Posts by: abhay_news_editor

સુરતમાં HSW અને SGCCI દ્વારા ‘Journey to Embropreneur’ સેમિનાર યોજાયો, એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં સ્વરોજગારની નવી તકો અંગે માર્ગદર્શન

 

સુરત: એમ્બ્રોઇડરી ક્ષેત્રમાં પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક લોકો માટે HSW અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સંયુક્ત ઉપક્રમે આગામી 13 જુલાઈથી ‘Journey to Embropreneur’ કોર્સ શરૂ કરવામાં આવી રહ્યો છે. આ કોર્સ અંગે માહિતી આપવા માટે શનિવાર, 4 જુલાઈના રોજ નાનપુરા સ્થિત SGCCI Education & Skill Development Centre ખાતે એક નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સેમિનારમાં ફેશન ડિઝાઇનર્સ, બૂટિક સંચાલકો, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, વિદ્યાર્થીઓ તેમજ ઘરેથી પોતાનો વ્યવસાય શરૂ કરવા ઇચ્છુક મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન HSWના સ્થાપક તપન કાપડિયાએ એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં રહેલી વ્યવસાયિક તકો, ઓછી મૂડીથી વ્યવસાય શરૂ કરવાની રીત, ગ્રાહકો મેળવવાની વ્યૂહરચના, કોસ્ટિંગ, માર્કેટિંગ તથા સફળ એમ્બ્રોઇડરી બિઝનેસ ઊભો કરવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સેમિનારમાં એ બાબત પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે એક જ ડિઝાઇનને કોટન, સિલ્ક, ડેનિમ, નિટ અથવા અન્ય અલગ-અલગ પ્રકારના કાપડ પર સફળતાપૂર્વક એમ્બ્રોઇડરી કરવી એ એક કળા છે, જેના માટે યોગ્ય ટેકનિક અને પ્રેક્ટિકલ સમજ જરૂરી છે. આ વિષયની વિસ્તૃત તાલીમ અને પ્રાયોગિક શિક્ષણ ‘Journey to Embropreneur’ કોર્સમાં આપવામાં આવશે.

કોર્સમાં એમ્બ્રોઇડરી મશીનનું પ્રેક્ટિકલ ઓપરેશન, ડિઝાઇનિંગ સોફ્ટવેર, મશીન મેન્ટેનન્સ, ડિજિટાઇઝિંગ, કોસ્ટિંગ, માર્કેટિંગ તેમજ બિઝનેસ ડેવલપમેન્ટ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

છેલ્લા 13 વર્ષથી સિંગલ હેડ એમ્બ્રોઇડરી મશીન ક્ષેત્રે કાર્યરત HSW દેશભરમાં 7000થી વધુ એમ્બ્રોપ્રેન્યોર્સ સાથે જોડાયેલું છે. સેમિનારમાં ઉપસ્થિતોએ કોર્સ પ્રત્યે નોંધપાત્ર રસ દર્શાવ્યો હતો અને આગામી બેચ માટે નોંધણી પણ શરૂ કરવામાં આવી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું.

સખીયા સ્કિન ક્લિનિક દ્વારા સુરતમાં અડાજણ ખાતે “સખીયા સ્કિન ક્લિનિક સર્કલ” નો ઉદ્ધાટન સમારોહ યોજાયો

 

સુરત : સખીયા સ્કિન ક્લિનિક દ્વારા 24 જૂન, 2026 બુધવારે સવારે 8 વાગ્યે સુરતના અડાજણ વિસ્તારમાં ‘સખીયા સ્કિન ક્લિનિક સર્કલ’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું .

આ નવું ડેવલપ કરવામાં આવેલું સર્કલ સુરતના અડાજણ પાટિયામાં ગુજરાત ગેસ સર્કલની બાજુમાં, દીપા કોમ્પ્લેક્સ ખાતે સ્થિત છે તેમજ સુરત શહેરને એક લેંડમાર્ક તરીકે સમર્પિત કરવામાં આવી રહ્યું છે. આ પહેલ, સખીયા સ્કિન ક્લિનિકની સિવિક બ્યુટિફિકેશન, કોમ્યુનિટી ડેવલપમેન્ટ અને શહેરના જાહેર સ્થળોમાં સકારાત્મક યોગદાન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

નવા ક્લિનિક સર્કલનું ઉદ્ઘાટન સખીયા સ્કિન ક્લિનિકના સંસ્થાપક અને ચીફ ડર્મેટોલોજીસ્ટ ડૉ. જગદીશ સખીયા, સખીયા સ્કિન ક્લિનિકના CEO ડૉ. રૂપલ સખીયા અને સખીયા સ્કિન ક્લિનિકના ડિરેક્ટર શ્રી દામજી રોયની હાજરીમાં કરવામાં આવ્યું .

આ પહેલ અંગે સખીયા સ્કિન ક્લિનિક ટીમે જણાવ્યું હતું કે, “સુરત વિકાસ, સુંદરતા અને પ્રગતિનું શહેર છે. સખીયા સ્કિન ક્લિનિક સર્કલ દ્વારા, અમે સુરતના લોકોને એક ખાસ લેંડમાર્ક સમર્પિત કરીને ગૌરવ અનુભવીએ છીએ. આ સર્કલ એ માત્ર એક જાહેર જગ્યા જ નથી, પરંતુ તે અનેક વર્ષોથી અમારી સફરને સહકાર અને સમર્થન આપનાર શહેર પ્રત્યેની અમારી કૃતજ્ઞતા દર્શાવે છે.”

સખીયા સ્કિન ક્લિનિક હંમેશા અર્થપૂર્ણ પહેલ દ્વારા સમાજમાં યોગદાન આપીને હેલ્થકેરથી આગળ વધવામાં વિશ્વાસ ધરાવે છે. સખીયા સ્કિન ક્લિનિક સર્કલનો વિકાસ, આ શહેરની ઓળખ, શહેરી સુંદરતા અને સમુદાયના ગૌરવને ટેકો આપવાની દિશામાં એક અન્ય પગલું છે. આ ગર્વની ક્ષણની ઉજવણી કરવા માટે, આ ઈવેન્ટમાં શહેરના અગ્રણીઓ, લીડર્સ, નાગરિકો, શુભેચ્છકો અને સખીયા સ્કિન ક્લિનિક ટીમના સભ્યો એકસાથે ભેગા થયા .

મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી ખાતે ઐતિહાસિક પરિવર્તનની નિમિત્તે આભારવિધિ, ટાઈમ કેપ્સ્યુલ સમર્પણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

 

સુરત, 4 જુલાઈ 2026: મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (MS-IDPT), સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા ફેકલ્ટી ઑફ આર્કિટેક્ચરના એસસીઈટી કેમ્પસમાંથી નવા એમએસ-આઈડીપીટી કેમ્પસમાં થયેલા ઐતિહાસિક સ્થળાંતરના અવસરે આભારવિધિ, ટાઈમ કેપ્સ્યુલ સમર્પણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. વર્ષ 1995માં સ્થાપિત AAERT અને SSB ફેકલ્ટી ઑફ આર્કિટેક્ચર છેલ્લા ત્રણ દાયકાથી આર્કિટેક્ટ્સ, પ્લાનર્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, કલાકારો અને સર્જનાત્મક વ્યાવસાયિકોની અનેક પેઢીઓનું ઘડતર કરતી આવી છે. શૈક્ષણિક વર્ષ 2026–27થી આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન, પ્લાનિંગ, ફાઇન આર્ટ્સ તથા વિઝ્યુઅલ આર્ટ્સના તમામ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો નવા મિત્રાજ સાર્વજનિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ ટેક્નોલોજી (MS-IDPT) કેમ્પસમાં શરૂ થઈ રહ્યા છે. આ પ્રસંગે સંસ્થાએ પોતાના જૂના કેમ્પસ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેની ગૌરવશાળી પરંપરાને વંદન કર્યું. કાર્યક્રમની શરૂઆત સત્યનારાયણ પૂજા સાથે કરવામાં આવી, જેમાં સંસ્થાના નવા અધ્યાય માટે શુભાશિષ અને પ્રાર્થના કરવામાં આવી. આ પ્રસંગે સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ ‘ટાઈમલેસ સ્ટ્રક્ચર અને ટાઈમ કેપ્સ્યુલ’નું સમર્પણ કરવામાં આવ્યું. આ કેપ્સ્યુલમાં વર્ષો દરમિયાન પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ, સ્મૃતિઓ, ફોટોગ્રાફ્સ, પ્રકાશનો, અહેવાલો, સંદેશાઓ તેમજ શિક્ષકો, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોના અમૂલ્ય યોગદાનને સંરક્ષિત કરવામાં આવ્યા છે. આ ટાઈમ કેપ્સ્યુલ જુલાઈ 2045માં ફેકલ્ટીની સુવર્ણ જયંતિ નિમિત્તે ખુલ્લી મુકવામાં આવશે.
પર્યાવરણ સંરક્ષણ, સતત વિકાસ અને ઉજ્જવળ ભવિષ્યના સંદેશ સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી તથા સાર્વજનિક યુનિવર્સિટીના મહાનુભાવોના હસ્તે નવ આસોપાલવના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
આ ઐતિહાસિક કાર્યક્રમમાં મેનેજમેન્ટ, પ્રાધ્યાપકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, પૂર્વ વિદ્યાર્થીઓ તથા આમંત્રિત મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો. સંસ્થાની ગૌરવશાળી પરંપરાને સન્માન આપતાં આ કાર્યક્રમ દ્વારા નવા ભવિષ્ય તરફના સફરની શુભ શરૂઆત ઉજવવામાં આવી.
યુદ્ધની વૈશ્વિક અસર સુરતના રિયલ એસ્ટેટ પર, બાંધકામ ખર્ચ વધતાં ફ્લેટના ભાવમાં થશે વધારો: ક્રેડાઈ

 

ઇંધણના વધતા ભાવથી સિમેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતના બિલ્ડિંગ મટીરિયલ્સ મોંઘા બન્યા, ગ્રાહકોને સમયસર ફ્લેટ ખરીદવાનો નિર્ણય લેવા અપીલ

સુરત : આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિની અસર હવે સુરતના રિયલ એસ્ટેટ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે. પેટ્રોલિયમ અને ઇંધણના ભાવમાં થયેલા વધારાને કારણે પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે. તેના પરિણામે સિમેન્ટ, સ્ટીલ, લોખંડ, એલ્યુમિનિયમ સેક્શન, પ્લમ્બિંગ મટીરિયલ્સ સહિત વિવિધ બાંધકામ સામગ્રીના ભાવ સતત વધી રહ્યા છે. સાથે જ ગેસ અને જીવનનિર્વાહ ખર્ચ વધતાં મજૂરી ખર્ચમાં પણ વધારો થયો છે, જેના કારણે કન્સ્ટ્રક્શન કોસ્ટમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું ક્રેડાઈ સુરતે જણાવ્યું છે.

આ મુદ્દે ક્રેડાઈ સુરતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ચેરમેન સંજય માંગુકિયાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી બાંધકામ માટે જરૂરી લગભગ તમામ સામગ્રીના ભાવ સતત વધી રહ્યા છે. વધેલા ઇંધણના ખર્ચની સીધી અસર પરિવહન અને ઉત્પાદન પર પડી રહી છે, જેના કારણે બાંધકામ ઉદ્યોગ માટે પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો ખર્ચ સતત વધી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી ડેવલપર્સે વધેલા ખર્ચનો બોજ પોતાની રીતે સહન કરવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિ સામાન્ય બનવાની આશા રાખી હતી. પરંતુ હાલની સ્થિતિમાં નજીકના ભવિષ્યમાં ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા દેખાતી ન હોવાથી હવે વધેલા ખર્ચની અસર ફ્લેટની કિંમતો પર કરવી અનિવાર્ય બની છે.

વધુમાં તેમણે કહ્યું કે ચાલુ પ્રોજેક્ટમાં ભાવવધારાની અસર પ્રોજેક્ટ કયા તબક્કે છે તેના આધારે અલગ-અલગ રહેશે. ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર, પ્લાસ્ટર અથવા ફિનિશિંગ જેવા વિવિધ તબક્કામાં ખર્ચની સ્થિતિ જુદી હોવાથી દરેક પ્રોજેક્ટમાં ભાવવધારાનું પ્રમાણ પણ અલગ હોઈ શકે છે. જોકે તેની સીધી અસર ફ્લેટ ખરીદનાર ગ્રાહકો પર પડશે.

સંજય માંગુકિયાએ આગળ જણાવ્યું હતું કે ક્રેડાઈ ગુજરાતની બોર્ડ બેઠકમાં રાજ્યના વિવિધ શહેરોના ચેપ્ટરોએ સર્વસંમતિથી નિર્ણય લીધો છે કે બાંધકામ ખર્ચમાં થયેલા વધારાની અસર હવે નવા અને ચાલુ પ્રોજેક્ટ્સની કિંમતોમાં જોવા મળશે. હાલની પ્રેસ કોન્ફરન્સનો હેતુ સરકાર સમક્ષ કોઈ ચોક્કસ માંગણી કરવાનો નથી, પરંતુ સામાન્ય નાગરિકોને વાસ્તવિક પરિસ્થિતિથી માહિતગાર કરવાનો છે. સરકાર ભવિષ્યમાં સ્ટેમ્પ ડ્યુટી, જીએસટી અથવા અન્ય કરમાં રાહત આપવા અંગે વિચારણા કરે તો તે અલગ વિષય છે, પરંતુ હાલ વધેલા ખર્ચની અસરથી બચવાનો કોઈ વિકલ્પ બચ્યો નથી.

ક્રેડાઈ સુરતે ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકોને સમયસર નિર્ણય લેવા અપીલ કરી છે. સંસ્થાના જણાવ્યા મુજબ જે લોકો હાલમાં ફ્લેટ ખરીદવાનો વિચાર કરી રહ્યા છે પરંતુ નિર્ણય ટાળી રહ્યા છે, તેમણે વહેલી તકે ખરીદી કરવી જોઈએ. કારણ કે આગામી સમયમાં લોન્ચ થનારા નવા પ્રોજેક્ટ્સમાં બાંધકામ ખર્ચ વધવાને કારણે પ્રતિ ચોરસ ફૂટ અંદાજે ૨૦૦થી ૪૦૦ રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. વિસ્તાર અને પ્રોજેક્ટના પ્રકાર મુજબ આ વધારો વધુ કે ઓછો હોઈ શકે છે.

ક્રેડાઈ સુરતના પ્રમુખ ડૉ. જીજ્ઞેશ પટેલે જણાવ્યું હતું કે પ્રેસ કોન્ફરન્સ યોજવાનો મુખ્ય હેતુ બાંધકામ ક્ષેત્રમાં વપરાતા રો-મટીરિયલના સતત વધી રહેલા ભાવ અંગે લોકોને વાસ્તવિક માહિતી પહોંચાડવાનો છે. સિમેન્ટ, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતની વિવિધ સામગ્રીના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં અન્ડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સની કિંમત વધી રહી છે. જેના કારણે આગામી સમયમાં નવા લોન્ચ થતા પ્રોજેક્ટ્સ તેમજ હજુ પૂર્ણ ન થયેલા પ્રોજેક્ટ્સમાં મિલકતોના ભાવમાં અંદાજે ૫થી ૧૦ ટકા સુધીનો વધારો કરવો અનિવાર્ય બનશે. તેમણે જણાવ્યું કે હાલ ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં વધારો પ્રમાણમાં ઓછો રહેશે, જ્યારે નવા પ્રોજેક્ટ્સમાં વધેલી કન્સ્ટ્રક્શન કોસ્ટની સંપૂર્ણ અસર કિંમતોમાં જોવા મળશે. આ કારણોસર ગ્રાહકોને સમયસર નિર્ણય લઈ શકે અને ભાવવધારાના કારણો અંગે સાચી માહિતી મળી રહે તે હેતુથી આ જાહેરાત કરવામાં આવી છે.

સાર્વજનિક યુનિવર્સિટીએ પાંચ વર્ષની ગૌરવપૂર્ણ સફરની અનોખી ઉજવણી કરી

 

સુરત: સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સ્થાપિત સાર્વજનિક યુનિવર્સિટીએ તેની સ્થાપનાના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર જૂન માસ દરમિયાન શૈક્ષણિક, સામાજિક અને જનકલ્યાણલક્ષી કાર્યક્રમોની શ્રેણી યોજી અનોખી રીતે ઉજવણી કરી હતી. શિક્ષણ, સંશોધન, નવાચાર અને સામાજિક ઉત્તરદાયિત્વને કેન્દ્રમાં રાખી યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા યુનિવર્સિટીએ સમાજ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી હતી.
યુનિવર્સિટીના પ્રમુખ શ્રી આશિષ વકીલના માર્ગદર્શન હેઠળ શૈક્ષણિક ચિંતન શિબિર, ઓપન ટેબલ ચર્ચાઓ, સ્કોલરશિપ વિતરણ, વૃક્ષારોપણ, રક્તદાન શિબિર તેમજ નવી સાર્વજનિક કોલેજ ઓફ લિબરલ આર્ટ્સના પ્રારંભ સહિત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાયા હતા. વિવિધ શૈક્ષણિક વ્યાખ્યાનો, સંવાદો અને સામાજિક ઉત્તરદાયિત્વ સાથે જોડાયેલી પ્રવૃત્તિઓએ ઉજવણીને વિશેષ અર્થપૂર્ણ બનાવી હતી.
માસભરની ઉજવણીનું સમાપન સંસ્થાના દાતાઓ અને પૂર્વ અધ્યક્ષોના સન્માન તથા ઋણસ્વીકાર સમારોહ સાથે કરવામાં આવ્યું. પદ્મશ્રી યઝદીભાઈ કરંજિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં ડૉ. ફારુખભાઈ, શ્રી સેવંતીભાઈ, શ્રી ગિરીશભાઈ, શ્રી પંકજભાઈ, શ્રી કીર્તિભાઈ, કીકાણી પરિવાર, શ્રી કેતનભાઈ સહિત અનેક દાતાઓ અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ યુનિવર્સિટીની પ્રગતિ, સમાજસેવા અને શિક્ષણક્ષેત્રે આપવામાં આવેલા યોગદાનને બિરદાવ્યું હતું.
પોતાના સંબોધનમાં ડૉ. ફારુખભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સરકારના પ્રયાસોની સાથે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી જેવી સંસ્થાઓનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું કે KP Group ભવિષ્યમાં પણ આવા શિક્ષણલક્ષી કાર્યોમાં સહયોગ આપતું રહેશે.
શ્રી સેવંતીભાઈએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સંસ્થા તથા દાતાઓના યોગદાનને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યું હતું. શ્રી ગિરીશભાઈએ સંસ્થાના ઉજ્જવળ ભવિષ્ય માટે યુવા નેતૃત્વને વધુ જવાબદારી સોંપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી પંકજભાઈએ સંસ્થા સાથેના પોતાના વર્ષો જૂના આત્મીય સંબંધોને યાદ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
SCET કોલેજના પ્રથમ દાતા ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી કીર્તિભાઈ ખાસ મુંબઈથી ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ અધ્યક્ષો તરફથી શ્રી આર. જી. શાહે જણાવ્યું હતું કે દાતાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની આ પરંપરા સંસ્થાના મૂલ્યો અને જવાબદારીનું ઉત્તમ પ્રતિબિંબ છે.
કાર્યક્રમમાં સંસ્થાના દ્વિતીય પ્રમુખ શ્રી દિનકરરાય, વાઇસ ચેરમેન ડૉ. કિશોરભાઈ, શ્રી અજીતભાઈ, મેનેજિંગ કમિટીના સભ્યો, વિવિધ સંસ્થાઓના આચાર્યો, શિક્ષકો, કર્મચારીઓ તેમજ અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય ફૂડ-ટેક સ્ટાર્ટઅપ Easy Cater પારદર્શિતાના વચન સાથે દેશવ્યાપી હાઇપરલોકલ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ લોન્ચ કરશે

 

વડોદરા (ગુજરાત) [ભારત], ૧ જુલાઈ:2025માં ભારતનું ફૂડ ડિલિવરી માર્કેટ 46 અબજ અમેરિકી ડોલરના મૂલ્યાંકન સુધી પહોંચ્યું છે અને મેટ્રો શહેરોની બહાર પણ ઝડપથી વિસ્તરી રહ્યું છે. આવી સ્થિતિમાં Easy Cater પારદર્શક અને રેસ્ટોરન્ટ- ફર્સ્ટ મોડલ સાથે દેશવ્યાપી વિસ્તરણની શરૂઆત -એક શહેરથી બીજા શહેર સુધીના- અભિગમ સાથે કરી રહ્યું છે.

ભારતીય ફૂડ-ટેક ક્ષેત્રની અગ્રણી અને નવું જ સ્ટાર્ટઅપ Easy Cater એ આજે તેના દેશવ્યાપી હાઇપરલોકલ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મના તબક્કાવાર લોન્ચની સત્તાવાર જાહેરાત કરી છે. કંપનીએ વડોદરાને તેના પ્રથમ લાઇટહાઉસ માર્કેટ તરીકે પસંદ કર્યું છે. 17 જૂન, 2026થી કાર્યરત બનેલા આ પ્લેટફોર્મને શરૂઆતના થોડા જ અઠવાડિયામાં ગ્રાહકો તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે અને 33,500થી વધુ ડાઉનલોડ નોંધાયા છે.

આ પ્રારંભિક સફળતાના આધારે કંપનીએ અમદાવાદ, સુરત, જયપુર, ઇન્દોર અને નાગપુરમાં રેસ્ટોરન્ટ પાર્ટનરોને જોડવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે. જેનો હેતુ ભારતના ઝડપથી વિકસતા ટિયર-1 અને ટિયર-2 શહેરોમાં પોતાની હાજરી મજબૂત બનાવવાનો છે.

Easy Cater નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના ફૂડ ડિલિવરી ઇકોસિસ્ટમમાં રહેલી આર્થિક અસમાનતાઓને દૂર કરવાનો છે, જ્યાં રેસ્ટોરન્ટોને અસ્થિર નફાકારકતા અને ઊંચા કમિશનનો સામનો કરવો પડે છે, જ્યારે ગ્રાહકો અજાણતા છૂપા અને વધારાના ચાર્જ ચૂકવે છે.


આ પરિસ્થિતિના વિકલ્પરૂપે Easy Cater પારદર્શક અને ઓછી કમિશન આધારિત મોડલ રજૂ કરે છે, જે પરંપરાગત ફૂડ ડિલિવરી એગ્રીગેટર્સની સરખામણીએ રેસ્ટોરન્ટ ભાગીદારોને વધુ નફાકારકતા પ્રદાન કરે છે. કંપનીનું ફેર-પ્રાઇસિંગ માળખું વધુ પ્લેટફોર્મ કમિશન દૂર કરે છે, જેથી રેસ્ટોરન્ટો યોગ્ય ઓનલાઇન કિંમતો જાળવી શકે અને તેનો સીધો લાભ ગ્રાહકોને આપી શકે.

જ્યારે પરંપરાગત મોટા પ્લેટફોર્મોએ અત્યાર સુધી પોતાના માળખાને મુખ્યત્વે ટિયર-1 મહાનગરોમાં કેન્દ્રિત રાખ્યું છે, ત્યારે ઉભરતા શહેરો અને પ્રાદેશિક કેન્દ્રો ભારતના આગામી ફૂડ ડિલિવરી વિકાસનું મુખ્ય કેન્દ્ર બની રહ્યા છે. ઉદ્યોગના અભ્યાસ મુજબ, આવા બજારો હાલમાં દેશના કુલ ફૂડ ડિલિવરી ઓર્ડરમાં લગભગ 48 ટકા હિસ્સો ધરાવે છે અને વર્ષ 2034 સુધીમાં આ સમગ્ર બજારનું કદ 270 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.

Easy Cater ની હાઇપરલોકલ વ્યૂહરચનાના કેન્દ્રમાં દરેક શહેરની અનોખી ખાણીપીણી સંસ્કૃતિને ઉજાગર કરતી સમુ ગ્રુપ આધારિત અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ એપ સુવિધાઓનો સમાવેશ થાય છે.
 Local Legends: શહેરની ખાણીપીણીની પરંપરાને દાયકાઓથી જીવંત રાખનાર ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટોને સમર્પિત વિશેષ વિભાગ. Street Food: સ્થાનિક સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને ઔપચારિક ડિજિટલ અર્થતંત્ર સાથે જોડતો વિશેષ વિભાગ, જેના દ્વારા ગ્રાહકોને તેમના મનપસંદ સ્ટ્રીટ ફૂડનો સરળતાથી લાભ મળી શકે.
 Value Picks: રોજિંદા ભોજનને વધુ પરવડે તે માટે ₹25થી ₹150 સુધીના બજેટ-ફ્રેન્ડલી ભોજન અને ફૂડ આઇટમ્સની પસંદગી.
 Women Owned: સંપૂર્ણપણે મહિલા માલિકીની રેસ્ટોરન્ટો અને સ્ટ્રીટ ફૂડ વ્યવસાયોને પ્રોત્સાહન આપતી વિશેષ પહેલ. Flavor 52: દર અઠવાડિયે એક નવી અને અનોખી સ્વાદિષ્ટ વાનગી અથવા ફ્લેવરને રજૂ કરતું ડિસ્કવરી ફીચર, જે ગ્રાહકોના ભોજન અનુભવને સતત નવીન બનાવે છે.

કંપનીના પ્રથમ માર્કેટમાં અત્યાર સુધી 1,000થી વધુ રેસ્ટોરન્ટ ભાગીદારો જોડાઈ ચૂક્યા છે. આ પ્લેટફોર્મ સ્થાનિક ખાણીપીણીના જાણીતા બ્રાન્ડ્સને સ્વદેશી ડિજિટલ માળખા સાથે સફળતાપૂર્વક જોડે છે. ઉપરાંત, એપમાં સાંસ્કૃતિક રીતે પ્રેરિત “Homegrown Interface” તેમજ Diamond Loyalty Programme નો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગ્રાહકોને ખર્ચાયેલા દરેક એક રૂપિયા સામે એક લોયલ્ટી પોઇન્ટ આપવામાં આવે છે.

Easy Caterના ચીફ ટેક્નોલોજી ઓફિસર નિમિષ કડકિયાએ જણાવ્યું હતું કે, “અમારો હેતુ માત્ર વધુ એક ડિલિવરી એપ બનાવવાનો નહોતો, પરંતુ પારદર્શક ફૂડ કોમર્સ ઇકોસિસ્ટમ ઊભું કરવાનો હતો. આધુનિક અને કાર્યક્ષમ ટેક્નોલોજી તેમજ શક્તિશાળી મર્ચન્ટ ટૂલ્સ દ્વારા અમે છુપાયેલા ચાર્જ દૂર કરી શકીએ છીએ અને અમારા રેસ્ટોરન્ટ ભાગીદારોને વધુ નફાકારકતા આપી શકીએ છીએ. ફેર-પ્રાઇસિંગ મોડલથી લઈને ‘Flavor 52’ સુધી Easy Caterનું દરેક ફીચર એ સાબિત કરે છે કે વિશ્વસ્તરીય ટેક્નોલોજી સ્થાનિક ગ્રુપ અને સ્થાનિક વ્યવસાયોને મજબૂત બનાવી શકે છે.”

એકસાથે સમગ્ર દેશમાં લોન્ચ કરવાની જગ્યાએ Easy Cater શહેરવાર વ્યૂહરચના અપનાવી રહ્યું છે, જેમાં દરેક શહેરમાં મજબૂત હાઇપરલોકલ હાજરી સ્થાપિત કર્યા બાદ જ આગામી શહેરમાં વિસ્તરણ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ આધુનિક ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ રીતે ઓપ્ટિમાઇઝ કરવામાં આવ્યું છે અને Apple App Store તથા Google Play Store પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે.

ડોક્ટર્સ ડે નિમિત્તે હર્ષલ સર્જીકલ હોસ્પિટલ દ્વારા સુરત પોલીસ અધિકારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

 

સુરત: ડોક્ટર્સ ડેના અવસરે બુધવારે પરવત પાટીયા સ્થિત હર્ષલ સર્જિકલ હોસ્પિટલના તબીબો દ્વારા સુરત પોલીસ કોમ્યુનિટી હોલ, અઠવાગેટ ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

હર્ષલ સર્જિકલ હોસ્પિટલના સર્જન ડૉ. હર્ષલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓ સતત ફરજમાં વ્યસ્ત રહેતા હોવાથી તેઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ધ્યાન આપી શકતા નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને ડોક્ટર્સ ડેના નિમિત્તે ખાસ પોલીસ અધિકારીઓ માટે આ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પમાં પુરુષ તેમજ મહિલા પોલીસ કર્મચારીઓના જનરલ હેલ્થ ચેકઅપ ઉપરાંત જરૂરી આરોગ્ય પરીક્ષણો કરવામાં આવ્યા હતા. મહિલા પોલીસ કર્મચારીઓ માટે હિમોગ્લોબિન, યુરિક એસિડ સહિતના જરૂરી ટેસ્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ કેમ્પ સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી યોજાયો હતો. કેમ્પમાં સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત વિવિધ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંજ સુધી 787 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હોવાનું ડૉ. મિસ્ત્રીએ જણાવ્યું હતું.

ડૉ. હર્ષલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલ દ્વારા દર વર્ષે પાંચથી સાત જેટલા નિઃશુલ્ક આરોગ્ય કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિવિધ વર્ગના લોકો માટે સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જોકે, સુરત પોલીસ માટે આ પ્રકારનો વિશેષ આરોગ્ય તપાસ કેમ્પ પ્રથમ વખત યોજાયો છે.

ડોક્ટર્સ ડેના અવસરે તેમણે લોકોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ અને સમયાંતરે આરોગ્ય તપાસ કરાવવી જોઈએ. ખાસ કરીને સતત તણાવપૂર્ણ અને વ્યસ્ત કામગીરી કરતા પોલીસ કર્મચારીઓએ પોતાના સ્વાસ્થ્યની નિયમિત કાળજી રાખવી અત્યંત જરૂરી છે.

ડૉક્ટર્સ ડે નિમિત્તે સાખિયા સ્કિન ક્લિનિક દ્વારા રક્તદાન શિબિરનું આયોજન

 

  • વધુમાં વધુ નિઃશુલ્ક અફેરેસિસ પ્લેટલેટ દાનના રેકોર્ડ બદલ દીપ હિરપરાનું કરાયું સન્માન
સુરત: ડૉક્ટર્સ ડેના અવસરે પી. જે. સાખિયા ચેરિટેબલ ટ્રસ્ટની પહેલ હેઠળ સાખિયા સ્કિન ક્લિનિક દ્વારા રવિવાર, ૨૮ જૂન, ૨૦૨૬ના રોજ ભટાર સ્થિત ક્લિનિક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું .”રક્તદાન કરો, જીવન બચાવો”ના સંદેશ સાથે આયોજિત આ પહેલ આરોગ્ય સેવા, માનવતા અને સામાજિક જવાબદારી પ્રત્યે સાખિયા સ્કિન ક્લિનિકની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. શિબિરનો મુખ્ય હેતુ લોકોને રક્તદાન જેવા જીવનરક્ષક કાર્ય માટે પ્રેરિત કરી સમાજસેવામાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ સાખિયા સ્કિન ક્લિનિકના કર્મચારી શ્રી દીપ ચુનીલાલ હિરપરાનું સન્માન રહ્યું. તેમને એક વ્યક્તિ દ્વારા સૌથી વધુ નિઃશુલ્ક અફેરેસિસ પ્લેટલેટ દાનના નોંધપાત્ર રેકોર્ડ બદલ એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી પ્રાપ્ત માન્યતાના અવસરે સન્માનિત કરવામાં આવ્યા. સ્વૈચ્છિક પ્લેટલેટ દાન પ્રત્યેનું તેમનું સમર્પણ માનવસેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે. કાર્યક્રમનું આયોજન સાખિયા સ્કિન ક્લિનિક, પાંચમો માળ, ૫૦૭ ઓટોગ્રાફ, ધ કોમર્શિયલ હબ, ભટાર રોડ, રાજહંસ ઓલિમ્પિયા સામે, અથવા, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. રેકોર્ડ સન્માન સમારોહ સત્તાવાર જજની ઉપસ્થિતિમાં યોજાયો હતો, ત્યારબાદ સવારે ૧૧:૦૦ વાગ્યાથી રક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે સાખિયા સ્કિન ક્લિનિકની ટીમે જણાવ્યું હતું કે, “ડૉક્ટર્સ ડે માત્ર તબીબોના સન્માનનો દિવસ નથી, પરંતુ જીવન બચાવવાની ભાવનાની ઉજવણી કરવાનો પણ અવસર છે. આ રક્તદાન શિબિર દ્વારા અમે વધુમાં વધુ લોકોને વાસ્તવિક જીવનના હીરો બનવા માટે પ્રેરિત કરવા માંગીએ છીએ. શ્રી દીપ હિરપરાએ અફેરેસિસ પ્લેટલેટ દાનના ક્ષેત્રમાં આપેલું યોગદાન આ પહેલને વધુ પ્રેરણાદાયી બનાવે છે. જ્યારે એક વ્યક્તિ સેવા કરવાનો સંકલ્પ કરે છે, ત્યારે તે અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.” સાખિયા સ્કિન ક્લિનિકનું માનવું છે કે આરોગ્ય સેવા માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી. રક્તદાન શિબિરો, જનજાગૃતિ અભિયાનો તેમજ વિવિધ સામાજિક કલ્યાણકારી કાર્યક્રમો દ્વારા સંસ્થા ઉત્તમ આરોગ્ય અને માનવતાના હેતુ સાથે સતત સમાજસેવાનું કાર્ય કરતી રહી છે. આ આયોજનમાં સાખિયા સ્કિન ક્લિનિકની ટીમ, શુભેચ્છકો, રક્તદાતાઓ તેમજ આ પુણ્યકાર્ય સાથે જોડાયેલા અનેક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
મીડિયા પ્રિવ્યૂમાં ‘અઘરું છે યાર’ને મળ્યો જોરદાર પ્રતિસાદ, સંબંધો અને સપનાઓની લાગણીસભર સફરે સૌને કર્યા ભાવુક

 

૩ જુલાઈએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મમાં યુવાનો, માતા-પિતા અને પરિવાર વચ્ચેના સંબંધોની અનોખી રજૂઆત
માત્ર ૨૩ વર્ષની ઉંમરે તર્પણ પટેલે સંભાળ્યું લેખન અને દિગ્દર્શન, ફિલ્મની ૯૦ ટકા ટીમ ૨૫ વર્ષથી ઓછી ઉંમરની

સુરત: આગામી ૩ જુલાઈએ રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ ‘અઘરું છે યાર’ના વિશેષ મીડિયા પ્રિવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકારો, આમંત્રિત મહેમાનો અને ફિલ્મપ્રેમીઓએ ફિલ્મ નિહાળ્યા બાદ તેને હૃદયસ્પર્શી, પારિવારિક અને આજના સમયની વાસ્તવિકતાઓને સ્પર્શતી ફિલ્મ તરીકે વખાણી હતી. લગભગ બે કલાક પંદર મિનિટની ફિલ્મ દરમિયાન દર્શકો ઇન્ટરવલ વગર બેઠા રહ્યા હતા, જે ફિલ્મની અસરકારક રજૂઆતનો પુરાવો બની રહી.

પ્રિવ્યૂ બાદ યોજાયેલી મીડિયા મુલાકાતમાં ફિલ્મના લેખક અને દિગ્દર્શક તર્પણ પટેલે જણાવ્યું હતું કે ફિલ્મ આજની યુવા પેઢીના સપનાઓ, કારકિર્દી, પ્રેમ, લગ્ન અને પરિવારની અપેક્ષાઓ વચ્ચે સર્જાતા આંતરિક સંઘર્ષને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, લગભગ દરેક પરિવારમાં જોવા મળતા આવા સંજોગોને ફિલ્મમાં સંવેદનશીલ રીતે રજૂ કરીને સંબંધોમાં સમજણ અને સંવાદ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજનો ગુજરાતી સિનેમા સતત નવા વિષયો તરફ આગળ વધી રહ્યો છે. હોરર, થ્રિલર સહિત વિવિધ પ્રકારની ફિલ્મો બની રહી છે અને દર્શકો થિયેટરમાં આવીને ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપશે તો સમગ્ર ઉદ્યોગ વધુ મજબૂત બનશે.

ફિલ્મના મુખ્ય અભિનેતા જયદીપ ગાંગાણીએ જણાવ્યું કે ફિલ્મની વાર્તા તેમના પોતાના જીવન સાથે ખૂબ નજીકથી જોડાયેલી લાગતી હતી. સ્ક્રિપ્ટ સાંભળતાં જ તેમને એવું લાગ્યું કે આ તો તેમની જ કહાની છે. યુવાનોના સપનાઓ અને માતા-પિતાની અપેક્ષાઓ વચ્ચેનો સંઘર્ષ ફિલ્મનું મુખ્ય કેન્દ્ર છે, જેને અત્યંત સ્વાભાવિક રીતે રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મુખ્ય અભિનેત્રી ઉર્વશી ચૌહાણે જણાવ્યું કે તેઓ ફિલ્મમાં આત્મનિર્ભર, આધુનિક અને પરિવારને મહત્વ આપતી યુવતીની ભૂમિકામાં જોવા મળશે. આજની અનેક યુવતીઓ પોતાના જીવન સાથે આ પાત્રને સરળતાથી જોડી શકશે. તેમણે જણાવ્યું કે ફિલ્મનું સંગીત તેની આત્મા સમાન છે, જેમાં રોમેન્ટિક તેમજ લાગણીસભર ગીતો વાર્તાને વધુ જીવંત બનાવે છે.

ફિલ્મમાં માત્ર યુવાનોના સપનાઓ જ નહીં, પરંતુ માતા-પિતાના ત્યાગ, સંઘર્ષ અને લાગણીઓને પણ ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવ્યા છે. સંતાનોને સમજવાની માતા-પિતાની જવાબદારી અને માતા-પિતાની લાગણીઓને સમજવાની સંતાનોની ફરજ બંને પાસાં ફિલ્મમાં સંતુલિત રીતે રજૂ કરવામાં આવ્યા છે. આજની પેઢીઓ વચ્ચે વધતું અંતર દૂર કરીને પ્રેમ, વિશ્વાસ, સન્માન અને સંવાદનું મહત્વ ફિલ્મ ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કરે છે.

ફિલ્મની એક વિશેષતા તેમાં દર્શાવવામાં આવેલ મામાના પાત્રની છે. “મામા એટલે બે માં બરાબર” જેવી લાગણીને ફિલ્મમાં જીવંત બનાવવામાં આવી છે. મુશ્કેલ સમયમાં મામાનો પ્રેમ, માર્ગદર્શન અને નિઃસ્વાર્થ સહારો વ્યક્તિને કેવી રીતે નવી દિશા આપે છે તે દર્શકોના દિલને સ્પર્શી જાય છે.

ફિલ્મનું શીર્ષક ‘અઘરું છે યાર’ જીવનના એ અધૂરાપણાને વ્યક્ત કરે છે, જે દરેક વ્યક્તિના સપનાઓ, સંબંધો અથવા ઇચ્છાઓમાં ક્યાંક ને ક્યાંક રહેલું હોય છે. છતાં જીવનને હકારાત્મક રીતે જીવવાનો સંદેશ ફિલ્મ આપે છે.

ફિલ્મનું રેપ સોંગ ‘પૈસો ધંધો’ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તેમાં સમાવાયેલ પંક્તિ “દરિયાને પાણી વેચું એવો મારો ધંધો” તેની સર્જનાત્મકતા માટે ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે આ ગીતને તૈયાર કરવામાં લગભગ બે વર્ષનો સમય લાગ્યો હતો, જે ટીમની ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ફિલ્મની ગુણવત્તા પ્રત્યેના વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ એ છે કે નિર્માતા અને દિગ્દર્શકે રિલીઝના લગભગ પંદર દિવસ પહેલાં જ મીડિયા પ્રિવ્યૂનું આયોજન કર્યું હતું. મળેલા સકારાત્મક પ્રતિસાદે સાબિત કર્યું કે ફિલ્મમાં મનોરંજન સાથે મજબૂત સંદેશ અને લાગણીઓનું સુંદર સંતુલન છે.
ખાસ પ્રેરણાદાયક બાબત એ પણ છે કે માત્ર ૨૩ વર્ષની ઉંમરે તર્પણ પટેલે ફિલ્મનું લેખન અને દિગ્દર્શન બંને સંભાળ્યા છે, જ્યારે ફિલ્મની લગભગ ૯૦ ટકા ટીમ ૨૫ વર્ષથી ઓછી ઉંમરની છે. આ ફિલ્મ યુવા પ્રતિભા, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.

ફિલ્મમાં જયદીપ ગાંગાણી, ઉર્વશી ચૌહાણ, ઓમ ભટ્ટ અને મેહુલ બુચ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ફિલ્મના લેખક અને દિગ્દર્શક તર્પણ પટેલ, નિર્માતા ચૈતાલી પટેલ અને શશિન પટેલ, એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર કૃતિક પટેલ, ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી શશિન પટેલ, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કૃષ્ણા લાલ ચંદાણી, સંગીત પ્રિયેશ વકીલ અને નક્ષત્ર, ગીતકાર મૃણાલ શુક્લા અને એલીન, મિક્સિંગ એન્જિનિયર નાગેશ્વર રાવ, પ્રોડક્શન ડિઝાઇનર મીમાંસા ભારદ્વાજ, પોસ્ટ પ્રોડક્શન સિનેતત્વ સ્ટુડિયો, ડીઆઈ કલરિસ્ટ પુષ્પેન્દ્ર સૂર્યવંશી, કાસ્ટિંગ કિન્ડીબોક્સ, ડિજિટલ માર્કેટિંગ અને પીઆર મેજિક સ્લેટ તથા પ્રાઇમેક્સ મીડિયા, પ્રોડક્શન બેનર ઓમ્નિબસ પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. દ્વારા સંભાળવામાં આવ્યું છે.

ફિલ્મની સમગ્ર ટીમે ગુજરાતના દર્શકોને અપીલ કરી હતી કે તેઓ આગામી ૩ જુલાઈએ પરિવાર સાથે નજીકના સિનેમાઘરમાં ‘અઘરું છે યાર’ નિહાળી ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપે.

નશા નહીં, શોખ અને જુસ્સાનો નશો કરો: યુથ નેશને વર્લ્ડ ડ્રગ્સ ડે પર આપ્યો અનોખો સંદેશ

 

  • સુરતના રાકેશ સૈનીએ માત્ર દાંતના બળે ૧૦૦ મીટર સુધી ૮ કાર ખેંચી સર્જ્યો નવો વર્લ્ડ રેકોર્ડ

સુરત: 26 મી જૂન વર્લ્ડ ડ્રગ્સ ડે નિમિત્તે યુથ નેશન દ્વારા શુક્રવારે ઉધના-મગદલ્લા રોડ પર વીઆર મોલ સામે આવેલા વાય જંક્શન ખાતે નશામુક્તિ અંગે જનજાગૃતિ માટે અનોખા કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન યુવાનોને નશાથી દૂર રહી પોતાના શોખ, જુસ્સા, કામ અને સારી આદતોને જીવનનો સાચો નશો બનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

યુથ નેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર વિકાસ દોશીએ જણાવ્યું હતું કે સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ સમાજને નશાના દુષ્પરિણામોથી બચાવી સકારાત્મક જીવનશૈલી તરફ દોરી જવાનો છે. તેમણે ઉપસ્થિત લોકોને નશામુક્તિનો સંકલ્પ લેવડાવી

યુથ નેશનના અભિયાન સાથે જોડાવાનું આહ્વાન કર્યું હતું

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ સુરતના રાકેશ સૈની રહ્યા હતા. તેમણે શરીરના અન્ય કોઈ અંગનો ઉપયોગ કર્યા વગર માત્ર દાંતના બળે એકસાથે આઠ કારને અંદાજે ૧૦૦ મીટર સુધી ખેંચીને હાજર લોકોમાં આશ્ચર્ય ફેલાવ્યું હતું. યુથ નેશનના જણાવ્યા મુજબ અગાઉ દાંતથી પાંચ કાર ખેંચવાનો વિશ્વવિક્રમ નોંધાયેલો છે, જ્યારે રાકેશ સૈનીના આ પ્રદર્શન બાદ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નવા વિશ્વવિક્રમ માટે દાવો કરવામાં આવશે. આ સાથે જ સ્થળ પર મ્યુઝિકલ બેન્ડ અને ગજાનન ગ્રુપ દ્વારા ઝુંબાની પણ પ્રસ્તુતિ આપવામાં આવી હતી.

વર્લ્ડ ડ્રગ્સ ડે પૂર્વે યુથ નેશન દ્વારા તેના એડવાઇઝરી બોર્ડના સભ્યો કૈલાશ હકીમ, મિલન પારેખ, ડૉ. ફારુક પટેલ અને સંજય સુરાણાની ઓફિસોમાં કોર્પોરેટ ટીમ સાથે મળીને નશામુક્તિ અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન લોકોને નશાથી દૂર રહી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સંસ્થાની પ્રવૃત્તિઓ સાથે જોડાવાની અપીલ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્ય પ્રદીપ સિંઘવીએ પોતાના જન્મદિવસની ઉજવણી પણ સામાજિક સંદેશ સાથે કરી હતી. જન્મદિવસને સેવા અને જનજાગૃતિ સાથે જોડીને તેમણે યુવાનોને સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં યુથ નેશનના એડવાઇઝરી બોર્ડના સભ્યો ઉપરાંત શહેરના અનેક મહાનુભાવો, સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નશામુક્તિના સંદેશ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું.