Posts by: abhay_news_editor

સુરતનું રિસર્ચ-આધારિત સ્ટાર્ટઅપ ‘નવીનમાર્ટ’, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે ‘MY FM એક્સેલન્સ એવોર્ડ 2026’ થી સન્માનિત

 

સુરત (ગુજરાત) [ભારત], 27 ઓગસ્ટ: સુરત સ્થિત નવીન ઇલેક્ટ્રોનિક્સના ઇ-કોમર્સ વેંચર, ‘નવીનમાર્ટ’ ને ઇ-કોમર્સમાં ઉત્તમ કામગીરી માટે “MY FM એક્સેલન્સ એવોર્ડ 2026” થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ અધિકૃત વિક્રેતાઓ, ગ્રાહકોને આફ્ટર સેલ્સ સર્વિસ અને ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ઉદ્યોગમાં પાંચ દાયકાથી વધુના અનુભવની સાથે એક હાઇપર-લોકલ ઓનલાઈન માર્કેટપ્લેસ બનવાના તેના અભિગમને માન્યતા આપે છે. 2025 માં લોંચ થયેલ, ‘નવીનમાર્ટ’ એક રિસર્ચ આધારિત ઈ-કોમર્સ વેંચર છે, જે નવીન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ઓનલાઇન શોપિંગ અંગે ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને પૂરી કરવા માટે ડેવલપ કરવામાં આવ્યું છે. તેણે એક ફિઝિકલ રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલા વિશ્વાસ અને સર્વિસને જાળવી રાખ્યું છે. આ પ્લેટફોર્મ, ઓનલાઇન શોપિંગની સુવિધાને એક જાણીતા લોકલ રિટેલરની વિવિઘ પ્રોડક્ટની માહિતી, ઓથોરાઈઝ્ડ સેલર નેટવર્ક અને આફ્ટર સેલ્સ ક્ષમતાની સાથે જોડે છે. નવીનમાર્ટ વતી સહ-સ્થાપક સૌરવ જેતવાની અને આશુતોષ જેતવાની દ્વારા “MY FM એક્સેલન્સ એવોર્ડ 2026” સ્વીકારવામાં આવ્યો હતો. આ સન્માન અંગે તેમણે જણાવ્યું હતું કે, “આ એવોર્ડ, નવીનમાર્ટ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ખાસ કરીને એટલા માટે કે, અમે હજુ પણ એક નવું વેંચર છીએ. અમે એક સરળ વિચાર સાથે નવીનમાર્ટની શરૂઆત કરી હતી, જેમાં એક ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું, જે ગ્રાહક અને સ્થાનિક બજારને વધુ સારી રીતે સમજી શકે. ઇલેક્ટ્રોનિક્સ રિટેલમાં અમારા પાંચ દાયકાથી વધુના અનુભવે અમને એ સમજવામાં મદદ કરી છે કે, ગ્રાહકો કિંમત ઉપરાંત શું શોધે છે, જેમાં અસલી પ્રોડક્ટ, ભરોસાપાત્ર સલાહ અને ખરીદી પછીનો સપોર્ટ સામેલ છે. અમે ખરેખર ખુબજ ગૌરવ અનુભવીએ છીએ કે, આ અભિગમને માન્યતા મળી છે.” સેલર્સના વિશાળ નેટવર્કને એકસાથે લાવતા પરંપરાગત માર્કેટપ્લેસથી વિપરીત, નવીનમાર્ટ બ્રાન્ડ-અધિકૃત વિક્રેતાઓ પર ભાર મૂકે છે. જેનાથી ગ્રાહકોને ઉત્પાદનની પ્રામાણિકતા અને વાસ્તવિક ઉત્પાદનો પર વધુ વિશ્વાસ બેસે છે. આ પ્લેટફોર્મ હાઇપર-લોકલ માર્કેટપ્લેસ મોડેલને પણ ફોલો કરે છે. એક બીજી ખાસ વાત, તેની આફ્ટર-સેલ્સ સર્વિસ આપવાની પદ્ધતિ છે. નવીનમાર્ટનો ઉદ્દેશ્ય, ગ્રાહકોને ખરીદી પછી વ્યક્તિગત મદદ પૂરી પાડવાનો છે, જે નવીન ઇલેક્ટ્રોનિક્સના વર્ષોના અનુભવ અને સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત છે. આનાથી કંપની પોઈન્ટ ઓફ સેલ ઉપરાંત પણ ગ્રાહકો સાથે સતત જોડાયેલી રહે છે. ઉલ્લેખનીય છે કે, ‘નવીનમાર્ટ’ કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, સ્માર્ટફોન અને મોબાઇલ એસેસરીઝ, વેરેબલ્સ, બ્યુટી અને ગ્રુમિંગ પ્રોડક્ટ્સ અને અન્ય લાઇફસ્ટાઇલ કેટેગરીમાં વિવિધ ઉત્પાદનો ઓફર કરે છે. આ પ્લેટફોર્મ, નવીન ઇલેક્ટ્રોનિક્સના રિટેલ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ સપોર્ટ સાથે તેની ઓનલાઇન હાજરીને જોડતી વખતે ઑફર્સ, સ્પર્ધાત્મક કિંમત, EMI વિકલ્પો અને ડિલિવરી સર્વિસ પણ પ્રદાન કરે છે. MY FM તરફથી આ સન્માન એવાં સમયે મળ્યું છે, જ્યારે ‘નવીનમાર્ટ’ ડિજિટલ રિટેલ સેગમેન્ટમાં તેની હાજરીને મજબૂત બનાવી રહ્યું છે અને નવીન ઇલેક્ટ્રોનિક્સના વારસાને આગળ વધારી રહ્યું છે. ગ્રાહકોના વિશ્વાસ, સર્વિસ અને સુવિધા પર ફોકસ કરવા સાથે, કંપની તેની પહોંચ વધારવાનો અને નવીનમાર્ટને એક અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 59મો પદવીદાન સમારોહ: બી.એ. અર્થશાસ્ત્રમાં દક્ષિણ ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી આરવી સુરેન્દ્ર અગ્રવાલે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો

 

પ્રતિભાશાળી વિદ્યાર્થિની આરવી અગ્રવાલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે ગોલ્ડ મેડલ અને બે પારિતોષિકો એનાયત સુરત,બુધવાર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 59મા પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલો, પદવીઓ અને પારિતોષિક અર્પણ કરી શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ અવસરે બેચલર ઓફ આર્ટ્સ (બી.એ.) ની ડિગ્રીમાં અર્થશાસ્ત્ર વિષય સાથે સમગ્ર દક્ષિણ ગુજરાત ઝોનમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર સુરતની પ્રતિભાશાળી વિદ્યાર્થિની આરવી સુરેન્દ્ર અગ્રવાલને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ્દ હસ્તે સુવર્ણ પદક અને બે પારિતોષિકો એનાયત કરી સન્માનિત કરવામાં આવી હતી.
કઠોર પરિશ્રમ, વિષય પરનું ઊંડાણપૂર્વકનું પ્રભુત્વ અને દ્રઢ નિશ્ચયના બળે આરવીએ આ યશસ્વી સફળતા મેળવીને માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. રાજ્યપાલશ્રીના હસ્તે એવોર્ડ સ્વીકારતી વેળાએ ઉપસ્થિત મહાનુભાવો અને શૈક્ષણિક જગતના દિಗ್ಗજોએ તાળીઓના ગડગડાટ સાથે તેમની આ સિદ્ધિને વધાવી હતી.
આરવીએ પ્રતિભાવ વ્યક્ત કરતા કહ્યું કે, જો સાચી દિશામાં લગનપૂર્વક મહેનત કરવામાં આવે, તો કોઈપણ ક્ષેત્રમાં શિખરો સર કરી શકાય છે. વિષમ પરિસ્થિતિમાં પણ દ્રઢ સંકલ્પ સાથે કરેલો સખત પુરુષાર્થ ચોક્કસથી સફળતા અપાવે છે. મને મારા પરિવારજનો એ વાત સાથે સતત પ્રેરણા આપતા રહે છે કે ‘વિષમ પરિસ્થિતિમાં પણ દ્રઢ સંકલ્પ સાથે કરેલો સખત પુરુષાર્થ ચોક્કસથી સફળતા અપાવે છે, જેથી મહેનત કરવામાં પીછેહઠ કરવી નહીં.
રક્ષાબંધન પર વૃક્ષો બન્યા ‘ભાઈ’, દીકરીઓ બની રક્ષક

 

વી.એન. ગોધાણી સ્કૂલની 70 દીકરીઓએ 70 વૃક્ષોને રાખડી બાંધી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો

સુરત: રક્ષાબંધનના પવિત્ર પર્વને માત્ર ભાઈ-બહેનના સ્નેહના પર્વ પૂરતું સીમિત ન રાખી, વૃક્ષો સાથે ભાવનાત્મક સંબંધ જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વી.એન. ગોધાણી ઇંગ્લિશ સ્કૂલની 70 દીકરીઓએ રક્ષાબંધનના એક દિવસ અગાઉ ધોળકિયા ગાર્ડન ખાતે 70 વૃક્ષોને રાખડી બાંધી વૃક્ષોની રક્ષા અને જતનનો સંકલ્પ લીધો હતો.

આ અનોખા કાર્યક્રમનું આયોજન આજરોજ સવારે 10 વાગ્યે ધોળકિયા ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દરેક દીકરીએ પોતાના ફાળવાયેલા વૃક્ષને ચાંદલો કરી આરતી ઉતારી હતી અને ત્યારબાદ તેને રાખડી બાંધી હતી. આ સાથે દીકરીએ પોતાના વૃક્ષોની જાળવણીની જવાબદારી પણ સ્વીકારી હતી.

આ માટે દીકરીઓના વૃક્ષો અગાઉથી નક્કી કરવામાં આવ્યા હતા અને વૃક્ષોના કદ પ્રમાણે રાખડીઓ પણ ખાસ તૈયાર કરવામાં આવી હતી.

કાર્યક્રમ અંગે ભાવેશભાઈ લાઠીયાએ જણાવ્યું હતું કે આ આયોજન પાછળનો મુખ્ય વિચાર એ છે કે જેમ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. એ જ ભાવનાને આગળ વધારી આ વર્ષે દીકરીઓએ વૃક્ષોની રક્ષા અને સંભાળનો સંકલ્પ લીધો છે. વૃક્ષો સાથે માત્ર પર્યાવરણના દૃષ્ટિકોણથી નહીં, પરંતુ લાગણી અને આત્મીયતાનો સંબંધ વિકસે તે આ પહેલનો મુખ્ય હેતુ છે.”

સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી દિવ્યાબેન ગજ્જરે જણાવ્યું કે, “વૃક્ષો વાવ્યા બાદ તેનું જતન કરવું એટલું જ મહત્વનું છે. લોકો જ્યારે વૃક્ષો સાથે ભાવનાત્મક રીતે જોડાય છે ત્યારે તેના સંરક્ષણની ભાવના વધુ મજબૂત બને છે.”

– ‘એક પેડ મા કે નામ’ સાથે જોડાશે પહેલ

સ્કૂલના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા એ જણાવ્યું કે, આપણી ધરતીને હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની વિચારધારાને આગળ ધપાવતાં તથા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરણા લઈને આ અનોખી પહેલ કરવામાં આવી છે. વૃક્ષારોપણ સાથે તેના સંરક્ષણ અને જતનને પણ જનઆંદોલનનું સ્વરૂપ મળે તેવો આ પ્રયાસ છે.

– ‘દર વર્ષે મારા વૃક્ષને રાખડી બાંધીશ’

આ પહેલને લઈને શાળાની દીકરીઓમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક દીકરીઓએ પોતાના વૃક્ષ સાથેનો આ સંબંધ દર વર્ષે રક્ષાબંધનના પર્વે રાખડી બાંધીને જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આમ, એક દિવસના કાર્યક્રમને બદલે વર્ષો સુધી ચાલે તેવું વૃક્ષ અને બાળક વચ્ચેનું ભાવનાત્મક જોડાણ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

– વૃક્ષારોપણ બાદ હવે જતન પર ભાર

ગોવિંદકાકા દર વર્ષે મોટી સંખ્યામાં વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ સાથે હવે વૃક્ષોના જતન અને સંરક્ષણને પણ એટલું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે. કતારગામ વિસ્તારમાં ‘ગ્રીન લાઇન્સ’ નામ પણ ગોવિંદકાકાની હરિયાળી પ્રત્યેની વિચારધારા સાથે જોડાયેલું છે. ગોધાણી સ્કૂલ તરફ જતી ગલીને પણ ‘ગ્રીન લાઇન્સ’ નામ આપવામાં આવ્યું છે.

– પર્યાવરણ શિક્ષણનું જીવંત ઉદાહરણ

આ પહેલ માત્ર રક્ષાબંધનની ઉજવણી નથી, પરંતુ બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ, જવાબદારી અને સંરક્ષણની ભાવના વિકસાવતું જીવંત શિક્ષણ છે. દીકરીઓ પોતાના વૃક્ષને નિયમિત જોવે, તેની સંભાળ લે અને વર્ષો સુધી તેની સાથે જોડાય તેવો આ પ્રયાસ આગામી પેઢીમાં વૃક્ષ સંરક્ષણની સંસ્કૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ બની શકે છે.

“વૃક્ષ વાવવું એ શરૂઆત છે, પરંતુ તેને ઉછેરવું અને જાળવવું એ સાચી જવાબદારી છે.”

આ ભાવનાને રક્ષાબંધનના પવિત્ર પર્વ સાથે જોડતી આ પહેલ પર્યાવરણ સંરક્ષણ માટે એક સંવેદનશીલ અને પ્રેરણાદાયી સંદેશ બની છે.

મહિલા ગુન્હા નિવારણ શાખા અને ઉધના ઝોન ૨ ડીસીપી કાનન દેસાઈ GPS દ્વારા સનરેઝ સ્કૂલ અને લીઓ સ્કૂલ ઓફ સાયન્સ ખાતે વિદ્યાર્થીઓ ને સાયબર ક્રાઈમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા .

 

સુરત : આ કાર્યક્રમ માં સુરત શહેર પોલીસ ઝોન ૨ ના ડીસીપી શ્રી કાનન દેસાઈ અને મહિલા સેલ ના એસીપી મિનિ જોસેફે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. ડીસીપી કાનન દેસાઈએ બાળકો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે પોલીસ થી ડરો નહીં. પોલીસ તમારી સેવા માટે છે .

જેમ તમારી માતા પોતાની જવાબદારી સમજી સવારે તમારા કરતા વહેલી ઉઠી પોતાની જવાબદારી નિભાવે છે એમ તમે પણ તમારી જવાબદારી સમજો. સમય ને માન આપો. જે બાળક સમય ને માન આપે છે , જવાબદાર બને છે અને શિસ્ત માં રહે છે તે પોતાના ધ્યેય માં સફળ થાય છે .

જાણતા અજાણતા ક્યારેક કોઈ ગુનો થઈ જાય તો પાછળ ની જિંદગી માં ઘણું સહન કરવું પડે . એસીપી મિનિ જોસેફ બુલિંગ શું કહેવાય ? બ્લેકમેલિંગ નો ભોગ કોણ બને , ડિજિટલ અરેસ્ટ થી કેવીરીતે બચવું, મોબાઈલ માં સોશિયલ મીડિયા ના ઉપયોગ માં કઈ કઈ કાળજી રાખવી તેનું સંપૂર્ણ માર્ગદર્શન પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા આપ્યું હતું .

સંસ્થા તરફ થી હાજર રહેલ ડીસીપી કાનન દેસાઈ, એસીપી મિનિ જોસેફ , પીએસઆઈ દીપિકા ટંડેલ નો આભાર માન્યો હતો

સાર્વજનિક યુનિવર્સિટી, સુરત દ્વારા ૧૨.૦૮.૨૦૨૬ના રોજ ‘એન્ટી રેગિંગ ડે, ૨૦૨૬’ની ઉજવણી

 

સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી’ના કુશળ સંચાલન હેઠળ સ્થપાયેલી સાર્વજનિક યુનિવર્સિટી આ ક્ષેત્રની અગ્રણી યુનિવર્સિટીઓમાંની એક છે. દર વર્ષે, UGCની માર્ગદર્શિકા મુજબ સમગ્ર દેશમાં તમામ સંસ્થાઓ દ્વારા ૧૨મી ઓગસ્ટના રોજ ‘એન્ટી રેગિંગ ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. સાર્વજનિક યુનિવર્સિટીમાં તેની તમામ ઘટક સંસ્થાઓ દ્વારા ‘એન્ટી રેગિંગ ડે, ૨૦૨૬’ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભારે ઉત્સાહ અને સકારાત્મક ભાવના સાથે ભાગ લીધો હતો. ઉજવણીના ભાગરૂપે, ‘એન્ટી રેગિંગ’ વિષય પર ‘લેખ લેખન’ અને ‘પોસ્ટર મેકિંગ’ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ તેમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સાર્વજનિક યુનિવર્સિટી, સુરતના પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યાએ વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા હતા અને ‘એન્ટી રેગિંગ ડે’ના કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, “શૈક્ષણિક ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ હિતધારકો માટે એ સમજવું ખૂબ મહત્વનું છે કે રેગિંગ એ ગંભીર ગુનો છે; સાર્વજનિક યુનિવર્સિટીમાં અમે હંમેશા રેગિંગ-મુક્ત કેમ્પસ માટે પ્રતિબદ્ધ છીએ અને રેગિંગ બાબતે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવી છે.”
આ સ્પર્ધાઓનું નિર્ણાયક પદ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા સંભાળવામાં આવ્યું હતું: એડવોકેટ પ્રતિભા દેસાઈ અને શ્રીમતી પન્ના શુંગે પોસ્ટર મેકિંગ સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપી હતી, જ્યારે શ્રીમતી અશ્લેષા ખુરાનાએ લેખ લેખન સ્પર્ધાના નિર્ણાયક તરીકે સેવા આપી હતી. યુનિવર્સિટીની ‘એન્ટી-રેગિંગ કમિટી’ના કન્વીનર શ્રીમતી દતાશા કંથારિઆ અને સહ-કન્વીનર શ્રી હિમાંશુ પધ્યાએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમિતિના તમામ સભ્યો, શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો. સાર્વજનિક યુનિવર્સિટીના માનનીય અધ્યક્ષ શ્રી આશિષ વકીલ, માનનીય પ્રોવોસ્ટ ડૉ. કિરણ પંડ્યા અને કાર્યકારી રજિસ્ટ્રાર શ્રી આશિષ દેસાઈએ આ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા.
ખાડીપૂરમાં સેવાકાર્ય કરનાર ભાજપ નેતા અને ટ્રસ્ટને આમંત્રણ છતાં સન્માન ન મળ્યું

 

પાંચ સંસ્થામાંથી ચારનું સન્માન, છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો હોવાની ચર્ચા વચ્ચે આખરે કોના ઈશારે રમત રમાઈ તે પણ બન્યો ચર્ચાનો વિષય

સુરત: સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના સરકારી કાર્યક્રમમાં ખાડીપૂર દરમિયાન રાહત કામગીરી કરનાર સેવાભાવી સંસ્થાઓના સન્માનને લઈને હવે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. ઉમરા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના સમારોહમાં સન્માન માટે પસંદ કરાયેલા પાંચ પૈકી ચાર સંસ્થાઓને મંચ પરથી સન્માનિત કરવામાં આવી હતી, જ્યારે ભાજપ સાથે જોડાયેલા સ્થાનિક નેતા સમ્રાટ પાટીલના સાંઈ લીલા ગ્રુપનું નામ અંતિમ સમયે જાહેર ન થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
ખાસ વાત એ છે કે જિલ્લા વહીવટી તંત્ર તરફથી સમ્રાટ પાટીલને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે અગાઉથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણના આધારે તેઓ કાર્યક્રમમાં પહોંચ્યા પણ હતા. જોકે, સન્માનની જાહેરાત શરૂ થતાં તેમના ગ્રુપનું નામ ન બોલાવવામાં આવતાં તેઓ સન્માનની રાહ જોતા રહી ગયા હતા.

ખાડીપૂર દરમિયાન સાંઈ લીલા ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદો માટે ફૂડ પેકેટ અને રાશન કીટનું વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી. સમ્રાટ પાટીલના જણાવ્યા પ્રમાણે, પૂરગ્રસ્ત વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોને જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી હતી. આ કામગીરીના આધારે જ ગ્રુપને સન્માન માટે પસંદ કરવામાં આવ્યું હોવાનું તેમને અગાઉથી જણાવાયું હતું. પરંતુ કાર્યક્રમમાં પાંચમાંથી ચાર સંસ્થાઓને સન્માન મળ્યું અને પાંચમી સંસ્થા તરીકે જે નામની અપેક્ષા હતી તે જાહેર થયું નહીં. આથી સત્તાવાર યાદી, આમંત્રણ અને મંચ પરની જાહેરાત વચ્ચેના તફાવતને લઈને સવાલો ઊભા થયા છે.

– ‘છેલ્લી ઘડીએ નામ કેમ હટાવાયું?’

સમ્રાટ પાટીલે સમગ્ર ઘટનાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ, વહીવટી તંત્ર તરફથી સન્માન માટે આમંત્રણ મળ્યું હોવાથી તેઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. પૂર દરમિયાન સેવા કર્યા બાદ સન્માન મળવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ નામ દૂર થયું હોવાની સ્થિતિ સર્જાઈ. વધુમાં સમ્રાટ પાટીલે જણાવ્યું હતું કે માત્ર પૂર પીડિતોની જ નહીં પણ સાઈ લીલા ગ્રૂપના માધ્યમથી તેઓ વર્ષ દરમિયાન અનેક પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે છે અને લોકો તરફથી જે પ્રેમ મળ્યો છે તે જ અમારું સન્માન છે. બીજી તરફ આ ઘટનાને લઈને ભાજપના સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને લીંબાયત વિધાનસભા બેઠકના આગામી રાજકીય સમીકરણો સાથે આ ઘટનાને જોડીને જોવામાં આવી રહી છે.

– લિંબાયતની આંતરિક રાજનીતિ ચર્ચાના કેન્દ્રમાં
સમ્રાટ પાટીલ લીંબાયત વિસ્તારમાં સક્રિય હોવાથી આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમની દાવેદારીને લઈને તેમના સમર્થકોમાં ચર્ચા છે. ખાડીપૂર દરમિયાન કરવામાં આવેલી રાહત કામગીરીથી તેમની સક્રિયતા વધુ સ્પષ્ટ બની હોવાનું પણ તેમના સમર્થકો માને છે.
આ સંજોગોમાં સરકારી કાર્યક્રમમાં મળનારા સન્માનમાંથી છેલ્લી ઘડીએ નામ દૂર થવાને કેટલાક લોકો પક્ષની આંતરિક ખેંચતાણ સાથે જોડીને જોઈ રહ્યા છે. જોકે, નામ કેમ દૂર કરવામાં આવ્યું તે અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ સ્પષ્ટ સત્તાવાર કારણ સામે આવ્યું નથી.
આથી હવે ચર્ચાનો વિષય માત્ર સન્માનનો રહ્યો નથી, પરંતુ સરકારી સન્માનની પ્રક્રિયામાં અંતિમ સમયે શું બદલાયું અને કોના નિર્ણયથી બદલાયું? તે પણ બની ગયો છે.

ભારતીય વેપાર મહોત્સવ 2026: અજમેરા ફેશનએ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને રાષ્ટ્રીય મંચ અપાવ્યો

 

સુરત :, ભારત મંડપમ, નવી દિલ્હીમાં 12થી 15 ઓગસ્ટ દરમિયાન આયોજિત ભારતીય વેપાર મહોત્સવ 2026 સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક અવસર બની રહ્યો, જ્યાં અજમેરા ફેશનએ પોતાની મજબૂત હાજરી નોંધાવી.

કંપનીના સ્થાપક અને CEO શ્રી અજય અજમેરાના નેતૃત્વ હેઠળ અજમેરા ફેશનએ સુરતના 60થી વધુ વેપારીઓને આ રાષ્ટ્રીય મંચ પર એકસાથે લાવ્યા, જ્યાં દરેક વેપારીને પોતાના ઉત્પાદનો પ્રદર્શિત કરવા, નવા સંપર્કો બનાવવા અને પોતાના વ્યવસાયને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની તક મળી. મહોત્સવમાં ટેક્સટાઇલ ક્ષેત્રનો સૌથી મોટો પેવેલિયન અજમેરા ફેશનનો રહ્યો, જેમાં દરેક ભાગીદાર વેપારી માટે અલગ પ્રદર્શન વ્યવસ્થા કરવામાં આવી હતી.

મહોત્સવ દરમિયાન અજમેરા પેવેલિયન અનેક ગણમાન્ય મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો. દિલ્હી મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા તથા CAITના રાષ્ટ્રીય મહામંત્રી અને સાંસદ શ્રી પ્રવીણ ખંડેલવાલે સ્ટોલની મુલાકાત લઈને સુરતની કારીગરીની પ્રશંસા કરી. આ ઉપરાંત, અનેક દેશોમાંથી આવેલા વિદેશી પ્રતિનિધિઓ અને ખરીદદારો પણ સુરતના ઉત્પાદનોમાં ઊંડો રસ દાખવ્યો.

આ ચાર દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ અજમેરા ફેશનની ફ્રેન્ચાઇઝી બ્રાન્ડ્સ, અજમેરા ટ્રેન્ડ્સ અને લિટલ વિંગ્સ વિશે પણ માહિતી મેળવી. વિદેશમાં વસતા ભારતીયોના પરિવારજનો પણ સ્ટોલ પર પહોંચ્યા અને પોતાના બાળકોને આ વ્યવસાય સાથે જોડવા માટે માર્ગદર્શન મેળવ્યું.

શ્રી અજય અજમેરાની હાજરી મહોત્સવનું એક વિશેષ આકર્ષણ રહી. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા લોકો તેમને મળવા અને તેમનું માર્ગદર્શન મેળવવા પહોંચ્યા. સાથે જ, ન્યૂઝ ચેનલોએ પણ તેમના ઇન્ટરવ્યૂને વિશેષ મહત્વ આપ્યું.

અજમેરા ફેશન માટે આ આયોજન માત્ર એક પ્રદર્શન નહોતું, પરંતુ એક મોટો અનુભવ અને શીખવાની તક પણ રહ્યું. સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે આ સિદ્ધિ સુવર્ણ અક્ષરે નોંધાય તેવી રહેશે, જ્યાં એક કંપનીએ સમગ્ર ઉદ્યોગની સામૂહિક તાકાતને રાષ્ટ્રીય મંચ પર રજૂ કરી

ભાડજ સ્થિત ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” સમગ્ર ગુજરાતમાં સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડશે

 

ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવ અને 4 સપ્ટેમ્બરના રોજ ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવની ઉજવણીનું આયોજન અમદાવાદ તા. 19 ઓગષ્ટ 2026: ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા દર વર્ષે ભવ્ય રીતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય ભક્તો અને શ્રદ્ધાળુઓ જોડાય છે. આ વર્ષે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી તેમજ તેના આધ્યાત્મિક સંદેશને સમાજના વિવિધ વર્ગો સુધી પહોંચાડવા માટે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની નવી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ દ્વારા સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા, સાણંદ, વિરમગામ, કડી-કલોલ ખાતે 22 ઓગષ્ટ થી 13 સપ્ટેમ્બર 2026 દરમિયાન આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શ્રીકૃષ્ણનો જન્માષ્ટમીનો સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026”ની ઉજવણી કરવામાં આવશે. સાથોસાથ 23 થી 28 ઓગષ્ટ દરમિયાન ઝુલન મહોત્સવનું ભાડજ હરેકૃષ્ણ મંદિર ખાતે કરવામાં આવ્યુ છે. ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ સમગ્ર ગુજરાતમાં આયોજીત સ્વાગતમ્ કૃષ્ણ 2026” કાર્યક્મની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે22 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે ચાંદખેડા – શ્રી સદારામ બાપા કોમ્યુનિટી હોલ, ઉમિયા પાર્ટી પ્લોટ, ગોતા, બાલાજી ઓએસિસ લૉન, પાલજ, ગાંધીનગર, 23 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, રાજકોટ – સિસન્સ હોટેલ, 29 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે ચાંદલોડિયા કોમ્યુનિટી સેન્ટર, મંગલપાંડે હોલ, નિકોલ, મેડોઝ, અદાણી શાંતિગ્રામ, 30 ઓગસ્ટે સાંજે 6-00 કલાકે સાણંદ, કલોલ ટાઉનહોલ, વેદમંદિર, મણિનગર, તેમજ 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીની સાંજે 6-00 કલાકે હરેકૃષ્ણ મૂવમેન્ટ, સુરત – મહેશ્વરી ભવન, હરેકૃષ્ણ મૂવમેન્ટ, વડોદરા – ઈવામોલ ખાતે આધ્યાત્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણનો જન્માષ્ટમી મહોત્સવનો સંદેશ ભક્તો સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના રોજ સવારે 8 થી રાત્રી 12:30 સુધી ભાડજ ખાતે આવેલા ઇસ્કોન હરેકૃષ્ણ મુખ્ય મંદિરમાં તેમજ સેકટર-1 ગાંધીનગર ખાતે સવારે 8 થી રાત્રી 12:30 સુધી ભગવાન શ્રીકૃષ્ણની મહિમા વિવિધ સંદેશા સાથેના સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા જનમાષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવશે. અંતમાં 13 સપ્ટેમ્બરે કડી ટાઉનહોલ ખાતે “સ્વાગતમ્ કૃષ્ણ 2026”નું આયોજન કરવામાં આવ્યું છે. અ સિવાય સમગ્ર શ્રાવણ માસ દરમિયાન વિરમગામ તાલુકાના આશરે 10 ગામોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઇસ્કોન હરે કૃષ્ણ મૂવમેન્ટના પ્રમુખ જગનમોહનકૃષ્ણ દાસજીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વાગતમ્ કૃષ્ણ 2026” નો ઉદ્દેશ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના સંદેશ અને ભાવનાને મંદિરની બહાર સમાજના વિવિધ વર્ગો જેવા કે અબાલ વૃધ્ધ સ્ત્રી-પુરૂષ તેમજ ભારતના આશાસ્પદ ભવિષ્ય એવા યુવાવર્ગ  સુધી પહોંચાડવાનો છે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ શહેરો, નગરો અને ગામોમાં આધ્યાત્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલની પ્રેરણા, કૃષ્ણ કૃપામૃર્તિ શ્રીલ પ્રભુપાદ, ઇસ્કોનના સ્થાપક-આચાર્ય પાસેથી પ્રાપ્ત થઈ છે. શ્રીલ પ્રભુપાદે પોતાનું સમગ્ર જીવન ભગવાન શ્રીકૃષ્ણના સંદેશ, ભગવદ  ગીતાના ઉપદેશો અને હરેકૃષ્ણ મહામંત્રને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડવામાં સમર્પિત કર્યું હતું જે સંદેશ “સ્વાગતમ્ કૃષ્ણ 2026” નો અગ્ર ભાગ છે. “સ્વાગતમ્ કૃષ્ણ 2026” ની ઉજવણીના દરેક સ્થળોએ પ્રતિષ્ઠિત મહાનુભાવો તથા સમાજના અગ્રણી વ્યક્તિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત કરશે. આ પહેલની પરાકાષ્ઠા 4 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન અવસરે થશે. આ દિવસે ઇસ્કોન હરેકૃષ્ણ મંદિર, ભાડજ અને ઇસ્કોન ગાંધીનગર, સેક્ટર-1 ખાતે સમગ્ર દિવસ દરમિયાન ભવ્ય જન્માષ્ટમી મહોત્સવ યોજાશે.
આ ઉજવણીમાં ભક્તો તથા સામાન્ય જનતા માટે દર્શન, કીર્તન, ભક્તિ સંગીત, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા વિશેષ જન્માષ્ટમી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય પ્રાગટ્યનો આનંદમય ઉત્સવ ઉજવાશે
સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ‘કૃષ્ણોત્સવ’: ભક્તિ, પ્રેમ અને ઉજવણીનો અનોખો સંગમ

 

• જન્માષ્ટમી નિમિત્તે ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટે ભવ્ય ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટનું આયોજન • ૧૫૦ ફૂટના વિશાળ સ્ટેજ પર આધુનિક ટેકનોલોજી સાથે નવી પેઢી માટે કૃષ્ણભક્તિનો નવો અનુભવ • સુરતમાં જ સર્જાશે વૃંદાવન-મથુરા જેવો માહોલ; ત્રણ દિવસમાં આશરે ૫,૦૦૦ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા સુરત: જન્માષ્ટમીના પાવન પર્વને અનોખી આધુનિકતા અને આધ્યાત્મિક અનુભૂતિ સાથે ઉજવવા માટે સુરતમાં પ્રથમ વખત ત્રણ દિવસીય ભવ્ય ‘કૃષ્ણોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રો ક્રિએટ ઇવેન્ટ્સ દ્વારા ૨૯, ૩૦ અને ૩૧ ઓગસ્ટ દરમિયાન સુરત એરપોર્ટ નજીક સુરત-ડુમસ રોડ પર આવેલા અદ્વૈતા બોલરૂમ એન્ડ લોન્સ ખાતે આ વિશિષ્ટ ડિવોશનલ મ્યુઝિક કોન્સર્ટ યોજાશે. આ અંગે માહિતી આપતાં આયોજક પર્વ પરમારે જણાવ્યું હતું કે, “આ માત્ર પરંપરાગત ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ કૃષ્ણના જીવન, તેમના પ્રેમ અને જીવનદર્શનને આધુનિક મ્યુઝિક, લાઇવ પરફોર્મન્સ અને ઇમર્સિવ ટેકનોલોજીના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવાનો અનોખો પ્રયાસ છે.” આયોજકોના જણાવ્યા મુજબ, ત્રણ દિવસીય અને ત્રણ અલગ થીમ આધારિત કૃષ્ણ મ્યુઝિક કોન્સર્ટનો આ પ્રકારનો પ્રયોગ ભારતમાં પ્રથમ વખત કરવામાં આવી રહ્યો છે. ત્રણ દિવસ, ત્રણ થીમ અને કૃષ્ણના જીવનના ત્રણ રંગ કૃષ્ણોત્સવમાં ત્રણ દિવસને ત્રણ અલગ થીમ સાથે રજૂ કરવામાં આવશે—ડિવોશન, એન્ચેન્ટમેન્ટ અને સેલિબ્રેશન. પ્રથમ દિવસ ‘ડિવોશન’ કૃષ્ણ પ્રત્યેની ભક્તિને સમર્પિત રહેશે. દેશ-વિદેશમાં કૃષ્ણભક્તિના વિવિધ સ્વરૂપો તેમજ લોકપ્રિય ભજનો અને કીર્તનોને ભવ્ય મ્યુઝિકલ ફોર્મમાં રજૂ કરવામાં આવશે. આ દિવસે કચ્છના જાણીતા કલાકાર નંદલાલ છાંગા પોતાની વિશેષ રજૂઆત આપશે. બીજા દિવસની થીમ ‘એન્ચેન્ટમેન્ટ’ રહેશે, જે કૃષ્ણ સાથે જોડાયેલા નિઃસ્વાર્થ પ્રેમને સમર્પિત છે. રાધા-કૃષ્ણનો પ્રેમ, મીરાંની ભક્તિ, યશોદા માતાનો સ્નેહ અને ભક્તોનો કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ—આ તમામ ભાવનાઓને સંગીત અને પરફોર્મન્સ દ્વારા રજૂ કરવામાં આવશે. સુરતના જાણીતા ફોક આર્ટિસ્ટ ઋષભ શુક્લા અને ઉત્તર ભારતના લોકપ્રિય તેમજ બોલિવૂડમાં પ્લેબેક કરી ચૂકેલા ગાયક ગુરાશિષ સિંહ આ દિવસે ખાસ રજૂઆત કરશે. ત્રીજા દિવસની થીમ ‘સેલિબ્રેશન’ રહેશે. કૃષ્ણના જીવનમાંથી મળતા સંદેશ—સુખ હોય કે દુઃખ, દરેક ક્ષણને સ્વીકારીને અને માણીને જીવનને પૂર્ણતાથી જીવવું—ને આ દિવસના કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને રાખવામાં આવશે. આ દિવસે મથુરાનું ‘સનાતન સંકીર્તન’ બેન્ડ ખાસ રજૂઆત કરશે. સાથે જ પ્રથમ વખત આ પ્રકારના લાઇવ કાર્યક્રમમાં ‘ફૂલો કી હોળી’નો વિશેષ અનુભવ પણ કરાવવામાં આવશે. ૧૫૦ ફૂટના સ્ટેજ પર નવી પેઢીની કૃષ્ણભક્તિ કૃષ્ણોત્સવની સૌથી મોટી વિશેષતા એ રહેશે કે અહીં પરંપરાગત ભક્તિને નવી પેઢીની ભાષામાં રજૂ કરવામાં આવશે. ખાસ કરીને જનરેશન ઝેડને ધ્યાનમાં રાખીને ઇમર્સિવ ટેકનોલોજી, આધુનિક સાઉન્ડ, લાઇટિંગ અને લાઇવ પરફોર્મન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે ૧૫૦ ફૂટનો વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આશરે ૨૫ ડાન્સ પરફોર્મર્સ લાઇવ ક્યુરેટેડ પરફોર્મન્સ રજૂ કરશે. સમગ્ર ત્રણ દિવસના કાર્યક્રમનું સંચાલન સેલિબ્રિટી હોસ્ટ, પોડકાસ્ટર અને સ્ટોરીટેલર જય થાડેશ્વર કરશે. તેઓ લાઇવ નેરેશન દ્વારા કાર્યક્રમને આગળ વધારશે. આયોજકોનું માનવું છે કે કૃષ્ણના જીવનની પરંપરાગત કથાઓને માત્ર રજૂ કરવાને બદલે, તેમના જીવનમાંથી મળતા પ્રેમ, સૌહાર્દ, આનંદ અને જીવનને માણવાના સંદેશને મ્યુઝિક અને ટેકનોલોજી સાથે જોડવાથી નવી પેઢી કૃષ્ણ સાથે વધુ સરળતાથી જોડાઈ શકશે. જન્માષ્ટમીમાં સુરત બનશે વૃંદાવન ધામ ૨૯થી ૩૧ ઓગસ્ટ દરમિયાન દરરોજ રાત્રે સાડા આઠથી રાત્રે ૧૧ વાગ્યા સુધી કાર્યક્રમ યોજાશે. આયોજકોના જણાવ્યા મુજબ, દરરોજ આશરે ૧,૫૦૦ લોકો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે, જ્યારે ત્રણેય દિવસ દરમિયાન કુલ આશરે ૫,૦૦૦ લોકો કાર્યક્રમમાં જોડાશે. આ અંગે આયોજક પર્વ પરમારે જણાવ્યું હતું કે, “કૃષ્ણના જીવન અને તેમના સંદેશને આજની પેઢી સુધી પહોંચાડવા માટે આ આખી પરિકલ્પના તૈયાર કરવામાં આવી છે. સુરતમાં જ લોકોને વૃંદાવન અને મથુરા જેવી આધ્યાત્મિક અનુભૂતિ કરાવવાનો અમારો પ્રયાસ છે. ભક્તિ માત્ર પરંપરાથી નહીં, પરંતુ નવી પેઢી સાથે જોડાય તેવી આધુનિક રજૂઆત દ્વારા પણ અનુભવી શકાય—એ જ કૃષ્ણોત્સવનો મુખ્ય ઉદ્દેશ છે.” જન્માષ્ટમીના આ ત્રણ દિવસ દરમિયાન સુરત કૃષ્ણમય અને ગોકુળમય બની જાય તથા લોકોને સુરત છોડ્યા વિના વૃંદાવન-મથુરા જેવી ભક્તિ અને ઉત્સવની અનુભૂતિ મળે, તેવો આ અનોખો પ્રયાસ હોવાનું આયોજકોએ જણાવ્યું છે.
સનલાઇટ શાળા માં આજે ૮૦ માં સ્વતંત્રતા દિવસ ની ઉજવણી શાળા પરિસર માં યોજવામાં આવી હતી.

 

આજ ના સ્વતંત્ર દિન ની ઉજવણી અને ધ્વજારોહણ શાળા ના પ્રતિભા સંપન અને એનસીસી કેડેટ હેત સોજીત્રા ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપી તેના હસ્તક રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માં આવ્યો હતો . શાળા ના એનસીસી નેવલ કેડેટ્સ દ્વારા માર્ચ પરેડ યોજાઈ હતી અને માર્ચ પરેડ દરમ્યાન મુખ્ય મહેમાને પરેડ ની સલામી જીલી હતી.

શાળા ની ધોરણ ૫ થી ૮ ની વિદ્યાર્થીઓ એ દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા. મુખ્ય મહેમાનો હેત સોજીત્રા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. હેત પટેલ નાનપણ થી શાળા માં યોજાતી સહાભ્યાસિક પ્રવૃત્તિ માં ભાગ લઈ પોતાની પ્રતિભા વિકસાવવા માં શાળા ની ભૂમિકા ઉત્તમ રહી છે તેવું જણાવી શાળા નો આભાર માન્યો હતો.ધોરણ ૪ ની દીકરી સોનવણે હર્ષિતા અને ધોરણ ૨ ની દીકરી હિરપરા રાધ્યા એ પોતાનું સ્વતંત્રતા દિવસ પર સુંદર વક્તવ્ય આપ્યું હતું.

ટ્રસ્ટી શ્રી જયસુખ કથીરિયા એ પ્રાસંગિક ઉદબોધન માં જણાવ્યું હતું કે હેત સોજીત્રા જેવા બાળકો હસ્તક ધ્વજ વંદન કરાવી, નાના ભૂલકાઓ ને મહેમાન બનાવી સ્ટેજ પર બેસાડવાથી બાળકો માં આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રતિભા ના જાતે દર્શન કર્યા હતા. બાળકો ને સ્ટેજ પર મહેમાન તરીકે મળતું સન્માન જોઈ ને વાલીઓ પણ ખુબજ ખુશ હતા .

સમગ્ર કાર્યક્રમ બાળકો એ આયોજિત કર્યો, માસ્ટર ઓફ સેરેમની પણ બાળકો દ્વારા અને ધ્વજ વંદન માં મુખ્ય મહેમાન પણ બાળકો એજ સર્વાંગી વિકાસ નો પાયો છે . બાળકો એ રાષ્ટ્ર પર્વ ને અનુરૂપ ડેકોરેશન કરી શાળા પરિસર ને નયન રમ્ય બનાવ્યું હતું..બાળકો એ સાથે મળી નયા ભારત, વિકસિત ભારત પર રંગોળી બનાવી સૌ ને શુભકામના પાઠવી હતી.અંતે આચાર્ય શ્રી આદિત્ય પટેલ એ તમામ નો આભાર માન્યો હતો.