Posts by: abhay_news_editor

JITO પ્રીમિયર લીગ 2026 માટે ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમ અને જર્સીનું લોન્ચિંગ

 

– 300થી વધુ ખેલાડીઓમાંથી પસંદ થયા 25 ગ્લેડિયેટર્સ, કોલંબોમાં ગુજરાતનું નામ રોશન કરશે

સુરત: ગુજરાતની રમતગમતની ઓળખને આંતરરાષ્ટ્રીય મંચ સુધી લઈ જવાના ઉદ્દેશ સાથે ગુજરાત ગ્લેડિયેટર્સની સત્તાવાર ટીમ અને જર્સીનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. JITO પ્રીમિયર લીગ 2026માં ગુજરાત ગ્લેડિયેટર્સ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. લીગનું આયોજન 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર 2026 દરમિયાન કોલંબો, શ્રીલંકામાં થશે.

ગુજરાત ગ્લેડિયેટર્સ ટીમના માલિકી કંપની ચિંતામણી એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના માલિક નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાત ગ્લેડિયેટર્સ
માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયામાં સમગ્ર ભારતમાંથી 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિવિધ તબક્કાની પસંદગી પ્રક્રિયા બાદ 25 ખેલાડીઓને અંતિમ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. હવે આ 25 ખેલાડીઓ કોલંબોમાં ગુજરાતના નામ અને ઓળખ સાથે મેદાનમાં ઉતરશે.

વધુમાં નીતિન મહેતાએ કહ્યું હતું કે ટીમનું નામ કોઈ બિઝનેસ, કંપની કે કોર્પોરેટ ઓળખ પરથી રાખવાને બદલે સીધું ‘ગુજરાત’ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતને ઉદ્યોગસાહસિકતા, સાહસ, વિકાસ, નવી તકો અને સતત આગળ વધવાની ભાવનાના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવ્યું છે. ટીમનો ઉદ્દેશ માત્ર એક ફ્રેન્ચાઈઝી તરીકે ઓળખ બનાવવાનો નહીં, પરંતુ ગુજરાતની ઓળખ અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરવાનો છે અને આ બાબતની નોંધ ખુદ કેન્દ્રીય રમત ગમત મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ લઈ નીતિન મહેતાની પ્રશંસા પણ કરી છે.
ટીમના માલિકે જણાવ્યું હતું કે ગુજરાત ગ્લેડિયેટર્સની પસંદગી પ્રક્રિયામાં 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. દરેક ખેલાડી માટે ટ્રાયલ પોતાની પ્રતિભા સાબિત કરવાની તક બની હતી. અંતે 25 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. આ ખેલાડીઓ માટે JPL માત્ર એક ટુર્નામેન્ટ નહીં, પરંતુ પોતાની પ્રતિભા અને નવી ઓળખ સ્થાપિત કરવાની તક પણ છે.

ગુજરાત ગ્લેડિયેટર્સની ટીમની વિચારધારા પાંચ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે તે છે સાહસ, શિસ્ત, એકતા, જુસ્સો અને ગૌરવ. ટીમ મેનેજમેન્ટનું માનવું છે કે મેદાન પર વ્યક્તિગત પ્રદર્શન સાથે ટીમભાવનાને પણ એટલું જ મહત્વ આપવામાં આવશે.

– પાર્થિવ પટેલ બન્યા બ્રાન્ડ એમ્બેસેડર

ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પાર્થિવ પટેલ ગુજરાત ગ્લેડિયેટર્સ સાથે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે. ભારતીય ક્રિકેટનો અનુભવ, રમતની સમજ અને ગુજરાત સાથેનું તેમનું જોડાણ ટીમ માટે મહત્વપૂર્ણ ગણવામાં આવી રહ્યું છે.

– JITO Apexના ચેરમેન પૃથ્વીરાજ કોઠારીની વિશેષ ઉપસ્થિતિ

JPLના વ્યાપક વિઝન અને રમતગમત સાથે સમાજને જોડવાના પ્રયાસને JITO Apexના નેતૃત્વનું સમર્થન છે. JITO Apexના ચેરમેન પૃથ્વીરાજ કોઠારી પણ ટીમ લોન્ચ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

– ટીમ પાછળનું વિઝન

ગુજરાત ગ્લેડિયેટર્સના માલિક નિતિન મહેતાના જણાવ્યા અનુસાર ટીમ બનાવવાનો હેતુ માત્ર ક્રિકેટ મેચ જીતવાનો નથી. પ્રતિભાશાળી ખેલાડીઓને તક આપવી, મજબૂત ટીમ તૈયાર કરવી, આગવી ઓળખ ઊભી કરવી અને ગુજરાત ગર્વ કરી શકે તેવી વિરાસતનું નિર્માણ કરવું એ ટીમ પાછળનું મુખ્ય વિઝન છે.

– ક્રિકેટથી આગળ વધતું JPLનું પ્લેટફોર્મ

JITO પ્રીમિયર લીગને માત્ર ક્રિકેટ ટુર્નામેન્ટ તરીકે નહીં, પરંતુ રમતગમત, પ્રતિભા, ઉદ્યોગસાહસિકતા, નેતૃત્વ અને સમાજને જોડતા પ્લેટફોર્મ તરીકે રજૂ કરવામાં આવી છે. JPL 2026માં 12 ફ્રેન્ચાઈઝી ટીમો ભાગ લઈ રહી છે. લીગનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભાની શોધ, નવી તકોનું નિર્માણ, ટીમ સ્પિરિટને પ્રોત્સાહન અને નવી પેઢીને રમતગમત તરફ પ્રેરિત કરવાનો છે.

24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન કોલંબોમાં યોજાનારી JPL 2026માં ગુજરાત ગ્લેડિયેટર્સના 25 ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ટીમ મેનેજમેન્ટનું કહેવું છે કે જ્યારે ગ્લેડિયેટર્સ મેદાનમાં ઉતરશે ત્યારે તેમની જર્સી પર માત્ર ટીમનો લોગો નહીં, પરંતુ ‘ગુજરાત’ની ઓળખ પણ હશે.
ગુજરાત ગ્લેડિયેટર્સનું સૂત્ર છે એક ટીમ, એક રાજ્ય, એક ગૌરવ.

CubeSanchar નું VyomLink-1 હાઈ-એલ્ટિટ્યુડ બલૂન ટેક્નોલોજી ડેમો સફળતાપૂર્વક પૂર્ણ

 

હૈદરાબાદ, 1 સપ્ટેમ્બર 2026: CubeSancharએ પોતાની VyomLink-1 હાઈ-એલ્ટિટ્યુડ બલૂન મિશનની ફ્લાઇટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ મિશનનો મુખ્ય હેતુ ઓછા ખર્ચે ડેટા રિલે કમ્યુનિકેશન સિસ્ટમ વાસ્તવિક ફ્લાઇટ પરિસ્થિતિમાં કેવી રીતે કામ કરે છે તે તપાસવાનો હતો.

આ મિશન CubeSanch arની ટીમના માહિર ચાહવાળા, કૃષ્ણેન્દ્ર સિંહ, પવન કુમાર અને સાઈ પ્રસાદ ધોધી દ્વારા કરવામાં આવ્યું હતું. ટીમે પેલોડ બનાવવાથી લઈને તેની ટેસ્ટિંગ, ઇન્ટિગ્રેશન, કમ્યુનિકેશન સિસ્ટમ અને આખા મિશનના ઓપરેશન સુધીની જવાબદારી સંભાળી હતી.

ફ્લાઇટ દરમિયાન VyomLink-1એ લગભગ  10 કિમીની ઊંચાઈ સુધી અને અંદાજે 16 કિમીના સ્લાન્ટ રેન્જ સુધી Store-and-Forward Data Relay સિસ્ટમ સફળતાપૂર્વક બતાવી.

આ સફળ રિલે તબક્કામાં અપેક્ષિત 20માંથી 20 ડેટા પેકેટ સફળતાપૂર્વક મળ્યા, એટલે કે 100% પેકેટ રિસેપ્શન થયું અને કોઈ પેકેટ લોસ નોંધાયો નહીં.

લગભગ 10 કિમીની ઊંચાઈ બાદ નવા મોકલાયેલા Store Commands માટે acknowledgement મળવાનું બંધ થયું. તેનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી. પેલોડ રિકવર થયા પછી ટીમ આ બાબતનું વિગતવાર વિશ્લેષણ કરશે.

મહત્વની વાત એ છે કે આ સમસ્યા આવ્યા પછી પણ પેલોડ કામ કરતું રહ્યું.

VyomLink-1એ 32.8 કિમીથી વધુ ઊંચાઈ પરથી પણ પોતાના હેલ્થ બીકન મોકલવાનું ચાલુ રાખ્યું, અને લગભગ 68 કિમીના સ્લાન્ટ રેન્જ સુધી કમ્યુનિકેશન સફળ રહ્યું.

આથી સાબિત થયું કે CubeSancharનું નાનું અને કોમ્પેક્ટ કમ્યુનિકેશન પેલોડ ઘણું મજબૂત છે. મુખ્ય Store-and-Forward પ્રયોગમાં સમસ્યા આવ્યા પછી પણ સિસ્ટમ Near-Space જેવી ઊંચાઈ પરથી પૃથ્વી સાથે વાતચીત કરતી રહી.

આ મિશન દરમિયાન પેલોડને જમીન પરની ટેસ્ટિંગ કરતા ઘણી વધુ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો.

લૉન્ચ પહેલા સિસ્ટમને લગભગ -15°C થી -24°C તાપમાનમાં ટેસ્ટ કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક ફ્લાઇટ દરમિયાન પેલોડ અંદાજે -60°C થી -80°C જેટલી ઠંડી પરિસ્થિતિમાંથી પસાર થયું , અને છતાં પણ કામ કરતું રહ્યું.

હવે CubeSancharની ટીમ પેલોડ રિકવર થવાની રાહ જોઈ રહી છે. પેલોડ પાછું મળ્યા પછી તેના હાર્ડવેર અને અંદરના રેકોર્ડ્સ ચેક કરવામાં આવશે.

તેના આધારે સમજવામાં આવશે કે 10 કિમી પછી Store-and-Forward સિસ્ટમમાં આવેલી સમસ્યા રિસીવિંગ લિંક, પેલોડના ઇલેક્ટ્રોનિક્સ, સોફ્ટવેર, સ્ટોરેજ અથવા ફ્લાઇટ સાથે જોડાયેલા અન્ય કોઈ કારણને કારણે હતી કે નહીં.

ટીમ માટે આ તપાસ પણ ટેક્નોલોજી ડેવલપમેન્ટનો મહત્વનો ભાગ છે.

CubeSanchar STAR Labs Surat નો પણ હૃદયપૂર્વક આભાર માને છે, જેમણે VyomLink-1 પેલોડના ડેવલપમેન્ટમાં મદદ કરી, પોતાની સુવિધાઓ ઉપયોગ કરવા આપી અને ટેસ્ટિંગથી લઈને મિશન તૈયારી સુધી ટીમને સતત સહકાર આપ્યો.

VyomLink-1 મિશને અત્યાર સુધીમાં ત્રણ મહત્વપૂર્ણ પરિણામ આપ્યા છે:

લગભગ 10 કિમી ઊંચાઈ અને 16 કિમી સ્લાન્ટ રેન્જ સુધી Store-and-Forward Relay સફળ રહ્યો.
32.8 કિમીથી વધુ ઊંચાઈ અને લગભગ 68 કિમી સ્લાન્ટ રેન્જ સુધી પેલોડ સાથે કમ્યુનિકેશન ચાલુ રહ્યું.
જમીન પરની ટેસ્ટિંગ કરતા ઘણી વધુ કઠિન ઠંડી પરિસ્થિતિમાં પણ પેલોડ સફળતાપૂર્વક કામ કરતું રહ્યું.

CubeSanchar માટે આ મિશન લેબોરેટરીમાં થયેલી ટેસ્ટિંગથી આગળ વધીને વાસ્તવિક દુનિયામાં ઓછા ખર્ચે ડેટા રિલે કમ્યુનિકેશન સિસ્ટમ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

“પેલોડ પહેલા કરતાં વધુ ઊંચું ગયું, વધુ દૂર ગયું અને વધુ કઠિન પરિસ્થિતિમાંથી પસાર થયું — છતાં પણ પૃથ્વી સાથે વાત કરતું રહ્યું.”

VyomLink-1માંથી મળેલા ડેટાનો ઉપયોગ હવે CubeSancharની આગામી પેઢીની કમ્યુનિકેશન ટેક્નોલોજીને વધુ સારી અને મજબૂત બનાવવા માટે કરવામાં આવશે.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભક્તિ, ઉલ્લાસ અને સાંસ્કૃતિક ભવ્યતા સાથે જન્માષ્ટમી ઉત્સવની ઊજવણી

 

બાળકોએ કૃષ્ણની મનમોહક દુનિયાને જીવંત કરીને ભારતીય સંસ્કૃતિ અને વિરાસતનો ભવ્ય ઉત્સવ મનાવ્યો

સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીનો પર્વ અત્યંત ઉત્સાહ, શ્રદ્ધા અને સાંસ્કૃતિક ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો. આ અવસરે વિદ્યાલય પરિસરને આકર્ષક સજાવટથી સુસજ્જ કરીને વૃંદાવનની મનમોહક છટાને સાકાર કરવામાં આવી, જેણે શ્રીકૃષ્ણની દિવ્યતા, બાલ સુલભ માસૂમિયત અને ચંચળતાને જીવંત કરી દીધી.

ઉત્સવ દરમિયાન સંગીત, નૃત્ય, પારંપરિક વેશભૂષા અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓની મનમોહક ઝલક જોવા મળી. નાના વિદ્યાર્થીઓ મનમોહક કાનુડો અને રાધાના રૂપમાં સજેલા હોવાથી અત્યંત આકર્ષક લાગી રહ્યા હતા. તેમની માસૂમ મુસ્કાન, ઉત્સાહ અને ઉમંગે આખા વિદ્યાલય પરિસરને આનંદ, ભક્તિ અને ઉત્સવના રંગમાં રંગી નાખ્યું.

કૃષ્ણ-આધારિત વિવિધ પ્રવૃત્તિઓ અને મનોહારી રજૂઆતોના માધ્યમથી વિદ્યાર્થીઓને ભગવાન શ્રીકૃષ્ણના જીવન, બાલ લીલાઓ અને તેમના શાશ્વત સંદેશાઓને સમજવાની તક મળી. આ આયોજન માત્ર એક ઉત્સવ સુધી સીમિત ન રહ્યું, પરંતુ બાળકોને પ્રેમ, કરુણા, મિત્રતા, સાહસ, વિવેક અને ધર્મના માર્ગ પર ચાલવા જેવા જીવન મૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા પણ આપી.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની આચાર્યા શ્રીમતી પૂર્વિકા સોલંકીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉત્સાહપૂર્ણ સહભાગિતા પર પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું કે “ત્યોહાર બાળકોની શીખવાની યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જન્માષ્ટમી આપણા નાના વિદ્યાર્થીઓને ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાવા સાથે-સાથે પ્રેમ, કરુણા, સાહસ અને ધર્મનિષ્ઠા જેવા શાશ્વત જીવન મૂલ્યોને સમજવાની તક પૂરી પાડે છે. જ્યારે બાળકો આપણી પરંપરાઓને આનંદ અને સહભાગિતા સાથે અનુભવે છે, ત્યારે તેની સાથે જોડાયેલા મૂલ્યો તેમના જીવનમાં ઊંડાણથી પોતાનું સ્થાન બનાવી લે છે અને લાંબા સમય સુધી તેમની સાથે રહે છે.”

વિદ્યાલય વ્યવસ્થાપને આ ભવ્ય આયોજનને સફળ બનાવવામાં શિક્ષકોના સમર્પિત પ્રયત્નો તથા વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ સહભાગિતાની સરાહના કરી.
ઉત્સવનું સમાપન આનંદ, ભક્તિ અને સામૂહિક ઉલ્લાસના વાતાવરણમાં થયું. આ અવસરે સૌના મનમાં સુંદર સ્મૃતિઓ સંજોઈ સાથે-સાથે ભારતની સમૃદ્ધ અને વિવિધ સાંસ્કૃતિક વિરાસત પ્રત્યેના સન્માન અને ગૌરવની ભાવનાને વધુ પ્રગાઢ બનાવી.

આવા આયોજનોના માધ્યમથી વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓ માટે શીખવાના એવા સાર્થક અનુભવો સતત સૃજન કરે છે, જે તેમને માત્ર શૈક્ષણિક રીતે જ નહીં, પરંતુ સાંસ્કૃતિક જાગૃતિ, રચનાત્મકતા, આત્મવિશ્વાસ અને સુદૃઢ માનવીય મૂલ્યોથી પણ સમૃદ્ધ કરે છે.

કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના ઉપયોગ પર ક્રાંતિકારી સંશોધન માટે AM/NS India અને ICAR-IARIએ હાથ મિલાવ્યા

 

ખાણની બાય-પ્રોડક્ટ્સને મૂલ્યવર્ધિત કૃષિ એપ્લિકેશન્સમાં રૂપાંતરિત કરવા, સર્ક્યુલર અર્થતંત્ર અને ટકાઉ વિકાસને ટેકો આપવા અંગે વૈજ્ઞાનિક અભ્યાસને આગળ વધારવા માટે સમજૂતી કરાર

સુરત , સપ્ટેમ્બર 01, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ – ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (ICAR-IARI)એ આજે કૃષિ ક્ષેત્રે આયર્ન ઓર (અયસ્ક) ટ્રેઇલિંગ્સના ટકાઉ ઉપયોગ અંગે અદ્યતન સંશોધન હાથ ધરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. જે ભારતમાં સર્ક્યુલર અર્થતંત્ર અને સંસાધન સંરક્ષણ તરફનું એક નોંધપાત્ર પગલું છે.

આ સમજૂતી કરાર પર ડો. વિશ્વનાશન એન., હેડ – રિસર્ચ એન્ડ ડેવોલપમેન્ટ, AM/NS India અને ડો. સી. વિશ્વનાથન, સંયુક્ત નિર્દેશક (સંશોધન), ICAR-IARI દ્વારા ડો. ભૂપિન્દર સિંઘ, મુખ્ય વૈજ્ઞાનિક અને તપાસકર્તા ICAR-IARI સહિત બંને સંસ્થાઓના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સહયોગ વર્ષ 2024માં AM/NS India અને ICAR-IARI વચ્ચે કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સની ટકાઉતા શોધવા માટે શરૂ કરવામાં આવેલા પ્રાથમિક અભ્યાસોને પ્રોત્સાહિત કરવા પર આધારિત છે, કારણ કે આયર્ન ઓરના બેનેફિકેશન (શુદ્ધિકરણ) દરમિયાન ઉત્પન્ન થતા આયર્ન ઓર ટ્રેઇલિંગ્માં કુદરતી બનતા ખનીજો જેવા કે સિલિકા, આયર્ન ઓક્સાઇડ્સ, એલ્યુમિના, કેલ્શિયમ અને મેગ્નેશિયમ તથા અન્ય સૂક્ષ્મ અને લાભદાયી પોષકતત્વો હોવાનું જાણવા મળ્યું છે, જેનો ઉપયોગ પાક ઉત્પાદન અને જમીનનાં સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે કરી શકાય છે.

શરૂઆતમાં પ્રયોગશાળા અને ક્ષેત્રીય અભ્યાસ નવી દિલ્હીના ICAR-IARI અને છત્તીસગઢના કિરનદુલમાં AM/NS Indiaના બેનેફિકેશન સુવિધા નજીક હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ દરમિયાન આશાસ્પદ પરિણામો મળ્યા હતા. સંશોધનમાં ડાંગર, ઘઉં અને શાકભાજી સહિતના પાકો માટે આવશ્યક અને લાભદાયક ખનીજ પોષકતત્વોના સ્ત્રોત તરીકે આયર્ન ઓર ટ્રેઇલિંગ્સનો ઉપયોગ કરવા માટેની સંભાવના દર્શાવવામાં આવી હતી.

પ્રવર્તમાન એમઓયુ નવી દિલ્હીના ICAR-IAR ખાતે અને કિરનદુલુમાં AM/NS India ખાતે હાથ ધરાનારા અનેક ઋતુઓમાં લાંબા ગાળાના વૈજ્ઞાનિક અભ્યાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી પાકના પ્રતિસાદ, પોષક ઉપલબ્ધતા, ફાઇટો-ટોક્સિસિટી, લિચિંગ લાક્ષણિકતાઓ અને એકંદર પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરી શકાય. આ સંશોધનનો ઉદ્દેશ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાને સ્થાપિત કરવાનો છે, જે કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સુરક્ષિત અને લાભદાયક ઉપયોગને સક્ષમ અને સુનિશ્ચિત કરી શકે. આ ખાણની બાય-પ્રોડક્ટ્સના લાંબા ગાળાના સંગ્રહ માટેની જરૂરિયાતને ઘટાડવામાં સહાય કરશે.

આ અભૂતપૂર્વ સંશોધન સહયોગનો ઉદ્દેશ ખાણ ક્ષેત્રની બાય-પ્રોડક્ટ્સ પૈકીની એક માટે ટકાઉ ઉકેલ શોધવાનો છે, જે કૃષિ ઉત્પાદકતા અને પર્યાવરણીય વ્યવસ્થાપનમાં પણ યોગદાન આપશે. અગ્રણી વૈજ્ઞાનિક પ્રોયોગો અને ચકાસણી દ્વારા, આ પ્રોજેક્ટ આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સુરક્ષિત અને લાભદાયક ઉપયોગને પ્રોત્સાહિત કરતા ટેકનોલોજીકલ નવીનીકરણ પૂરા પાડવાનો પ્રયત્ન કરશે, આ ઉપરાંત તે કુદરતી સંસાધન સંરક્ષણ, કચરાના ન્યુનતમીકરણ અને પર્યાવરણીય રીતે ટકાઉ વ્યવસ્થાપનમાં સહાય કરશે, કચરો ઘટાડશે, રાસાયણિક ખાતરોની આયાત ઘટાડશે અને કૃષિમાં વન હેલ્થ અભિગમને ટેકો આપશે, સાથે-સાથે તે લાંબાગાળાના સંગ્રહની આવશ્યકતા હોય એવી સામગ્રીઓમાંથી મૂલ્ય અને સંપત્તિનાં સર્જનની તકો ઊભી કરશે.

હિરૂ ઇશિબાશી, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – ટેકનોલોજી, AM/NS Indiaએ જણાવ્યું હતું કે: “AM/NS India ખાતે, ટકાઉપણું અને નવીનતા એક સાથે ચાલે છે. ICAR-IAR સાથેનો આ સહયોગ વિજ્ઞાન આધારિત સંશોધન મારફતે આયર્ન ઓર ટ્રેએલિંગ્સની સંભાવનાને અનલોક કરવા માટેના અગ્રણી પ્રયાસોનું પ્રતિનિધિત્ત્વ કરે છે. જો સફળ રહેશે તો, આ પહેલ ટકાઉ કૃષિ અને સંસાધન સંરક્ષણને ટેકો આપતી વખતે બાય-પ્રોડક્ટના સંગ્રહ સાથે સંકળાયેલા પર્યાવરણીય પ્રભાવને ઘટાડીને લાભદાયક પરિણામો લાવી શકે છે. તે સર્ક્યુલર અર્થંત્રના ઉકેલોને આગળ ધપાવવા માટેની અમારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે, જેનાથી ઉદ્યોગ અને સમાજ બંનેને લાભ થાય.”

ડો. ભૂપિન્દર સિંઘે, પ્રોજેક્ટના મુખ્ય તપાસકર્તાએ જણાવ્યું હતું કે: “આ ખેતી, ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન તેમના લાભદાયક ઉપયોગોને વિકસાવવા માટે પૂર્વશરત છે. હકીકતમાં, કચરાનું મૂલ્યાંકન ટકાઉ કૃષિ અને પર્યાવરણ માટે સંશોધનનું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. અમારા આરંભિક પ્રયાસોએ કૃષિ પ્રણાલીમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સંભવિત ઉપયોગ અંગે પ્રોત્સાહક સંકેતો દર્શાવ્યા છે. આ AM/NS India સાથેના લાંબા ગાળાના સહયોગી કાર્યક્રમ મારફતે, અમે કૃષિ કામગીરી, પર્યાવરણીય સુરક્ષા અને પોષકતત્વોની ગતિશીલતા પર સમગ્રલક્ષી વૈજ્ઞાનિક ડેટા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ, જે ખાસ કરીને નબળી અને બિનઉપજાઉ જમીનમાં આયર્નની ઉણપને દૂર કરવા અને બાયોફોર્ટિફિકેશનના પ્રયત્નોને ટેકો આપવા માટે કૃષિ ઉત્પાદોમાં આયર્નનું પ્રમાણ સુધારવા માટે આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના જવાબદાર ઉપયોગ માટે પુરાવા-આધારિત માર્ગો વિકસાવવામાં સહાય કરી શકે છે.”
ICAR-IAR સાથેના સહયોગથી ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનાં મૂલ્યવાન સંસાધનોમાં રૂપાંતરણ માટેના સંભવિત માર્ગોનો વધુ વિસ્તાર થાય છે, જે પર્યાવરણીય સુરક્ષા અને સામાજિક લાભમાં યોગદાન આપે છે.

આ પહેલ AM/NS Indiaની વ્યાપક ટકાઉપણાની વ્યુહરચના સાથે સંરેખિત છે, જે સંશાધન અસરકારકતા, કચરાનાં મૂલ્યાંકન અને સર્ક્યુલર અર્થતંત્રની પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની સંશાધનોના ઉપયોગને વધારવા માટે ઘણી પહેલોનો અમલ કરી રહી છે, જેમાં મોટા પાયે સ્ટીલ સ્ક્રેપ રિસાઇકલિંગ, આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે સ્ટીલ સ્લેગનું તેની બ્રાન્ડેડ એગ્રીગેટ પ્રોડક્ટ “આકાર” માં રૂપાંતરણ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ મારફતે વ્યાપક જળ રિસાઇક્લિંગ, અને તેની કામગીરીમાં ઉત્પન્ન થતી 90%થી વધુ બાય-પ્રોડક્ટસનો પુનઃઉપયોગ અથવા રિસાઇક્લિંગનો સમાવેશ થાય છે.

સુરતનું રિસર્ચ-આધારિત સ્ટાર્ટઅપ ‘નવીનમાર્ટ’, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે ‘MY FM એક્સેલન્સ એવોર્ડ 2026’ થી સન્માનિત

 

સુરત (ગુજરાત) [ભારત], 27 ઓગસ્ટ: સુરત સ્થિત નવીન ઇલેક્ટ્રોનિક્સના ઇ-કોમર્સ વેંચર, ‘નવીનમાર્ટ’ ને ઇ-કોમર્સમાં ઉત્તમ કામગીરી માટે “MY FM એક્સેલન્સ એવોર્ડ 2026” થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ અધિકૃત વિક્રેતાઓ, ગ્રાહકોને આફ્ટર સેલ્સ સર્વિસ અને ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ઉદ્યોગમાં પાંચ દાયકાથી વધુના અનુભવની સાથે એક હાઇપર-લોકલ ઓનલાઈન માર્કેટપ્લેસ બનવાના તેના અભિગમને માન્યતા આપે છે. 2025 માં લોંચ થયેલ, ‘નવીનમાર્ટ’ એક રિસર્ચ આધારિત ઈ-કોમર્સ વેંચર છે, જે નવીન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ઓનલાઇન શોપિંગ અંગે ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને પૂરી કરવા માટે ડેવલપ કરવામાં આવ્યું છે. તેણે એક ફિઝિકલ રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલા વિશ્વાસ અને સર્વિસને જાળવી રાખ્યું છે. આ પ્લેટફોર્મ, ઓનલાઇન શોપિંગની સુવિધાને એક જાણીતા લોકલ રિટેલરની વિવિઘ પ્રોડક્ટની માહિતી, ઓથોરાઈઝ્ડ સેલર નેટવર્ક અને આફ્ટર સેલ્સ ક્ષમતાની સાથે જોડે છે. નવીનમાર્ટ વતી સહ-સ્થાપક સૌરવ જેતવાની અને આશુતોષ જેતવાની દ્વારા “MY FM એક્સેલન્સ એવોર્ડ 2026” સ્વીકારવામાં આવ્યો હતો. આ સન્માન અંગે તેમણે જણાવ્યું હતું કે, “આ એવોર્ડ, નવીનમાર્ટ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ખાસ કરીને એટલા માટે કે, અમે હજુ પણ એક નવું વેંચર છીએ. અમે એક સરળ વિચાર સાથે નવીનમાર્ટની શરૂઆત કરી હતી, જેમાં એક ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું, જે ગ્રાહક અને સ્થાનિક બજારને વધુ સારી રીતે સમજી શકે. ઇલેક્ટ્રોનિક્સ રિટેલમાં અમારા પાંચ દાયકાથી વધુના અનુભવે અમને એ સમજવામાં મદદ કરી છે કે, ગ્રાહકો કિંમત ઉપરાંત શું શોધે છે, જેમાં અસલી પ્રોડક્ટ, ભરોસાપાત્ર સલાહ અને ખરીદી પછીનો સપોર્ટ સામેલ છે. અમે ખરેખર ખુબજ ગૌરવ અનુભવીએ છીએ કે, આ અભિગમને માન્યતા મળી છે.” સેલર્સના વિશાળ નેટવર્કને એકસાથે લાવતા પરંપરાગત માર્કેટપ્લેસથી વિપરીત, નવીનમાર્ટ બ્રાન્ડ-અધિકૃત વિક્રેતાઓ પર ભાર મૂકે છે. જેનાથી ગ્રાહકોને ઉત્પાદનની પ્રામાણિકતા અને વાસ્તવિક ઉત્પાદનો પર વધુ વિશ્વાસ બેસે છે. આ પ્લેટફોર્મ હાઇપર-લોકલ માર્કેટપ્લેસ મોડેલને પણ ફોલો કરે છે. એક બીજી ખાસ વાત, તેની આફ્ટર-સેલ્સ સર્વિસ આપવાની પદ્ધતિ છે. નવીનમાર્ટનો ઉદ્દેશ્ય, ગ્રાહકોને ખરીદી પછી વ્યક્તિગત મદદ પૂરી પાડવાનો છે, જે નવીન ઇલેક્ટ્રોનિક્સના વર્ષોના અનુભવ અને સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત છે. આનાથી કંપની પોઈન્ટ ઓફ સેલ ઉપરાંત પણ ગ્રાહકો સાથે સતત જોડાયેલી રહે છે. ઉલ્લેખનીય છે કે, ‘નવીનમાર્ટ’ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, સ્માર્ટફોન અને મોબાઇલ એસેસરીઝ, વેરેબલ્સ, બ્યુટી અને ગ્રુમિંગ પ્રોડક્ટ્સ અને અન્ય લાઇફસ્ટાઇલ કેટેગરીમાં વિવિધ ઉત્પાદનો ઓફર કરે છે. આ પ્લેટફોર્મ, નવીન ઇલેક્ટ્રોનિક્સના રિટેલ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ સપોર્ટ સાથે તેની ઓનલાઇન હાજરીને જોડતી વખતે ઑફર્સ, સ્પર્ધાત્મક કિંમત, EMI વિકલ્પો અને ડિલિવરી સર્વિસ પણ પ્રદાન કરે છે. MY FM તરફથી આ સન્માન એવાં સમયે મળ્યું છે, જ્યારે ‘નવીનમાર્ટ’ ડિજિટલ રિટેલ સેગમેન્ટમાં તેની હાજરીને મજબૂત બનાવી રહ્યું છે અને નવીન ઇલેક્ટ્રોનિક્સના વારસાને આગળ વધારી રહ્યું છે. ગ્રાહકોના વિશ્વાસ, સર્વિસ અને સુવિધા પર ફોકસ કરવા સાથે, કંપની તેની પહોંચ વધારવાનો અને નવીનમાર્ટને એક અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ: બી.એ. અર્થશાસ્ત્રમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી આરવી સુરેન્દ્ર અગ્રવાલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

 

પ્રતિભાશાળી વિદ્યાર્થિની આરવી અગ્રવાલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે ગોલ્ડ મેડલ અને બે પારિતોષિકો એનાયત સુરત,બુધવાર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 59મા પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલો, પદવીઓ અને પારિતોષિક અર્પણ કરી શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ અવસરે બેચલર ઓફ આર્ટ્સ (બી.એ.) ની ડિગ્રીમાં અર્થશાસ્ત્ર વિષય સાથે સમગ્ર દક્ષિણ ગુજરાત ઝોનમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર સુરતની પ્રતિભાશાળી વિદ્યાર્થિની આરવી સુરેન્દ્ર અગ્રવાલને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે સુવર્ણ પદક અને બે પારિતોષિકો એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.
કઠોર પરિશ્રમ, વિષય પરનું ઊંડાણપૂર્વકનું પ્રભુત્વ અને દ્રઢ નિશ્ચયના બળે આરવીએ આ યશસ્વી સફળતા મેળવીને માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાજ્યપાલશ્રીના હસ્તે એવોર્ડ સ્વીકારતી વેળાએ ઉપસ્થિત મહાનુભાવો અને શૈક્ષણિક જગતના દિಗ್ಗજોએ તાળીઓના ગડગડાટ સાથે તેમની આ સિદ્ધિને વધાવી હતી.
આરવીએ પ્રતિભાવ વ્યક્ત કરતા કહ્યું કે, જો સાચી દિશામાં લગનપૂર્વક મહેનત કરવામાં આવે, તો કોઈપણ ક્ષેત્રમાં શિખરો સર કરી શકાય છે. વિષમ પરિસ્થિતિમાં પણ દ્રઢ સંકલ્પ સાથે કરેલો સખત પુરુષાર્થ ચોક્કસથી સફળતા અપાવે છે. મને મારા પરિવારજનો એ વાત સાથે સતત પ્રેરણા આપતા રહે છે કે ‘વિષમ પરિસ્થિતિમાં પણ દ્રઢ સંકલ્પ સાથે કરેલો સખત પુરુષાર્થ ચોક્કસથી સફળતા અપાવે છે, જેથી મહેનત કરવામાં પીછેહઠ કરવી નહીં.
રક્ષાબંધન પર વૃક્ષો બન્યા ‘ભાઈ’, દીકરીઓ બની રક્ષક

 

વી.એન. ગોધાણી સ્કૂલની 70 દીકરીઓએ 70 વૃક્ષોને રાખડી બાંધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

સુરત: રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ભાઈ-બહેનના સ્નેહના પર્વ પૂરતું સીમિત ન રાખી, વૃક્ષો સાથે ભાવનાત્મક સંબંધ જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ રક્ષાબંધનના એક દિવસ અગાઉ ધોળકિયા ગાર્ડન ખાતે 70 વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોની રક્ષા અને જતનનો સંકલ્પ લીધો હતો.

આ અનોખા કાર્યક્રમનું આયોજન આજરોજ સવારે 10 વાગ્યે ધોળકિયા ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દરેક દીકરીએ પોતાના ફાળવાયેલા વૃક્ષને ચાંદલો કરી આરતી ઉતારી હતી અને ત્યારબાદ તેને રાખડી બાંધી હતી. આ સાથે દીકરીએ પોતાના વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ સ્વીકારી હતી.

આ માટે દીકરીઓના વૃક્ષો અગાઉથી નક્કી કરવામાં આવ્યા હતા અને વૃક્ષોના કદ પ્રમાણે રાખડીઓ પણ ખાસ તૈયાર કરવામાં આવી હતી.

કાર્યક્રમ અંગે ભાવેશભાઈ લાઠીયાએ જણાવ્યું હતું કે આ આયોજન પાછળનો મુખ્ય વિચાર એ છે કે જેમ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. એ જ ભાવનાને આગળ વધારી આ વર્ષે દીકરીઓએ વૃક્ષોની રક્ષા અને સંભાળનો સંકલ્પ લીધો છે. વૃક્ષો સાથે માત્ર પર્યાવરણના દૃષ્ટિકોણથી નહીં, પરંતુ લાગણી અને આત્મીયતાનો સંબંધ વિકસે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.”

સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી દિવ્યાબેન ગજ્જરે જણાવ્યું કે, “વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન કરવું એટલું જ મહત્વનું છે. લોકો જ્યારે વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાય છે ત્યારે તેના સંરક્ષણની ભાવના વધુ મજબૂત બને છે.”

– ‘એક પેડ મા કે નામ’ સાથે જોડાશે પહેલ

સ્કૂલના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એ જણાવ્યું કે, આપણી ધરતીને હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની વિચારધારાને આગળ ધપાવતાં તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરણા લઈને આ અનોખી પહેલ કરવામાં આવી છે. વૃક્ષારોપણ સાથે તેના સંરક્ષણ અને જતનને પણ જનઆંદોલનનું સ્વરૂપ મળે તેવો આ પ્રયાસ છે.

– ‘દર વર્ષે મારા વૃક્ષને રાખડી બાંધીશ’

આ પહેલને લઈને શાળાની દીકરીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક દીકરીઓએ પોતાના વૃક્ષ સાથેનો આ સંબંધ દર વર્ષે રક્ષાબંધનના પર્વે રાખડી બાંધીને જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આમ, એક દિવસના કાર્યક્રમને બદલે વર્ષો સુધી ચાલે તેવું વૃક્ષ અને બાળક વચ્ચેનું ભાવનાત્મક જોડાણ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

– વૃક્ષારોપણ બાદ હવે જતન પર ભાર

ગોવિંદકાકા દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ સાથે હવે વૃક્ષોના જતન અને સંરક્ષણને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કતારગામ વિસ્તારમાં ‘ગ્રીન લાઇન્સ’ નામ પણ ગોવિંદકાકાની હરિયાળી પ્રત્યેની વિચારધારા સાથે જોડાયેલું છે. ગોધાણી સ્કૂલ તરફ જતી ગલીને પણ ‘ગ્રીન લાઇન્સ’ નામ આપવામાં આવ્યું છે.

– પર્યાવરણ શિક્ષણનું જીવંત ઉદાહરણ

આ પહેલ માત્ર રક્ષાબંધનની ઉજવણી નથી, પરંતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંરક્ષણની ભાવના વિકસાવતું જીવંત શિક્ષણ છે. દીકરીઓ પોતાના વૃક્ષને નિયમિત જોવે, તેની સંભાળ લે અને વર્ષો સુધી તેની સાથે જોડાય તેવો આ પ્રયાસ આગામી પેઢીમાં વૃક્ષ સંરક્ષણની સંસ્કૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે.

“વૃક્ષ વાવવું એ શરૂઆત છે, પરંતુ તેને ઉછેરવું અને જાળવવું એ સાચી જવાબદારી છે.”

આ ભાવનાને રક્ષાબંધનના પવિત્ર પર્વ સાથે જોડતી આ પહેલ પર્યાવરણ સંરક્ષણ માટે એક સંવેદનશીલ અને પ્રેરણાદાયી સંદેશ બની છે.

મહિલા ગુન્હા નિવારણ શાખા અને ઉધના ઝોન ૨ ડીસીપી કાનન દેસાઈ GPS દ્વારા સનરેઝ સ્કૂલ અને લીઓ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે વિદ્યાર્થીઓ ને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા .

 

સુરત : આ કાર્યક્રમ માં સુરત શહેર પોલીસ ઝોન ૨ ના ડીસીપી શ્રી કાનન દેસાઈ અને મહિલા સેલ ના એસીપી મિનિ જોસેફે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ડીસીપી કાનન દેસાઈએ બાળકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે પોલીસ થી ડરો નહીં. પોલીસ તમારી સેવા માટે છે .

જેમ તમારી માતા પોતાની જવાબદારી સમજી સવારે તમારા કરતા વહેલી ઉઠી પોતાની જવાબદારી નિભાવે છે એમ તમે પણ તમારી જવાબદારી સમજો. સમય ને માન આપો. જે બાળક સમય ને માન આપે છે , જવાબદાર બને છે અને શિસ્ત માં રહે છે તે પોતાના ધ્યેય માં સફળ થાય છે .

જાણતા અજાણતા ક્યારેક કોઈ ગુનો થઈ જાય તો પાછળ ની જિંદગી માં ઘણું સહન કરવું પડે . એસીપી મિનિ જોસેફ બુલિંગ શું કહેવાય ? બ્લેકમેલિંગ નો ભોગ કોણ બને , ડિજિટલ અરેસ્ટ થી કેવીરીતે બચવું, મોબાઈલ માં સોશિયલ મીડિયા ના ઉપયોગ માં કઈ કઈ કાળજી રાખવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા આપ્યું હતું .

સંસ્થા તરફ થી હાજર રહેલ ડીસીપી કાનન દેસાઈ, એસીપી મિનિ જોસેફ , પીએસઆઈ દીપિકા ટંડેલ નો આભાર માન્યો હતો

સાર્વજનિક યુનિવર્સિટી, સુરત દ્વારા ૧૨.૦૮.૨૦૨૬ના રોજ ‘એન્ટી રેગિંગ ડે, ૨૦૨૬’ની ઉજવણી

 

સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી’ના કુશળ સંચાલન હેઠળ સ્થપાયેલી સાર્વજનિક યુનિવર્સિટી આ ક્ષેત્રની અગ્રણી યુનિવર્સિટીઓમાંની એક છે. દર વર્ષે, UGCની માર્ગદર્શિકા મુજબ સમગ્ર દેશમાં તમામ સંસ્થાઓ દ્વારા ૧૨મી ઓગસ્ટના રોજ ‘એન્ટી રેગિંગ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. સાર્વજનિક યુનિવર્સિટીમાં તેની તમામ ઘટક સંસ્થાઓ દ્વારા ‘એન્ટી રેગિંગ ડે, ૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને સકારાત્મક ભાવના સાથે ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે, ‘એન્ટી રેગિંગ’ વિષય પર ‘લેખ લેખન’ અને ‘પોસ્ટર મેકિંગ’ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ તેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સાર્વજનિક યુનિવર્સિટી, સુરતના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા અને ‘એન્ટી રેગિંગ ડે’ના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકો માટે એ સમજવું ખૂબ મહત્વનું છે કે રેગિંગ એ ગંભીર ગુનો છે; સાર્વજનિક યુનિવર્સિટીમાં અમે હંમેશા રેગિંગ-મુક્ત કેમ્પસ માટે પ્રતિબદ્ધ છીએ અને રેગિંગ બાબતે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે.”
આ સ્પર્ધાઓનું નિર્ણાયક પદ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા સંભાળવામાં આવ્યું હતું: એડવોકેટ પ્રતિભા દેસાઈ અને શ્રીમતી પન્ના શુંગે પોસ્ટર મેકિંગ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપી હતી, જ્યારે શ્રીમતી અશ્લેષા ખુરાનાએ લેખ લેખન સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપી હતી. યુનિવર્સિટીની ‘એન્ટી-રેગિંગ કમિટી’ના કન્વીનર શ્રીમતી દતાશા કંથારિઆ અને સહ-કન્વીનર શ્રી હિમાંશુ પધ્યાએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમિતિના તમામ સભ્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો. સાર્વજનિક યુનિવર્સિટીના માનનીય અધ્યક્ષ શ્રી આશિષ વકીલ, માનનીય પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા અને કાર્યકારી રજિસ્ટ્રાર શ્રી આશિષ દેસાઈએ આ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા.
ખાડીપૂરમાં સેવાકાર્ય કરનાર ભાજપ નેતા અને ટ્રસ્ટને આમંત્રણ છતાં સન્માન ન મળ્યું

 

પાંચ સંસ્થામાંથી ચારનું સન્માન, છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો હોવાની ચર્ચા વચ્ચે આખરે કોના ઈશારે રમત રમાઈ તે પણ બન્યો ચર્ચાનો વિષય

સુરત: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં ખાડીપૂર દરમિયાન રાહત કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓના સન્માનને લઈને હવે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ઉમરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સમારોહમાં સન્માન માટે પસંદ કરાયેલા પાંચ પૈકી ચાર સંસ્થાઓને મંચ પરથી સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે ભાજપ સાથે જોડાયેલા સ્થાનિક નેતા સમ્રાટ પાટીલના સાંઈ લીલા ગ્રુપનું નામ અંતિમ સમયે જાહેર ન થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સમ્રાટ પાટીલને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અગાઉથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણના આધારે તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા પણ હતા. જોકે, સન્માનની જાહેરાત શરૂ થતાં તેમના ગ્રુપનું નામ ન બોલાવવામાં આવતાં તેઓ સન્માનની રાહ જોતા રહી ગયા હતા.

ખાડીપૂર દરમિયાન સાંઈ લીલા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો માટે ફૂડ પેકેટ અને રાશન કીટનું વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી. સમ્રાટ પાટીલના જણાવ્યા પ્રમાણે, પૂરગ્રસ્ત વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી હતી. આ કામગીરીના આધારે જ ગ્રુપને સન્માન માટે પસંદ કરવામાં આવ્યું હોવાનું તેમને અગાઉથી જણાવાયું હતું. પરંતુ કાર્યક્રમમાં પાંચમાંથી ચાર સંસ્થાઓને સન્માન મળ્યું અને પાંચમી સંસ્થા તરીકે જે નામની અપેક્ષા હતી તે જાહેર થયું નહીં. આથી સત્તાવાર યાદી, આમંત્રણ અને મંચ પરની જાહેરાત વચ્ચેના તફાવતને લઈને સવાલો ઊભા થયા છે.

– ‘છેલ્લી ઘડીએ નામ કેમ હટાવાયું?’

સમ્રાટ પાટીલે સમગ્ર ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ, વહીવટી તંત્ર તરફથી સન્માન માટે આમંત્રણ મળ્યું હોવાથી તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પૂર દરમિયાન સેવા કર્યા બાદ સન્માન મળવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ નામ દૂર થયું હોવાની સ્થિતિ સર્જાઈ. વધુમાં સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે માત્ર પૂર પીડિતોની જ નહીં પણ સાઈ લીલા ગ્રૂપના માધ્યમથી તેઓ વર્ષ દરમિયાન અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે છે અને લોકો તરફથી જે પ્રેમ મળ્યો છે તે જ અમારું સન્માન છે. બીજી તરફ આ ઘટનાને લઈને ભાજપના સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને લીંબાયત વિધાનસભા બેઠકના આગામી રાજકીય સમીકરણો સાથે આ ઘટનાને જોડીને જોવામાં આવી રહી છે.

– લિંબાયતની આંતરિક રાજનીતિ ચર્ચાના કેન્દ્રમાં
સમ્રાટ પાટીલ લીંબાયત વિસ્તારમાં સક્રિય હોવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની દાવેદારીને લઈને તેમના સમર્થકોમાં ચર્ચા છે. ખાડીપૂર દરમિયાન કરવામાં આવેલી રાહત કામગીરીથી તેમની સક્રિયતા વધુ સ્પષ્ટ બની હોવાનું પણ તેમના સમર્થકો માને છે.
આ સંજોગોમાં સરકારી કાર્યક્રમમાં મળનારા સન્માનમાંથી છેલ્લી ઘડીએ નામ દૂર થવાને કેટલાક લોકો પક્ષની આંતરિક ખેંચતાણ સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે, નામ કેમ દૂર કરવામાં આવ્યું તે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.
આથી હવે ચર્ચાનો વિષય માત્ર સન્માનનો રહ્યો નથી, પરંતુ સરકારી સન્માનની પ્રક્રિયામાં અંતિમ સમયે શું બદલાયું અને કોના નિર્ણયથી બદલાયું? તે પણ બની ગયો છે.