Posts by: abhay_news_editor
સાર્વજનિક યુનિવર્સિટી, સુરત દ્વારા ૧૨.૦૮.૨૦૨૬ના રોજ ‘એન્ટી રેગિંગ ડે, ૨૦૨૬’ની ઉજવણી
સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી’ના કુશળ સંચાલન હેઠળ સ્થપાયેલી સાર્વજનિક યુનિવર્સિટી આ ક્ષેત્રની અગ્રણી યુનિવર્સિટીઓમાંની એક છે. દર વર્ષે, UGCની માર્ગદર્શિકા મુજબ સમગ્ર દેશમાં તમામ સંસ્થાઓ દ્વારા ૧૨મી ઓગસ્ટના રોજ ‘એન્ટી રેગિંગ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. સાર્વજનિક યુનિવર્સિટીમાં તેની તમામ ઘટક સંસ્થાઓ દ્વારા ‘એન્ટી રેગિંગ ડે, ૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને સકારાત્મક ભાવના સાથે ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે, ‘એન્ટી રેગિંગ’ વિષય પર ‘લેખ લેખન’ અને ‘પોસ્ટર મેકિંગ’ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ તેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સાર્વજનિક યુનિવર્સિટી, સુરતના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા અને ‘એન્ટી રેગિંગ ડે’ના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકો માટે એ સમજવું ખૂબ મહત્વનું છે કે રેગિંગ એ ગંભીર ગુનો છે; સાર્વજનિક યુનિવર્સિટીમાં અમે હંમેશા રેગિંગ-મુક્ત કેમ્પસ માટે પ્રતિબદ્ધ છીએ અને રેગિંગ બાબતે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે.”

ખાડીપૂરમાં સેવાકાર્ય કરનાર ભાજપ નેતા અને ટ્રસ્ટને આમંત્રણ છતાં સન્માન ન મળ્યું
પાંચ સંસ્થામાંથી ચારનું સન્માન, છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો હોવાની ચર્ચા વચ્ચે આખરે કોના ઈશારે રમત રમાઈ તે પણ બન્યો ચર્ચાનો વિષય
સુરત: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં ખાડીપૂર દરમિયાન રાહત કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓના સન્માનને લઈને હવે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ઉમરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સમારોહમાં સન્માન માટે પસંદ કરાયેલા પાંચ પૈકી ચાર સંસ્થાઓને મંચ પરથી સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે ભાજપ સાથે જોડાયેલા સ્થાનિક નેતા સમ્રાટ પાટીલના સાંઈ લીલા ગ્રુપનું નામ અંતિમ સમયે જાહેર ન થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સમ્રાટ પાટીલને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અગાઉથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણના આધારે તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા પણ હતા. જોકે, સન્માનની જાહેરાત શરૂ થતાં તેમના ગ્રુપનું નામ ન બોલાવવામાં આવતાં તેઓ સન્માનની રાહ જોતા રહી ગયા હતા.
ખાડીપૂર દરમિયાન સાંઈ લીલા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો માટે ફૂડ પેકેટ અને રાશન કીટનું વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી. સમ્રાટ પાટીલના જણાવ્યા પ્રમાણે, પૂરગ્રસ્ત વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી હતી. આ કામગીરીના આધારે જ ગ્રુપને સન્માન માટે પસંદ કરવામાં આવ્યું હોવાનું તેમને અગાઉથી જણાવાયું હતું. પરંતુ કાર્યક્રમમાં પાંચમાંથી ચાર સંસ્થાઓને સન્માન મળ્યું અને પાંચમી સંસ્થા તરીકે જે નામની અપેક્ષા હતી તે જાહેર થયું નહીં. આથી સત્તાવાર યાદી, આમંત્રણ અને મંચ પરની જાહેરાત વચ્ચેના તફાવતને લઈને સવાલો ઊભા થયા છે.

– ‘છેલ્લી ઘડીએ નામ કેમ હટાવાયું?’
સમ્રાટ પાટીલે સમગ્ર ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ, વહીવટી તંત્ર તરફથી સન્માન માટે આમંત્રણ મળ્યું હોવાથી તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પૂર દરમિયાન સેવા કર્યા બાદ સન્માન મળવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ નામ દૂર થયું હોવાની સ્થિતિ સર્જાઈ. વધુમાં સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે માત્ર પૂર પીડિતોની જ નહીં પણ સાઈ લીલા ગ્રૂપના માધ્યમથી તેઓ વર્ષ દરમિયાન અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે છે અને લોકો તરફથી જે પ્રેમ મળ્યો છે તે જ અમારું સન્માન છે. બીજી તરફ આ ઘટનાને લઈને ભાજપના સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને લીંબાયત વિધાનસભા બેઠકના આગામી રાજકીય સમીકરણો સાથે આ ઘટનાને જોડીને જોવામાં આવી રહી છે.
– લિંબાયતની આંતરિક રાજનીતિ ચર્ચાના કેન્દ્રમાં
સમ્રાટ પાટીલ લીંબાયત વિસ્તારમાં સક્રિય હોવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની દાવેદારીને લઈને તેમના સમર્થકોમાં ચર્ચા છે. ખાડીપૂર દરમિયાન કરવામાં આવેલી રાહત કામગીરીથી તેમની સક્રિયતા વધુ સ્પષ્ટ બની હોવાનું પણ તેમના સમર્થકો માને છે.
આ સંજોગોમાં સરકારી કાર્યક્રમમાં મળનારા સન્માનમાંથી છેલ્લી ઘડીએ નામ દૂર થવાને કેટલાક લોકો પક્ષની આંતરિક ખેંચતાણ સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે, નામ કેમ દૂર કરવામાં આવ્યું તે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.
આથી હવે ચર્ચાનો વિષય માત્ર સન્માનનો રહ્યો નથી, પરંતુ સરકારી સન્માનની પ્રક્રિયામાં અંતિમ સમયે શું બદલાયું અને કોના નિર્ણયથી બદલાયું? તે પણ બની ગયો છે.
ભારતીય વેપાર મહોત્સવ 2026: અજમેરા ફેશનએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને રાષ્ટ્રીય મંચ અપાવ્યો
સુરત :, ભારત મંડપમ, નવી દિલ્હીમાં 12થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત ભારતીય વેપાર મહોત્સવ 2026 સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અવસર બની રહ્યો, જ્યાં અજમેરા ફેશનએ પોતાની મજબૂત હાજરી નોંધાવી.
કંપનીના સ્થાપક અને CEO શ્રી અજય અજમેરાના નેતૃત્વ હેઠળ અજમેરા ફેશનએ સુરતના 60થી વધુ વેપારીઓને આ રાષ્ટ્રીય મંચ પર એકસાથે લાવ્યા, જ્યાં દરેક વેપારીને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવા, નવા સંપર્કો બનાવવા અને પોતાના વ્યવસાયને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તક મળી. મહોત્સવમાં ટેક્સટાઇલ ક્ષેત્રનો સૌથી મોટો પેવેલિયન અજમેરા ફેશનનો રહ્યો, જેમાં દરેક ભાગીદાર વેપારી માટે અલગ પ્રદર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી.
મહોત્સવ દરમિયાન અજમેરા પેવેલિયન અનેક ગણમાન્ય મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. દિલ્હી મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા તથા CAITના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ શ્રી પ્રવીણ ખંડેલવાલે સ્ટોલની મુલાકાત લઈને સુરતની કારીગરીની પ્રશંસા કરી. આ ઉપરાંત, અનેક દેશોમાંથી આવેલા વિદેશી પ્રતિનિધિઓ અને ખરીદદારો પણ સુરતના ઉત્પાદનોમાં ઊંડો રસ દાખવ્યો.

આ ચાર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ અજમેરા ફેશનની ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ્સ, અજમેરા ટ્રેન્ડ્સ અને લિટલ વિંગ્સ વિશે પણ માહિતી મેળવી. વિદેશમાં વસતા ભારતીયોના પરિવારજનો પણ સ્ટોલ પર પહોંચ્યા અને પોતાના બાળકોને આ વ્યવસાય સાથે જોડવા માટે માર્ગદર્શન મેળવ્યું.
શ્રી અજય અજમેરાની હાજરી મહોત્સવનું એક વિશેષ આકર્ષણ રહી. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા લોકો તેમને મળવા અને તેમનું માર્ગદર્શન મેળવવા પહોંચ્યા. સાથે જ, ન્યૂઝ ચેનલોએ પણ તેમના ઇન્ટરવ્યૂને વિશેષ મહત્વ આપ્યું.
અજમેરા ફેશન માટે આ આયોજન માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ એક મોટો અનુભવ અને શીખવાની તક પણ રહ્યું. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ સિદ્ધિ સુવર્ણ અક્ષરે નોંધાય તેવી રહેશે, જ્યાં એક કંપનીએ સમગ્ર ઉદ્યોગની સામૂહિક તાકાતને રાષ્ટ્રીય મંચ પર રજૂ કરી
ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” સમગ્ર ગુજરાતમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડશે
ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવ અને 4 સપ્ટેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન અમદાવાદ તા. 19 ઓગષ્ટ 2026: ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. આ વર્ષે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી તેમજ તેના આધ્યાત્મિક સંદેશને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, સાણંદ, વિરમગામ, કડી-કલોલ ખાતે 22 ઓગષ્ટ થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની ઉજવણી કરવામાં આવશે. સાથોસાથ 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવનું ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે કરવામાં આવ્યુ છે. ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ સમગ્ર ગુજરાતમાં આયોજીત “સ્વાગતમ્ કૃષ્ણ 2026” કાર્યક્મની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, 22 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે ચાંદખેડા – શ્રી સદારામ બાપા કોમ્યુનિટી હોલ, ઉમિયા પાર્ટી પ્લોટ, ગોતા, બાલાજી ઓએસિસ લૉન, પાલજ, ગાંધીનગર, 23 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, રાજકોટ – સિસન્સ હોટેલ, 29 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે ચાંદલોડિયા કોમ્યુનિટી સેન્ટર, મંગલપાંડે હોલ, નિકોલ, મેડોઝ, અદાણી શાંતિગ્રામ, 30 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે સાણંદ, કલોલ ટાઉનહોલ, વેદમંદિર, મણિનગર, તેમજ 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની સાંજે 6-00 કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, સુરત – મહેશ્વરી ભવન, હરેકૃષ્ણ મૂવમેન્ટ, વડોદરા – ઈવામોલ ખાતે આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમી મહોત્સવનો સંદેશ ભક્તો સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના રોજ સવારે 8 થી રાત્રી 12:30 સુધી ભાડજ ખાતે આવેલા ઇસ્કોન હરેકૃષ્ણ મુખ્ય મંદિરમાં તેમજ સેકટર-1 ગાંધીનગર ખાતે સવારે 8 થી રાત્રી 12:30 સુધી ભગવાન શ્રીકૃષ્ણની મહિમા વિવિધ સંદેશા સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જનમાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. અંતમાં 13 સપ્ટેમ્બરે કડી ટાઉનહોલ ખાતે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. અ સિવાય સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ તાલુકાના આશરે 10 ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ‘કૃષ્ણોત્સવ’: ભક્તિ, પ્રેમ અને ઉજવણીનો અનોખો સંગમ
• જન્માષ્ટમી નિમિત્તે ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટે ભવ્ય ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન • ૧૫૦ ફૂટના વિશાળ સ્ટેજ પર આધુનિક ટેકનોલોજી સાથે નવી પેઢી માટે કૃષ્ણભક્તિનો નવો અનુભવ • સુરતમાં જ સર્જાશે વૃંદાવન-મથુરા જેવો માહોલ; ત્રણ દિવસમાં આશરે ૫,૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા સુરત: જન્માષ્ટમીના પાવન પર્વને અનોખી આધુનિકતા અને આધ્યાત્મિક અનુભૂતિ સાથે ઉજવવા માટે સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ભવ્ય ‘કૃષ્ણોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રો ક્રિએટ ઇવેન્ટ્સ દ્વારા ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન સુરત એરપોર્ટ નજીક સુરત-ડુમસ રોડ પર આવેલા અદ્વૈતા બોલરૂમ એન્ડ લોન્સ ખાતે આ વિશિષ્ટ ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટ યોજાશે. આ અંગે માહિતી આપતાં આયોજક પર્વ પરમારે જણાવ્યું હતું કે, “આ માત્ર પરંપરાગત ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ કૃષ્ણના જીવન, તેમના પ્રેમ અને જીવનદર્શનને આધુનિક મ્યુઝિક, લાઇવ પરફોર્મન્સ અને ઇમર્સિવ ટેકનોલોજીના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ છે.” આયોજકોના જણાવ્યા મુજબ, ત્રણ દિવસીય અને ત્રણ અલગ થીમ આધારિત કૃષ્ણ મ્યુઝિક કોન્સર્ટનો આ પ્રકારનો પ્રયોગ ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસ, ત્રણ થીમ અને કૃષ્ણના જીવનના ત્રણ રંગ કૃષ્ણોત્સવમાં ત્રણ દિવસને ત્રણ અલગ થીમ સાથે રજૂ કરવામાં આવશે—ડિવોશન, એન્ચેન્ટમેન્ટ અને સેલિબ્રેશન. પ્રથમ દિવસ ‘ડિવોશન’ કૃષ્ણ પ્રત્યેની ભક્તિને સમર્પિત રહેશે. દેશ-વિદેશમાં કૃષ્ણભક્તિના વિવિધ સ્વરૂપો તેમજ લોકપ્રિય ભજનો અને કીર્તનોને ભવ્ય મ્યુઝિકલ ફોર્મમાં રજૂ કરવામાં આવશે. આ દિવસે કચ્છના જાણીતા કલાકાર નંદલાલ છાંગા પોતાની વિશેષ રજૂઆત આપશે. બીજા દિવસની થીમ ‘એન્ચેન્ટમેન્ટ’ રહેશે, જે કૃષ્ણ સાથે જોડાયેલા નિઃસ્વાર્થ પ્રેમને સમર્પિત છે. રાધા-કૃષ્ણનો પ્રેમ, મીરાંની ભક્તિ, યશોદા માતાનો સ્નેહ અને ભક્તોનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ—આ તમામ ભાવનાઓને સંગીત અને પરફોર્મન્સ દ્વારા રજૂ કરવામાં આવશે. સુરતના જાણીતા ફોક આર્ટિસ્ટ ઋષભ શુક્લા અને ઉત્તર ભારતના લોકપ્રિય તેમજ બોલિવૂડમાં પ્લેબેક કરી ચૂકેલા ગાયક ગુરાશિષ સિંહ આ દિવસે ખાસ રજૂઆત કરશે. ત્રીજા દિવસની થીમ ‘સેલિબ્રેશન’ રહેશે. કૃષ્ણના જીવનમાંથી મળતા સંદેશ—સુખ હોય કે દુઃખ, દરેક ક્ષણને સ્વીકારીને અને માણીને જીવનને પૂર્ણતાથી જીવવું—ને આ દિવસના કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવશે. આ દિવસે મથુરાનું ‘સનાતન સંકીર્તન’ બેન્ડ ખાસ રજૂઆત કરશે. સાથે જ પ્રથમ વખત આ પ્રકારના લાઇવ કાર્યક્રમમાં ‘ફૂલો કી હોળી’નો વિશેષ અનુભવ પણ કરાવવામાં આવશે. ૧૫૦ ફૂટના સ્ટેજ પર નવી પેઢીની કૃષ્ણભક્તિ કૃષ્ણોત્સવની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે અહીં પરંપરાગત ભક્તિને નવી પેઢીની ભાષામાં રજૂ કરવામાં આવશે. ખાસ કરીને જનરેશન ઝેડને ધ્યાનમાં રાખીને ઇમર્સિવ ટેકનોલોજી, આધુનિક સાઉન્ડ, લાઇટિંગ અને લાઇવ પરફોર્મન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે ૧૫૦ ફૂટનો વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આશરે ૨૫ ડાન્સ પરફોર્મર્સ લાઇવ ક્યુરેટેડ પરફોર્મન્સ રજૂ કરશે. સમગ્ર ત્રણ દિવસના કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી હોસ્ટ, પોડકાસ્ટર અને સ્ટોરીટેલર જય થાડેશ્વર કરશે. તેઓ લાઇવ નેરેશન દ્વારા કાર્યક્રમને આગળ વધારશે. આયોજકોનું માનવું છે કે કૃષ્ણના જીવનની પરંપરાગત કથાઓને માત્ર રજૂ કરવાને બદલે, તેમના જીવનમાંથી મળતા પ્રેમ, સૌહાર્દ, આનંદ અને જીવનને માણવાના સંદેશને મ્યુઝિક અને ટેકનોલોજી સાથે જોડવાથી નવી પેઢી કૃષ્ણ સાથે વધુ સરળતાથી જોડાઈ શકશે. જન્માષ્ટમીમાં સુરત બનશે વૃંદાવન ધામ ૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન દરરોજ રાત્રે સાડા આઠથી રાત્રે ૧૧ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ, દરરોજ આશરે ૧,૫૦૦ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે, જ્યારે ત્રણેય દિવસ દરમિયાન કુલ આશરે ૫,૦૦૦ લોકો કાર્યક્રમમાં જોડાશે. આ અંગે આયોજક પર્વ પરમારે જણાવ્યું હતું કે, “કૃષ્ણના જીવન અને તેમના સંદેશને આજની પેઢી સુધી પહોંચાડવા માટે આ આખી પરિકલ્પના તૈયાર કરવામાં આવી છે. સુરતમાં જ લોકોને વૃંદાવન અને મથુરા જેવી આધ્યાત્મિક અનુભૂતિ કરાવવાનો અમારો પ્રયાસ છે. ભક્તિ માત્ર પરંપરાથી નહીં, પરંતુ નવી પેઢી સાથે જોડાય તેવી આધુનિક રજૂઆત દ્વારા પણ અનુભવી શકાય—એ જ કૃષ્ણોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે.” જન્માષ્ટમીના આ ત્રણ દિવસ દરમિયાન સુરત કૃષ્ણમય અને ગોકુળમય બની જાય તથા લોકોને સુરત છોડ્યા વિના વૃંદાવન-મથુરા જેવી ભક્તિ અને ઉત્સવની અનુભૂતિ મળે, તેવો આ અનોખો પ્રયાસ હોવાનું આયોજકોએ જણાવ્યું છે.
સનલાઇટ શાળા માં આજે ૮૦ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી શાળા પરિસર માં યોજવામાં આવી હતી.
આજ ના સ્વતંત્ર દિન ની ઉજવણી અને ધ્વજારોહણ શાળા ના પ્રતિભા સંપન અને એનસીસી કેડેટ હેત સોજીત્રા ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપી તેના હસ્તક રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માં આવ્યો હતો . શાળા ના એનસીસી નેવલ કેડેટ્સ દ્વારા માર્ચ પરેડ યોજાઈ હતી અને માર્ચ પરેડ દરમ્યાન મુખ્ય મહેમાને પરેડ ની સલામી જીલી હતી.

શાળા ની ધોરણ ૫ થી ૮ ની વિદ્યાર્થીઓ એ દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા. મુખ્ય મહેમાનો હેત સોજીત્રા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. હેત પટેલ નાનપણ થી શાળા માં યોજાતી સહાભ્યાસિક પ્રવૃત્તિ માં ભાગ લઈ પોતાની પ્રતિભા વિકસાવવા માં શાળા ની ભૂમિકા ઉત્તમ રહી છે તેવું જણાવી શાળા નો આભાર માન્યો હતો.ધોરણ ૪ ની દીકરી સોનવણે હર્ષિતા અને ધોરણ ૨ ની દીકરી હિરપરા રાધ્યા એ પોતાનું સ્વતંત્રતા દિવસ પર સુંદર વક્તવ્ય આપ્યું હતું.
ટ્રસ્ટી શ્રી જયસુખ કથીરિયા એ પ્રાસંગિક ઉદબોધન માં જણાવ્યું હતું કે હેત સોજીત્રા જેવા બાળકો હસ્તક ધ્વજ વંદન કરાવી, નાના ભૂલકાઓ ને મહેમાન બનાવી સ્ટેજ પર બેસાડવાથી બાળકો માં આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રતિભા ના જાતે દર્શન કર્યા હતા. બાળકો ને સ્ટેજ પર મહેમાન તરીકે મળતું સન્માન જોઈ ને વાલીઓ પણ ખુબજ ખુશ હતા .

સમગ્ર કાર્યક્રમ બાળકો એ આયોજિત કર્યો, માસ્ટર ઓફ સેરેમની પણ બાળકો દ્વારા અને ધ્વજ વંદન માં મુખ્ય મહેમાન પણ બાળકો એજ સર્વાંગી વિકાસ નો પાયો છે . બાળકો એ રાષ્ટ્ર પર્વ ને અનુરૂપ ડેકોરેશન કરી શાળા પરિસર ને નયન રમ્ય બનાવ્યું હતું..બાળકો એ સાથે મળી નયા ભારત, વિકસિત ભારત પર રંગોળી બનાવી સૌ ને શુભકામના પાઠવી હતી.અંતે આચાર્ય શ્રી આદિત્ય પટેલ એ તમામ નો આભાર માન્યો હતો.
ખાડી પૂર દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી બદલ જુનિયર ઇજનેર નીરવ પટેલનું સન્માન
સુરત, તા. 15: સુરતમાં તાજેતરમાં સર્જાયેલી ખાડી પૂર જેવી વિકટ પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહત કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાઓનું જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે ઉમરા ખાતે આવેલા એસએમસી પાર્ટી પ્લોટમાં યોજાયેલા સમારોહમાં સુરત મહાનગરપાલિકાના ઉધના-એ ઝોનના જુનિયર ઇજનેર નીરવ પટેલનું પણ સન્માન કરાયું હતું.
રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નીરવ પટેલને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ ખાડી પૂર દરમિયાન તેમણે બજાવેલી જવાબદારી અને બચાવ-રાહત કામગીરીની પ્રશંસા કરી હતી.

સુરતમાં ખાડી પૂર દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા નીરવ પટેલે રેસ્ક્યૂ ટીમ તેમજ વિવિધ વિભાગો સાથે અસરકારક સંકલન કરી બચાવ અને રાહત કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યક્ષેત્રમાં સંભવિત જાનમાલના નુકસાનને અટકાવવા માટે તેમણે સતત કામગીરી કરી હતી.
ખાડી પૂર જેવી કટોકટીની સ્થિતિમાં ફરજ પ્રત્યેની નિષ્ઠા, ત્વરિત નિર્ણયશક્તિ અને વિવિધ ટીમો વચ્ચેના સંકલન બદલ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા નીરવ પટેલની ઉત્કૃષ્ટ કામગીરીની નોંધ લેવામાં આવી હતી. આ કામગીરીને બિરદાવવા માટે સ્વાતંત્ર્ય દિવસના જિલ્લા કક્ષાના સમારોહમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદનું વાઈબ્રન્ટ ફેસ્ટિવ કલ્ચર શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ તરીકે ઉભરી આવ્યું છે: સ્કાયસ્કેનરનો ખુલાસો
અમદાવાદના દર બેમાંથી એકથી વધુ પ્રવાસીઓ હવે તેમની રજાઓનું આયોજન મુખ્યત્વે સાંસ્કૃતિક અનુભવોને ધ્યાનમાં રાખીને કરે છે, જ્યારે વારસો, તહેવારો અને આધ્યાત્મિક યાત્રાઓ શહેરના પ્રવાસ માટેની સૌથી મજબૂત પ્રેરણાઓ તરીકે ઉભરી આવ્યા છે.
અમદાવાદ (ગુજરાત) [ભારત], ૬ ઓગસ્ટ: અગ્રણી વૈશ્વિક ટ્રાવેલ એપ સ્કાયસ્કેનરે આજે ‘ધ ઇન્ડિયા કલ્ચર ટ્રાવેલ ઇન્ડેક્સ’ના તારણો જાહેર કર્યા, જેમાં અમદાવાદના પ્રવાસીઓમાં સંસ્કૃતિ-આધારિત પ્રવાસ કરવાની વધતી જતી પસંદગી સામે આવી છે. અડધા (50 ટકા) પ્રતિભાવદાતાઓએ અમદાવાદની સાંસ્કૃતિક ઓળખને તેની સમૃદ્ધ ઉત્સવ પરંપરાઓ, તેની રસોઈ પરંપરા, આધ્યાત્મિક સ્થળો અને ગાંધીવાદી વારસા સાથે સૌથી વધુ નજીકથી જોડે છે. આ સાંસ્કૃતિક મૂલ્યો હવે લોકોના પ્રવાસના નિર્ણયોને પણ પ્રભાવિત કરી રહ્યા છે. સર્વે મુજબ, વારસો અને ઐતિહાસિક સ્થળોની મુલાકાત (57%) સાંસ્કૃતિક પ્રવાસ માટેનું સૌથી મોટું પ્રેરણાસ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. ત્યારબાદ તહેવારો અને ઉજવણીઓ (54%) તેમજ આધ્યાત્મિક યાત્રાઓ (54%) પણ પ્રવાસ માટેની મુખ્ય પ્રેરણાઓ તરીકે ઉભરી આવી છે.
સ્કાયસ્કેનર ઇન્ડિયાના ટ્રાવેલ ટ્રેન્ડ્સ એન્ડ ડેસ્ટિનેશન્સ એક્સપર્ટ નીલ ઘોષે જણાવ્યું હતું કે, “અમદાવાદના પ્રવાસીઓ માટે હવે સંસ્કૃતિ માત્ર પ્રવાસ સ્થળનો એક ભાગ રહી નથી, પરંતુ તે પ્રવાસનું મુખ્ય કારણ બની રહી છે. અમદાવાદની સમૃદ્ધ ઉત્સવી પરંપરાઓ શહેરની સાંસ્કૃતિક ઓળખનું કેન્દ્રબિંદુ છે, જે દર્શાવે છે કે લોકો હવે કોઈ સ્થળના ઇતિહાસ, ઉજવણીઓ અને સ્થાનિક સમુદાયો સાથે જોડાયેલા અનુભવોને વધુ મહત્વ આપી રહ્યા છે. સાથે જ, શહેરનો વારસો અને આધ્યાત્મિક પરંપરાઓ સાથેનો ગાઢ સંબંધ એ પણ દર્શાવે છે કે પ્રવાસીઓ હવે વધુ પ્રામાણિક અને અર્થસભર અનુભવોની શોધમાં છે. જેમ જેમ વધુ લોકો પોતાના વેકેશનનું આયોજન વારસો, તહેવારો અને આધ્યાત્મિક અનુભવોને ધ્યાનમાં રાખીને કરી રહ્યા છે, તેમ મુસાફરીની તારીખો ફ્લેક્સિબલ રાખવી અને વિવિધ વિકલ્પોની તુલના કરવી તેમને તેમના પ્રવાસનો શ્રેષ્ઠ અનુભવ મેળવવામાં મદદરૂપ બની શકે છે.”
વારસો, તહેવારો અને આધ્યાત્મિકતા અમદાવાદના પ્રવાસીઓની વેકેશન પસંદગીને આકાર આપી રહ્યા છે.
અમદાવાદના પ્રવાસીઓમાં સાંસ્કૃતિક અનુભવોને કેન્દ્રમાં રાખીને પ્રવાસ કરવાની રુચિ સતત વધી રહી છે. સર્વે મુજબ, 88 ટકા પ્રવાસીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી મુસાફરી પ્રત્યે તેમનો રસ વધ્યો છે. હવે 56 ટકા લોકો પોતાના વેકેશનનું આયોજન મુખ્યત્વે વારસો, તહેવારો, ભોજન અને પરંપરાઓ જેવા સાંસ્કૃતિક અનુભવોને ધ્યાનમાં રાખીને કરે છે, જ્યારે વધુ 30 ટકા લોકોનું કહેવું છે કે ભલે સંસ્કૃતિ તેમના પ્રવાસનું મુખ્ય કારણ ન હોય, છતાં તે તેમની મુસાફરીને વધુ સમૃદ્ધ અને યાદગાર બનાવે છે.
આ પરિવર્તન હવે પ્રવાસની આદતોમાં પણ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. અમદાવાદના 94 ટકા પ્રવાસીઓ સાંસ્કૃતિક અનુભવો માટે ગુજરાતની બહાર પ્રવાસ કરે છે, જ્યારે લગભગ 10 માંથી 9 (88 ટકા) લોકોએ જણાવ્યું કે તેઓ પ્રામાણિક અને અનોખા સાંસ્કૃતિક અનુભવો મેળવવા માટે પોતાના રાજ્યની બહાર અથવા ઓછા જાણીતા પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા તૈયાર છે. આ વલણને પ્રોત્સાહન આપતા મુખ્ય પરિબળોમાં સ્થાનિક ભોજન, હસ્તકળા અને હેરિટેજ ટ્રેલ્સની વધતી લોકપ્રિયતા (46%) તેમજ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા પ્રત્યે વધતો ગર્વ (42%) મુખ્ય કારણો તરીકે સામે આવ્યા છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે ભારતના કયા રાજ્યો સૌથી સમૃદ્ધ સાંસ્કૃતિક અનુભવો પ્રદાન કરે છે, ત્યારે ગુજરાતના 26% પ્રવાસીઓએ પોતાના રાજ્યને પ્રથમ સ્થાન આપ્યું, ત્યારબાદ રાજસ્થાન (25%), ઉત્તર પ્રદેશ (12%) અને કેરળ (7%)નો ક્રમ રહ્યો.
તહેવારો અને શ્રદ્ધા મુસાફરીને પ્રેરણા આપે છે
મુખ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક ઉત્સવો હવે પ્રવાસના
સોલેક્સ એનર્જી લિમિટેડ દ્વારા BSE પર લિસ્ટિંગની ઉજવણી, વૃદ્ધિની સફરમાં વધુ એક ઉપલબ્ધિ
સુરત, 13 ઓગસ્ટ, 2026: Solex Energy Limited (BSE Code: [544862] | NSE: SOLEX) — સૂર્ય ઊર્જાથી વધતા અનુભવ ધરાવતી અગ્રણી સોલાર એનર્જી સોલ્યુશન્સ કંપની સોલેક્સ એનર્જી લિમિટેડ એ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર પોતાના સફળ લિસ્ટિંગની ઉજવણી કરી, જે કંપનીની વૃદ્ધિ, નવીનતા અને મૂલ્ય નિર્માણની સફરમાં વધુ એક મહત્વપૂર્ણ ઉપલબ્ધિ છે.
આ પ્રસંગે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, પ્રમોટર્સ અને વરિષ્ઠ મેનેજમેન્ટ ટીમ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે બોલતાં, સોલેક્સ એનર્જી લિમિટેડના (DIN: 02253886) ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ચેતન શાહે જણાવ્યું, “BSE પર અમારા લિસ્ટિંગ સમારોહ સોલેક્સ ટીમ માટે ગર્વ અને યાદગાર ક્ષણ છે. તે અમારા વિઝન, ગવર્નન્સ અને લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનામાં રોકાણકારો અને હિતધારકોએ મૂકેલા વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. આજની તારીખે સોલેક્સ એનર્જીને 11,000+ થી વધુ શેરહોલ્ડર્સના વધતા સમુદાયનું સમર્થન પ્રાપ્ત છે, અને BSE પર અમારા વિસ્તરણ સાથે, અમે અમારા રોકાણકાર આધારને વધુ વિસ્તૃત કરવા અને શેરહોલ્ડર પોર્ટફોલિયોને મજબૂત બનાવવા આતુર છીએ.”
“જેમ જેમ અમે અમારી ઉત્પાદન ક્ષમતાનું વિસ્તરણ કરવાનું અને ભારતના રિન્યુએબલ એનર્જી ઇકોસિસ્ટમમાં અમારું સ્થાન મજબૂત કરવાનું ચાલુ રાખીએ છીએ, ત્યારે આ ઉપલબ્ધ કેપિટલ માર્કેટ્સમાં અમારી પહોંચ વધારે છે અને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક સોલાર મેન્યુફેક્ચરિંગ એન્ટરપ્રાઇઝ બનાવવાની અમારી સફરને સમર્થન આપે છે. અમે અમારા શેરહોલ્ડર્સ માટે ટકાઉ મૂલ્ય સર્જન કરવા તેમજ ભારતના સ્વચ્છ ઊર્જા સંક્રમણ અને વિકસિત ભારતના વિઝનમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

સોલેક્સ એનર્જીએ સતત પોતાની ઉત્પાદન ક્ષમતા અને ટેકનોલોજીકલ કૌશલ્યને મજબૂત બનાવ્યું છે. કંપની ગુજરાતના તડકેશ્વર સ્થિત યુનિટમાં વિસ્તરણ યોજનાઓને આગળ વધારી રહી છે, જેમાં ઉચ્ચ-ક્ષમતાવાળા સોલાર મોડ્યુલ્સ અને નેક્સ્ટ-જનરેશન સોલાર ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મજબૂત ઓર્ડર પાઇપલાઇન અને વધતી બજાર માંગ સાથે, સોલેક્સ ભારતના ઝડપથી વિકસી રહેલા રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે સજ્જ છે.
કંપનીના લાંબા ગાળાના વિઝન 2030નું લક્ષ્ય 10 GW સોલાર મોડ્યુલ ઉત્પાદન ક્ષમતા, 10 GW સોલાર સેલ ઉત્પાદન ક્ષમતા, 10 GW BESS ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને 2 GW વિન્ડ તથા ઇનગ્રેટેડ સ્થાપિત કરવાની છે, સાથે સાથે સોલાર વેલ્યુ ચેઇનમાં વધુ એકીકરણની શક્યતાઓ પણ શોધવામાં આવી રહી છે. આ વિઝન ભારત સરકારના આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત જેવા અભિયાનો સાથે ગાઢ રીતે સુસંગત છે, જેનો ઉદ્દેશ સ્થાનિક ઉત્પાદનને મજબૂત બનાવવાનો અને દેશના ટકાઉ ઊર્જા સંક્રમણને વેગ આપવાનો છે.
સોલેક્સ સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક પ્રભાવ પર પણ સતત ભાર મૂકે છે, જ્યાં તેના કર્મચારીગણનો નોંધપાત્ર હિસ્સો આદિવાસી અને સ્થાનિક સમુદાયોમાંથી આવે છે, જે આર્થિક પ્રગતિ સાથે સામુદાયિક સશક્તિકરણને જોડવાની કંપનીની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
સાર્વજનિક યુનિવર્સિટીએ બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમ સાથે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સની શરૂઆત કરી
સુરત, 10 ઑગસ્ટ: સાર્વજનિક યુનિવર્સિટીએ લિબરલ આર્ટ્સ ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના હેતુથી સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સ (SCLA)ની સ્થાપના કરી છે. સાર્વજનિક યુનિવર્સિટીના આ નવા કોલેજમાં મનોવિજ્ઞાન (Psychology) અને અર્થશાસ્ત્ર (Economics)માં ઑનર્સ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. કોલેજનો હેતુ એવું શૈક્ષણિક વાતાવરણ વિકસાવવાનો છે, જે તાર્કિક વિચારશક્તિ, વિવિધ વિષયોના સમન્વય પર આધારિત અભ્યાસ અને સંપૂર્ણ વિકાસને પ્રોત્સાહન આપે.
કોલેજની સ્થાપનાના અવસર પર સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા 6 અને 7 ઑગસ્ટે બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પહેલા દિવસે નાનપુરા સ્થિત ટી. એન્ડ ટી. વી. કેમ્પસ ખાતે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સના કેમ્પસનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા દિવસે ઑક્સફોર્ડ યુનિવર્સિટીના સંશોધક ડૉ. સ્મૃતિ બલસારી દ્વારા “બિહેવિયરલ ઇકોનોમિક્સ: એપ્લિકેશન્સ ઇન હેલ્થકેર” વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું.
ઉદ્ઘાટન સમારોહમાં સાર્વજનિક યુનિવર્સિટીના પ્રમુખ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી આશિષ વકીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન-1 શ્રી કિશોર દેસાઈ, વાઇસ ચેરમેન-2 શ્રી અજીત શાહ, SCLAની વર્કિંગ કમિટીના ચેરમેન શ્રી નિક્કી ક્રિસ્ટી, SCLAના ઇન-ચાર્જ પ્રિન્સિપાલ ડૉ. જયેશ દેસાઈ, મેનેજમેન્ટ કમિટીના સભ્યો, વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોના શિક્ષણવિદો, અધ્યાપકગણ, વિદ્યાર્થીઓ તથા અન્ય વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને પરંપરાગત દીપ પ્રજ્વલન સાથે કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચનમાં ડૉ. જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે નવું કેમ્પસ અભ્યાસ, સંવાદ અને બૌદ્ધિક વિકાસ માટેનું સશક્ત કેન્દ્ર બનશે. શ્રી નિક્કી ક્રિસ્ટીએ લિબરલ આર્ટ્સ શિક્ષણ દ્વારા રચનાત્મકતા, નવતર પ્રયોગો, અને જવાબદાર નેતૃત્વના વિકાસના મહત્વ પર ભાર મૂક્યો હતો. પોતાના સંબોધનમાં ડૉ. કિરણ પંડ્યાએ શૈક્ષણિક શ્રેષ્ઠતા, વિવિધ વિષયોના સમન્વય પર આધારિત શિક્ષણ અને વૈશ્વિક સ્તરની શિક્ષણ વ્યવસ્થાના આધારે સંસ્થાઓના નિર્માણ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને સ્પષ્ટ કરી હતી. અધ્યક્ષીય સંબોધનમાં શ્રી આશિષ વકીલે જણાવ્યું હતું કે સાર્વજનિક યુનિવર્સિટીનુ હેતુ કે જે બૌદ્ધિક રીતે જિજ્ઞાસુ, સામાજિક રીતે જવાબદાર અને શોધ આધારિત તેમજ સમગ્ર શિક્ષણ દ્વારા આજના સમયના પડકારોનો સામનો કરવા સક્ષમ વિદ્યાર્થીઓની નવી પેઢી તૈયાર કરવાનો છે એને પૂર્ણ કરવામાં સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સ યોગદાન આપશે.
બીજા દિવસે યોજાયેલ ડૉ. સ્મૃતિ બલસારીનું વિશેષ વ્યાખ્યાન SCLA ની શૈક્ષણિક વિચારધારાના વિવિધ વિષયોના સમન્વયવાળા અભિગમને દર્શાવતો હતો. ડૉ. બલસારીએ પોતાનું શાળા અને કોલેજનું શિક્ષણ સુરતમાં પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ તથા ઑક્સફોર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ અને સંશોધન કાર્ય કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે સમર્પણ, યોગ્ય કારકિર્દી આયોજન અને સતત શીખવાની ટેવ દ્વારા વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય છે.
પોતાના વ્યાખ્યાન દરમિયાન ડૉ. બલસારીએ બિહેવિયરલ ઇકોનોમિક્સના માધ્યમથી મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્ર વચ્ચેના આપસી સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સમજાવ્યું કે બંને વિષયો વ્યક્તિગત નિર્ણયો, જાહેર નીતિઓ અને આર્થિક નિર્ણય પ્રક્રિયાને કેવી રીતે પ્રભાવિત કરે છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે બિહેવિયરલ ઇકોનોમિક્સ વ્યક્તિને સંપૂર્ણપણે તર્કસંગત નિર્ણય લેનાર માનતી પરંપરાગત આર્થિક ધારણાને પડકારે છે અને દર્શાવે છે કે માનસિક પ્રક્રિયાઓ, લાગણીઓ, વિચાર સાથે જોડાયેલા પૂર્વગ્રહો અને સામાજિક પ્રભાવો માનવ વર્તનને કેવી રીતે આકાર આપે છે.

તેમણે ડ્યુઅલ પ્રોસેસ થિયરી, પ્રોસ્પેક્ટ થિયરી, પ્રેઝન્ટ બાયસ, હ્યુરિસ્ટિક્સ, ચોઇસ આર્કિટેક્ચર, સોશિયલ નોર્મ્સ અને લિબર્ટેરિયન પેટરનલિઝમ જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આરોગ્ય ક્ષેત્રના સંદર્ભમાં તેમણે સમજાવ્યું કે બિહેવિયરલ ઇકોનોમિક્સના સિદ્ધાંતોનો ઉપયોગ બિન-ચેપી રોગોની રોકથામ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે અસરકારક રીતે થઈ શકે છે. ડિમેન્શિયાને એક ઉદાહરણ તરીકે રજૂ કરતાં તેમણે સમજાવ્યું કે પુરાવા આધારિત અસરકારક પગલાં દ્વારા લોકોને વધુ સારા આરોગ્ય સંબંધિત નિર્ણયો લેવા માટે પ્રેરિત કરી શકાય છે, સાથે જ જાહેર નીતિમાં નૈતિક મુદ્દાઓનું સંતુલન જાળવવું પણ જરૂરી છે.
આ વ્યાખ્યાનમાં નાગરિક સમાજના પસંદગીના પ્રતિનિધિઓ, અધ્યાપકગણ તથા સાર્વજનિક યુનિવર્સિટીના વિવિધ કોલેજોના 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકોને આરોગ્ય સેવા, જાહેર નીતિ અને આર્થિક નિર્ણય પ્રક્રિયામાં બિહેવિયરલ ઇકોનોમિક્સની વધતી જતી ભૂમિકા અંગે મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ પ્રસંગે ડૉ. કિરણ પંડ્યાએ જણાવ્યું હતું કે, “અમારા શિક્ષકો અને વિદ્યાર્થીઓના સતત સમર્પણ સાથે અમારું લક્ષ્ય સુરતમાં એવી શૈક્ષણિક સંસ્થાઓનું નિર્માણ કરવાનું છે, જે ઑક્સફોર્ડ જેવી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓની સમકક્ષ સ્થાન પ્રાપ્ત કરી શકે.”
ડૉ. જયેશ દેસાઈએ જણાવ્યું હતું કે આ વ્યાખ્યાન નવા કોલેજની શૈક્ષણિક વિચારધારાને સ્પષ્ટ રીતે દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે આ સત્રે વિદ્યાર્થીઓને માત્ર બિહેવિયરલ ઇકોનોમિક્સના વ્યવહારિક ઉપયોગો સાથે પરિચિત કર્યા નથી, પરંતુ એ પણ સાબિત કર્યું છે કે સુરતમાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ પણ યોગ્ય કારકિર્દી આયોજન, સમર્પણ અને દૃઢતા દ્વારા ઑક્સફોર્ડ યુનિવર્સિટી જેવી વિશ્વસ્તરીય સંસ્થાઓ સુધી પહોંચવાનું સ્વપ્ન સાકાર કરી શકે છે.
બે દિવસીય ઉદ્ઘાટન કાર્યક્રમે સાર્વજનિક કોલેજ ઑફ લિબરલ આર્ટ્સની તે વ્યાપક શૈક્ષણિક વિચારધારાને સ્પષ્ટ કરી, જેના અંતર્ગત વૈશ્વિક દૃષ્ટિકોણ, વિવિધ વિષયોના સમન્વય પર આધારિત અભ્યાસ, બૌદ્ધિક શ્રેષ્ઠતા અને આજના સમયના પડકારો સાથે અર્થપૂર્ણ સંવાદને વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવનો અભિન્ન ભાગ બનાવવામાં આવશે.