ લાખનો ખર્ચ થાય છે. ઉપરાંત, ઘૂંટણના સાધા બદલવાની ૧૫ થી ૨૦ સફળ સર્જરી થાય છે. આમ, હાડકા વિભાગના વડા ડો.હરિ મેનનના નેતૃત્વમાં ડો.મનીષ પટેલ, ડો.સની શેઠના, ડો.ચિરાગ પટેલ, ડો.શેટ્ટી, ડો.નાગેશ સહિત તબીબોની ટીમ દ્વારા દરરોજ ૨૦૦ થી વધુ દર્દીઓની સારવાર થાય છે. જેમાં જન્મજાત કમરની ખામીઓ, સ્પાઈન તથા હાડકાના અન્ય રોગોની સફળ સર્જરી કરવામાં આવે છે.

The administrative system will provide adequate support to voluntary organizations to create basic facilities and security for the pilgrims coming for the pilgrimage.
પરિક્રમામાં આવતા શ્રધ્ધાળુઓ ભાવિકો માટે પ્રાથમિક સુવિધા-સુરક્ષા ઉભી કરવા વહીવટી તંત્ર સ્વૈચ્છીક સંસ્થાઓને પૂરતો સહયોગ કરશે

 

રાજપીપલા,શુક્રવારઃ નર્મદા જિલ્લામાં આગામી તારીખ ૮ એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ સુધી આ મા નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે અને તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. અહીં આવતા શ્રધ્ધાળુઓ વહેલી સવારે રામપુરા ગામે કિડી મંકોડી ઘાટ અને શહેરાવ ઘાટ વચ્ચે અંદાજિત ૭ કિ.મી. અને રિવર ક્રોસીંગ તિલકવાડા ઘાટથી રેંગણઘાટ ૭ કિ.મી.નું અંતર કાપી નદી ઓળંગી રામપુરા ઘાટ પરત આવતા હોય છે. આ પરિક્રમાનું લોકોમાં અનેરૂ મહત્વ અને મહાત્મ્ય હોય છે અને દર વર્ષે તેમાં સતત વધારો થતો હોય છે. લાખોની સંખ્યામાં ભાવિકો નર્મદા મૈયાની પરિક્રમામાં જોડાય છે.

આ મહત્વની પરિક્રમા આગામી ૮ એપ્રિલથી શરૂ થનાર છે. તે પૂર્વે નર્મદા કિનારા પરના સેવાભાવી આશ્રમો, મંદિરોના સાધુ-સંતો ગ્રામજનો, અગ્રણીઓ સાથે ગઇકાલે સાંજે જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં ઉત્તરવાહિની પરિક્રમા સૂચારૂ સંચાલન-વ્યવસ્થાપન માટે પરામર્શ- સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે.ઉધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે. જાદવ, નાંદોદના પ્રાંત અધિકારીશ્રી ડો.કિશનદાન ગઢવી, જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારી, મામલતદારશ્રીઓ, નાંદોદ-તિલકવાડાના તાલુકા વિકાસ અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેક્ટરશ્રી શ્વેતા તેવતિયાએ સૌને આવકારી જણાવ્યું હતું કે, મા નર્મદાની પરિક્રમા શાંતિ પૂર્ણ માહોલમાં આરંભાય અને પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહકાર રહેશે. ભાવિકો માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે, પાણી, લાઈટ, આરોગ્ય, સલામતી, એમ્બ્યુલન્સ વાન, ડીઝાસ્ટર ટીમ, સુરક્ષા વ્યવસ્થા વગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. કામચલાઉ બ્રિજ અંગે સંતો અને આગેવાનો દ્વારા જિલ્લા વહીવટી તંત્રને મળેલી રજૂઆત અંગે સરકારમાં કામચલાઉ બ્રિજની મંજૂરી અર્થે દરખાસ્ત કરી દેવામાં આવી છે. મંજૂરી મળશે તો તે મુજબની કામગીરી કરવામાં આવશે, તેમ છતાં કાચા કામચલાઉ બ્રીજની મંજૂરી ન મળે તો ત્રીજા વિકલ્પ તરીકે પરિક્રમાનો રૂટ વિચારવાનો રહે છે. તમે પણ તમારા પ્રયાસો કરીને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં રજૂઆત કરીને આ કાર્યમાં સહાયરૂપ બનજો.

કલેક્ટરશ્રી સમક્ષ આગેવાનો અને સંતો દ્વારા રાત્રિ દરમ્યાન પરિક્રમા બંધ રાખવા પણ વિનંતી કરવામાં આવી હતી. જેથી પરિક્રમા સંચાલન અને આયોજનમાં સરળતા રહે તથા પરિક્રમાર્થીઓને અગવડતાનો સામનો કરવો ન પડે તે માટે ઉજાસમાં જ પદયાત્રા થાય તે ઈચ્છનીય છે. અહીં આવતા પ્રવાસીને કોઈ તકલીફ ન પડે તે માટે સેવા કેન્દ્રો અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અપાતા સહયોગને કલેક્ટરશ્રીએ બિરદાવ્યો હતો.

નદીમાં હોડીના સંચાલનની બાબત નીતિ વિષયક હોય સરકારશ્રી કક્ષાએથી નિર્ણય થયે બોટ માટેનું આયોજન વિચારવાનું રહેશે. જેથી હાલના તબક્કે ત્રીજા વૈકલ્પિક રૂટ માટે નર્મદા પરિક્રમાના આયોજનમાં સૌએ સહકાર આપવા કલેક્ટરશ્રી દ્વારા વિનંતી કરાઈ હતી.

પરિક્રમાના રૂટ માટે અને પરિક્રમા સંદર્ભે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા અગાઉ બે બેઠકો યોજવામાં આવી હતી. નર્મદા નદી કિનારા અને ઘાટનું તથા પરિક્રમા રૂટનું નિરીક્ષણ પણ જિલ્લા વહીવટી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

ઉક્ત બેઠકમાં નર્મદા કિનારે આવેલા આશ્રમના સંચાલકો-સાધુ સંતો પૈકી નર્મદા પરિક્રમાના આયોજક શ્રી સાંવરિયા મહારાજ, જ્યોતિમઠના શ્રી રણજીત સ્વામી, શ્રી સ્વામી સહજાનંદ મહારાજ, શ્રી ધર્મદાસજી મહારાજ, રામાનંદ આશ્રમના શ્રી અમિતાબહેન, શ્રી આનંદદાસ મહારાજ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Rang Leela – Dhuleti 2024
રંગ લીલા – ધુળેટી -૨૦૨૪

 

ઓનિરોઝ ઘી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તારીખ ૨૫/૦૩/૨૦૨૪ ના રોજ પાલ માં આવેલ સામર્થ્ય હાઈટસ નજીક ૧,૫૦,૦૦૦ સ્કવેર ફુટ ના ઓપન પ્લોટ માં એક અનોખી ધુળેટી નું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં એકસાથે હજારો થી પણ વધુ લોકો આ ઉત્સવ નો આનંદ માણશે.
આ ઉત્સવ માં ભારત ની શકીરા માનવામાં આવે એવા લાઈવ વાયર પર્ફોર્મર શ્રી પૂર્વા મંત્રી તો હશે જ પણ સાથે નાસિક ઢોલ, લાઈવ ડી જે , બોલિવૂડ સ્ટાઇલ રેઇન ડાન્સ, ગુલાલ અને સેલ્ફી બૂથ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉત્સવ નું મુખ્ય આકર્ષણ છે “ oxi9 મુલતાની માટી મડ પ્લે એરેના”.

આપણે સૌ સાદી માટી માં ઘણી વાર રમ્યા છે પણ એ માટી સ્કિન ફ્રેઈન્ડલી નથી હોતી એમાં ઘણા બધા પ્રકાર ના રસાયણો, મળ મૂત્ર, તેમજ આપણી સ્કિન ને નુકશાન પહોંચાડે એવા તત્વો હોઈ છે જેના કારણે આપણી સ્કિન પરમેનન્ટ ડેમેજ થયી શકે છે સાથે સાથે એ આંખ માં જવાથી આંખો ને પણ નુકશાન પહોંચે છે.

એથી જ માત્ર સુરત માં જ નહિ પરંતુ સમગ્ર ભારત માં પહેલી વાર રંગ લીલા ધુળેટી માં Oxi9 કંપની દ્વારા ૧૦ ટન થી પણ વધુ મુલતાની માટી, ગ્લીસીરીન અને ગુલાબ જળ ના મિશ્રણ થી ૧૦, ૦૦૦ કીલો નો મડ પૂલ બનાવવામાં આવશે જેમા સુરતી લાલા ઓ હેલ્ધી ધૂળેટી રમી ને આ ઉત્સવ ની મન મૂકી ને મજા માણશે. મુલતાની માટી સ્કીનને સુર્ય પ્રકાશથી રક્ષણ આપશે કે જેથી સ્કીન ટેનીગમા રાહત મળશે.

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે શિક્ષા રિફોર્મ નું લોન્ચિંગ

 

સુરત. આધુનિક શિક્ષા તરફ દુનિયા આગળ વધી રહી છે. ત્યારે સુરત ખાતે આજરોજ ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ના હસ્તે લોંચિંગ કરવામાં આવ્યું હતું. હોટેલ એમોર ખાતે લોન્ચિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતિથિ  તરીકે શિક્ષણવિદ્દ  દિપક રાજગુરુ તથા શહેરની સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આ ઉપરાંત ફિનલેન્ડ થી કેમક  યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સના  કિમ્મો નિક્કાનેન અને શિક્ષણવિદ્દ  એન્ટિ ઇસોવિતા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજ્ય શિક્ષા મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા એ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ફિનલેન્ડ અને  માઈક્રોસોફ્ટ કંપની સાથે ટાઈ અપ કરીને શિક્ષા રિફોર્મ લોંચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખુબજ મહત્વનું સાબિત થશે. શિક્ષા રિફોર્મના કો ફાઉન્ડર રાજીવ સોની અને પરેશ ચલોડિયાએ જણાવ્યું હતું ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઈક્રોસોફ્ટ સાથે ટાઈ અપ કરી  શિક્ષા રિફોર્મ દ્વારા એઆઇ, સાઇબર સિક્યોરીટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે.  જયારે રિફોર્મ ના પાર્ટનર અંકુર પટેલ અને ઉમેશ બારડોલીવાલાએ જણાવ્યું હતું કે  રિફોર્મની ખાસ બાબત એ છે કે આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ પણ આપવામાં આવશે. જે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.
Archana Vidya Bhavan conducted programs with the objective of inculcating the culture of culture.
અર્ચના વિદ્યા સંકુલ દ્વારા સંસ્કૃતિના સંસ્કાર નું સિંચન ના ઉદ્દેશ્યથી પ્રોગ્રામો કરાયા

 

સુરત: અર્ચના વિદ્યા સંકુલ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામની ઉજવણી કરાઈ હતી. જેમાં ગણપતિ પૂજન, સરસ્વતી વંદના, દશાવતાર હોળી, નૃત્ય, લવ જેવી થીમમાં પરિવારીક સંબધોને આવરી લેવામાં આવ્યાં હતા. આર્મી ગીત સૌરાષ્ટ્ર ની રસઘાથા માં ગુજરાતના કવિઓના ગુણગાનની ભવ્ય રજૂઆત કરાઈ હતી. ગોંદલ, જોગવા, શિવા થીમ અને મહિષાસુર વધ જેવા નૃત્ય એ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. પ્રોગ્રામ નિહાળવા માટે આવેલ પ્રેક્ષકો અને વાલીઓ દરેક પાર્ટિસિપેટને પ્રોત્સાહન માટે તાળીઓના ગડગડાટથી વધારી લીધા હતા, અને અમુક પ્રોગ્રામોમાં વાલીઓ પણ ઝુમતા દેખાયા હતા.
સમગ્ર નૃત્યની કોરિયોગ્રફી સંસ્કૃતિ એકેડમીની ટીમના તેજસ યાદવ, ઈશિકા ભોંસલે, રોહિત બિરાડે, દેવરાજ દેવેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી. પ્રોગ્રામને સફળ બનાવવા માટે શાળામાં શિક્ષકોથી લઈને તમામ સ્ટાફે જે ભારે જેહમત ઉઠાવી મેહનત કરી હતી, તે પ્રોગ્રામોમાં પરફેક્ટનેસ ને લઈ પણ દેખાઈ હતી અને કાર્યક્રમના અંતે તમામ શાળા પરિવારના સ્ટાફના ચહેરે છલકાતી ખુશી જોવા મળી હતી. અર્ચના વિદ્યા સંકુલ દ્વારા બાળકોમાં ભણતરની સાથે આવા પ્રોગ્રામો દ્વારા સમાજની અને સંસ્કૃતિની કેવી રીતે માહિતગાર કરવા તે પણ જોવા મળ્યું હતું.
સમગ્ર કાર્યક્રમો બાળકોમાં ભારતીય સંસ્કૃતિના સંસ્કારનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી તમામ કૃતિઓની રજૂઆતો કરવામા આવી હતી.

રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરી દ્વારા કામરેજના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટ

 

સુરત:ગુરૂવાર: સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજ તાલુકાના નવી પારડી ખાતે રૂ.૧૫૦ કરોડના ખર્ચે અમૂલના આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ અને આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટને સાંસદશ્રી સી.આર.પાટીલના હસ્તે ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેનશ્રી શંકરભાઈ ચૌધરી, સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઈ હળપતિ, શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તેમજ સાંસદ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, પ્રોડક્શન લિંકડ ઇન્સેન્ટીવ (પી.એલ.આઈ.) સ્કીમ અંતર્ગત કેન્દ્ર સરકારે સુમુલ ડેરીને આઈસ્ક્રીમ પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટે રૂ.૨.૫૧ કરોડનું ઇન્સેન્ટીવ આપ્યું છે.
રાજ્યના તમામ દૂધ સંઘો પૈકી સુરત જિલ્લાના નવી પારડી ખાતે સર્વપ્રથમ ઈનહાઉસ આઈસ્ક્રીમ પ્લાન્ટના શુભારંભ પ્રસંગે સાંસદશ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જરૂરી છે, ગ્રામવિકાસ માટે પશુપાલન ઉદ્યોગ અને દૂધ ઉત્પાદન ખૂબ જ મહત્વપૂર્ણ છે. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે આ ક્ષેત્રે સુમુલ ડેરી સુરત જિલ્લાના પશુપાલકોના દૂધની ખરીદી કરી યોગ્ય કિંમત પૂરી પાડી તેમને આર્થિક સક્ષમ કરવાનું કાર્ય કરી રહી છે. સુમુલમાં રોજ ૨૭ લાખ લીટર દૂધ એકત્ર થાય છે, જેમાં ૮૦ ટકા દૂધ આદિવાસી વિસ્તારમાંથી આવે છે. આઈસ્ક્રીમ કોન મેંકિંગ પ્લાન્ટના કારણે થતા સ્થાનિક વિસ્તારના લોકો માટે રોજગારીની નવી તકો ઉભી થઈ છે. સુમુલ ડેરીના પારદર્શક વહીવટથી રાજ્યના દૂધ ઉત્પાદન અને સહકાર ક્ષેત્રે આગવી ઓળખ ઉભી થઈ છે, એટલું જ નહીં, રાજ્યના વિકાસમાં તેમજ પશુપાલકોની આર્થિક ઉન્નતિમાં સુમુલ ડેરી મહત્વનું યોગદાન આપી રહી છે.

સ્કૂલ યુનિફોર્મ, શૂઝ-મોજાં અને સ્કૂલ બેગનો મુદ્દો ફરીથી ઉછળ્યો..

 

ટેન્ડર પ્રક્રિયામાં શરતોની અવગણના કરવાના વિપક્ષના આક્ષેપને લઈને સામાન્ય સભામાં હોબાળો

જે એજન્સીઓને યોગ્ય કામગીરી નહીં કરતા અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હોવા છતાં ફરીથી કામ સોંપવામાં આવ્યું

સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ ચણા, લાડુ અને વેફર વેચતી કંપનીને આપવામાં આવ્યો : રાકેશ હિરપરા

ગણવેશથી લઈને શાળાના મેદાનની સફાઈ સુધીના કોન્ટ્રાક્ટમાં ટેન્ડરોની અવગણના કરવાના વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા શાસક પક્ષને પરસેવો છૂટી ગયો

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ચેરમેન રાજેન્દ્ર કાપડિયાએ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સાઇકલ વિતરણ, શાળા ગણવેશ, બુટ – મોજાં અને સ્કુલ બેગ સહિતની રૂ.25 કરોડથી વધુની દરખાસ્તો મંજુરી માટે રજૂ કરી હતી. વિરોધ વચ્ચે બહુમતી સાથે તમામ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા. જો કે આ દરમિયાન વિપક્ષ આમ આદમી પાર્ટીના સભ્ય રાકેશ હિરપરાએ અનેક મુદ્દે સવાલો ઉઠાવીને શાસક પક્ષને ઘેર્યો હતો. ખાસ કરીને શાસક પક્ષ પર વિવિધ કામોની ટેન્ડર પ્રક્રિયામાં શરતોની અવગણના કરવાનો આક્ષેપ કર્યો હતો. કેટલીક હકીકતો રજૂ કરતી વખતે ટેન્ડરના નિયમો અને શરતો મુજબના દસ્તાવેજો રજૂ કર્યા ન હોવા છતાં એજન્સીનું ટેન્ડર કેવી રીતે ખોલવામાં આવ્યું? જે એજન્સીને સંતોષકારક કામ ન કરવા બદલ નોટિસો આપવામાં આવી હતી અને વર્ક ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હતો તે જ એજન્સીને ફરીથી ટેન્ડર કેમ સોંપવામાં આવ્યા? વગેરે વેધક પ્રશ્નો ઉઠાવવામાં આવતા સભામાં હોબાળો મચી ગયો હતો. શાસક પક્ષના સભ્યોને આક્ષેપોનો બચાવ કરવામાં પરસેવો છૂટી ગયો હતો. શાસક પક્ષ તરફથી અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયા, સભ્યો યશોધર દેસાઈ, અનુરાગ કોઠારી, શુભમ ઉપાધ્યાય અને સંજય પાટીલે સ્પષ્ટતા કરી કે વિપક્ષના આક્ષેપો ખોટા હોવાનું જણાવ્યું હતું.

  • જે એજન્સીને ગેરલાયક ઠેરવવામાં આવી હતી તેને કરોડોના ટેન્ડર સોંપાયું!

સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ સત્તાધારી પક્ષ એજન્સીઓના હિતમાં કામ કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે જે કંપનીને સ્કૂલ બેગ માટે રૂ. 5.95 કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તેને અગાઉ શાસક પક્ષના સભ્ય દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવી હોવાનું સામાન્ય સભામાં જણાવ્યું હતું અને તે સમયે માત્ર રૂ. 31 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આમ છતાં આ જ એજન્સીને હવે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હિરપરાએ એમ પણ જણાવ્યું હતું કે હેક્સાકોર્પ કંપની કે જેને સ્કૂલ બેગનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ત્યારે અમે ઈન્ટરનેટના માધ્યમથી તે કંપની વિશે માહિતી એકઠી કરી ખબર પડી કે આ કંપની લાડુ, ચિક્કી, વેફર વગેરે બનાવે છે. તેવી જ રીતે શાળાઓમાં મેદાનોની સફાઈનો કોન્ટ્રાક્ટ સોંપવામાં આવેલ ગુરુજી નામની એજન્સીને ગત વર્ષે કામ યોગ્ય રીતે ન થવાના કારણે નોટિસ આપવામાં આવી હતી અને બાદમાં વર્ક ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો. આમ છતાં ફરી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ સોંપવાથી અનેક સવાલો ઉભા થાય છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટરોના આર્થિક શોષણનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો.

  • વિદ્યાર્થીઓના હિતને બદલે એજન્સીઓ પર વિપક્ષનું વધુ ધ્યાનઃ શુભમ ઉપાધ્યાય

ખરીદ સમિતિના અધ્યક્ષ શુભમ ઉપાધ્યાયે વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાને જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે વિપક્ષ દ્વારા સાયકલથી માંડીને ગણવેશ અને સ્કૂલ બેગ સુધીની દરેક વસ્તુની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. પણ સાચી હકીકત એ છે કે ગણવેશ માટેના ટેન્ડરમાં કોઈ ગેરરીતિ નથી થઈ. રિ-ટેન્ડરિંગ બાદ એલ-1 એજન્સીને ટેન્ડર આપવામાં આવ્યું છે. માહિતીના અભાવે વિપક્ષ પોતાની અજ્ઞાનતા બતાવી રહ્યો છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વિપક્ષ વિદ્યાર્થીઓના કલ્યાણ વિશે વિચારવાને બદલે એજન્સીઓ પર વધુ ધ્યાન આપી રહ્યો છે. જ્યારે આ વખતે ભાજપે વિદ્યાર્થીઓના હિતમાં તમામ બાળકોને બે ગણવેશ, એક રમતગમતનો ગણવેશ અને સ્કૂલ બેગ આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે વિપક્ષે તેની પ્રશંસા કરવી જોઈએ.

  • ટેન્ડરના કામ સામે વિરોધ કરવાનો વિપક્ષનો સ્વભાવ બની ગયો છે : અનુરાગ કોઠારી

ટેન્ડરીંગ પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠાવનાર વિપક્ષના જવાબમાં સભ્ય અનુરાગ કોઠારીએ જણાવ્યું હતું કે વિપક્ષને ટેન્ડર પ્રક્રિયાની કોઈ જાણકારી નથી. પહેલા તેઓએ આ વિશે માહિતી એકઠી કરવી જોઈએ. વિદ્યાર્થીઓને સ્કુલ બેગ અને સાયકલ આપવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં હોવા છતાં વિપક્ષ માત્ર વિરોધ જ કરી રહ્યો છે. ખાસ કરીને જ્યારે પણ કામનું ટેન્ડર આવે ત્યારે વિરોધ કરવાની વિપક્ષની આદત બની ગઈ છે. અને આ ટેન્ડરો કોને આપવામાં આવે છે અને કેમ આપવામાં આવે છે ફક્ત તેનામાં જ ઇન્ટરેસ્ટ દેખાતો હોય છે.

વિશ્વમાં સૌ પ્રથમ વખત સુરતની સંસ્થાએ દુબઈ માં યોજ્યો દીકરા – દિકરીના એંગેજમેન્ટ મેરેજ માટે માર્ગદર્શન મેગા સેમિનાર By Life Line United Foundation

 

લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન – સુરત છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સેવા પ્રવૃત્તિ કરી રહી છે હાલ ના સમય માં દીકરા દિકરીના સગપણ વેવિશાળ અને લગ્ન જેવા અઘરા અને ચિંતા યુક્ત સામાજીક કાર્ય ને સેવાના ભાવ થી નવી પધ્ધતિસર સહેલું સરળ તેમજ એકદમ ચિંતા થી મુક્ત કરવા છેલ્લા પાંચ વર્ષથી સફળતા પૂર્વક ચાલી રહેલી દીકરી દત્તક યોજના એટલે કે સગાઈ અને લગ્નની નવી પદ્ધતિ ગુજરાતમાં સારી રીતે ચાલી રહી છે અને વિશ્વના અનેક દેશોમાં પણ સુરત થી કાર્ય થઈ રહ્યું છે  લાઈફ લાઈન યુનાઈટેડ ફાઉન્ડેશન સુરતની સંસ્થાએ વિશ્વમાં સૌ પ્રથમ વાર દુબઈ માં કર્યો એંગેજમેન્ટ મેગા સેમિનાર તા – 27/2/24 મંગળવાર સાંજે 5.30 કલાક અલ ખૂરી સ્કાય ગાર્ડન હોટેલ દુબઈ ( Al Khoory Sky Garden Hotel Dubai ) ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દુબઈમાં રહેતા ગુજરાતી દિકરા દિકરી ઓએ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.

આગામી સમયમાં દુબઈમાં 51 સગાઈ અને લગ્ન કરવા માટેનો સંકલ્પ લીધો છે જે ટૂંક સમયમાં પૂરો સાકાર પણ થશે.

દુબઈ પોલીસ દ્વારા વિશેષ એવોર્ડ એનાયત કરી સંસ્થાને સન્માનીત કરવામાં આવી હતી તેથી સંસ્થાના આ વિશ્વવ્યાપી શુભારંભથી જ વિદેશો માં પણ સંસ્થાના સેવાકાર્ય ને પ્રોત્સાહન મળી રહ્યું છે. 

સંસ્થા ના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઇટાલિયા અને ઉપપ્રમુખશ્રી નીતાબેન નારિયા એ જણાવ્યું હતું કે આવનાર સમયમાં અમો યું.કે. ખાતે સેમીનાર કરવા જઈ રહ્યાં છીએ ગર્વની લાગણી અનુભવીએ છીએ.

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો SME પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો IPO, પ્રથમ રોડ-શો સુરતમાં યોજાયો

 

KP ગ્રીન એન્જિયરીંગ લિમિટેડનો SME પ્રારંભિક જાહેર ઓફર(IPO) શુક્રવાર, 15મી માર્ચ, 2024 ના રોજ ખુલશે, પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરાય,

22 માર્ચે સુરતમાં જ બેલ સેરમેની કરી નવો ચિલો ચાતરશે કેપી ગ્રુપ

સુરત: 11 માર્ચ 2024 સુરત ગુજરાત સ્થિત કેપી ગ્રુપની 25 વર્ષ પુરાણી ફ્લેગશીપ કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડનો એસએમઈ પ્લેટફોર્મ પર સૌથી મોટો રૂ. 189.50 કરોડનો આઈપીઓ આવી રહ્યો છે. તેનો પ્રથમ રોડ શો (ઈન્વેસ્ટર, બ્રોકર મીટ) સુરતની લે-મેરિડિયન હોટલ ખાતે યોજાયો હતો. અત્યારસુધી પ્રથમ રોડ શોનું ચલણ દિલ્હી અથવા મુંબઈ રહ્યું છે પરંતુ કંપનીનું હેડક્વાટર્સ સુરત હોય અહીં એક નવો ચિલો પાડવામાં આવ્યો છે. કંપની તા. 22 માર્ચના રોજ બેલ સેરમની પણ સુરતમાં જ કરવા જઈ રહી છે.

માહિતી આપતા કેપી ગ્રુપના ચેરમેન-મેનેજિંગ ડિરેક્ટર ડો. ફારુક જી. પટેલે કહ્યું હતું,  IPO માટે પ્રત્યેકની ₹5/- ફેસ વેલ્યુ સાથે પ્રતિ ઈક્વિટી શેર ₹137/- થી ₹144/- પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવીછે. આઈપીઓ શુક્રવાર, 15મી માર્ચ, 2024ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને મંગળવાર, 19મી માર્ચ, 2024ના રોજ બંધ થશે. આ પહેલા અમારી બે કંપની સ્ટોક માર્કેટમાં આવી ચુકી છે. જેમાં કેપી એનર્જી લિ. વર્ષ 2016માં લિસ્ટેડ થઈ હતી. કેપી એનર્જીની માર્કેટ કેપ આજે રૂ. 2638 કરોડ છે. બીજી કંપની KPI ગ્રીન એનર્જી લિમિટેડ વર્ષ 2019માં લિસ્ટેડ થઈ હતી. આ કંપનીનું માર્કેટ કેપ 10404 કરોડ રૂપિયા છે. અમે વિચાર્યું હતું કે, ડોલર જેટલી આપણી કિંમત થાય અને કેપીઆઈ ગ્રીનનો એક રૂપિયો બરાબર 84 રૂપિયા થઈ ગયો. આ પર્ફોમન્સ અમારું રહ્યું છે. કેપી ગ્રુપનું રૂ. 150 અબજથી વધુનું બિઝનેસ એમ્પાયર છે. બંને કંપનીઓ રિન્યુએબલ એનર્જી સેક્ટર સોલાર-વિન્ડ પાવર અને હાઇબ્રિડમાં સારું પ્રદર્શન કરી રહી છે અને જેનો આઈપીઓ લાવી રહ્યાં છે તે કેપી ગ્રીન એન્જિનિયરિંગ 25 વર્ષથી કામ કરી રહી છે, એટલે હું ચોક્કસ કહીંશ કે તે સારું જ પ્રદર્શન કરશે. અમે વડાપ્રધાન મોદીના રિન્યુએબલ સેક્ટરમાં વર્ષ 2030માં 500 ગીગાવોટ્સના ટાર્ગેટ સુધી પહોંચવામાં એગ્રેસીવલી આગળ ધપી રહ્યાં છે અને દેશની બીજા દેશો પરની નિર્ભરતા ધટાડી રહ્યાં છે.

  • નવું ફેક્ટરી યુનિટ બનાવી રહી છે

કેપી ગ્રીન એન્જિનયરિંગ લિ.ના વ્હોલ ટાઈમ ડિરેક્ટર મોઈનુલ કડવાએ કહ્યું હતું, કંપની ભરૂચ જિલ્લાના માતર ગામમાં એક વિશાળ ફેક્ટરી નિર્માણ કરી રહી છે. તેમાં ઉત્પાદન સુવિધાનો એકંદર પ્રોજેક્ટ ખર્ચ રૂ. 174.04 કરોડ છે. ઓફર મારફત એકત્ર થનારી રકમમાંથી રૂ. 156.14 કરોડ સુધીની રકમનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ અમે મૂક્યો છે. હાલ ડભાસા સ્થિત 2 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી ફેક્ટરીમાં વાર્ષિક 53,000 મેટ્રીક ટન છે, તે નવા એકમ માતરમાં વાર્ષિક 294,000 મેટ્રીક ટનની ક્ષમતા સાથે ઉત્પાદન સુવિધા વધારવાની યોજના છે. 31 ડિસેમ્બર, 2023 સુધીમાં, કંપની પાસે આશરે રૂ. 233.91 કરોડની કુલ ઓર્ડર બુક મૂલ્ય સાથે 69 પ્રોજેક્ટ્સ છે.

– ઈન હાઉસ ફેસિલિટી:
વર્ષ 2001 માં સ્થપાયેલી કેપી ગ્રીન એન્જિનિયરિંગ કંપની હોટ-ડીપ ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ વસ્તુઓના ઉત્પાદનમાં વિશેષતા ધરાવે છે. તેની વ્યાપક ઉત્પાદન શ્રેણીમાં લેટીસ ટાવર સ્ટ્રક્ચર્સ, સબસ્ટેશન સ્ટ્રક્ચર્સ, સોલર મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સ, કેબલ ટ્રે, અર્થિંગ સ્ટ્રીપ્સ, બીમ ક્રેશ બેરિયર્સ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર સોલ્યુશન્સનો સમાવેશ થાય છે. વધુમાં, તે ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ, ગેલ્વેનાઇઝિંગ જોબ વર્ક અને સોલર ઇન્સ્ટોલેશન સેવાઓ માટે ફોલ્ટ રેક્ટિફિકેશન સર્વિસિસ (FRT) ઓફર કરે છે. સાથે તે રિન્યુએબલ એનર્જી સેક્ટરને સપોર્ટિંગ ફેબ્રિકેશન સોલાર એમએમએસ સ્ટ્રક્ચર, વિન્ડ લેટિસ ટાવર, ટ્રાન્સમિશન ટાવર, પોલનું પણ નિર્માણ કરે છે. કંપની GETCO (ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) અને MSETCL (મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કંપની) દ્વારા પણ માન્યતા આપવામાં આવી છે અને હાલમાં તે અનુક્રમે 400 Kw અને 220 Kw સુધીની જરૂરિયાતો પૂરી કરે છે.

– કંપનીનું નાણાંકિય મેનેજમેન્ટ:

કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિએ નાણાકીય વર્ષ FY23માં રૂ. 12.40 કરોડનો નફો કર્યો હતો, જે અગાઉના વર્ષના રૂ. 4.54 કરોડથી વધીને નફામાં 2.73 ગણો જેટલો વધારો દર્શાવે છે. નાણાંકીય વર્ષ 23 દરમિયાન આવક અગાઉના વર્ષના રૂ. 77.70 કરોડની સરખામણીએ નોંધપાત્ર રીતે વધીને રૂ. 114.21 કરોડ થઈ છે, જે 47% નો વધારો દર્શાવે છે. આનું મુખ્ય કારણ ઉત્પાદનો અને સેવાઓના વેચાણમાંથી આવકમાં વધારો છે. કંપનીએ સપ્ટેમ્બર-2023 સુધી માત્ર 6 મહિનામાં નાણાકીય વર્ષ 2022-23ની લગભગ સમાન આવક અને PAT હાંસલ કરી છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા છ મહિનામાં, ઑપરેશન સંચાલનમાંથી આવક રૂ. 103.93 કરોડ હતી અને કર પછીનો નફો રૂ. 11.27 કરોડ હતો.