Posts by: abhay_news_editor

પી.પી. સવાણી પરિવાર આયોજિત “ત્રિવિધ સન્માન સમારોહ” ભવ્ય રીતે યોજાયો

 

સુરત, તા. 13 જૂન 2026 (શનિવાર) :પી.પી. સવાણી પરિવાર દ્વારા સુરત મહાનગરપાલિકાના નવનિયુક્ત કોર્પોરેટરો, ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો તેમજ પી.પી. સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન, પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ, અબ્રામા ખાતે “ત્રિવિધ સન્માન સમારોહ”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

સમારોહના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ પાનસુરિયા(આરોગ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય), શ્રીમતી અંજુબેન વેકરીયા (પ્રદેશ અધ્યક્ષ, મહિલા મોરચો, ગુજરાત), શ્રીમતી માયાબેન માવાણી (મેયરશ્રી,સુરત), શ્રી પ્રવીણભાઈ ઘોઘારી (ધારાસભ્યશ્રી કરંજ), પૂર્વ મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, શ્રી કરશનભાઈ ગોંડલિયા (મહામંત્રી ભાજપ,સુરત), બીપીનભાઈ તળાવીયા (અધ્યક્ષશ્રી યુવા મોરચો ભાજપ, સુરત),   તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભારંભ થયો હતો.

મહેશભાઈ સવાણી : સર્વત્ર સમાજના વિકાસ માટે નવનિયુક્ત કોર્પોરેટરો,  ધી વરાછા કો-ઓપરેટિવ બેંક લિ.ના નવા ચૂંટાયેલા ડિરેક્ટરો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાના હેતુથી આ ત્રિવિધ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદે સફળતાપૂર્વક પૂર્ણ કરેલા 4400 દિવસની ઉજવણીના ભાગરૂપે પી. પી. સવાણી ગ્રુપનો નરેન્દ્ર મોદીજીના દિર્ઘ આયુષ્ય માટે ૪૪૦૦ વૃક્ષો રોપવાનો સંકલ્પ અને ૪૪૦૦ લોકો દ્વારા ૪૪૦૦ વાર ‘ૐ નમઃ શિવાય’ જાપ કરવામાં આવ્યો. વધુમાં પી.પી. સવાણી ગ્રુપના મીડિયા પ્રભારી વિપુલ તળાવિયાએ કહ્યું કે આ પ્રસંગે રસરાજજી મહારાજે હનુમાન ચાલીસાના સુંદર કાંડ પાઠ દ્વારા ઉપસ્થિત હર કોઈઓમાં એક અનોખો આત્મવિશ્વાસ જગાવ્યો હતો”,  વિશેષ કરીને “ૐ નમઃ શિવાય” મહામંત્રનો જાપ કરીને રાષ્ટ્રકલ્યાણ, વિશ્વશાંતિ અને વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુષ્ય માટે સામૂહિક પ્રાર્થના કરી હતી. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઊર્જા અને ભક્તિમય ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.

મેયરશ્રી, માયાબેન માવાણીનું સંબોધન:
મેયરશ્રી માયાબેનનું સન્માન તેમના વજન જેટલા પુસ્તકો અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતા, વિશેષ જણાવ્યું હતું કે, “સુરત શહેરને સોનાની મૂર્તિ સમાન સુંદર અને શ્રેષ્ઠ બનાવવાનું છે. આ કાર્ય માત્ર મારું નહીં પરંતુ આપણે સૌનું છે.”
તેમણે સુરત શહેરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સતત પ્રયત્ન કરવાની ખાતરી આપી હતી. તેમણે સ્વચ્છતાના એવોર્ડને જાળવી રાખવા માટે સૌ નાગરિકોના સહયોગની અપીલ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે, સફાઈ અભિયાનને સફળ બનાવવા માટે કચરો ગમે ત્યાં ન નાખવો અને શહેરની સ્વચ્છતા જાળવવી એ દરેક નાગરિકની જવાબદારી છે. સુરત શહેરને વિશ્વના ફલક ઉપર વધુ ઊંચું સ્થાન અપાવવાનું છે. તેમજ સુરત શહેરને મળેલા વિવિધ એવોર્ડ અને સન્માનો પાછળ સુરતના નાગરિકોનો મહત્વપૂર્ણ ફાળો છે અને આ ગૌરવ જાળવવા માટે સૌનો સહયોગ જરૂરી છે.

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન
પી.પી. સવાણી પરિવાર દ્વારા પ્રતિભાશાળી અને હોશિયાર વિદ્યાર્થીઓનું સન્માન વિદ્યાર્થીઓને શાલ, મોમેન્ટો અને પુસ્તક અર્પણ કરી તેમની સિદ્ધિનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને વધુ પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રફુલભાઈ પાનસેરિયાનું (આરોગ્ય મંત્રીશ્રી, ગુજરાત) સંબોધન:
– “સત્તા મળે ત્યારે પણ નમ્રતા જાળવવી અને ચૂંટણી જીત્યા પછી પણ પગ જમીન પર રાખવા” જેવી શીખ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપી છે. સુરત શહેરને ખૂબ સારા નગર સેવકો મળ્યા છે. નગરસેવકો શહેરના વિકાસ માટે સતત કાર્યરત રહે છે અને ઘણી વખત તેઓ પોતાના પરિવારને પણ પૂરતો સમય આપી શકતા નથી.  કડવા ધૂટડા ગાળવાની તૈયારી રાખવી
– પહેલાના સમયમાં બેંકમાં ખાતું ખોલાવવું અઘરું હતું, ઘણીબધી પ્રોસેસ પછી પણ મુશ્કેલીઓ વેઠીને બેંક ખાતા ખોલાવવા પડતા હતા, જ્યારે  વરાછા બેંકમાં આ કામ સરળતાથી થાય છે.
– તેજસ્વી તારલાઓને  એવા આશીર્વાદ આપીએ કે તેઓ શ્રેષ્ઠ બનીને ફરી આ મુકામ ઉપર ફરી કોઈ પદવી હાંસલ કરીને ફરી થી સન્માનિત થાય.

તેમણે જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ કરવામાં આવ્યો છે. રાજ્યમાં 1 લાખ 21 હજાર સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણની સુવિધા મળી રહી છે.
આરોગ્ય ક્ષેત્ર અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, કામરેજ વિસ્તારમાં 1500 બેડની આધુનિક હોસ્પિટલ 150 વિઘા જમીનમાં બનાવવામાં આવશે. તેમજ પ્લેન ક્રેશ થયેલી જગ્યાએ સ્પાઈન અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી રહી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિચારધારા અને ઈચ્છા મુજબ વિકાસના કાર્યો આગળ વધી રહ્યા છે. ડ્રેનેજ અને પાણી વ્યવસ્થામાં પણ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુડાના વિસ્તારમાં કામરેજ નજીક અંદાજે 3000 જેટલા આદિવાસી પરિવારો માટે મકાનો બનાવવામાં આવ્યા છે, જે વિકાસ અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
યુવાનો અને સમાજ સેવા અંગે માર્ગદર્શન
તેમણે જણાવ્યું હતું કે, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓમાં ભગવદ્ ગીતાના વિચારો અને મૂલ્યોનો સમાવેશ કરવો જરૂરી છે. આધ્યાત્મિક શક્તિથી જીવનમાં શાંતિ મળે છે. તેમણે સૌને શ્રેષ્ઠતાની નહીં પરંતુ સેવા અને સમાજહિતની રાજનીતિ કરવાનો સંદેશ આપ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિએ પોતાની યથાશક્તિ સમાજ માટે કાર્ય કરવું જોઈએ અને જીવનમાં ચારે દિશાઓમાંથી સારા વિચારો સ્વીકારવા જોઈએ.

સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન વલ્લભભાઈ ચોથાણી, જીતુભાઈ મકવાણા, ગૌરવસર, જયેશ સર અને પવન સર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો, કોર્પોરેટરો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. કાર્યક્રમના અંતે વલ્લભભાઈ ચોથાણી એ આભારવિધિ કરી હતી.

વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલની માન્યા ડ્રોલિયાએ કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ 2026માં રચ્યો ઇતિહાસ

 

સુરત. વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે ગૌરવ અને આનંદની ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે સ્કૂલની પ્રતિભાશાળી વિદ્યાર્થીની માન્યા ડ્રોલિયાએ શ્રીલંકામાં યોજાયેલી પ્રતિષ્ઠિત કોમનવેલ્થ ચેસ ચેમ્પિયનશિપ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ભારત અને પોતાની સ્કૂલનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું.

અસાધારણ પ્રતિભા, વ્યૂહાત્મક કુશળતા અને અડગ સમર્પણનું ઉત્તમ પ્રદર્શન કરતાં માન્યાએ સ્પર્ધાના ત્રણેય ફોર્મેટમાં મેડલ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. તેમણે ક્લાસિકલ ફોર્મેટમાં સુવર્ણ ચંદ્રક, બ્લિટ્ઝ ફોર્મેટમાં રજત ચંદ્રક અને રેપિડ ફોર્મેટમાં કાંસ્ય ચંદ્રક મેળવી ભારતનું ગૌરવ વધાર્યું છે.

કોમનવેલ્થ દેશોના શ્રેષ્ઠ યુવા ખેલાડીઓ વચ્ચેની કઠિન સ્પર્ધામાં માન્યાએ ધૈર્ય, આત્મવિશ્વાસ અને ઉત્તમ રમત કુશળતાનું પ્રદર્શન કર્યું. તેમની આ સિદ્ધિ વર્ષોની મહેનત, શિસ્ત, લગન અને ચેસ પ્રત્યેના અવિરત સમર્પણનું પરિણામ છે.

માન્યાની આ ઐતિહાસિક સફળતા બદલ વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ હર્ષ વ્યક્ત કરીને તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. સ્કૂલ પરિવારે આ સિદ્ધિને માત્ર સંસ્થાનો નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ ગણાવી છે.

માન્યાની આ ઉપલબ્ધિ યુવા પેઢી માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ છે. તે સાબિત કરે છે કે દૃઢ નિશ્ચય, સતત અભ્યાસ અને આત્મવિશ્વાસના બળ પર કોઈપણ લક્ષ્ય હાંસલ કરી શકાય છે.

સ્કૂલ પરિવારને વિશ્વાસ છે કે માન્યા ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી સફળતાઓ હાંસલ કરીને ભારતનું નામ વધુ ગૌરવપૂર્ણ બનાવશે. માન્યા ડ્રોલિયાને આ ઐતિહાસિક ત્રિ-મેડલ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ. તેમની સફળતાએ સમગ્ર દેશને ગૌરવની લાગણી અનુભવાવી છે.

વિશ્વ પર્યાવરણ દિવસ પર પી. જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા નેચર પાર્ક ખાતે વૃક્ષો વાવ્યા

 

સુરત. વિશ્વ પર્યાવરણ દિવસના અવસર પર સખિયા સ્કિન ક્લિનિક દ્વારા સંચાલિત પી. જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરથાણા નેચર પાર્ક ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં 100 વૃક્ષો વાવવામાં આવ્યા. આ પહેલનું નેતૃત્વ સખિયા સ્કિન ક્લિનિકના સ્થાપક ડૉ. જગદીશ સખિયા દ્વારા કરવામાં આવ્યું, જેમણે પોતાની ટીમ સાથે જાતે વૃક્ષારોપણ પ્રવૃત્તિમાં ભાગ લીધો. આ કાર્યક્રમ દ્વારા સંસ્થાની પર્યાવરણીય જવાબદારી, સામાજિક કલ્યાણ અને હરિયાળા ભવિષ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ.

પી. જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના ડૉ. જગદીશ સખિયાની માતા સ્વ. શ્રીમતી પાર્વતી જાદવભાઈ સખિયા ની પ્રેમભરી સ્મૃતિમાં કરવામાં આવી હતી. આ ટ્રસ્ટ મારફતે સખિયા સ્કિન ક્લિનિક દ્વારા આરોગ્ય, માનવતા, પર્યાવરણ અને સામાજિક વિકાસ સાથે જોડાયેલી અનેક મહત્વપૂર્ણ પહેલોને સતત સમર્થન આપવામાં આવે છે.

આ પહેલ અંગે ડૉ. જગદીશ સખિયાએ જણાવ્યું હતું કે, “સ્વસ્થ જીવનની શરૂઆત સ્વસ્થ પર્યાવરણથી થાય છે. વૃક્ષારોપણ માત્ર એક પ્રવૃત્તિ નથી, પરંતુ તે આવનારી પેઢીઓ પ્રત્યેની જવાબદારી છે. આ પહેલ દ્વારા અમે લોકોને પ્રકૃતિ પ્રત્યે જાગૃત કરવા અને હરિયાળા ભવિષ્યમાં યોગદાન આપવા પ્રેરિત કરવા માંગીએ છીએ.”

સરથાણા નેચર પાર્ક ખાતે યોજાયેલા આ વૃક્ષારોપણ કાર્યક્રમનો હેતુ વૃક્ષોના મહત્વ, સ્વચ્છ હવા, જૈવ વૈવિધ્ય અને ટકાઉ જીવનશૈલી અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. 100 વૃક્ષો વાવીને પી. જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ અને સખિયા સ્કિન ક્લિનિકે ખાસ કરીને યુવા પેઢીને પર્યાવરણ સંરક્ષણ માટે સક્રિય પગલાં લેવા પ્રેરણા આપવાનો પ્રયાસ કર્યો.

સખિયા સ્કિન ક્લિનિકનું માનવું છે કે સાચું આરોગ્યસેવા કાર્ય માત્ર ક્લિનિકલ ટ્રીટમેન્ટ સુધી સીમિત નથી. અદ્યતન સ્કિન, હેર, લેસર અને કોસ્મેટિક કાળજી સાથે સંસ્થા પી. જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ મારફતે સમાજ માટે અસરકારક સામાજિક પહેલોમાં પણ સતત યોગદાન આપી રહી છે.

સખિયા સ્કિન ક્લિનિક વિશે :-

સખિયા સ્કિન ક્લિનિક ભારતની અગ્રણી સ્કિન ક્લિનિક ચેઇન્સમાંની એક છે, જેને અદ્યતન સ્કિન, હેર, લેસર અને કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે 6 લાખથી વધુ દર્દીઓનો વિશ્વાસ પ્રાપ્ત છે. નિષ્ણાત ડર્મેટોલોજિસ્ટ્સ, અદ્યતન ટેકનોલોજી અને ભારતભરમાં 40થી વધુ બ્રાંચ સાથે સખિયા સ્કિન ક્લિનિક ગુણવત્તાસભર સારવાર આપવાની સાથે પી. જે. સખિયા ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ અર્થપૂર્ણ સામાજિક પહેલો દ્વારા સમાજમાં યોગદાન આપતી રહી છે.

શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ દ્વારા સુરતમાં બે નવી પ્રી-સ્કૂલ શાખાઓનો પ્રારંભ

 

સુરત: શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલ દ્વારા પ્રારંભિક બાળશિક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવતાં સુરત શહેરમાં બે નવી પ્રી-સ્કૂલ શાખાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ગુરુ નેક્સ્ટજેન પ્રી-સ્કૂલનું ઉદ્ઘાટન તા. 5 જૂન, 2026ના રોજ આનંદ મહેલ રોડ, અડાજણ ખાતે કરવામાં આવ્યું. આ સંસ્થા શ્રી મુકેશ પટેલ (ચેરમેન), શ્રીમતી ઈવા શાહ (મેનેજિંગ ડિરેક્ટર) તથા શ્રી રાજેન્દ્ર પારેખ (કો-ફાઉન્ડર) ના નેતૃત્વ હેઠળ કાર્યરત છે. અહીં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કે.જી., સિનિયર કે.જી. તેમજ ડે-કેરની સુવિધા ઉપલબ્ધ છે.

તદુપરાંત, ગુરુ કિડ્સ ઝોન પ્રી-સ્કૂલનું ઉદ્ઘાટન તા. 6 જૂન, 2026ના રોજ ગોડાદરા, સુરત ખાતે કરવામાં આવ્યું. આ સંસ્થા શ્રી મુકેશ પટેલ (ચેરમેન) અને મિસ મિતા જાવિયા (મેનેજિંગ ડિરેક્ટર) ના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. અહીં પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કે.જી. અને સિનિયર કે.જી. ના અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.

બંને પ્રી-સ્કૂલમાં બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સુરક્ષિત, પ્રેમાળ અને પ્રવૃત્તિ આધારિત શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંચાલક મંડળે જણાવ્યું હતું કે આ નવી શાખાઓ શરૂ કરવાનો મુખ્ય હેતુ સુરતના વધુને વધુ પરિવારો સુધી ગુણવત્તાસભર પ્રી-સ્કૂલ શિક્ષણ પહોંચાડવાનો છે, જેથી દરેક બાળકને વ્યક્તિગત ધ્યાન, યોગ્ય સંભાળ અને સર્વાંગી વિકાસની તકો મળી રહે.

મેનેજમેન્ટ તરફથી શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલના ચેરમેન શ્રી મુકેશ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમની દ્રષ્ટિ, નેતૃત્વ અને શિક્ષણ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા સંસ્થાને શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા અને ભાવિ પેઢીને ઘડવામાં સતત પ્રેરણા આપી રહી છે.

શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ નવી શાખાઓના પ્રારંભ સાથે SGVS સુરતના વધુ પરિવારો સુધી ગુણવત્તાયુક્ત પ્રી-સ્કૂલ શિક્ષણ પહોંચાડવાની અને નાનાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણની પોતાની યાત્રાને આગળ વધારી રહ્યું છે.

હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા આજીવન શિક્ષણ સહાય યોજના

 

સુરત, તા. 11 જૂન 2026

સમાજમાં શિક્ષણનું મહત્વ વધે અને આર્થિક પરિસ્થિતિના કારણે કોઈપણ વિદ્યાર્થીનું શિક્ષણ અધૂરું ન રહે તેવા ઉદ્દેશ્ય સાથે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન દ્વારા “આજીવન શિક્ષણ સહાય યોજના” અમલમાં મૂકવામાં આવી છે.

ફાઉન્ડેશનના પ્રેરણાસ્ત્રોત શ્રી પિયુષભાઈ ભૂરાભાઈ દેસાઈ (નાણોટા) ના સહયોગથી ધોરણ 5 થી લઈને કોલેજ સુધી અભ્યાસ કરતા દીકરા અને દીકરીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તેમના અભ્યાસ દરમિયાન જરૂરી શિક્ષણ સહાય આપવામાં આવશે.

હાલમાં ફોર્મ ચકાસણી અને પસંદગી પ્રક્રિયા ચાલુ છે. અરજદારોની સંખ્યા વધુ હોવાથી ફોર્મનું મૂલ્યાંકન તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. તેથી જેમ જેમ પ્રક્રિયા પૂર્ણ થતી જશે તેમ તેમ પસંદગી પામેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોબાઇલ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.

જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ફોર્મ ભર્યું નથી અથવા જરૂરી દસ્તાવેજો જમા કરાવવાના બાકી છે, તેઓએ વહેલી તકે ફાઉન્ડેશનની ઓફિસે સંપર્ક કરી પ્રક્રિયા પૂર્ણ કરવાની વિનંતી કરવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજો:

વિદ્યાર્થીનું આધાર કાર્ડ

પિતાનું આધાર કાર્ડ

છેલ્લી માર્કશીટ

લાઇટ બિલ

2 પાસપોર્ટ સાઇઝ ફોટા

ઓફિસ સરનામું: G-8, Empire State Building, Udhna Ring Road, Surat

સંપર્ક: 9638086191
7490886191

શિક્ષણ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાના સંકલ્પ સાથે હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન સતત કાર્યરત છે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ લેવા અપીલ કરે છે.

– હીરાબાનો ખમકાર ફાઉન્ડેશન, સુરત

જી. ડી. ગોયંકા સ્કૂલને યુનેસ્કો ASPnetમાં વૈશ્વિક માન્યતા

 

સુરત: જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલ, સુરતે એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેને યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)ના પ્રતિષ્ઠિત “એસોસિએટેડ સ્કૂલ્સ નેટવર્ક (ASPnet)”ના સભ્ય તરીકે સત્તાવાર માન્યતા મળી છે. આ માન્યતા સ્કુલને વિશ્વભરની એવી પસંદગીની સંસ્થાઓમાં સ્થાન અપાવે છે, જે શાંતિ, સતત વિકાસ, વૈશ્વિક નાગરિકતા અને ગુણવત્તાસભર શિક્ષણના પ્રચાર માટે પ્રતિબદ્ધ છે.

જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલ ભારતની મર્યાદિત સંખ્યાની સ્કૂલોમાં સ્થાન મેળવનારી અનન્ય શાળા બની છે. સાથે જ, સુરતની પ્રથમ અને ગુજરાતની ત્રીજી સ્કુલ તરીકે આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ સ્કુલ સમુદાય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે અને વૈશ્વિક અને મૂલ્યઆધારિત શિક્ષણ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

યુનેસ્કો, 1945માં સ્થાપિત થયેલ અને પેરિસમાં મુખ્યાલય ધરાવતી સંયુક્ત રાષ્ટ્રોની વિશેષ એજન્સી છે, જે શિક્ષણ, વિજ્ઞાન અને સંસ્કૃતિ દ્વારા આંતરરાષ્ટ્રીય સહકાર વધારીને શાંતિ સ્થાપવાનું કાર્ય કરે છે. 1953માં યુનેસ્કોએ ASPnet શરૂ કર્યું હતું, જેના માધ્યમથી એવી શૈક્ષણિક સંસ્થાઓને જોડવામાં આવે છે, જે માને છે કે શિક્ષણ શાંતિપૂર્ણ, સમાવેશી અને સમાજ નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આજે ASPnetમાં 180થી વધુ દેશોની 10,000થી વધુ શાળાઓ સામેલ છે. આ સંસ્થાઓ શૈક્ષણિક પ્રોજેક્ટ્સમાં સહભાગી બને છે, નવીન પ્રથાઓ શેર કરે છે અને વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક સમજૂતી, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને વૈશ્વિક જાગૃતિ માટે પ્રેરિત કરે છે. આ નેટવર્કમાં સભ્યપદ મેળવવું ગુણવત્તાસભર શિક્ષણ અને વૈશ્વિક મૂલ્યો પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.

જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલનો આ આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં સમાવેશ તેના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે મજબૂત, સામાજિક રીતે જવાબદાર અને વૈશ્વિક દ્રષ્ટિ ધરાવતા બનાવવા માટેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. સ્કુલે આ વર્ષો દરમિયાન ગુણવત્તાસભર શિક્ષણ સાથે સંસ્કારાત્મક મૂલ્યોનું મજબૂત સંયોજન રચ્યું છે.

આશરે 2011માં સ્થાપિત થયેલી આ શાળા, સુરતના વેસુ વિસ્તારમાં આવેલ ન્યૂ સિટી લાઇટમાં સ્થિત એક અગ્રણી સહશિક્ષણ સંસ્થા છે. તેનું કેમ્પસ ભરથાણા વિસ્તારમાં કેનલ રોડ પર આવેલ વિઝડમ વેલીમાં, અનુવ્રત દ્વાર નજીક આવેલું છે. આશીર્વાદ કેળવણી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સંસ્થા, સમય સાથે શહેરના અગ્રણી શૈક્ષણિક કેન્દ્રોમાં વિકસિત થઈ છે.

શાળા સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) સાથે સંકળાયેલી છે. સમય સાથે શાળાએ  આધુનિક માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સાધનો વિકસાવ્યા છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સહ-પાઠ્યક્રમ વિકાસને પ્રોત્સાહિત કરે છે.

આશરે 28,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું કેમ્પસ વિદ્યાર્થીઓ માટે ઉત્સાહભર્યું શૈક્ષણિક વાતાવરણ સર્જે છે. અહીં 129 રૂમ, 79 સુવ્યવસ્થિત વર્ગખંડો, 16 સજ્જ પ્રયોગશાળાઓ અને 3 ગ્રંથાલયો છે, જે ટેકનોલોજીને રોજિંદા શિક્ષણમાં જોડે છે. ઉપરાંત, 3,000 ચોરસ મીટરથી વધુ વિસ્તાર ધરાવતું વિશાળ મેદાન વિદ્યાર્થીઓને રમતગમત અને શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરે છે.

શાળાએ શરૂઆતથી જ સર્વાંગી શિક્ષણ પર ભાર મૂક્યો છે. શૈક્ષણિક અભ્યાસ સાથે રમતગમત, કલા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પ્રયોગાત્મક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા શોધવા અને વિકસાવવા પ્રેરિત કરવામાં આવે છે. શાળાનું શિક્ષણ અભિગમ સર્જનાત્મકતા, તર્કશક્તિ અને પ્રાયોગિક અભ્યાસ પર આધારિત છે.

ASPnetમાં સભ્યપદ મેળવવા માટે શાળાનું વિવિધ માપદંડો પર મૂલ્યાંકન કરવામાં આવે છે, આમાં શાળાનો દ્રષ્ટિકોણ, શિક્ષણ-અભ્યાસ પદ્ધતિઓ, શિક્ષક વિકાસ કાર્યક્રમો, વિદ્યાર્થી ભાગીદારી, સતત વિકાસ માટેની પહેલો અને સમાવેશી શિક્ષણ પ્રથાઓનો સમાવેશ થાય છે.

જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલે આ તમામ માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. શાળાનો દ્રષ્ટિકોણ શાંતિ, માનવ અધિકાર, સતત વિકાસ અને વૈશ્વિક નાગરિકતા જેવા યુનેસ્કોના મુખ્ય મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.

વિદ્યાર્થી-કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિઓ જેમ કે સંશોધન આધારિત અભ્યાસ, પ્રયોગાત્મક પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ આધારિત કાર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી વિદ્યાર્થીઓ સ્વતંત્ર રીતે વિચારવા, પ્રશ્ન પૂછવા અને વાસ્તવિક જીવનમાં જ્ઞાનનો ઉપયોગ કરવા પ્રેરાય છે.

શિક્ષકોનો વિકાસ પણ મહત્વપૂર્ણ છે. નિયમિત તાલીમ, વર્કશોપ અને વ્યાવસાયિક વિકાસ કાર્યક્રમો દ્વારા શિક્ષકોને નવીન શિક્ષણ પદ્ધતિઓથી પરિચિત કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. વિદ્યાર્થી પરિષદ, નેતૃત્વના અવસર અને સહકારાત્મક પ્રવૃત્તિઓ દ્વારા તેઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે છે.

પર્યાવરણ જાગૃતિ અને સતત વિકાસ શાળાના મુખ્ય કાર્યક્રમોમાં સામેલ છે. ઇકો-ક્લબ, પર્યાવરણ અભિયાન અને પ્રોજેક્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓને પ્રકૃતિ સંરક્ષણ માટે પ્રેરણા મળે છે.

અભ્યાસક્રમમાં વૈશ્વિક નાગરિકતા, સાંસ્કૃતિક વૈવિધ્યતા અને માનવ અધિકારોના વિષયો સમાવાયા છે. વિવિધ સાંસ્કૃતિક ઉજવણીઓ અને આંતરરાષ્ટ્રીય દિવસો દ્વારા આંતરસાંસ્કૃતિક સમજ વધે છે. સમાવેશિતા શાળાનું મહત્વપૂર્ણ મૂલ્ય છે. વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓને સમાન તક આપવામાં આવે છે, જે પરસ્પર માન અને એકતાની ભાવનાને મજબૂત બનાવે છે.

શાળા શાંતિપૂર્ણ શિક્ષણ, સામાજિક જવાબદારી અને સમાનતાને પણ પ્રોત્સાહિત કરે છે. વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને સામાજિક પ્રશ્નો પર વિચારવા અને સમાજમાં સકારાત્મક યોગદાન આપવા પ્રેરિત કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુખાકારી શાળાની પ્રાથમિકતા છે. બાળ સુરક્ષા, માનસિક આરોગ્ય અને સકારાત્મક શિસ્ત માટેની નીતિઓ દ્વારા સુરક્ષિત અને સહાયક વાતાવરણ ઉભું કરવામાં આવે છે.

યુનેસ્કો ASPnetમાં જોડાવાથી શાળાની વૈશ્વિક દ્રષ્ટિ વધુ મજબૂત બને છે. આથી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સ અને સહયોગી કાર્યક્રમોમાં ભાગ લેવા તકો મળે છે, જે તેમના સંવાદ, ટીમવર્ક અને સર્જનાત્મકતા જેવા કૌશલ્યો વિકસાવે છે.

આ સિદ્ધિ નિમિત્તે શાળા વિશેષ સભાઓ, પ્રદર્શનો અને જાગૃતિ કાર્યક્રમો યોજવાની યોજના ધરાવે છે, જે વિદ્યાર્થીઓને વૈશ્વિક મુદ્દાઓ વિશે માહિતગાર કરશે. આ સફળતા શાળાના સંચાલન, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતાના સંયુક્ત પ્રયત્નોનું પ્રતિબિંબ છે.

યુનેસ્કો ASPnetના સભ્ય તરીકે, જી. ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કુલ હવે વૈશ્વિક સહકારને મજબૂત બનાવવાની અને વિદ્યાર્થીઓ માટે નવી તકો ઉભી કરવાની દિશામાં આગળ વધી રહી છે. આ સિદ્ધિ શાળાની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારતી હોવા સાથે ભવિષ્યના જવાબદાર, સંવેદનશીલ અને વૈશ્વિક નાગરિકો તૈયાર કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.

બીએનઆઈ ગ્રેટર સુરત દ્વારા રક્તદાન મહાઅભિયાનનું આયોજન, 100 યુનિટ રક્ત એકત્રિત

 

– લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયો રક્તદાન કેમ્પ

સુરત : સામાજિક જવાબદારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને આગળ વધારતાં બીએનઆઈ ગ્રેટર સુરતે 6 જૂન, 2026ના રોજ અમોરે સુરત ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. કેમ્પમાં બીએનઆઈના સભ્યો, આમંત્રિત મહેમાનો તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓની સહાય માટે કુલ 100 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.

રક્તદાન કેમ્પનું આયોજન લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના સહયોગથી કરવામાં આવ્યું હતું. કેન્દ્રની સમર્પિત તબીબી ટીમે સમગ્ર કાર્યક્રમ દરમિયાન રક્તદાન પ્રક્રિયાને સુરક્ષિત, સુવ્યવસ્થિત અને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવસેવાનો સંદેશ આપ્યો હતો.

આયોજકોના જણાવ્યા મુજબ આ અભિયાનને ભાગ લેનારાઓ તરફથી અત્યંત ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો. આ કાર્યક્રમ સેવા, કરુણા અને સામાજિક સહભાગિતાની ભાવનાનું પ્રતીક બન્યો હતો. કેમ્પ દરમિયાન એકત્રિત થયેલી 100 યુનિટ રક્ત વિવિધ જરૂરિયાતમંદ દર્દીઓના જીવ બચાવવા ઉપરાંત પ્રદેશની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવામાં પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રસંગે બીએનઆઈ ગ્રેટર સુરત (સુરત, નવસારી અને બારડોલી)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. નિધિ સિંઘવીએ જણાવ્યું હતું કે બીએનઆઈનું માનવું છે કે સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તેને સમાજ સાથે વહેંચવામાં આવે. રક્તદાન માનવતાની સૌથી નિઃસ્વાર્થ સેવાઓમાંની એક છે અને રક્તની દરેક યુનિટ અનેક લોકોનો જીવ બચાવવાની ક્ષમતા ધરાવે છે. તેમણે તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો, બીએનઆઈ સભ્યો તથા સહયોગી સંસ્થા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સૌના સહકારથી આ પહેલને નોંધપાત્ર સફળતા મળી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે બીએનઆઈ ગ્રેટર સુરત માત્ર વ્યવસાયિક નેટવર્કિંગ પૂરતું મર્યાદિત નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે પણ સતત કાર્યરત છે. સંસ્થાનો હેતુ વ્યવસાયિક વિકાસની સાથે સામાજિક જવાબદારીને પણ સમાન મહત્વ આપવાનો છે અને સભ્યોને સમાજહિતના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા માટે પ્રેરિત કરવાનો છે.

બીએનઆઈ ગ્રેટર સુરતે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપનાર તમામ રક્તદાતાઓ, સહયોગીઓ, સ્વયંસેવકો તેમજ લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

“રક્તદાન કરો, જીવન બચાવો”ના સંદેશ સાથે સંસ્થાએ ભવિષ્યમાં પણ આવા જનકલ્યાણકારી કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

એએમ/એનએસ ઈન્ડિયા અને આઇઆઇટી રૂરકીએ ઉત્પાદન અને સ્ટીલ ટેકનોલોજીસમાં શિક્ષણ, સંશોધન અને નવીનીકરણને આગળ વધારવા માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા

 

* ભાગીદારીનો ઉદ્દેશ ઉદ્યોગ-શૈક્ષણિક સહયોગને મજબૂત કરવા, કાર્યબળ પરિવર્તનને વેગ આપવા અને ભારતની ઔદ્યોગિક વૃદ્ધિને સરળ બનાવવા માટે એપ્લાઇડ સંશોધન હાથ ધરવાનો છે. * એએમ/એનએસ ઈન્ડિયા આ સહયોગ હેઠળ સંયુક્ત શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ-જોડાણ પહેલને આગળ વધારવા માટે તેની ઉદ્યોગ-સંકલિત શૈક્ષણિક પહેલ, નામટેક (ન્યુ એજ માર્કર્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી)નો લાભ ઉઠાવશે. હઝીરા, સુરત, 9 જૂન, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી રૂરકી (આઇઆઇટી રૂરકી)એ શિક્ષણ, સંશોધન, નવીનીકરણ અને ઉદ્યોગ જોડાણમાં સહયોગ માટે વ્યુહાત્મક સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. આ ભાગીદારી એએમ/એનએસ ઈન્ડિયાની ઔદ્યોગિક નિપુણતા અને વૈશ્વિક ઉત્પાદન ફૂટપ્રિન્ટ અને આઇઆઇટી રૂરકીની શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતાને એક સાથે લાવે છે, જે કૌશલ્ય વિકાસ, એપ્લાઇડ સંશોધન, ટેકનોલોજી નવીનીકરણ અને ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા માટે એક મંચનું સર્જન કરે છે. સમજૂતી કરારનાં માળખાં હેઠળ ભાગીદારો નીચેની બાબતોમાં તકો શોધશેઃ • શૈક્ષણિક કાર્યક્રમો, એક્ઝિક્યુટિવ શિક્ષણ, વ્યાવસાયિક વિકાસના અભ્યાસક્રમો અને કાર્યદળ પરિવર્તન પહેલોનો સંયુક્ત વિકાસ અને ડિલિવરી • ઉદ્યોગ-કેન્દ્રીત કન્સલ્ટિંગ, ટેકનિકલ સલાહકાર સેવાઓ, સમસ્યાનાં ઉકેલનાં જોડાણો અને ટેકનોલોજીની આકારણીઓ • સહયોગી સંશોધન, નવીનીકરણ, ટેકનોલોજી વિકાસ, પ્રકાશનો, બૌદ્ધિક સંપત્તિનું સર્જન, અને ટેકનોલોજી પરિવર્તન પહેલો. એએમ/એનએસ ઈન્ડિયા કૌશલ્ય વિકાસ, એપ્લાઇડ સંશોધન, પહેલ, અને ઉદ્યોગ જોડાણમાં ભાગીદારીના ઉદ્દેશો પૂર્ણ કરવા માટે એક મંચ તરીકે તેની ઉદ્યોગ-સંકલિત શિક્ષણ પહેલ નામટેકનો ઉપયોગ કરશે. શિક્ષણ અને ઉદ્યોગ વચ્ચે તફાવત દૂર કરવા માટે સ્થાપિત નામટેક ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું સર્જન કરવા અને સંશોધનને ઔદ્યોગિક અસરમાં રૂપાંતરિત કરવા માટે પ્રાયોગિક શિક્ષણ, ઉદ્યોગ આધારિત અભ્યાસક્રમ અને વાસ્તવિક વિશ્વના ઉદ્યોગ ઉકેલ એક સાથે લાવે છે. ભાગીદારી ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું નિર્માણ કરવા અને અદ્યતન ઉત્પાદન તથા ઔદ્યોગિક નવીનીકરણમાં ભારતની ક્ષમતાઓને મજબૂત કરવા માટે સહિયારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે. તે વિદ્યાર્થીઓ, સંશોધકો, ફેકલ્ટી અને ઔદ્યોગિક વ્યાવસાયિકોને વાસ્તવિક વિશ્વના પડકારો પર એક સાથે કાર્ય કરવા અને દેશની લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવા માટેની તકોનું સર્જન કરે એવી અપેક્ષા છે. આ પ્રસંગે વાત કરતા એએમ/એનએસ ઈન્ડિયાના સીઇઓ શ્રીમાન દિલિપ ઓમેને જણાવ્યું હતું કેઃ “ભારતનાં ઔદ્યોગિક પરિવર્તન માટે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે ઊંડા સહયોગની આવશ્યકતા પડશે. આઇઆઇટી રૂરકી સાથે આ વ્યુહાત્મક સહયોગ મારફતે અને અમારા ઉદ્યોગ-સંકલિત શિક્ષણ અને નવીન મંચ તરીકે નામટેકનો લાભ ઉઠાવીને અમે ભવિષ્ય માટે તૈયાર કૌશલ્યનું નિર્માણ કરવાનો, એપ્લાઇડ સંશોધનને વેગ આપવાનો અને ભારતનાં ઉત્પાદન અને સ્ટીલ ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા અને ટકાઉતાને મજબૂત કરે એવા અસરદાર ઉકેલોનો વિકાસ કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ.” આઇઆઇટી રૂરકીના નિર્દેશક ડો. કે. કે. પંતે જણાવ્યું હતું કેઃ “આ સહયોગ શૈક્ષણિક સંશોધનને ઉદ્યોગ સંબંધિત પરિણામોમાં રૂપાંતરિત કરવા માટેનું એક મહત્ત્વૂપર્ણ પગલું છે. આઇઆઇટી રૂરકીનાં સંશોધનની ક્ષમતાઓને એએમ/એનએસ ઈન્ડિયાની ઔદ્યોગિક નિપુણતા અને નામટેકના ઔદ્યોગિક સંકલિત શિક્ષણ ઇકોસિસ્મટની સાથે સંયોજિત કરીને અમારો ઉદ્દેશ શિક્ષણ, ટેકનોલોજી વિકાસ અને વ્યુહગોઠવણ, અને નવીનીકરણથી ચલિત વ્યવહારું, સ્કેલેબલ અને લાગુ કરી શકાય એવા ઉકેલો મારફતે વિકસિત ભારતનાં વિઝનની સાથે સંરેખિત કરીને ટકાઉતાને આગળ વધારવાનો છે.” નામટેકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય શ્રીમાન સંજય શર્માએ ઉમેર્યું હતું કેઃ “નામટેકની સ્થાપના ભવિષ્ય માટે કૌશલ્ય તૈયાર કરવામાં ઉત્પાદન અને શિક્ષણ સહયોગની રીતને પુનઃવ્યાખ્યાયિત અને મજબૂત કરવા માટે કરવામાં આવી હતી. આ ભાગીદારી અનુભવલક્ષી શિક્ષણ, એપ્લાઇડ સંશોધન, અને નવીનીકરણથી ચલિત પરિણામો માટે નવા માર્ગોનું સર્જન કરવામાં સહાય કરશે, જે ઉદ્યોગની વિકસિત જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ સાથે નજીકથી સંરેખિત છે.” સમજૂતી કરાર સહયોગ માટે લાંબા ગાળાનું માળખું સ્થાપિત કરે છે અને કૌશલ્યનો વિકાસ કરવા, નવીનીકરણને વેગ આપવા, અને ભારતનાં ઉત્પાદન તથા સ્ટીલ ક્ષેત્રો સામે ઉભરતા પડકારોનો સામનો કરી શકાય તે માટે ઉદ્યોગ અને શિક્ષણ વચ્ચે ટકાઉ જોડાણ માટેનાં મંચનું સર્જન કરે છે.
સીટી પ્લસ હવે ‘બૂજી વર્લ્ડ’ તરીકે નવા અવતારમાં, સુરતને મળશે મેગા એન્ટરટેઇનમેન્ટ હબ

 

  • ગુજરાતની સૌથી મોટી બોલિંગ એલી સહિત ગેમ ઝોન, સ્પોર્ટ્સ અરીના, સિનેમા અને ફૂડ હબ એક જ સ્થળે ઉપલબ્ધ થશે

સુરતઃ ડુમસ રોડ સ્થિત સીટી પ્લસ મલ્ટિપ્લેક્સ હવે નવા અવતારમાં ‘બૂજી વર્લ્ડ’ તરીકે શહેરવાસીઓ સામે આવી રહ્યું છે. છેલ્લા ૨૩ વર્ષથી સુરતવાસીઓને મનોરંજન પૂરું પાડતું સીટી પ્લસ હવે આધુનિક ટેક્નોલોજી અને નવી પેઢીની એન્ટરટેઇનમેન્ટ સુવિધાઓ સાથે સંપૂર્ણ રી-લૉન્ચ કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે સીટી પ્લસના સંચાલક આશિષ જૈન,આકાશ ગર્ગ અને મૌલિન ડેલીવાળાએ જણાવ્યું હતું કે, સીટી પ્લસ વર્ષ 2003-04 થી સુરતમાં કાર્યરત છે અને હવે તેને સંપૂર્ણ નવા રૂપમાં “બૂજી વર્લ્ડ” તરીકે વિકસાવવામાં આવ્યું છે. અહીં ગુજરાતની સૌથી મોટી ગણાતી 12 લેનની બોલિંગ એલી તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં 2 પ્રાઇવેટ વીઆઈપી બોલિંગ એલીનો પણ સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે, હવે લોકોને ફિલ્મ, ગેમિંગ અને અન્ય મનોરંજન માટે અલગ અલગ સ્થળે જવાની જરૂર નહીં રહે. એક જ સ્થળે સિનેમા, ગેમ ઝોન, બોલિંગ, લેઝર ટેગ અને અન્ય આઉટડોર સ્પોર્ટ્સ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે.

સીટી પ્લસમાં કુલ ત્રણ વિશાળ સ્ક્રીન છે, જેમાં આશરે 1800 બેઠકોની ક્ષમતા છે. ઉપરાંત અહીં આર્કેડ ગેમ્સ, બાળકો માટે 2500 સ્ક્વેર ફૂટથી વધુ વિસ્તાર ધરાવતો સોફ્ટ પ્લે એરિયા, ક્લાઇમ્બિંગ વોલ, ક્રિકેટ ઝોન તથા સ્પોર્ટ્સ અરીનામાં પિકલ બોલ, પેડલ બોલ, વોલીબોલ અને શેડેડ ક્રિકેટ નેટ જેવી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.

આ સમગ્ર પ્રોજેક્ટ અંદાજે 30 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. વધુમાં જણાવ્યું હતું કે અહીં 3 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના વડીલ સુધી દરેક વયજૂથ માટે મનોરંજનની અલગ અલગ પ્રવૃત્તિઓ ઉપલબ્ધ રહેશે.
માત્ર મનોરંજન જ નહીં પરંતુ બર્થડે પાર્ટી, ઇવેન્ટ અને અન્ય કાર્યક્રમો માટે બેન્ક્વેટ સુવિધા પણ ઉપલબ્ધ રહેશે. સાથે જ સુરતની જાણીતી “ઇન્ડિયન તપસ બાર”ની બીજી શાખા પણ અહીં શરૂ થવા જઈ રહી છે.

  • બૂજી વર્લ્ડના નિમિત્તે કાર્નિવલનું આયોજન

‘બૂજી વર્લ્ડ’ના લોન્ચ નિમિત્તે 23 મેથી 31 મે સુધી કાર્નિવલ સેલિબ્રેશન યોજાશે. 23 મેના રોજ લોન્ચ ડે સાથે ડીજે નાઇટ વિથ પર્ક્યુશનિસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 24 મેના રોજ ભજન જેમિંગ કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત કાર્નિવલ દરમિયાન મેસ્કોટ્સ, ટેટૂ આર્ટિસ્ટ અને વિવિધ મફત મનોરંજન પ્રવૃત્તિઓ પણ રાખવામાં આવી છે.
આ સમગ્ર પ્રોજેક્ટને “ઓલ એન્ટરટેઇનમેન્ટ એટ વન એડ્રેસ” થીમ સાથે રજૂ કરવામાં આવી રહ્યો છે.

ટ્રાન્સમિશન લાઇન્સ: ગેરમાન્યતાઓ, હકીકતો અને ગુજરાતના ભવિષ્યમાં તેમનું મહત્વ

 

ગાંધીનગર (ગુજરાત) [ભારત], 8 જૂન: ગુજરાત ભારતના નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રના શક્તિશાળી કેન્દ્ર તરીકે પોતાની ઓળખ મજબૂત બનાવી રહ્યું છે, ત્યારે સ્ટીલ અને એલ્યુમિનિયમનું એક મૌન નેટવર્ક રાજ્યના વિકાસને ગતિ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. કચ્છના મીઠાના પાનોથી લઈને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક કોરિડોર સુધી, ટ્રાન્સમિશન લાઇન્સ માત્ર કેબલ્સ નથી; તે આપણા વિકાસની ઉચ્ચ-વોલ્ટેજ ધમનીઓ સમાન છે. રાજ્યભરના જમીનમાલિકો અને નાગરિકો માટે, આ માળખાં વૈશ્વિક ઊર્જા પરિવર્તનમાં ગુજરાતના નેતૃત્વનું પ્રતીક છે.
તેમ છતાં, રાજ્ય 100 GW નવીનીકરણીય ક્ષમતા હાંસલ કરવાના પોતાના લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, ત્યારે ગ્રીડના વિસ્તરણને ઘણી વખત કેટલીક ગેરમાન્યતાઓને કારણે સંકોચનો સામનો કરવો પડે છે. ગુજરાત ભારતના વીજળી ક્ષેત્રમાં તેજસ્વી ઉદાહરણ બની રહે તે માટે વૈજ્ઞાનિક હકીકતો અને સામાન્ય ગેરસમજણો વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે.
માન્યતા 1: ઉચ્ચ-વોલ્ટેજ લાઇન્સની નજીક રહેવું સ્વાસ્થ્ય માટે જોખમી છે
હકીકત: આંતરરાષ્ટ્રીય આરોગ્ય ધોરણો અને કડક ભારતીય નિયમો સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
સૌથી સામાન્ય ચિંતા ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ્સ (EMF) વિશે હોય છે. પરંતુ દાયકાઓના વૈશ્વિક સંશોધને સ્પષ્ટ જવાબ આપ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ઘણા વર્ષોથી જણાવે છે કે વીજળીની લાઇન્સમાંથી ઉત્પન્ન થતી નીચા સ્તરની EMF અસરોથી કોઈ પુષ્ટિ થયેલા શારીરિક આરોગ્ય પરિનામો જોવા મળ્યા નથી.
ગુજરાતમાં, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) અને સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA) દ્વારા અમલમાં મુકાયેલા સુરક્ષા ધોરણો ઘણી વખત આંતરરાષ્ટ્રીય માપદંડો કરતાં પણ વધુ કડક હોય છે. EMFનું સ્તર અંતર વધતા ઝડપથી ઘટે છે; ટ્રાન્સમિશન રાઇટ-ઓફ-વેની સીમા સુધી પહોંચતા ફિલ્ડની તીવ્રતા ઘણીવાર ઘરેલુ વેક્યૂમ ક્લીનર અથવા હેર ડ્રાયર કરતાં પણ ઓછી હોય છે. ગુજરાતના ખેડૂતો અને રહેવાસીઓ માટે તેનો અર્થ એ છે કે ઉપરથી પસાર થતું આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા સામૂહિક સંપૂર્ણ વીજળીકરણના માર્ગમાં એક સુરક્ષિત પડોશી છે.
માન્યતા 2: ટ્રાન્સમિશન નેટવર્ક્સ ખેતીની જમીનને બિનઉપયોગી બનાવી દે છે
હકીકત: આધુનિક ઇજનેરી “સ્થાનાંતરણ કરતાં સહઅસ્તિત્વ”ને પ્રાથમિકતા આપે છે, જેથી ખેતી સતત ફૂલેફાલે.
ગુજરાતના સક્રિય ખેડૂત સમુદાયમાં સામાન્ય ભય એ છે કે ટ્રાન્સમિશન ટાવરનો અર્થ ખેતીનો અંત. હકીકતમાં, રાજ્યમાં આધુનિક ગ્રીડ આયોજન એવી રીતે કરવામાં આવે છે કે ઉપજાઉ જમીન પર ઓછામાં ઓછી અસર પડે.
જ્યારે ટાવરનો પાયો નાનો વિસ્તાર રોકે છે, ત્યારે લાઇન્સની નીચેની જમીન ઉત્પાદનક્ષમ રહે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સીંગદાણા, કપાસ અને એરંડા જેવા પાકો ઉચ્ચ-વોલ્ટેજ લાઇન્સની નીચે સારી રીતે ઉગતા જોવા સામાન્ય બાબત છે. ખેડૂતો પશુ ચરાવી શકે છે અને નીચી ઊંચાઈના પાકો ઉગાડી શકે છે, જો તેઓ સામાન્ય સુરક્ષા અંતર જાળવે. વધુમાં, ગીચ અથવા સંવેદનશીલ વિસ્તારોમાં નવી ટેક્નોલોજીના ઉપયોગથી ગુજરાતની કૃષિ “હરિત ક્રાંતિ” અને “ઊર્જા ક્રાંતિ”ને એકસાથે આગળ વધારવામાં મહત્વપૂર્ણ મદદ મળી રહી છે.
માન્યતા 3: ઉચ્ચ-વોલ્ટેજ લાઇન્સથી “દૂરથી કરંટ લાગવાનો” જોખમ રહે છે
હકીકત: બહુસ્તરીય સુરક્ષા પ્રોટોકોલ્સ અને કડક “ક્લિયરન્સ જ્યોમેટ્રી” ગ્રીડને અત્યંત સુરક્ષિત બનાવે છે.
એક સતત ગેરમાન્યતા એવી છે કે વીજળી લાંબા અંતર સુધી “કૂદી”ને પસાર થતા લોકોને આંચકો આપી શકે છે. ભૌતિકશાસ્ત્ર કંઈક અલગ કહે છે: વીજળીને વાહક અને જમીન સુધી પહોંચવા માટે ચોક્કસ માર્ગની જરૂર પડે છે. સુરક્ષા અંતરના નિયમોનું સીધું ઉલ્લંઘન કર્યા વિના—જેમ કે ટાવર પર ચઢવું અથવા ઊંચા ધાતુના સાધનોને કંડક્ટરોની ખૂબ નજીક લાવવું—જોખમ લગભગ અસ્તિત્વમાં જ નથી.
ગુજરાતમાં ભારતીય વીજળી નિયમોનું અત્યંત કડક પાલન કરવામાં આવે છે. લઘુત્તમ જમીન ક્લિયરન્સ જાળવવામાં આવે છે જેથી ટ્રેક્ટર, હાર્વેસ્ટર અને ગામડાંનું દૈનિક જીવન નીચે સુરક્ષિત રીતે ચાલુ રહી શકે. આધુનિક ગ્રીડ સુરક્ષા પ્રણાલીઓમાં “ઇન્સ્ટન્ટેનિયસ ટ્રિપ” ટેક્નોલોજી પણ હોય છે; દુર્લભ પરિસ્થિતિમાં જો લાઇન તૂટી જાય, તો માનવી આંખ પલક મારે તે પહેલાં જ, મિલિસેકન્ડ્સમાં વીજ પુરવઠો બંધ થઈ જાય છે.
“વિકસિત ગુજરાત”ના વિઝનને શક્તિ આપતા
ટ્રાન્સમિશન લાઇન્સ ગુજરાતના સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સના સાચા આધારસ્તંભ છે. તેઓ કચ્છમાં આવેલા વિશાળ 30 GW હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કમાંથી ઉત્પન્ન થતી ઊર્જાને સુરત અને અમદાવાદના ઘરો સુધી પહોંચાડે છે. તેઓ PM-KUSUM યોજના માટે મજબૂત આધાર પૂરો પાડે છે, જે સોલરાઇઝ્ડ ફીડર્સ દ્વારા ખેડૂતોને દિવસ દરમિયાન સિંચાઈની સુવિધા આપે છે.
જમીનમાલિક માટે, ક્ષિતિજ પર દેખાતી ટ્રાન્સમિશન લાઇન કોઈ અવરોધ નથી—તે ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં ગુજરાતના યોગદાનનું પ્રતીક છે. ગેરમાહિતીને નકારી અને વિજ્ઞાન આધારિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સ્વીકારીને, આપણે ખાતરી કરીએ છીએ કે વિકાસનું “ગુજરાત મોડેલ” રાજ્યના દરેક ખૂણામાં પ્રકાશ, ઉદ્યોગ અને સમૃદ્ધિ લાવતું રહે. આ મહત્વપૂર્ણ ધમનીઓને સમજવું એ ગુજરાતની પ્રગતિની મહાન ગાથામાં ભાગીદાર બનવાનું પ્રથમ પગલું છે.